અલ-બલાગ : એપ્રિલ-2023

તંત્રી સ્થાનેથી

ભારત અને ભારતીય મુસલમાનો બાબતે આ એક સ્પષ્ટ નિષ્કર્ષ છે કે ભારતમાં ઈસ્લામનું વર્તમાન અસ્તિત્વ ભુતકાળના કોઈ દબાણ કે તલવારના જોરની બુનિયાદ ઉપર નથી. મુગલ, ગોરી, લોધી, ખિલજી કે અન્ય બહારથી આવનાર મુસલમાન રાજાઓ — સેનાઓ અહિંયા સત્તા માટે આવ્યા હતા, અને તે ઝમાનામાં દેશો જીતવા, પ્રદેશો સર કરવા અને સામ્રાજય સ્થાપવા રાજાઓ – મહારાજાઓમાં એવું જ પ્રચલિત હતું જેમ આજે લોકશાહીમાં કોઈ પાર્ટી એક પછી એક બધા વિવિધ રાજયોમાં પોતાની સરકાર બનાવીને કેન્દ્રમાં ગાદીએ બેસવાના પ્રયત્નો કરતી હોય છે. એટલે જ આ રાજાઓ અહિંયા આવીને જબરદસ્તી ધર્માતરણ કરાવવાના બદલે સ્થાનિક હિંદુઓને પોતાની સાથે કરીને, સૈન્ય અને શાસન વ્યવસ્થામાં સ્થાન આપીને રાજ કરતા રહયા. જેમને કટ્ટર કહેવામાં આવે છે એ બે દુશ્મનો ઓરંગઝેબ અને શિવાજી માંહે આ અજીબ સમાનતા હતી કે ઓરંગઝેબના લશ્કરમાં હિંદુ સેનાપતિઓ હતા તો શિવાજીના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિઓ હતા.

અલબત્ત એક વાત જરૂર હતી, રાજાઓ અને એમની સેના સાથે આવનાર મુસલમાનો કે સુફી ઓલિયાઓની મહેનતથી જે લોકો મુસલમાન થયા, અથવા એમનાથી પણ પહેલાં દરિયા કિનારે આવતા વેપારી મુસલમાનો થકી જેઓ મુસલમાન થયા, એ બધા મુળ મુસલમાનો અને નવા મુસલમાન બનનાર લોકોમાં ઇસ્લામી આદર્શો અને તાલીમ થકી એક નવું જોમ અને જુસ્સો રહેતો હતો.

લોકો માટે, પ્રદેશ માટે, ગરીબો અને કચડાયેલા વર્ગ માટે, ઇસ્લામની આગવી ઓળખ અને એના આદર્શોને લોકો સુધી પહોંચાડીને માનવીય સમાનતા આધારિત એક સભ્ય - સંસ્કારી સમાજની રચના માટે તેઓ વ્યકિગત અને સામુહિક રીતે પ્રયત્નશીલ રહેતા હતા. તેઓ પોતાના વેપાર કે ખેતી માટે પણ જે કોશિશો કરતા એમાં પણ એક રીતે સમાજહિત અને માનવહિતનો ખ્યાલ સમાયેલો રહેતો હતો. પોતાના વર્તન અને વહેવારમાં ધર્મ અને માનવીય સંબંધોના મિશ્રણ થકી એમણે પોતાને અને પોતાના ધર્મને શ્રેષ્ઠ સાબિત કરી બતાવ્યો.

એનાથી વિપરીત આજે આપણે મુસલમાનોએ પોતાના અંદરથી સામુહિકતા, સમાનતા, સમાજહિત, માનવીય સંવેદનાઓને ખતમ કરી દીધી છે. આપણે સ્વાર્થી બની ગયા છે. વેપાર, ખેતી, શિક્ષણમાં જ નહીં, હવે ધર્માચરણ અને ઇબાદતો – આમાલમાં પણ આપણે સ્વાર્થી બની ગયા છીએ. કુરબાનીનો બકરાનું ગોશ્ત ઘરમાં સંઘરી લઈએ છીએ, ઇફતારીના મિષ્ટાન્ન આપણા રસોડેથી ગરીબો સુધી પહોંચતા નથી. તરાવીહ અને નમાઝમાં પણ પંખો અને એ.સી.ને શોધવામાં આવે છે. સદકા અને સખાવતોમાં પણ વાડાબંધી કરીએ છીએ.

આવી સ્થિતિમાં આપણી આસપાસ વસતા અન્ય ધર્મના ૮૦ ટકા લોકો સમક્ષ આપણે એક સંસ્કારી માનવીનું ઉદાહરણ પણ રજુ કરી શકવાની સ્થિતિમાં નથી, પછી એક આદર્શ મુસલમાન તરીકેનું મોડેલ તો આપણે કેવી રીતે રજૂ કરીએ ?

આપણે આ યાદ રાખવું જોઈએ કે પોતાને કે પોતાના કેરેકટરને સ્થાપવા માટે માણસે કુરબાની આપવી પડતી હોય છે. જેમ એક ધંધાને જમાવવા ખાતર ભારે કુરબાની આપવી પડતી હોય છે. આપણે મુસલમાનો પોતાના ધંધા સ્થાપવા ખાતર તો કુરબાની આપીએ છીએ, ખોટ ખમી લઈએ છીએ, પણ ઇસ્લામ અને ઈસ્લામના આદર્શોને સ્થાપવા ખાતર, સામેવાળાને એનો પરિચય આપવા ખાતર કેટલી કુરબાનીઓ આપીએ છીએ? કેટલું સહન કરીએ છીએ?

ધંધા, વાતચીત, વહેવાર, સંબંધો અને ઓળખમાં આપણે આદર્શ મુસલમાન હોવાનો પરિચય આપવા ખાતર અને ઈસ્લામની ખૂબીઓ સમજાવવા ખાતર પણ કંઈ કુરબાની આપતા થઈએ તો વર્તમાન ભારતમાં ફેલાયેલ ધાર્મિક ગલતફહમીઓ અને નફરતો ઘણા અંશે ઓછી થઈ શકે છે. ઈન્શાઅલ્લાહ.


ખુદા ખાતર જિહાદ અને મુનાફીકોનું વલણ

-મુફતી ફરીદ અહમદ કાવી.

بسم الله الرحمن الرحيم

اَلَّذِيۡنَ اٰمَنُوۡا يُقَاتِلُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ​​ ۚ وَالَّذِيۡنَ كَفَرُوۡا يُقَاتِلُوۡنَ فِىۡ سَبِيۡلِ الطَّاغُوۡتِ فَقَاتِلُوۡۤا اَوۡلِيَآءَ الشَّيۡطٰنِ​ۚ اِنَّ كَيۡدَ الشَّيۡطٰنِ كَانَ ضَعِيۡفًا‏ ﴿٧٦﴾ اَلَمۡ تَرَ اِلَى الَّذِيۡنَ قِيۡلَ لَهُمۡ كُفُّوۡۤا اَيۡدِيَكُمۡ وَاَقِيۡمُوا الصَّلٰوةَ وَاٰتُوا الزَّكٰوةَ ۚ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ الۡقِتَالُ اِذَا فَرِيۡقٌ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ النَّاسَ كَخَشۡيَةِ اللّٰهِ اَوۡ اَشَدَّ خَشۡيَةً​ ۚ وَقَالُوۡا رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا الۡقِتَالَ ۚ لَوۡلَاۤ اَخَّرۡتَنَاۤ اِلٰٓى اَجَلٍ قَرِيۡبٍ​ ؕ قُلۡ مَتَاعُ الدُّنۡيَا قَلِيۡلٌ​ ۚ وَالۡاٰخِرَةُ خَيۡرٌ لِّمَنِ اتَّقٰى وَلَا تُظۡلَمُوۡنَ فَتِيۡلًا‏ ﴿٧٧﴾ اَيۡنَ مَا تَكُوۡنُوۡا يُدۡرِكْكُّمُ الۡمَوۡتُ وَلَوۡ كُنۡتُمۡ فِىۡ بُرُوۡجٍ مُّشَيَّدَةٍ​ ؕ وَاِنۡ تُصِبۡهُمۡ حَسَنَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِ اللّٰهِ​ ۚ وَاِنۡ تُصِبۡهُمۡ سَيِّئَةٌ يَّقُوۡلُوۡا هٰذِهٖ مِنۡ عِنۡدِكَ​ ؕ قُلۡ كُلٌّ مِّنۡ عِنۡدِ اللّٰهِ​ ؕ فَمَالِ ھٰٓؤُلَۤاءِ الۡقَوۡمِ لَا يَكَادُوۡنَ يَفۡقَهُوۡنَ حَدِيۡثًا‏  ﴿٧٨﴾ مَاۤ اَصَابَكَ مِنۡ حَسَنَةٍ فَمِنَ اللّٰهِ​ وَمَاۤ اَصَابَكَ مِنۡ سَيِّئَةٍ فَمِنۡ نَّـفۡسِكَ​ ؕ وَاَرۡسَلۡنٰكَ لِلنَّاسِ رَسُوۡلًا​ ؕ وَكَفٰى بِاللّٰهِ شَهِيۡدًا‏  ﴿٧٩﴾ 

તરજમહ : જે લોકો ઈમાનવાળા છે તેઓ તો અલ્લાહની રાહમાં લડાઈ કરે છે, અને જેઓ ખુદાનો ઈન્કાર કરે છે તેઓ શયતાનના માર્ગમાં લડે છે, માટે તમે આવા શયતાનના દોસ્તો (મદદગારો)થી લડો. બેશક, શયતાનનો પ્રપંચ કમજોર હોય છે. (૭૬) (હે નબી !) તમે પેલા લોકોને જોયા નહીં, જે મને કહેવામાં આવ્યું હતું કે (થોડો સમય) તમારા હાથ રોકી રાખો, અને નમાઝની પાબંદી કરો તેમજ ઝકાત આપતા રહો.પછી જ્યારે તેઓના ઉપર લડવું (જિહાદ) ફરજ કરવામાં આવ્યું તો અચાનક એમનો એક વર્ગ અલ્લાહની જેમ લોકોથી ડરવા લાગ્યો, બલકે એનાથી વધારે ડરી ગયા. અને કહેવા લાગ્યા કે હે અમારા પરવરદિગાર ! તેં અમારા ઉપર (અત્યારથી જ) લડાઈ (જિહાદ) શા માટે ફરજ કરી દીધી ? તેં અમને થોડી મુદ્દત મોહલત કેમ ન આપી ? (હે નબી) તમે કહી દયો કે દુનિયાનો લાભ થોડો હોય છે. અને અલ્લાહથી ડરનાર માટે તો આખિરત જ બેહતર છે અને તમારા ઉપર એક તાંતણા સરખો પણ ઝુલ્મ કરવામાં આવશે નહિ. (૭૭) તમે જ્યાં પણ હશો મોત તમને પકડી લેશે. ભલેને તમે (કિલ્લાના) મજબૂત ગુંબદોમાં (છુપાયા) હોય. અને તે લોકોને તો જો કંઈ ફાયદો થાય છે તો કહે છે આ તો અલ્લાહ તરફથી છે, અને જો તેઓને કોઈ નુકસાન થાય છે તો કહે છે : (હે મુહમ્મદ !) આ તારા કારણે થયું છે. આપ ફરમાવી દો કે બધું જ અલ્લાહ તરફથી જ છે. તો આ લોકોને શું થયું છે કે વાત સમજવા નથી માંગતા. (૭૮) તને (હે માનવી) જે કંઇ લાભ થાય છે તે અલ્લાહ તરફથી હોય છે. અને જે નુકસાન થાય છે તે તારા જ (આમાલના) કારણે હોય છે, અને (હે નબી) અમે તમને બધા જ લોકો માટે રસૂલ બનાવીને મોકલ્યા છે અને (આ વિશે) અલ્લાહની ગવાહી કાફી છે. (૭૯)

તફસીર : અગાઉની આયતમાં જિહાદનો એક મકસદ એ વર્ણવવામાં આવ્યો હતો કે કમઝોર - અશકત સ્ત્રી પુરૂષો અને બાળકોને ઝાલિમોની કેદ સતામણીમાંથી છોડાવવામાં આવે. હવે આ આયતોમાં જિહાદનો એક સર્વગ્રાહી એટલે કે બુનિયાદી મકસદ બતાવવામાં આવ્યો છે.

મવલાના દરયાબાદી રહ. લખે છે કે, ઉપરોકત આયતમાં દુનિયામાં લડવામાં આવતી લડાઈઓ—યુદ્ધો અને ઇસ્લામી લડાઈ એટલે કે જિહાદ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. કુરઆનની આયતનો મતલબ એ થાય છે કે મુસલમાન જયારે એના માનવીય બંધુ સામે હથિયારે ઉગામે છે અથવા વિરોધ વ્યકત કરે છે તો એનો આશય સત્તા કે સામ્રાજ્યનો વિસ્તાર નથી હોતો.પ્રજા - પ્રદેશ કે વર્ણ - વંશનું આધિપત્ય થોપવા માટે નહીં. બિઝનેસ કે નિકાસની મંદીઓ શોધવા માટે નહીં, કોઈને અપમાનિત કરવા કે પોતાની ધાક બેસાડવા નહીં, રાજા, મહારાજા કે શહેનશાહ બનવા—બનાવવા માટે નહીં, બલકે એક અતિ ઉચ્ચ આશય એના પાછળ હોય છે. માનવીય સમાનતા, એટલે કે તવહીદ - એક ખુદાના સમાન બંદાઓ બનવા અને બનાવવા માટે હોય છે. રંગ, વર્ણ, કોમ કે કબીલાના વર્ચસ્વ લડતા - મરતા લોકો વધારે સમજી શકે છે આ કેટલો ઊંચો ધ્યેય છે. અને આ હેતુએ લડવું કેટલું અઘરું છે. આવા ઉચ્ચ ધ્યેય માટે લડતા લશ્કર માટે હઝારો ટન શરાબની જરૂરત નથી પડતી. આવા લશ્કરના અફસરો માટે ભયંકર ગુપ્ત રોગોની હોસ્પિટલો સાથે નથી રાખવી પડતી. આ લશ્કરનો દરેક સિપાહી એના દરેક કદમના હિસાબ દેવા માટે પોતાને બંધાયેલો સમજે છે.

એટલે આયતમાં કહેવામાં આવ્યું કે સાચા ઈમાનવાળાઓ અલ્લાહની રાહમાં લડે છે. અલ્લાહની રાહ માનવીય સમાનતા, ન્યાય અને સત્યની રાહ છે. એમાં માણસની હવસ કે લોભ – લાલસાને સ્થાન નથી હોતું.

એનાથી વિપરીત ખુદાના ઇન્કાર કરનાર લોકો તાગૂત એટલે શયતાની શકિતની હિમાયતમાં લડતા હોય છે. શયતાની શકિત એટલે ઝુલ્મ, શોષણ, સ્વાર્થ, ગુનાઓ, તોડફોડ, બરબાદી જેવો આશય રાખનાર લોકો અને લશ્કરો.

અલ્લાહ તઆલા ફરમાવે છે કે શયતાનની ચાલ, તદબીર, પ્રપંચ કમઝોર હોય છે, એના વિરુદ્ધ લડવું, એને પરાસ્ત કરવું અઘરું નથી.

આયતથી એ પણ માલૂમ થયું કે જેમ શયતાનના ઝાહેરી લશ્કરની ચાલ તદબીર કમઝોર હોય છે એમ બાતેની લશ્કર અને તદબીરો પણ કમઝોર જ હોય છે.

જિહાદ કે લડાઈના ઉપર વર્ણવવામાં આવેલ વિશેષ મકસદ (કમઝોરોની મદદ) કે બુનિયાદી આશય (માનવીય સમાનતાની સ્થાપના)ને જોતાં માણસ માટે કોઈ એવી ગુંજાશ બાકી નથી રહેતી કે જરૂરત પડયે એનાથી પાછીપાની કરે. આ જ અનુસંધાને એક ઘટનાનો મોંઘમ ઉલ્લેખ કરીને જરૂરત સમયે જિહાદ માટે તત્પર રહેવાનો હુકમ આગળ આવતી આયત નં ૭૭ માં સમજાવવામાં આવ્યો છે.

મુળ વાત એમ હતી કે ઇસ્લામના આરંભે મુસલમાનો મક્કામાં ઘણા કમઝોર હતા. મદીના સુધી ઇસ્લામ પહોંચ્યો ન હતો કે ત્યાં હિજરત પણ થઈ ન હતી. આ દિવસોમાં મુસલમાનોના દુશ્મનો કમઝોર મુસલમાનો ઉપર ખૂબ ઝુલમ કરતા હતા. આ ઝુલમની સામે અમુક મુસલમાનો એટલી શકિત ધરાવતા હતા કે મુકાબલો કરી શકે અને જવાબ આપી શકે, પણ અલ્લાહ તઆલા તરફથી મુકાબલો કરવા કે જવાબ આપવાની બિલ્કુલ મનાઈ હતી. અને ફક્ત નમાઝ રોઝા અને ઝકાતના હુકમ ઉપર પાબંદીથી અમલ કરવાની તાકીદ કરવામાં આવતી હતી. મકસદ એ હતો કે વ્યક્તિગત સ્વાર્થ છોડીને ખુદા ખાતર લડવું – મરવું અઘરુ કામ છે, માટે નમાઝ વગેરે હુકમો ઉપર લગાતાર અમલ કરીને પોતાને ખુદાના હુકમની પૂરી તાબેદારી માટે તૈયાર કરવું જરૂરી છે. મુસલમાનોએ મક્કામાં હતા ત્યાં સુધી આ હુકમની તાબેદારી કરી. પછી મદીનાના લોકો મુસલમાન થયા, અને મક્કાથી પણ અમુક છોડીને બધા લોકો હિજરત કરીને મદીના આવી ગયા, પણ અનેકાનેક કારણો સર મદીના આવ્યા પછી લડાઈની જરૂરત પડવા માંડી. મક્કાના દુશ્મનો અહિંયા સુધી આવીને હેરાનગતિ કરી જતા હતા વગેરે.

એટલે મદીનામાં ઠરીઠામ થયા પછી અલ્લાહ તઆલા તરફથી મુસલમાનોને પરવાનગી આપવામાં આવી કે હવે દુશ્મનો તમને મારે, સતાવે કે તમારી ઉપર આક્રમણ કરે, અથવા તો જરૂર જણાય તો પોતે પહેલ કરીને એમની સાથે લડાઈ - યુદ્ધ કરવાની છુટ છે. સ્પષ્ટ છે કે આ હુકમ સ્વરક્ષણ માટે જરૂરી હતો, મુસલમાનો અત્યાર સુધી અત્યાચાર સહેતા હતા, અને ચાહતા પણ હતા કે અમને જવાબ કાર્યવાહી કરવાની પરવાનગી આપવામાં આવે. એટલે લડવા - પ્રતિકાર કરવાની આ છુટ મળ્યા પછી મુસલમાનો ઘણા ખુશ થયા, અલબત્ત અમુક મુસલમાનોને આ બાબત અઘરી લાગી, તેઓના મનમાં એમ હતું કે હજુ થોડો વધારે સમય મદીનામાં શાંતિથી રહી લઈએ, અને પછી લડીશું. એમને મોતનો ડર સતાવવા લાગ્યો કે માંડ માંડ શાંતિ મળી છે અને ફરી પાછી આ લડાઈ -યુદ્ધ અને એમાં મોતની શકયતા ? શાંતિથી જીવવા કયારે મળશે ?

કુરઆનમાં એમની સ્થિતિ વર્ણવતાં કહેવામાં આવ્યું છે કે હવે ખુશ થવાના બદલે હવે તેઓ મોત અને જિંદગીના સાચા માલિક અલ્લાહ કરતાં પણ વધારે દુશ્મનો અને લડાઈથી બીએ છે કે કયાંક લડાઈમાં માર્યા ન જવાય ! અને પછી તેઓ મોંઢેથી કે દિલમાં કહે છે કે હે પરવરદિગાર ! લડાઈનો હુકમ હજુ થોડા વરસ પછી આપ્યો હોત તો સારું! અમે શાંતિથી થોડો સમય જીવનની મોજ માણી લેત.

દુશ્મનોથી અલ્લાહ તઆલા કરતાં વધારે બીવાનો મતલબ એ છે કે મુસલમાનમાં એક તરફ માણસ અલ્લાહ તઆલાના અઝાબ - પકડનો ખોફ હોય તો સાથે જ રહમતની ઉમ્મીદ પણ હોય છે. જયારે દુશ્મન વિશે માણસને ફકત તકલીફ અને મોતનો જ ખોફ હોય છે. તફસીરકારોએ લખ્યું છે કે આ ડર ઇમાનની કમઝોરી કે અલ્લાહના હુકમના અનાદર સ્વરૂપે ન હતો, બલકે એમ માનવીય સ્વભાવ મુજબ એમના દિલમાં ખ્યાલ આવ્યો હતો. એટલે આ બાબતે કોઈ ગુનો કે પકડ એમની કરવામાં આવી નહીં.

અલ્લાહ તઆલા આવા લોકોને ફરમાવે છે કે થોડા સમય પછી પણ લડવું તો પડશે જ, કારણ કે તમે શાંતિથી રહેવા માંગો છો પણ દુશ્મન તમને શાંતિથી રહેવા દેવા માંગતો નથી, એટલે અત્યારથી જ લડાઈ માટે તૈયાર થઈ જાઓ. મોમિન અને મુસલમાનની સામે તો આખિરત હોવી જોઈએ. બાકી દુનિયાની આખી જિંદગી પણ તમને શાંતિથી રહેવા દેવામાં આવે તો એ પણ ઘણી થોડી મુદ્દત કહેવાય. આખિરતની જિંદગી અને બદલો આ દુનિયા કરતાં ઘણો વધારે બેહતર છે. રહી વાત લડાઈમાં માર્યા જવાની. તો મોત એના નક્કી સમયે માણસને ગમે ત્યાં આવી શકે છે. એના માટે યુદ્ધનું મેદાન અને મબજૂત સુરક્ષિત કિલ્લો, બધું સરખું છે.

એક સાચા મુસલમાનના દિલમાં આવા વિચારો આવે અથવા એના મોંઢેથી આવી વાતો નીકળે તો એ સારી વાત ન જ કહેવાય. મદીનાનો માહોલ જોતાં ત્યાં આવી વાતો અને કામો 'મુનાફિક' સમુહનો ઓળખ ગણાતી હતી. એટલે અલ્લાહ તઆલાએ આગળ આવા મુસલમાનોને સંબોધીને કહે છે કે મુનાફિકો જેવા વિચાર કે કામો કરવાથી મુસલમાનોએ બચવું જોઈએ. મુનાફિકોનો મુસલમાનો સાથે દિલથી સંબંધ નથી રાખતા, તેઓ મુસલમાનોને બુરા સમજે છે અને દિલોમાં નફરત રાખે છે. જેની દલીલ આ છે કે એમને જયારે કોઈ ફાયદો થાય છે, એટલે કે મુસલમાનો કોઈ લડાઈમાં જીત મેળવે છે અને ગનીમતનો માલ મળે છે તો એને અલ્લાહનું ઇનામ ગણાવીને પોતે એમાં શરીક થવા ઇચ્છે છે, મુસલમાનો પાસે આવીને મીઠી વાતો કરે છે કે આ લડાઈમાં અમારા તરફથી આવો અને તેવો સહકાર હતો એટલે અલ્લાહે ફતેહ આપી, માટે આપણે બધા ગનીમતના માલમાં સહભાગી છીએ, અને કોઈવાર મુસલમાનો ઉપર મુસીબત આવી પડે કે લડાઈમાં નુકસાન થાય તો નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો વાંક કાઢીને કહે છે કે આ બધું મુહમ્મદની અણઆવડતનું પરિણામ છે. અમારી વાત માની હોતો આમ ન થાત.. વગેરે.

અલ્લાહ તઆલા એમને આયનો બતાવતાં ફરમાવે છે કે બધું જ અલ્લાહ તઆલા તરફથી હોય છે. ફાયદો, જીત અને ગનીમતનો માલ અલ્લાહ તઆલા તરફથી હોય છે તો મુસીબત, હાર અને નુકસાન પણ અલ્લાહ તઆલા તરફથી જ હોય છે. એમાં મુહમ્મદ કે મુસલમાનોનો વાંક - નહુસત નથી હોતાં. આવી સામાન્ય બુદ્ધિની વાત તેઓ કેમ સમજતા નથી ? તેઓ પોતે ફાયદા બાબતે અલ્લાહનું નામ છે તો નુકસાન બાબતે મુહમ્મદનો વાંક કેવી રીતે કાઢી શકે?

આયતનાં અંતે આવી બાબતોમાં માણસે શું વિચારવું જોઈએ અને કેવો અકીદો રાખવો જોઈએ એની શિખામણ અલ્લાહ તઆલા આપે છે કે, અલ્લાહ તઆલાની મહાનતા અને ઉપકારો માણસ ઉપર એટલા બધા છે કે માણસ એનો હિસાબ પણ કરી શકે નહીં અને એનો બદલામાં માણસ અલ્લાહ તઆલાને શું આપી શકે ? ફકત શુક્ર અદા કરવાનો હોય તો એ પણ ન કરી શકે. એટલે એક વાત નક્કી કે નફો, ધન, દોલત, અવલાદ, જીત, ફતેહ વગેરે જે કંઈ લાભ માણસને થાય છે એ બધું અલ્લાહનું ઈનામ અને મહેરબાની છે. અને માણસને જે કંઈ નુકસાન થાય છે એ માણસની નાફરમાની, કોતાહી, ગુનાહો, નાશુક્રીના કારણે થતું હોય છે. મુનાફિકો કે યહૂદીઓ કહે છે એમ નુકસાનનું કારણ નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની અણઆવડત નથી. તેઓ આમ કહીને મોંઘમ રીતે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના નબી - રસૂલ હોવાનો ઇન્કાર કરવા માંગે છે. એટલે અલ્લાહ તઆલા એમના દિલની વાતો જાણીને એનો રદિયો આપતાં ફરમાવે છે કે અમે તમને બધા જ લોકો માટે રસૂલ બનાવીને મોકલ્યા છે. મક્કાના અને અરબના લોકો માટે પણ જેઓ હઝ. ઇસ્માઈલ અલૈ.ની અવલાદના વંશજ છે, યહૂદીઓ માટે પણ જેઓ હઝ. ઈસ્હાક અલૈ.ના વંશજ છે, અને દુનિયાભરના અન્ય લોકો માટે પણ. અને આપના નબી હોવા માટે ફકત અલ્લાહની ગવાહી પૂરતી છે. બીજા કોઈની ગવાહીની જરૂરત નથી.


મઆરિફુલ હદીસ

હઝરત મવલાના મંઝૂર નોમાની (રહ.) 

અનુવાદ : મવલાના યાકૂબ બારીવાલા સા. રહ. (બ્લેકબર્ન. યુ.કે.)

ભાગ નંબર: ૧૭૪

હજના અગત્યના અમલો અને અરકાનો

હજ્જતુલ વિદાઅની બાબતમાં હજના લગભગ બધાજ અમલો અને અરકાનોનો ઉલ્લેખ હજ્જતુલ વિદાઅના રૂપમાં આવી ચુકયો છે. હવે અલગ તેના મહત્વના અરકાનો અને કાર્યો વિષે રસૂલુલ્લાહ સલ.ની સુચનાઓ અને આપની રીત જાણવા માટે નીચેની અમૂક હદીસો વાંચો :-

મક્કામાં પ્રવેશ અને પહેલો તવાફ

મક્કા મુકર્રમાને અલ્લાહ તઆલાએ કા'બા શરીફની નિસ્બતથી જે ખાસ ઈઝઝત આપી છે અને તેને "બલદુલ્લાહિલ્હરામ" તેમજ હજનું મધ્યબિંદુ (સેન્ટર) નક્કી કર્યુ છે. તેનો જરૂરી તકાજો છે કે તેમાં પ્રવેશ એક ખાસ પ્રબંધ અને ઈઝઝત સાથે હોય, તે પછી કા'બા શરીફનો હક છે કે સૌ પ્રથમ તેનો તવાફ કરવામાં આવે. અને પછી તે જ કા'બાના એક ખુણામાં જે એક પવિત્ર પથ્થર (હજર અસ્વદ) ગોઠવેલો છે. (જેને અલ્લાહ સાથે અને જન્નત સાથે ખાસ જોડ છે.) તેનો હક એ છે કે તવાફની શરૂઆત અદબ અને મહોબ્બત સાથે તેના ચુંબનથી કરવામાં આવે, રસૂલુલ્લાહ સલ.નો એ જ મામુલ હતો અને સહાબા રદિ.એ આપનાથી એ જ શિખ્યું હતું.

(۱۷۰) عَنْ نَافِعٍؓ قَالَ إِنَّ ابْنَ عُمَرَ ؓكَانَ لَا يَقْدِمُ مَكَّةَ إِلَّا بَاتَ بِذِيْ طُوىً حَتّٰى يُصْبِحَ وَيَغْتَسِلَ وَيُصَلِّىَ فَيَدْخُلَ مَكَّةَ نَهَارًا وَإِذَا نَفَرَ مِنْهَا مَرَّ بِذِيْ طُوىً وَبَاتَ بِهَا حَتّٰى يُصْبِحَ وَيَذْكُرُ أَنَّ النَّبِيَّ ﷺ كَانَ يَفْعَلُ ذَالِكَ - ( البخاري ومسلم)

તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન ઉમરના ખાદિમ નાફેઅ (રદિ.)થી રિવાયત છે કે અબ્દુલ્લાહ બિન ઉમર જયારે પણ મક્કા આવતા તો તેમાં પ્રવેશ પહેલાં રાત “ઝિતુવા”માં વિતાવતા (જે મક્કા નજીક એક વસ્તી હતી) જયારે સવાર થતી તો સ્નાન કરી નમાઝ પઢતા અને ત્યાર બાદ દિવસે મક્કામાં પ્રવેશતા અને જયારે મક્કાથી પાછા ફરતા તો પણ “ઝિતુવા”માં રાત પસાર કરી સવારમાં ત્યાંથી રવાના થતા અને અબ્દુલ્લાહ બિન ઉમર રદિ. બતાવતા હતા કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)નો પણ એ જ રિવાજ હતો. (બુખારી, મુસ્લિમ)

(۱۷۱) عَنْ جَابِرٍؓ قَالَ أَنَّ رَسُوْلَ اللهِ ﷺ لَمَّا قَدِمَ مَكَّةَ أَتَى الْحَجَرَ فَاسْتَلَمَهٗ ثُمَّ مَشٰى عَلٰى يَمِيْنِهٖ فَرَمَلَ ثَلٰثاً وَّمَشٰى أَرْبَعاً - (رواه مسلم) 

તરજુમાઃ- હઝરત જાબિર (રદિ.)થી રિવાયત છે કે હુઝૂર (સ.અ.વ.) મક્કા પહોંચ્યા તો સૌથી પહેલાં હજરે અસ્વદ પાસે આવ્યા, અને તેનો ઇસ્તીલામ (ચુંબન) કર્યો, પછી જમણી તરફથી તવાફ કર્યો, જેમાં ત્રણ ચક્કરોમાં રમલ કર્યો, અને તે પછીના ચાર ચક્કરોમાં પોતાની ચાલ પ્રમાણે ચાલતા રહ્યા. (મુસ્લિમ શરીફ)

ખુલાસો :- દરેક તવાફ હજરે અસ્વદના ઈસ્તીલામથી શરૂ થાય છે ઇસ્તીલામનો અર્થ હજરે અસ્વદને ચુમવો, અથવા તેના ઉપર હાથ મુકી અથવા તેના તરફ ફરી, તે હાથોને ચુંમવા બસ તે ઇસ્તીલામ કરી તવાફ શરૂ કરવામાં આવે છે. અને દરેક તવાફમાં ખાનએ કા'બાના સાત ચક્કર લગાવવામાં આવે છે.

રમલ એક ખાસ પ્રકારની ચાલને કહેવામાં આવે છે. જેમાં શકિત અને તાકાતનો દેખાવ કરવામાં આવે છે રિવાયતોમાં છે કે સન સાત હિજરીમાં જયારે રસૂલુલ્લાહ સલ. સહાબા રદિ.ની જમાઅત સાથે ઉમરાહ માટે મક્કા મુકર્રમા પહોંચ્યા તો ત્યાંના લોકોએ આપસમાં કહ્યું કે યષરબ એટલે મદીનાની આબોહવાની ખરાબી અને તાવ વિગેરે ત્યાંની બીમારીઓએ એ લોકોને અશકત અને નિર્બળ કરી દીધા છે. રસૂલુલ્લાહ સલ.ને જયારે આ વાતની જાણ થઈ તો આપે હુકમ ફરમાવ્યો, કે તવાફમાં ત્રણ ચક્કરોમાં રમલથી ચાલવામાં આવે અને એ રીતે શકિત અને તાકાતનો દેખાવ કરવામાં આવે. જેથી તેના ઉપર અમલ કરવામાં આવ્યો, અલ્લાહ તઆલાને તે વખતની એ અદા એવી પસંદ આવી કે તેને એક અલગ સુન્નતનું સ્થાન આપ્યું હવે એ જ રીત ચાલુ છે કે હજ અને ઉમરાહ કરનાર જે પહેલો તવાફ કરે છે. જેના પછી સફા મરવાહની સઈ કરવાની હોય છે. તેના પહેલાં ત્રણ ચક્કરોમાં "રમલ" કરવામાં આવે છે. અને બાકીના ચાર ચક્કરોમાં પોતાની ચાલથી ચાલવામાં આવે છે.

(۱۷۲) عَنْ أَبِي هُرَيْرَةَؓ قَالَ أَقْبَلَ رَسُوْلُ اللّهِ ﷺ فَدَخَلَ مَكَّةَ فَاَقْبَلَ إِلَى الْحَجَرِ فَاسْتَلَمَهٗ ثُمَّ طَافَ بِالْبَيْتِ ثُمَّ أَتَى الصَّفَا فَعَلَاهُ حَتّٰى يَنْظُرَ إِلَى الْبَيْتِ فَرَفَعَ يَدَيْهِ فَجَعَلَ يَذْكُرُ اللّهَ مَا شَاءَ وَيَدْعُوْ-(رواه ابوداؤد)

તરજુમાઃ- હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સ.અ.વ.)પધાર્યા તો મક્કામાં પ્રવેશ્યા પછી સૌ પ્રથમ હજરે અસ્વદ પાસે આવી તેનો ઇસ્તીલામ કર્યો, પછી આપ સલ.એ તવાફ કર્યો, પછી સફા પહાડી પર આવ્યા, અને એટલા ઉંચે ચઢયા કે બૈતુલ્લાહ દેખાવા લાગ્યું, પછી આપે હાથ ઉઠાવ્યા (જેમ દુઆમાં ઉઠાવવામાં આવે છે.) અને પછી જેટલી વાર સુધી ઈચ્છા થઈ આપ અલ્લાહના ઝિક્રમાં મશ્ગૂલ રહ્યા. (અબૂ દાઉદ)

(۱۷۳) عَنْ اِبْنِ عَبَّاسٍؓ قَالَ طَافَ النَّبِيُّ ﷺ فِيْ حَجَّةِ الْوِدَاعِ عَلَى بَعِيْرٍ يَسْتَلِمُ الرُّكْنَ بِمِحْجَنٍ (رواه البخاري ومسلم)

 તરજુમાઃ- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે હજ્જતુલ વિદાઅમાં હુઝૂર સલ.એ ઉંટ પર સવાર થઈ બૈતુલ્લાહનો તવાફ કર્યો, આપના હાથમાં એક વાંકી લાકડી હતી તેનાથી જ આપ સલ.એ હજરે અસ્વદનો ઇસ્તીલામ કરતા હતા. (બુખારી, મુસ્લિમ)

ખુલાસો :- ઉપર મુસ્લિમ શરીફના હવાલાથી હઝરત જાબિર રદિ.ની જે રિવાયત નકલ કરવામાં આવી, તેમાં રસુલૂલ્લાહ (સ.અ.વ.)ના તવાફ વિષે આ શબ્દો સ્પષ્ટ હતાં કે " ثمّ مشى على يمينه فرمل ثلثاً ومشى اربعاً“ (આપ હજરે અસ્વદનો ઇસ્તીલામ કર્યા પછી જમણી તરફ ચાલ્યા, (અને તવાફ શરૂ કર્યો) ત્રણ ચક્કરોમાં આપ સલ.એ રમલ કર્યો અને ચાર ચક્કર પોતાની ચાલ મુજબ ચાલ્યા) તેનાથી જણાય છે કે આપ સલ.એ તવાફ પગે ચાલીને કર્યો હતો. અને હઝરત અબૂ હુરૈરહ રદિ.ની આ રિવાયતમાં ઉંટ પર સવાર થઈ તવાફ કરવાનો ઉલ્લેખ છે. પરંતુ એ બન્ને વાતોમાં કોઈ વિરોધ નથી રસૂલુલ્લાહ સલ.એ હજ્જતુલ વિદાઅમાં મક્કા મુકર્રમા પહોંચ્યા પછી પહેલો તવાફ પગે ચાલી કર્યો હતો, હઝરત જાબિર રદિ.એ તેનો ઉલ્લેખ કર્યો છે. અને તે પછી દસમી ઝિલ્હજના મીનાથી મક્કા આવી જે તવાફ કર્યો હતો તે ઉંટ પર કય્રોહતો કારણ કે પુછનારાઓ આપ સલ.ને પુછી શકે. મતલબ કે આપની ઉંટડી તે સમયે આપના માટે મિમ્બરનું કામ આપી રહી હતી અને કદાચ પોતાના અમલથી એ પણ જાહેર કરવું હતું કે ખાસ હાલતમાં સવારી પર બેસીને પણ તવાફ થઈ શકે છે. વલ્લાહુ અઅલમ.

(١٧٤) عَنْ أُمِّ سَلِمَةَ  ؓقَالَتْ شَكَوْتُ إِلٰى رَسُوْلِ اللّهِ ﷺ أَنِّيْ اَشْتَكِيْ فَقَالَ طُوْفِيْ مِنْ وَرَاءِ النَّاسِ رَاكِبَةً فَطُفْتُ وَرَسُوْلُ اللّهِ ﷺ يُصَلِّىْ إِلٰى جَنْبِ الْبَيْتِ يَقْرَءُ بِالطُّوْرِ وَكِتَابٍ مَسْطُوْر - (رواه البخاري ومسلم) 

તરજુમા:- હઝરત ઉમ્મે સલમા (રદિ.)થી રિવાયત છે કે (હજ્જતુલ વિદાઅમાં) મેં રસુલૂલ્લાહ (સ.અ.વ.)થી અરજ કરીઃ મને બીમારીની તકલીફ છે (હું તવાફ કેવી રીતે કરૂં?) આપ સલ.એ ફરમાવ્યું તમે સવાર થઈ લોકોની પાછળ પાછળ તવાફ કરો, તો મેં એ જ મુજબ તવાફ કર્યો, અને તે વખતે રસૂલુલ્લાહ સલ. બૈતુલ્લાહથી નજીકમાં ઉભા રહી નમાઝ પઢતા હતા અને તેમાં સૂરએ નૂર તિલાવત ફરમાવતા હતા. (બુખારી, મુસ્લિમ)

(١٧٥) عَنْ عَائِشَةَؓ قَالَتْ خَرَجْنَا مَعَ النَّبِيِّ ﷺ لَا نَذْكُرُ إِلَّا الْحَجَّ فَلَمَّا كُنَّا بِسَرِفَ طَمِثْتُ فَدَخَلَ النَّبِيُّﷺ  وَأَنَا اَبْكِيْ فَقَالَ لَعَلَّكَ نَفِسْتِ قُلْتُ نَعَمْ قَالَ فَإِنَّ ذَالِكَ شَیْئٌ كَتَبَهٗ اللهُ عَلٰى بَنَاتِ آدَمَ فَافْعَلِيْ مَا يَفْعَلُ الْحَاجُّ غَيْرَ أَنْ لَّا تَطُوْفِيْ بِالْبَيْتِ حَتّٰى تَطْهُرِيْ - (رواه البخاري ومسلم) 

તરજુમાઃ- હઝરત આયશા રદિ.થી રિવાયત છે કે અમે લોકો (હજ્જતુલ વિદાઅ વાળા સફરમાં) રસુલૂલ્લાહ (સલ.) સાથે મદીનાથી ચાલ્યા અમારી જબાનો પર હજનો જ ઉલ્લેખ હતો. અહીંયા સુધી કે (મક્કા નજીક) "સરિફ" સ્થળે જયારે અમે પહોંચ્યા (જે મક્કાથી ફકત એક મંઝીલના અંતર છે.) તો મારા તે દિવસો શરૂ થઈ ગયા, જે સ્ત્રીઓને દર મહીને આવે છે. રસૂલુલ્લાહ સલ. (તંબુમાં) પધાર્યા તો આપ સલ.એ મને બેઠી રડતા જોઈ, આપ સલ.એ ફરમાવ્યું કદાચ તમારા હૈઝના દિવસો શરૂ થઇ ગયા છે? મેં અરજ કરી કે હાં, એવું જ છે. આપ સલ.એ ફરમાવ્યું (રડવાનું શું કારણ છે) એ તો આદમ અલૈ.ની બધી દીકરીઓ સાથે (સ્ત્રીઓ) અલ્લાહે જરૂરી કરી દીધા છે. તમે તે બધા જ અમલ કરતી રહો, જે હાજીઓ એ કરવાના છે. ફકત બૈતુલ્લાહનો તવાફ ત્યાં સુધી ન કરો કે તમે પાક ન થઈ જાઓ. (બુખારી, મુસ્લિમ)

(١٧٦) عَنْ اِبْنِ عَبَّاسٍؓ أَنَّ النَّبِيَّﷺ قَالَ الطَّوَافُ حَوْلَ الْبَيْتِ مِثْلُ الصَّلٰوةِ إِلَّا أَنَّكُمْ تَتَكَلَّمُوْنَ فِيْهِ فَمَنْ تَكَلَّمَ فِيْهِ فَلَا يَتَكَلَّمَنَّ إِلَّا بِخَيْرٍ - (رواه الترمذي والنسائي والدارمي) 

તરજુમા:- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.)થી રિવાયત છે કે રસુલૂલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે બૈતુલ્લાહનો તવાફ નમાઝ જેવી જ ઈબાદત છે. બસ એટલો ફરક છે કે તવાફમાં તમને વાતો કરવાની છુટ છે. તો જે કોઈ તવાફમાં કોઈની સાથે વાત કરે તો નેકી અને ભલાઈની વાત કરે. (બેકાર અને નાજાઈઝ વાતોથી તવાફને ગંદો ન કરે.) (તિર્મિઝી, નસાઈ, દારમી)

 (۱۷۷) عَنْ اِبْنِ عُمَرَؓ قَالَ سَمِعْتُ رَسُوْلَ اللّهِ ﷺ يَقُوْلُ إِنَّ مَسْحَهُمَا (الْحَجَرِ الْأَسْوَدِ وَالرُّكْنِ الْيَمَانِي) كَفَّارَةٌ لِّلْخَطَايَا وَسَمِعْتُهٗ يَقُوْلُ مَنْ طَافَ بِهٰذَا الْبَيْتِ اُسْبُوْعاً فَأَحْصَاهُ كَانَ كَعِتْقِ رَقَبَةٍ وَسَمِعْتُهٗ يَقُوْلُ لَا يَضَعُ قَدَمًا وَلَا يَرْفَعُ أُخْرٰى إِلَّا حَطَّ اللهُ عَنْهُ بِهَا خَطِيْئَةً وَكَتَبَ لَهٗ بِهَا حَسَنَةً (الترمذي) 

તરજુમાઃ હઝ. અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી રિવાયત છે કે મેં રસુલૂલ્લાહ (સલ.)થી સાંભળ્યું હજરે અસ્વદ અને રૂકને યમાની બન્નેવ પર હાથ ફેરવવો ગુનાહોનો કફફારો છે. અને મેં આપ સલ.થી સાંભળ્યું આપ સલ. ફરમાવતા હતા કે જેણે અલ્લાહના આ ઘરનો સાત વખત તવાફ કર્યો અને પાબંદી તેમ ફિકર સાથે કર્યો, (એટલે સુન્નત અને અદબોનો ખ્યાલ રાખીને તો તેનો આ અમલ એક ગુલામ આઝાદ કરવા બરાબર થશે અને મેં આપ સલ.થી એ પણ સાંભળ્યું આપ ફરમાવતા હતા કે બંદો તવાફ કરતી વખતે જયારે એક કદમ મુકશે અને બીજો કદમ ઉઠાવશે તો અલ્લાહ તઆલા તેના દરેક કદમના બદલામાં એક ગુનોહ માફ કરશે, અને એક નેકી લખવામાં આવશે.

ખુલાસો :- હદીસના શબ્દો " مَنْ طَافَ بِهٰذَا البَيْتِ أُسْبُوْعاً" નો અર્થ અમે સાતવાર તવાફ કરવાનો કર્યો છે. હદીસ વેત્તાઓએ લખ્યું છે કે એમાં ત્રણ શકયતાઓ છે. પહેલો તવાફના સાત ચક્કરો, (આ ઉલ્લેખ પહેલા થઈ ચુકયો છે કે એક તવાફમાં બૈતુલ્લાહના સાત ચક્કર હોય છે.) બીજી શકયતા છે પુરા સાત તવાફ જેના ઓગણપચાસ ચક્કર થાય છે. અને ત્રીજી શકયતા લગાતાર સાત દિવસ તવાફ, પરંતુ પહેલો મતલબ વધુ ઠીક છે.

મસ્જિદની હિફાઝત - દેખરેખ માટે શું કરવું જોઈએ ?

નમાઝ એક મહત્વની ઇબાદત છે. એમાં બંદો સીધી રીતે અલ્લાહ તઆલા સમક્ષ ઉભો રહીને એની બંદગી કરે છે, વખાણ કરે છે અને પોતાના માટે દુઆ માંગે છે. પરવરદિગાર અને બંદા વચ્ચેની આ સીધો પુલ છે. ઇસ્લામની આ જ વિશેષતા છે કે બંદા અને પરવરદિગાર વચ્ચે કોઈ આડ કે માધ્યમ નથી રાખ્યું. બીજા અનેક ધર્મોમાં માણસે એના પાલનહાર સામે રજૂ થવા માટે કોઈ માનવી, પાદરી, પૂજારી કે ધાર્મિક ગુરૂનો સહારો લેવો પડે છે, અને આવા ધર્મપુરૂષો પોતાને જ ખુદા - ઈશ્વરના નાયબ સમજીને માણસોને પોતાના ગુલામ બનાવ્યે રાખે છે.

નમાઝ જેવી આ મહાન ઇબાદત માટે જરૂરી હતું કે એને અદા કરવા— પૂરી કરવા માટે વિશેષ રીત અને વાતાવરણ પણ આવશ્યક જરૂરી ઠેરવવામાં આવે, જયાં દિલને શાંતિ અને દિમાગને એકાગ્રતા મળે. જેથી આ ઇબાદતની મર્યાદા જળવાય અને મકસદ પૂરો થાય.

આવું વાતાવરણ સર્જવા અને આવશ્યક મર્યાદા - મોભો જળવાય એ હેતુએ જ દરેક મહોલ્લામાં એક જગ્યા અલાયદી કરવાનો હુકમ કરવામાં આવ્યો જયાં નમાઝની ઇબાદત અદા કરી શકાય. અને નમાઝ દરમિયાન કરવામાં આવતા કામોમાં સજદહ સૌથી ઉચ્ચ કામ છે એટલે એના આધારે આ જગ્યાનું નામ 'મસ્જિદ' રાખવામાં આવ્યું. કારણ કે મસ્જિદનો અર્થ થાય છે સજદહ કરવાની જગ્યા. આ નામ પણ કુરઆન દ્વારા જ મુસલમાનોને બતાવવામાં આવ્યું છે અને કુરઆનમાં અમુક મસ્જિદોનું વર્ણન પણ છે.

નમાઝ માટે મસ્જિદની કેટલી આવશ્યકતા છે એ સમજવા માટે ફક્ત બે ઉદાહરણો કાફી છે. મક્કામાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હરમ શરીફમાં જઈને કાબા શરીફ પાસે નમાઝ પઢતા હતા. આ દિવસોમાં મસ્જિદે હરમ અને કાબા શરીફનો વહીવટ મુસલમાનોના દુશ્મનો અને કુરેશ પાસે હતો. અહિંયા નમાઝ પઢવાના કારણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સહાબા રદિ.ને અનેક વાર સતામણી, ઝુલમ બલકે હત્યાના પ્રયાસનો સામનો કરવો પડયો, છતાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ શકય હોય ત્યાં સુધી મસ્જિદે હરમમાં નમાઝ પઢતા હતા.

પછી જયારે મક્કા છોડીને મદીના જવા રવાના થયા તો સહુ પ્રથમ મદીના શરીફ નિકટ 'કુબા' મુકામે પડાવ કર્યો. અહિંયા થોડાક જ દિવસનું રોકાણ હતું છતાં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક મસ્જિદની સ્થાપના કરી. પછી મદીના પહોંચ્યા તો પોતાના અને હિજરત કરીને આવનાર મુસલમાનોના રહેઠાણની ફિકર ચિંતા કરવાના બદલે સહુપ્રથમ મસ્જિદની ફિકર કરી. હઝ. અબૂ અય્યૂબ અન્સારી રદિ.ના મકાનમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મહેમાન તરીકે રોકાયા હતા, એની પાસે જ એક જમીન ખરીદવામાં આવી અને મસ્જિદ તરીકે એને આબાદ કરવામાં આવી.

એમ તો આખી દુનિયાના માલિક અલ્લાહ તઆલા છે. અને અલ્લાહ તઆલાએ આ દુનિયામાં જારી કરેલ રીત - રિવાજ મુજબ માણસ ખરીદી કરીને કે વારસાઈ વગેરેમાં મેળવીને જમીનના કોઈ ટુકડાનો માલિક બને છે. માણસ એમ સમજે છે કે આ મારી માલિકી છે, હું ચાહું એમ એમાં વહીવટ કરી શકું છું. પોતે વાપરું કે કોઈ બીજાને આપી શકું છું. માણસની મરજી હોય તો ત્યાં ઘર કે મહેલ બનાવે છે અને મરજી હોય તો ત્યાં ઢોરવાડો કે જાજરૂ બનાવી દે છે. આવી જ રીતે અલ્લાહ તઆલાએ નક્કી કર્યું છે કે એના તરફથી માનવીને ઉપયોગ માટે આપવામાં આવેલ જમીનોમાંથી એક ટુકડો અલગ કરીને ખુદાના નામે મસ્જિદ સ્વરૂપે અલગ કરી દેવામાં આવે. માણસ એને પોતાની માલિકીમાંથી કાઢીને ખુદાની અસલી માલિકીમાં આપી દે. અને પછી એમ સમજે કે હવે આ જમીનમાં હું કંઈ ફેરફાર કે લે વેચ કરી શકીશ નહીં. આમ કરવાને મસ્જિદ માટે જમીન વકફ કરવું કહે છે. આવી રીતે જયારે કોઈ જમીન મસ્જિદ માટે વકફ થઈ જાય કે તુરંત એ જમીન 'મસ્જિદ' ગણાય છે. ચાહે એના ઉપર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય. હવે પછી આ જમીન ઉપર ઇબાદત કરવામાં સઘળા મુસલમાનો સમાન હક ધરાવે છે. જમીનનો મુળ એટલે કે વકફ કરનાર એમ ન કહી કે ફલાણો માણસ આવી શકે છે અને ફલાણો નહીં, અથવા ફલાણી જગ્યા મારા માટે અલાયદી કરવામાં આવે, વગેરે. આમ દરેક મુસલમાનની સહિયારી મિલ્કત ગણાય છે અને દરેક મુસલમાન ઉપર જરૂરી ઠરે છે કે એને ઇબાદત વડે આબાદ કરે, એનું રક્ષણ કરે અને બરબાદ થવાથી બચાવે.

મસ્જિદની હિફાજત માટે કદી માથાભારે કે ગુનાહિત તત્વોનો પણ સામનો કરવો પડે છે. આ બાબતે શરીઅતનો હુકમ આ છે કે દરેક માણસે એની શકિત મુજબ મસ્જિદની હિફાજત માટે પ્રયાસો કરવા જરૂરી છે. આ બાબતે કોતાહી કરવી અને બેદરકારી દાખવવી મોટો ગુનો છે. ભારત જેવા 'લોકશાહી' દેશમાં પોતાનો હક માંગવા, વિરોધ વ્યકત કરવા કે પોતાના અધિકારોની રક્ષા કરવા માટે અનેક તરીકાઓ અપનાવવાની પરવાનગી છે. મસ્જિદને બચાવવા હેતુ આવા બધા જ પ્રયાસો કરવાની અને એ માટે જરૂરી હિમ્મત દાખવીને બહાર આવવું મુસલમાનો ઉપર જરૂરી છે. અલબત્ત એટલો ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ જાહેર વિરોધ કે પ્રદર્શન દરમિયાન આપણી હરકતોના કારણે શાંતિભંગ ન થાય કે સામાન્ય લોકોને કોઈ તકલીફ ન પડે.

મસ્જિદનો સાચવણી અને એને બરબાદ થતી રોકવામાં કે ખોટા હાથોમાં જતી રોકવા માટે કાનૂની ઉપાયો ઉપરાંત મુસલમાનો ઉપર 'મુસલમાન' હોવા તરીકે જે જવાબદારીઓ આવે છે એને અનુસરવું અને એના ઉપર અમલ કરવો પણ જરૂરી છે. અત્રે અમુક એવા કામો અને જવાબદારીઓ વર્ણવીએ છીએ જેના ઉપર અમલ કરવાની બરકતથી ઇન્શાઅલ્લાહ મસ્જિદો હમેંશા આબાદ રહેશે અને કોઈ એના ઉપર ખોટી દાનત દાખવી શકશે નહીં.

(૧) મસ્જિદોને આબાદ રાખવામાં આવે. એટલે કે નમાઝનાે સિલસિલો જારી રાખવામાં આવે. આબાદ ઘરમાં ચોર નથી ઘુસતો. વેરાન ઘર અને મિલ્કત ઉપર ચોર - ડાકૂઓ નજર વધારે તરાપ મારે છે. માટે સહુપ્રથમ અને સહુથી વધારે કરવાનું કામ આ છે કે બધા જ મુસલમાનો નમાઝની પાબંદી કરે, નમાઝ માટે મસ્જિદમાં જવા આવવા ઉપરાંત અન્ય દીની કામો માટે પણ મસ્જિદનો ઉપયોગ કરીને એમાં પૂરતી આવન જાવન રાખે. મુસલમાનોના ધાર્મિક કાર્યોનું કેન્દ્ર મસ્જિદને જ બનાવવામાં આવે. દરેક મસ્જિદની આસપાસ મુસલમાનોની મોટી સંખ્યા વસતી હોય છે, જુમ્અહની નમાઝમાં મસ્જિદ આખી ભરાય જાય છે, પણ બીજી નમાઝોમાં સંખ્યા સામાન્ય હોય છે. દરેક નમાઝ વેળા જુમ્અહ જેવી ભીડ હોય એ જરૂરી છે.

(૨) અમુક મસ્જિદો મુસ્લિમ આબાદીથી દૂર બનેલી હોય છે. કોઈ બાદશાહ કે નવાબે એમના દોરમાં બનાવી હોય છે અને પછી ત્યાં મુસ્લિમ આબાદી ખતમ થઈ ગઈ, આવી મસ્જિદોની આસપાસ મસ્જિદને લગતી થોડી ઘણી જમીન પણ હોય છે, બાદશાહો કે નવાબોને બનાવેલ મસ્જિદની આસપાસ તો મોટી જમીન કે જાગીર વકફની હોય છે, આવી જમીનો ઉપર વકફની માલિકી બાકી રાખીને એના ઉપર મુસલમાનોને સામાજિક, ધાર્મિક કે શૈક્ષણિક રીતે ઉપયોગી થાય એવી સંસ્થાઓ બનાવીને જમીનને પણ ઉપયોગમાં લઈ શકાય અને મસ્જિદ પણ આબાદ કરી શકાય છે. વકફ બોર્ડ આગળ આવે અને એના તાબા હેઠળની આવી જમીનો મુસલમાનો માટે કામ કરતી સંસ્થાઓને વપરાશ માટે આપે તો જમીનો પણ મહફૂઝ થાય, મુસલમાનોને લાભ થાય, મસ્જિદો પણ આબાદ રહે અને આવક પણ ચાલુ થઈ જાય.

(૩) જે વેરાન કે અટૂલી પડી ગયેલી મસ્જિદોની આસપાસ મુસ્લિમ આબાદીની કોઈ શકયતા ન હોય, નમાઝ પઢનાર લોકો પણ ન હોય તો આવી મસ્જિદોને વરસમાં એકવાર રંગરોગાન કરીને એના અસ્તિત્વને જીવંત રાખવાની કોશિશ કરવામાં આવે. પાસેની મુસ્લિમ આબાદનીમાંથી અમુક લોકો નક્કી કરવામાં આવે જેઓ દરેક જુમ્અહના દિવસે મસ્જિદમાં જઈને સફાઈ કરે અને જુઅહની નમાઝ અદા કરે. રમઝાનમાં સામુહિક ઇફતારીની વ્યવસ્થા કરવામાં આવે. ગેરમુસ્લિમ બિરાદરોને પણ શામેલ કરી શકાય છે. શકય હોય તો ઈદની નમાઝ ત્યાં પઢવામાં આવે. અવારનવાર કોઈ દીની પ્રોગ્રામ ત્યાં કરવામાં આવે. જેથી લોકોને ખબર રહે કે આ મસ્જિદ છે, એના રખેવાળ પણ છે. અને કોઈ એને બેકાર જમીન – ઈમારત સમજીને ઉપયોગ કરવાનું શરૂ ન કરી દે. 

(૪) આજે પણ ઘણા ગામોમાં મુસ્લિમ આબાદી હોવા છતાં એમની પાસે મસ્જિદો નથી. અહિંયાના લોકો વાર તહેવારે ચર્ચ કે મંદિરોમાં જઈને પોતાની આસ્થા – અકીદત કે ઇબાદતની લાગણી પૂરી કરે છે. આ ઘણી ખતરનાક સ્થિતિ છે. એટલે સદ્ધર મુસલમાનો એમના આસપાસ મોંઘી મસ્જિદો બનાવવાના બદલે આવા ગામોમાં જરૂરત મુજબ મસ્જિદો બનાવવા તરફ ધ્યાન આપે એ જરૂરી છે.

(૫) જયાં મુસલમાનોની કાયમી અને મોટી વસ્તી હોય ત્યાં મસ્જિદ બનાવવાને મહત્વ આપવામાં આવે. ઘણા લોકો પોતાની દીની લાગણીથી મસ્જિદ બનાવે છે પણ આસપાસ મુસલમાનોની આબાદી નહીવત હોય છે કાં કાયમી નથી હોતી. બહારથી આવેલા કામદારો કે નોકરિયાત લોકો હોય છે. જેઓ ગમે ત્યારે ભાડાના મકાનો ખાલી કરીને જતા રહે છે. રસ્તાઓ ઉપર મુસાફરો માટે નમાઝની વ્યવસ્થા હેતુ અમુક જગ્યાએ મોટી મસ્જિદો બનાવવામાં આવે છે. પછી એને મસ્જિદ તરીકે આબાદ રાખવું મુશ્કેલ થઈ પડે છે. માટે આવી જગ્યાએ 'મસ્જિદ' બનાવવા કરતાં નમાઝનો એક રૂમ અથવા કામચલાઉ ઇબાદતખાનું બનાવવું બેહતર હોય છે.

(૬) આજના દોરમાં એક મહત્વનું કામ મસ્જિદોને સરકારી દફતરે નોંધણી કરાવવાનું પણ છે. કાયદાનુસાર આ જરૂરી છે. અને સરકાર તરફથી કાયદાઓ મિલ્કતના રક્ષણ માટે જ હોય છે. મસ્જિદની નોધંણી હોય તો એની હિફાજત સરળ થઈ જાય છે. કોઈ વિવાદની સ્થિતિમાં મસ્જિદનો પક્ષ મજબૂત રહે છે. મુસલમાનો આ બાબતે ઘણા ગફલતમાં છે, આ બાબતે જાગૃત થવાની જરૂરત છે.

(૭) ભારતના વર્તમાન વાતાવરણ મુજબ મુસ્લિમ વિરોધી ગ્રુપો મસ્જિદોને જાણી જોઈને ટાર્ગેટ કરે છે. એને ગેરકાયદેસર બતાવે છે અને તોડી પાડવાની માંગણીઓ કરતાં જોવા મળે છે. આ સંજોગોમાં આવશ્યક છે કે દરેક શહેરમાં શિક્ષિત મુસલમાનો વિશેષ કરીને વકીલો પોતે એક કમીટી ગઠિત કરે અને ફકત અલ્લાહ ખાતર મસ્જિદોની હિફાઝતની ફિકર કરે. કોઈ પણ આરોપ કે નોટિસનો જવાબ આપવાની કાર્યવાહી અલ્લાહ ખાતર ફીસ લીધા વગર કરવાની નેમ રાખે. મસ્જિદ રક્ષા કમીટી જેવું કોઈ નામ રાખીને આ કાર્ય અંજામ આપી શકાય છે.


હલાલ અને હરામ સ્પષ્ટ છે.

હઝરત અકદસ શૈખુલ હદીસ મવલાના ઝકરિયા રહ.ની કિતાબ 'ઇસ્લામી સિયાસત'નો ક્રમશ અનુવાદ મુફતી ફરીદ અહમદ કાવી.

નોઅમાન બિન બશીર રિવાયત કરે છે કે નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે ફરમાવ્યું : હલાલ બાબતો સ્પષ્ટ છે. અને હરામ કામો પણ સ્પષ્ટ જ છે. અને એ બંને વચ્ચે અમુક શંકાસ્પદ બાબતો છે. જેને ઘણા લોકો સમજી શકતા નથી. માટે જે કોઈ માણસ આવી શંકાસ્પદ બાબતોથી પણ બચશે, એ પોતાના દીન અને આબરૂને બચાવી જશે. અને જે માણસ આવી શંકાસ્પદ બાબતોમાં ફસાય જશે તે આખરે હરામ કામો સુધી પહોંચી જશે. જેમ કે જે રખેવાળ પોતાના જાનવરો (અન્યોના ખેતરોની) વાડની પાસે સુધી જાનવરો ચરાવવા લઈ જશે તો નક્કી એના જાનવરો ખેતરમાં જઈને ચરશે. માટે ખબરદાર ! દરેક બાદશાહ હાકેમની એક વાડ હોય છે. અલ્લાહની વાડ એના હરામ ઠેરવેલા કામો છે. અને ખબરદાર ! શરીરમાં એક ટુકડો એવો છે, જે દુરુસ્ત હોય તો આખું શરીર દુરુસ્ત રહે છે. અને જયારે તે ખરાબ થાય આખું શરીર ખરાબ થઈ જાય છે. અને આ ટુકડો દિલ છે.

એક બીજી હદીસમાં હઝરત અબ્બાસ રદિ. નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમનો ઇરશાદ વર્ણવે છે કે ત્રણ પ્રકારના કામો હોય છે. (૧) એવા કામો જે સહીહ – હક હોવાનું સ્પષ્ટ હોય છે. આવા કામો કરવા જરૂરી છે. (૨) એવા કામો જે ખોટા છે એ સ્પષ્ટ હોય છે, આવા કામોથી બચવું જરૂરી છે. (૩) એવા કામો જેમના હક - નાહક હોવા વિશે અસમંજસ હોય. આવા કામો ખુદાને હવાલે કરી દયો. (મિશ્કાત શરીફ)

અલ્લાહને હવાલે કરી દેવાનો મતલબ આ છે કે પોતાની મરજીથી દલીલ વગર એને હલાલ કે હરામ ન કહેવામાં આવે. અત્રે આ વાત ખૂબ સારી રીતે સમજી લેવાની જરૂરત છે કે ઇસ્લામ ધર્મ વહી (ખુદાઈ હુકમ) આધારિત છે. એના દરેક હુકમ માટે ખુદાઈ માર્ગદર્શન આવશ્યક છે. અલ્લાહ તઆલા અને એના રસૂલે દીનનો કોઈ હુકમ એવો નથી છોડયો જેના વિશે કોઈ સૈદ્ધાંતિક કે વિગતવાર માર્ગદર્શન દર્શાવ્યું ન હોય. માટે દરેક વાતમાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ કથનો – કાર્યો તેમજ સહાબા અને તાબેઈનના કાર્યો કથનો અને મુજતહિદ ઈમામોએ દર્શાવેલ હુકમો માન્યા વગર છુટકો નથી. માટે જ ઇલ્મ પ્રાપ્ત કરવું દરેક મુસલમાન ઉપર ફરજ છે. આ કારણે દરેક માણસ ઉપર ફરજ છે કે પોતાની જરૂરત મુજબની ઇલ્મ હાસિલ કરે. અને આટલું ન થઈ શકે તો કમથી કમ કોઈ આલિમને પૂછતા રહેવું જરૂરી છે. જે લોકો બેફિકરાઈથી કહી દે છે કે આજે તો ઉલમા આવા તેવા છે, અમે આવા લોકોની વાત કેમ માનીએ ? તેઓ મોટી મુસીબતમાં પોતાને નાંખી રહયા છે. કારણ આલિમો ઉપર એમને વિશ્વાસ નથી તો પછી પોતાની જરૂરત મુજબનું ઇલ્મ હાસિલ કરવું એમના પોતાના ઉપર જરૂરી થઈ જાય છે. જેથી શરીઅત ઉપર તેઓ અમલ કરી શકે. અલ્લાહ તઆલાના દરબારમાં આ બાબતે પૂછપરછ નહીં થાય કે દુન્યાના મોભા ખાતર કેટલી ડીગ્રીઓ મેળવી હતી ? અથવા બેંકમાં જમા કરવા ખાતર કેટલો માલ ભેગો કર્યો હતો ? ત્યાં જે કંઈ મહત્વ હશે એ ફકત દીનનું હશે, અને એના માટે જ આપણ સહુને પૈદા કરવામાં આવ્યા છે. કુરઆનનો સ્પષ્ટ હુકમ છે :

وما خلقت الجن والإنس إلا ليعبدون ما أريد منهم من رزق وما أريد أن يطعمون إن الله هو الرزاق ذو القوة الأمين ( سورة الذاريات ، ركوع :٣) 

તરજમહ : મેં જિન્નાત અને ઈન્સાનોને એટલા ખાતર પેદા કર્યા છે કે તેઓ મારી ઇબાદત કરતા રહે. મારો મકસદ એ નથી કે તેઓ અન્યોને રોઝી આપે કે મને ખવડાવે. અલ્લાહ તઆલા પોતે જ બધાને રોઝી પહોંચાડનાર છે. અને ઘણો શકિતશાળી છે.

અન્ય એક સ્થળે અલ્લાહ તઆલા ફરમાવે છે :

તમારા ઘરવાળાઓને નમાઝનો હુકમ આપો અને પોતે પણ એની પાબંદી કરો. અમે તમારી પાસેથી કમાણી નથી માંગતા. કમાણી-રોઝી તો અમે તમને આપીએ છીએ, અને સારો અંજામ તકવા વાળા લોકોનો હશે. (સૂ. તાહા)

મારો આશય મુસલમાનોને રૂપિયા કે દોલત કમાવાથી રોકવાનો નથી. અલબત્ત આ બતાવવું મકસદ છે કે અલ્લાહ તઆલાએ આપણને ફકત દીન માટે પેદા કર્યા છે. અલ્લાહની ઇબાદત ખાતર, એની ફરમાબરદારી ખાતર, એ સિવાય જે કંઈ છે તે આપણી બેસબ્રી – લાલચ અને દિલની તંગીના કારણે છે અને જીવનનો મુળ મકસદ નથી. માટે માણસે મકસદના કામો અને વધારાના કામો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. આ માટે હું તમને એક વિશેષ નસીહત અને તાકીદ કરું છું કે જયારે બધા કામોથી પરવારીને રાત્રે સુવા માટે જાઓ તો થોડી વાર વિચાર કરી લ્યો કે આજના પૂરા દિવસમાં કેટલો સમય ઇબાદત અને દીનમાં ખર્ચ થયો, જે જીવનનો અસલ મકસદ હતો અને કેટલો સમય બેકાર ધંધાઓ - કામોમાં વપરાયો ? અને પછી બંનેને ચકાસો કે કેટલો તફાવત છે ? જો દીની કામોનો સમય દુન્યવી કામો કરતાં વધારે ન હોય તો કમથી ક્મ બરાબર જરૂર હોવો જોઈએ. અને દીન માણસના જીવનના અસલ મકસદ છે તો દીન માટે જે કંઈ જરૂરી હોય એ બધું પણ મકસદના કામોમાં જ ગણાશે.

કેટલું ઇલ્મ શીખવું ફરજ છે ?

ઉલમાએ લખ્યું છે કે માણસ એના દીનની હિફાઝત માટે જેટલા ઇલ્મનો મોહતાજ છે, એટલું ઇલ્મ શીખવું એના ઉપર ફરજ છે. (દુર્રે મુખ્તાર)

અલ્લામહ શામી રહ. લખે છે કે ઈસ્લામની બુનિયાદી ફરજો ઉપરાંત એટલું ઇલ્મ શીખવું ફરજ છે, જેટલું માણસને એના દીનની હિફાઝત માટે જરૂરી હોય. માટે દીનની જરૂરી વાતો (ઈમાન, આખિરત, રિસાલત વગેરે) પછી માણસે વુઝૂ, ગુસલ, નમાઝ, રોઝાના મસાઇલ શીખવા જરૂરી છે. અને માલદાર હોય તો ઝકાતના મસાઇલ શીખવા ફરજ છે. જેની પાસે ઓર વધારે માલ હોય તો હજના અહકામ શીખવા જરૂરી છે. એ જ પ્રમાણે માણસે જે કંઈ ધંધો કે રોજગાર અપનાવ્યો હોય એના મસાઈલ શીખવા પણ જરૂરી છે.

તબ્યીનુલ મહારિમ નામી કિતાબમાં લખ્યું છે કે, આટલું સ્પષ્ટ છે કે માણસે ઇસ્લામની પાંચેવ ફરજો શીખવી જરૂરી છે. ઈખ્લાસ શીખવો પણ જરૂરી છે, કારણ કે એના વગર અમલ સહી ગણાતો નથી. હલાલ – હરામ શીખવું પણ જરૂરી છે. રિયાકારી – દંભ કોને કહેવાય એ પણ સમજવું જરૂરી છે, કારણ કે દંભના કારણે માણસને એના અમલનો સવાબ મળતો નથી. હસદ – અદેખાય અને અભિમાન વિશે ઈલ્મ મેળવવું પણ જરૂરી છે. આ બંને વસ્તુઓ નેક આમાલને એવી રીતે ખતમ કરી નાંખે છે જેમ આગ ઈંઘળને બાળી નાંખે છે, ખરીદ - વેચાર અને નિકાહ તલાકના મસાઇલ જાણવા એવા લોકો ઉપર ફરજ છે જેમને એની જરૂરત પડતી હોય. જે શબ્દો - વાકયો બોલવા હરામ હોય અથવા એનાથી કુફ્ર લાગુ પડે એમ હોય તો એવા શબ્દો સમજવા જાણવા પણ જરૂરી છે. અને હું કસમ ખાયને કહું છું કે આ ઝમાનામાં આવા શબ્દો વિશે સમજ કેળવવી ઘણી જ જરૂરી છે. કારણ કે સામાન્ય લોકો આવા શબ્દો બોલી નાખે છે અને એમને ખબર પણ નથી હોતી કે તેઓ શું બોલી રહયા છે. (શામી) અને જયારે આ બધી બાબતો શીખવી જરૂરી છે તો આ પણ નક્કી છે કે માણસે કાં તો આ બધું પોતે જ શીખવું પડે અથવા બીજા દરજામાં કોઈ મોતબર અને દીનદાર આલિમને નક્કી કરીને દરેક બાબતે એમની સલાહ કે માર્ગદર્શન અનુસાર અમલ કરે. જે કોઈ માણસ આ બેમાંથી એક પણ રીત અપનાવશે નહીં, એનો જે અંજામ થશે એ સ્પષ્ટ છે. અજાણ હોવાનું બહાનું કોઈ દુનિયાના કોઈ કાનૂનમાં સ્વીકાર્ય નથી હોતું તો શરીઅતમાં અજ્ઞાનતા કે જહાલત કેવી રીતે સ્વીકાર્ય હોય શકે ? અને ઇલ્મ વગર કોઈ બાબતે હલાલ કે હરામ હોવાનું નક્કી કરી લેવાનું નામ ગુમરાહી સિવાય શું હોય શકે ?

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઇરશાદ છે : દીન – ઇલ્મને ખતમ કરવાની રીત અલ્લાહ તઆલાની આ નહીં હોય કે લોકોના દિલોમાંથી ઇલ્મ - દીન ખેંચી લે. બલકે ઇલ્મ એવી રીતે ખતમ કરવામાં આવશે કે ધીરે ધીરે ઉલમાની વફાત થતી રહેશે અને પછી યોગ્ય આલિમો નહીં રહે તો લોકો જાહિલોને સરદાર બનાવી લેશે. તેઓ ઇલ્મ વગર ફતવાઓ આપશે, જેના થકી તેઓ પોતે પણ ગુમરાહ થશે અને અન્યોને પણ ગુમરાહ કરશે.

અને આ હકીકત સ્પષ્ટ છે કે કોઈ પણ કામ શીખ્યા વગર આવડતું નથી. અને ઇલ્મ વિશે તો અનેક હદીસોમાં આ વાત કહેવામાં આવી છે કે ઈલ્મ શીખવાથી જ આવડે છે. અલ્લાહ તઆલા મહેરબાની ફરમાવે અને મને પણ એની તોફીક આપે અને તમને પણ.. આમીન.


એતેકાફ, ફઝીલત અને હુકમો

ઇસ્લામમાં ઇબાદતની જેટલી રીતો, પ્રકારો અને તરીકાઓ છે, એમાં ડગલેને પગલે, અનેક વિધરીતે ખુદા પ્રતિ ત્યાગ, તપસ્યા, માનવીની અલ્પતા, તુચ્છતા ઉપરાંત અલ્લાહ તઆલાથી મુહબ્બત અને પ્રેમની પ્રતિતિ મહત્વનો મુદ્દો છે.

નમાઝને જોઈએ, એમાં એક ગુલામ એના આકા સમક્ષ નજરો નીચી કરી ઉભો છે, એના વખાણ કરીને વારંવાર એની મોટાઈનો નારો લગાવે છે, કદી કમર સુધી નમે છે, કદી નજરો નીચી કરી પગવાળીને બેસે છે, કદી માથું જમીન પર ટેકવે છે.

ઝકાતમાં ખુદાના આદેશ પ્રમાણે ઝકાત કાઢીને એના પ્રતિ મુહોબ્બત અને વફાદારી દર્શાવવામાં આવે છે.

રોઝાદાર માણસ ભુખ્યો તરસ્યો, ગરમીમાં શેકાયને પણ ખુદાની પ્રસન્નતા ખાતર બધું જ સહન કરે છે. ખુદાની મહોબ્બતમાં બધું જ છોડવાનું એમાં એલાન છે. પરંતુ ખાવું – પીવું અને રાહત છોડવા છતાં માનવી રોઝાની હાલતમાં કારોબાર, નોકરી ઘરબારથી વિખુટો નથી થતો, મુહોબ્બતની પૂર્ણતા તો એમાં છે કે, માનવી આ બધા સંબંધો અને પ્રવૃત્તિઓને પણ છોડીને કફત મહબૂબના નામનું રટણ કરવા બેસી જાય.

આટલા માટે જ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં 'એતેકાફ' નામની વિશેષ ઇબાદત આપવામાં આવી.

એ'તિકાફનો અર્થ રોકાય જવું અને પડી રહેવું થાય છે. શરીઅતની પરિભાષામાં રમઝાનના અંતિમ દસ દિવસોમાં દુન્યવી કરોબાર અને બાલબચ્ચાંઓથી અલગ થઈ મસ્જિદ અથવા ઘરમાં નમાઝ પઢવાની જગ્યાએ પડી રહેવાને એઅતિકાફ કહેવામાં આવે છે. (દૂર્રે મુખ્તાર : ૨ / ૧૭૯)

કુર્આનમાં પણ વિવિધ રીતે એ'તિકાફનું વર્ણન છે.

અલ્લાહ તઆલાનો ઇર્શાદ છે : અર્થાત: જયારે અમે ખાનાએ કા'બાને લોકોનું મઅબદ (ઇબાદત કરવાની જગ્યા) અને અમનની જગ્યા બનાવી (અને અમોએ કહયું હતું કે મકામે ઇબ્રાહીમને નમાઝ પઢવાની જગ્યા બનાવી લો, અને અમે હઝરત ઈબ્રાહીમ (અલૈ.) અને હઝરત ઈસ્માઈલ (અલૈ.) તરફ હુકમ મોકલ્યો કે અમારા આ ઘરને તવાફ કરવાવાળાઓ અને એતિકાફ કરવાવાળાઓ, રુકૂઅ કરવાવાળાઓ અને સિજદહ કરવાવાળાઓ માટે ખુબ પવિત્ર રાખો. (અલ બકરહ : ૧૨૫)

ઉકત આયતમાં જેમ બયતુલ્લાહના બાંધકામનો હેતુ તવાફ અને નમાઝને ઠેરવ્યો છે એ જ રીતે એ'તિકાફને પણ ઠેરવ્યો છે. એ જ રીતે અલ્લાહ તઆલાનો ઈર્શાદ છે :

અર્થાત: અને તમે ઓરતો સાથે સંભોગ કરો નહીં જયારે તમે મસ્જિદમાં મુઅતકિફ (એ'તિકાફની હાલતમાં) હોવ. (અલ બકરહ : ૧૮૭)

અ'તિકાફમાં બંદો દુનિયાની તમામ આરામ – રાહતને ત્યાગી અલ્લાહના દરબારમાં પડયો રહે છે. તેને અલ્લાહના સિવાય દુનિયાની કોઈ વસ્તુની પડેલી હોતી નથી, તે અલ્લાહની જાતને પોતાની તમામ ઉમ્મીદોનું કેન્દ્ર બનાવી લે છે.

હઝરત અતા તાબઈ (રહ.) કહે છે કે એ'તિકાફ કરનાર એવો છે જેમ કોઈ વ્યકિતને મોટા માણસનું કામ હોય અને તે તેના દરવાજા પર પડયો રહે અને કહે કે હવે તમારે ત્યાં આવીને પડયો છે, લીધા વગર પરત ફરીશ નહીં.

આ જ હાલત એ'તિકાફ કરનારની હોય છે કે તે અલ્લાહના દરબારમાં આવી પડે છે. અને કહે છે "અય અલ્લાહ હવે જયાર સુધી તુ મને માફ કરીશ નહીં, ત્યાં સુધી અહિંયાથી હટીશ નહી, તુ મારા ગુનાહોને માફ કરી દે" (રૂહુલ બયાન)

નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ દર વરસે રમઝાનના છેલ્લા દિવસોનો એતેકાફ ફરમાવતા હતા અને જે વરસે વફાત થઈ એ વરસે પહેલા, અને બીજા, બન્ને અશરહમાં એતેકાફ ફરમાવ્યો હતો.

એતેકાફના ત્રણ પ્રકાર છે.

નફલ, સુન્નત, વાજિબ.

(૧) નફલ એતેકાફ માટે રોઝા અને સમયની કોઈ પાબંદી નથી, ફકત નિય્યત કરીને મસ્જિદમાં રોકાઈ જવાનું નામ છે, ચાહે થોડી વાર માટે હોય.

(૨) વાજિબ એતેકાફમાં રોઝો વાજિબ છે.એતેકાફ વાજિબ હોવાના બે કારણો હોય શકે છે, મન્નત માની હોય તો એ પ્રમાણે એતેકાફ કરવો વાજિબ છે, અથવા એક દિવસ કે વધારે એતેકાફની નિય્યતથી નફલ એતેકાફ શરૂ કર્યો, પણ તોડી નાખ્યો તો હવે એની કઝા કરવી વાજિબ છે.

(૩) સુન્નત એતેકાફ. એતેકાફની આ અસલ સૂરત છે. સુન્નત એતેકાફ રમઝાનના છેલ્લા દસ દિવસોનો હોય છે, હુકમની દ્રષ્ટિએ છેલ્લા દસ દિવસોનો એતેકાફ 'સુન્નતે કિફાયહ' છે. એટલે કે જો એક કે વધુ માણસોએ એતેકાફ કર્યો તો હવે આખું ગામ એ સુન્નત છોડવાના ગુનાહથી બચી જશે, હા એતેકાફનો સવાબ ફકત આ કાર્ય કરનારને જ મળશે.

જો એક ગામમાં એકથી વધારે મસ્જિદો હોય તો દરેક મસ્જિદમાં કોઈને કોઈ એતેકાફ કરનાર હોય એ બેહતર છે.

એતેકાફની સુન્નત રીત આ છે કે, ૨૦ રમઝાનના દિવસે સુર્યાસ્ત પહેલાં મસ્જિદમાં પહોંચી જાય. કારણ કે એકવીસમાં રોઝા પહેલાંની રાતથી જ એકવીસમો દિવસ શરૂ થઈ જાય છે.

એતેકાફનો એક મહત્વનો મકસદ શબે કદરની ઇબાદત મેળવવાનો પણ છે અને એકવીસમી રાતે શબે કદર હોવાની શકયતા છે, માટે આ રાત એતેકાફ સાથે મસ્જિદમાં પસાર થાય એ આવશ્યક છે.

ઓરતો ઘરમાં એતેકાફ કરી શકે છે, ઘરનો કોઈ રૂમ કે ખુણો મસ્જિદ કે ઇબાદત કરવાની જગ્યા રૂપે નક્કી હોય તો ત્યાં એતેકાફ કરે, અથવા કોઈ એક ખુણા કે રૂમને નક્કી કરીને ત્યાં એતેકાફની નિય્યત કરી લે.

એતેકાફ કરનારી ઓરતે આવશ્યક માનવીય જરૂરતો સિવાય ઘરના અન્ય ભાગોમાં આવન-જાવન કરવું દુરૂસ્ત નથી

કુદરતી જરૂરત (પેશાબ – સંડાસ વગેરે) અને શરઈ જરૂરત (જુમ્આની નમાઝ વગેરે) વિના મસ્જિદેથી બહાર નીકળવું જાઈઝ નથી.

એ'તિકાફ કરનારે કોઈની ખબર અંતર માટે અથવા જનાઝાની નમાઝમાં શિર્કત માટે જવું જાઈઝ નથી.


ઝકાત કોના ઉપર વાજિબ થાય છે અને કોણ ઝકાત લઈ શકે ?

ઇસ્લામી શરીઅત મુજબ 'માલદાર માણસ' ઉપર વરસમાં એકવાર ઝકાત આપવી ફરજ છે. બલકે શરીઅતે માલદારોના માલમાં નક્કી કરેલ આ અલ્લાહ તઆલાનો હક છે, જેને વસૂલ કરવા માટે અલ્લાહ તઆલાએ ગરીબોને પોતાના નાયબ બનાવ્યા છે. માલદાર માણસ માટે આ મોટા સન્માનની વાત કહેવાય કે અલ્લાહ તઆલાએ પોતે એને માલદાર બનાવ્યો અને પછી એ માલમાં પોતાનો હક નક્કી ફરમાવ્યો. ગરીબ માટે પણ આ ભારે સઆદતની વાત કહેવાય કે અલ્લાહ તઆલાએ પોતાનો હક વસૂલ કરવા અને વાપરવા એને પોતાનો નાયબ બનાવ્યો.

સામાન્ય રીતે મુસલમાન રમઝાન માસમાં પોતાની માલ સંપત્તિનો હિસાબ કરીને ઝકાત કાઢતો હોય છે. માણસની નિય્યત એવી હોય છે કે રમઝાનમાં નેકીનો સવાબ વધારે મળે છે, અને ગરીબને પણ આ મુબારક મહીનામાં રાહત રહે, જેથી તે ખુશીથી રોઝા રાખી શકે.

અલબત્ત આજકાલ ઘણા ખરા લોકોને શરીઅતના હુકમની જાણકારી નથી હોતી, એટલે જેમ ઘણા માલદાર લોકો એમના ઉપર ઝકાત વાજિબ હોવા છતાં ઝકાત આપતા નથી, એ જ પ્રમાણે ઘણા લોકો ઝકાતના હકદાર નહીં હોવા છતાં પોતાને ઝકાતના હકદાર સમજીને લોકોની ઝકાત લે છે, ખાય છે, અને ગુનામાં સપડાય છે. શરીઅતની નજરે જેના ઉપર ઝકાત વાજિબ થતી હોય એવા માલદાર માણસની અને જેને ઝકાત આપી શકાય એવા ગરીબ માણસની વ્યાખ્યા ઘણી જ સ્પષ્ટ છે. લોકો એને જાણે અને સમજે એ જરૂરી છે. ઝકાત આપનારા માણસ પણ આ બાબત સારી રીતે જાણી લે કે એમના ઉપર ઝકાત વાજિબ છે કે નહીં, અને ઝકાત વાજિબ છે તો પછી એ પણ જાણી લેવું જરૂરી છે કે કોને કોને ઝકાત આપી શકાય અને કોને કોને નહીં ? પોતાને ગરીબ અને મોહતાજ સમજીને ઝકાત લેવા ઇચ્છતા માણસોએ પણ સારી રીતે જાણી લેવું જોઈએ કે તેઓ ઝકાત લઈ શકે છે નહીં? ઝકાત કોના ઉપર વાજિબ થાય છે અને કોના ઉપર નહીં અને કોણ ઝકાત લઈ શકે છે અને કોણ નહીં, એની છણાવટ અમે આગળ કરવા જઈ રહયા છીએ. સામાન્ય પણે લોકો એમ સમજે છે કે જેના ઉપર ઝકાત કાઢવી વાજિબ નથી, એ માણસ ગરીબ ગણાય અને એ બીજાની ઝકાત લેવાનો હકદાર છે. કુરઆન અને હદીસના આધારે આ બાબત સહીહ અને દુરૂસ્ત નથી. માટે ઝકાત લેવા ઇચ્છુક માણસો પોતાની સ્થિતિ તપાસી લે પછી જ ઝકાત વસૂલ કરે. ઝકાત આપનારા માણસ પણ હકદાર ન હોય એવા માણસને ઝકાત આપવાની સાફ ના પાડી દે એ જ મુનાસિબ છે અને માંગનાર માણસે વાસ્તવિકતા સ્વીકારીને ઝકાત લેવાથી દૂર રહેવું જ મુનાસિબ છે.

શરઈ દષ્ટિકોણ મુજબ ઝકાત આપવા કે લેવા બાબતે ત્રણ પ્રકારના માણસો હોય શકે છે.

(૧) જેઓ માલદાર છે અને એમના ઉપર ઝકાત કાઢવી વાજિબ છે.

(૨) જેઓ ગરીબ છે અને ઝકાત લેવાના હકદાર છે.

(૩) માલદાર પણ નહીં અને ગરીબ પણ નહીં, એટલે કે જેમના ઉપર ઝકાત કાઢવી વાજિબ નથી અને ઝકાત લેવાના હકદાર પણ નથી.

(૧) માણસ ઉપર ઝકાત ત્યારે વાજિબ થાય છે જયારે એની પાસે : 

  • ૮૭. ૪૭૯ ગ્રામ સોનું.

  • ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી.

  • બેમાંથી કોઈ એકની કીમત જેટલી રોકડ.

  • બેમાંથી કોઈ એકની કીમત જેટલો વેપારનો માલ.

ખુલાસો આ થયો કે જે માણસ પાસે

  • ૮૭. ૪૭૯ ગ્રામ સોનું હોય.

  • ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી હોય.

  • બેમાંથી કોઈ એકની કીમત જેટલી રોકડ હોય.

  • બેમાંથી કોઈ એકની કીમત જેટલો વેપારનો માલ હોય.

  • થોડું સોનું અને થોડી ચાંદી મળીને,

  • થોડું સોનું અને થોડી રોકડ મળીને,

  • થોડી ચાંદી અને થોડી રોકડ મળીને,

  • થોડું સોનું ચાંદી અને થોડો વેપારનો માલ મળીને,

  • સોનું કે ચાંદી કે વેપારનો માલ અને રોકડ મળીને....

૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલો થઈ જાય અને એક વરસ સુધી નિસાબનો માલિક રહે તો એના ઉપર ઝકાત વાજિબ થાય છે. માલનો ચાલીસમો ભાગ ઝકાત સ્વરૂપે ગરીબોને આપવો જરૂરી છે.

(૨) ઝકાત લેવાના હકદાર હોવા કે હકદાર ન હોવાનો નિસાબ.

જે માણસ શરીઅતની નજરે ગરીબ હોય એ ઝકાતનો હકદાર છે અને ઝકાત લઈ શકે છે. ગરીબ હોવાનો મતલબ આ છે કે માણસ ઉપરોકત ચાર રીતોમાંથી કોઈ એક રીતે માલદાર ન હોય.

આ ચાર બાબતો ઉપરાંત એક પાંચમી શરત પણ જરૂરી છે. એના આધારે જ માણસ ગરીબ અને ઝકાતનો હકદાર ગણાશે અને તે આ છે કે માણસ પાસે ૮૭. ૪૭૯ ગ્રામ સોનું / અથવા ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી... બેમાંથી કોઈ એકની કીમત જેટલો જરૂરતથી વધારે સામાન પણ ન હોય. ખુલાસો આ થયો કે ઝકાત લેવાનો હકદાર ગરીબ માણસ તે ગણાશે જેની

પાસે :

  • ૮૭. ૪૭૯ ગ્રામ સોનું ન હોય.

  • ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી ન હોય.

  • બેમાંથી કોઈ એકની કીમત જેટલી રોકડ ન હોય.

  • બેમાંથી કોઈ એકની કીમત જેટલો વેપારનો ન હોય.

  • બેમાંથી કોઈ એકની કીમત જેટલો જરૂરતથી વધારે સામાન ન હોય.

  • થોડું સોનું અને થોડી ચાંદી મળીને,

  • થોડું સોનું અને થોડી રોકડ મળીને,

  • થોડી ચાંદી અને થોડી રોકડ મળીને,

  • થોડું સોનું ચાંદી અને થોડો વેપારનો માલ મળીને,

  • સોનું કે ચાંદી કે વેપારનો માલ અને રોકડ મળીને,

  • સોનું કે ચાંદી કે વેપારનો માલ કે રોકડ અને જરૂરતથી વધારે સામાન મળીને પણ ૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલો ન થતો હોય, તો આવો માણસ ગરીબ અને ઝકાતનો હકદાર છે.

(૩) માલદાર પણ નહીં અને ગરીબ પણ નહીં, એટલે કે જેમના ઉપર ઝકાત કાઢવી વાજિબ નથી અને ઝકાત લેવાના હકદાર પણ નથી. તે એવો માણસ છે જેની પાસે નંબર ૧ માં દર્શાવ્યા મુજબ ઝકાત કાઢવી વાજિબ થાય એટલો માલ નથી, અલબત્ત ઘરમાં જરૂરતથી વધારેનો સામાન હોય અને એની કીમત નિસાબ મુજબ ૬૧૨.૩૫ ગ્રામ ચાંદી જેટલી થઈ જતી હોય. તો આવો માણસ શરીઅતની નજરે ગરીબ નથી, અને એ ઝકાત લઈ શકતો નથી.

સોનું, ચાંદી, રોકડ અને વેપારનો માલ થોડો હોય, ઝકાતના નિસાબ જેટલો ન હોય, પણ એની સાથે જરૂરતથી વધારેનો માલ મેળવીએ તો બધાની કીમત ૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલી થઈ જાય તો આવો માણસ પણ ગરીબની વ્યાખ્યામાંથી બહાર થઈ જાય છે. એ ગરીબ નથી અને ઝકાત લઈ શકતો નથી.

વરસ દરમિયાન એકવાર પણ વપરાશ અને ઉપયોગમાં ન આવતી વસ્તુઓ, ઉપરાંત વધારાની ગાડી, વધારાના ઘરો, ઉપયોગમાં ન આવતા વાસણો, કપડાં, ગાદલાંઓ, શો કેશમાં રાખેલી શોભા શણગાર અને શોખ માટે વસાવેલ વસ્તુઓ, ટી.વી. કદી કદી વપરાશમાં આવતી મોટી ચટાઈ અને ગાલીચાઓ વગેરે પણ જરૂરતથી વધારેનો સામાન ગણવામાં આવશે. જો કોઈ માણસ પાસે આવો સામાન એટલો બધો હોય અથવા સોના, ચાંદી કે રોકડ સાથે મળીને ૬૧૨.૩૫ ગ્રામ ચાંદીની કીમત જેટલો થઈ જાય તો એ ઝકાત લેવાનો હકદાર નથી.

યાદ રાખો : જરૂરતથી વધારે માલ ગમે તેટલો હોય (જો તે સોનું ચાંદી રોકડ કે વેપારનો માલ ન હોય તો) એના આધારે માણસ ઉપર ઝકાત વાજિબ થતી નથી, પણ આવો માલ જો ઉપર મુજબની કીમતનો થતો હોય તો એના લીધે માણસ ગરીબની વ્યાખ્યામાંથી નીકળી જાય છે અને તે ઝકાત લેવાનો હકદાર રહેતો નથી.

મુફતી ફરીદ અહમદ. જામિઅહ જંબુસર


શરઈ માર્ગદર્શન ફતાવા વિભાગ

મવ. મુફતી અસ્જદ દેવલ્વી સાહેબ 

તસ્દીક કર્તા મવ. મુફતી અહમદ દેવલા 

(સદર મુફતી જામિઅહ જંબુસર)

ફેકટરી કે ધંધા માટે કરજ અને નફાનો હુકમ

સવાલ (૧) : ઉમર એક ફેકટરી નાંખવા માંગે છે, ઝેદ તેમાં એ શરતે રોકાણ કરી શકે કે જયાં સુધી પૈસા પરત ન થાય ત્યાં સુધી નફામાં ભાગ. એ રીતે આ લોન (કર્જ) છે, કેમકે ફેકટરીની માલિકી તો તેની જ રહેશે.

(૨) ફેકટરીની માલિકી ઉમરની જ રહે, પણ ઝેદને જયાં સુધી પૈસા પરત મળે નહીં ત્યાં સુધી નફા / ખોટમાં હિસ્સેદારીની શરતે રોકાણ કરી શકાય ?

(૩) ઉપરના બંને કિસ્સામાં ઝકાતનો શું હુકમ છે ? આ રીતનું રોકાણ જેમાં માલિકી પોતાની નથી હોતી, જે એક કર્જ જ છે તો તેના પર ઝકાત વાજિબ થાય ?

(૪) જો નફા / ખોટમાં હિસ્સેદારીની શરતે ભાગીદારી કરવામાં આવે અને રોકાણમાંથી ફેકટરી મકાન / મશીનરી વગેરે ખરીદવામાં આવે તો આ રોકાણની રકમ પર ઝકાત વાજિબ થાય કે નફાની રકમ પર ?

 જવાબ : حامدا ومصليا ومسلما 

(૧–૨) બંને દર્શાવવામાં આવેલ સૂરતોમાં કર્જ આપી, તેના પર નફો લેવું છે, અને કર્જ પર લેવામાં આવતો નફો શરઈ દ્રષ્ટિએ વ્યાજ છે. (શામી : ભાગ ૪) માટે ઉમરને રોકાણ માટે પૈસા આપી જયાં સુધી પૈસા પરત ન કરે નફો લેવું વ્યાજ હોય, આ રીતનો મામલો કરવો દુરુસ્ત નથી, અલબત્ત આપ એક ચોક્કસ મુદ્દત માટે ઇસ્લામના ભાગીદારીના નિયમ આધિન પૈસા આપી, આપ તે ચોક્કસ મુદ્દતમાં રોકાણ ઉપર થતા નફામાં જે ટકાવારી નક્કી કરવામાં આવે તેનાથી ભાગીદારોનો મામલો કરી નફો પ્રાપ્ત કરી શકો છો. મુદ્દત પૂર્ણ થઈ ફેકટરીના સાધનો વગેરેમાં થયેલ વેલ્યુના હિસાબથી આપનો પણ હિસ્સો વધી શકે છે. અને આવી સ્થિતિમાં આપેલ પૈસા કરતા વધુ પૈસા 'ઉંમર' પાસેથી લેવાનો આપને હક પ્રાપ્ત થશે.

(૩) બંને સુરતોમાં આપે આપેલ 'ઉમર'ના પૈસાની હેસીયત 'કર્ઝ'ની હોય તેની ઝકાત આપના શિરે લાગુ થશે, અલબત્તા આપને સહુલત મળશે કે જયાં સુધી કર્જ વસુલ ન થઈ જાય ત્યાં સુધી અદાયગીમાં છૂટ મળશે. અને જયારે મળે ત્યારે પાછલા તે તમામ વર્ષોની ઝકાત આપવી પડશે જે વર્ષોની આ રકમ ઉપર ઝકાત અદા કરવામાં આવી ન હોય.

(૪) આ રકમ જો સવાલની શરૂઆતમાં રજૂ કરવામાં આવેલ બે સૂરતો મુજબ હોય તો તેનો હુકમ નંબર “ત્રણ”માં આવી ગયો અને જો આ રોકાણ ઈસ્લામી ઈસ્લામી નિયમ મુજબ ભાગીદારીના નિયમ પ્રમાણે હોય, તો જે વસ્તુઓ આ રોકાણ દ્વારા વેચાણની નિય્યતથી ખરીદ કરવામાં આવે, ( દા.ત. પ્લોટની ખરીદી-વેચાણની નિય્યતથી કરી તો ઝકાતની અદાયગીના દિવસે જે બે હજાર વેલ્યુ સદર વસ્તુ (પ્લોટ)નું હોય, તેના હિસાબથી શરીઅતના નિયમ મુજબ ૪૦ મો ભાગ ઝકાત રૂપે આપવામાં આવે. અને જો આ રકમ દ્વારા ફેકટરી નાંખવામાં આવી હોય અને રોકાણ “ઉમર” સાથે સાચે જ ભાગીદારીના નિયમથી હોય તો ફેકટરીની બિલ્ડિંગ, સાધન, સામગ્રીમાં વપરાયેલ રકમ ઉપર કોઈ ઝકાત લાગુ નહીં થાય. અલબત્તા ફેકટરીમાં જે વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે, અને તેના વેચાણ કરતા આવેલી ઉધાર-નકદ જમા આવક ઉપર ઝકાતની ગણતરીના વર્ષના અંતે ઝકાત લાગુ થશે અને ફેકટરીની વસ્તુના ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવા આવતા તે કાચા માલ ઉપર પણ ઝકાત લાગુ થશે જેનો અસર ઉત્પાદન થયેલી વસ્તુમાં જોવા મળતો હોય અને જો એ કાચા માલનો અસર ઉત્પાદિત વસ્તુમાં જોવા ન મળે, તો પછી તેમાં પણ ઝકાત લાગુ થશે નહીં. (હિદાયા : ભાગ ૧, શામી, ભાગ : ૨ ઉપરથી) ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (તા. ૩ / શાબાન, ૧૪૩૭ હિજરી)


બોધકથા

ગામડે રહેતા એક વૃદ્ધની આંખે મોતિયાં આવ્યાં. એમના દીકરાઓએ આગ્રહ કર્યો કે સારવાર - ઓપરેશન કરાવીએ, પણ વૃદ્ધે એમની વાત માની નહીં. કહેવા લાગ્યા કે તમે ચાર દીકરાઓ, તમારી માતા અને અન્ય બધા. મારી પાસે બે ના બદલે અઢાર આંખો છે, એટલે મારે હવે આ બે આંખોની શી જરૂર ? વૃદ્ધ વડીલની દલીલ સામે બધા લાચાર બની ગયા. બીમારી આગળ વધી, વડીલની આંખો જતી રહી અને તેઓ આંધળા બની ગયા. અલબત્ત દીકરાઓ તેમજ વહુઓની ચાકરીના કારણે એમને કંઈ તકલીફ પડતી ન હતી.

આમને આમ ચાલતું રહયું અને એક દિવસ અચાનક ઘરમાં આગ લાગી, બધા પોત પોતાને બચાવવા ઘર બહાર દોડયા. પણ અફરાતફરી અને ગભરામણમાં કોઈને વડીલનો ખ્યાલ ન રહયો અને તેઓ ઘરમાં જ ઘેરાય ગયા અને આખરે મૃત્યુ પામ્યા.

આપણે વિચારી શકીએ કે છેલ્લી ઘડીએ વૃદ્ધે વિચાર્યું હશે કે મેં આંખો બનાવી લીધી હોત, સારવાર કરાવી લીધી હોત તો સારું થાત ! બહાર નીકળવાનો રસ્તો હું પોતે શોધી લેત. આખરે તો પારકી આશ સદા નિરાશ.. ખરેખર વૃદ્ધે આમ વિચાર્યું હશે કે નહીં એ જવા દઈએ.. પણ..

એમના દીકરાઓને જરૂર પાછળથી પસ્તાવો થયો કે વૃદ્ધ બાપની જીદ આગળ ઝુકવાના બદલે અને પોતાની સેવા – ચાકરી ઉપર વધારે વિશ્વાસ કરના બદલે એમની આંખોની સારવાર કરાવી લીધી હોત તો વધારે સારું..

મુળ વાત આ છે કે માણસને ઉપકારી હોવાનું સારું લાગે છે. કોઈની લગાતાર સેવા કરવાનો મોકો મળે તો માણસ પોતાને ભાગ્યશાળી સમજે છે, આવી માનસિકતાના કારણે ઘણીવાર દીકરાઓ, દોસ્તો કે અન્ય સગાઓ એમના લાચાર સગાને પગભર, સદ્ધર, સ્વસ્થ કે આત્મનિર્ભર કરવાને બદલે પોતાના આશ્રયે નભાવી રાખવાને વધારે પસંદ કરે છે. નિયત ખોટી નથી હોતી, મદદ કે સહકારની જ હોય છે, પણ આ દીર્ધદષ્ટિનું કામ નથી. પોતાના મનનો મોહ અને માનવીય માનસિકતાની સંકુચિતતા છે. પોતાની મર્યાદાઓ નહીં ઓળખવાની વાત છે. દીકરાઓએ એમની મર્યાદાઓ અને ભવિષ્યની અનિશ્ચિતતાનો ખ્યાલ રાખ્યો હોત, અને પોતાના ઉપર જરૂરતથી વધારે આત્મવિશ્વાસ રાખ્યો ન હોત તો વૃદ્ધ વડીલ ઘરમાં જીવતા બળી મરત નહીં.


What Fasting Demands From Us

The blessed month of Ramazan is about to begin in a few days. Who among the Muslims does not know the greatness and blessedness of this month! The extent of His Mercy that descends upon His servants is unfathomable.

Allah says: “The month of Ramazan is the one in which the Qur'an was revealed as guidance for mankind and as clear signs that show the right way and distinguish between right and wrong. So those of you who witness the month must fast in it…” (Surah al-Baqarah, 2:185) 

How to Welcome Ramadan?

The best way to welcome the month of Ramazan is to reschedule your daily routine for the coming month to give you the most time for worshipping Allah. Before Ramazan begins, think of all those activities that can be reduced in the upcoming month that can free you up for increased worship. If someone is able to free up their entire month then Subhan-Allah, otherwise, free yourself up as much as you can by abandoning that which can be abandoned or delaying that which can be delayed until after the Eid, so that you can spend as much of your time in the worship of Allah. This is the best way of welcoming the month of Ramazan. If by the Will of Allah, someone is able to reorganize their routine for Rama?and then they will be able to avail the most of this month by reaching its true spirit and the abundance of blessings that come with it. Otherwise, the month will pass by and you will not be able to benefit from its true spirit and blessings.

Allah Almighty has made it a month of worship. In this month, there are those actions that every Muslim knows and fulfills. For example, Muslims observe the fast in this month and they also know that the tarawih? prayers are from the Sunnah. May Allah give Muslims the tawfiq to fast and He grants them the honor of attending the tarawih prayers. However, right now I want to shed light upon another aspect of this blessed month.

Ramazan is commonly viewed as only a month of fasting and tarawih, and that there is no other significance to it. Without a doubt, the fasting and the tarawih prayers are two major acts of worship in this month. However, the reality is that the blessed month of Ramazan demands more from us. Come Towards Our Purpose In This Month:

Allah knew that by allowing human beings to engage in earning livelihood their hearts would slowly be covered with heedlessness. Therefore, from time to time, Allah placed opportunities for His servants to remember Him and turn back to Him.

For eleven months, we work, trade, do labor, farmlands and grow crops, enjoy our family and friends, eat and drink, and as a result, we begin to become heedless. So Allah placed this month of Ramazan to remind people of their purpose of life, the purpose for which we have been created and sent to earth. So that we could engage in worship and reconnect with Him, and seek forgiveness for the sins that have accumulated in the past eleven months. So that we can uncover the curtains of heedlessness that have enveloped their hearts, and cleanse their hearts of darkness so that we can reach the potential (for which we were created) Take A Break:

Therefore, this month demands from us that we make time for it. Just the fast and tarawih prayers would not be enough, rather we must free ourselves from other obligations that have kept us busy in the past eleven months. We should focus on our life's purpose and the purpose of our creation.

If for some reason, we are not able to free up this month solely for the worship of Allah, then we must make as much time as possible, however much our circumstances allow us, and we need to utilize it in the worship of Allah. For this, we would need to plan ahead and have a (personal) Ramazan program.

May Allah give us the tawfiq to act upon what we have learned today, and may Allah make this Ramazan a month full of blessings, and allow us to fully benefit from it. Amin


છેલ્લા પાને......



સચ્ચાઈનો પુરાવો

જો તમે સાચા છો, તો કંઈ પૂરવાર કરવાની જરૂરત નથી. સમયની રાહ જુઓ. સમય તમને જરૂર સાચા પુરવાર કરશે.

મુસીબત કાયમી નથી

માણસનું સમગ્ર જીવન જ ટુંકુ અને ખતમ થનાર છે તો એ જીવનની મુસીબતો તો નિશંક ટુંકી અને નાની જ હશે. બસ સબ્ર કરતાં શીખીએ અને ખુદા તઆલા ઉપર ભરોસો રાખીએ.

પસંદ બદલો

માણસ પાસે એની પસંદની વસ્તુઓ ન ઉપલબ્ધ ન હોય તો જે કંઈ હોય એને જ પસંદ કરવાની આદત પાડવી જોઈએ.

સંતોષનો અસંતોષ

જે માણસ પોતાનાથી રાજી રહે છે, પોતાની સ્થિતિ ઉપર સંતોષ રાખે છે, એના વિશે નારાજ રહેનાર કે હસદ કરનાર લોકો વધી જાય છે.

વડીલોનો ગુસ્સો

બુદ્ધિશાળી લોકોનું કથન છે કે તમારા પ્રત્યે લાગણી ધરાવનાર માણસ તમારા ઉપર ગુસ્સો કરવાનું છોડી દે તો સમજી લ્યો કે હવે એના દિલમાં તમારી મહોબ્બત અને મહત્વ બાકી નથી.

ભૂલ અને સુધાર

ભૂલ – ગુનો દરેક માણસથી થાય છે, પણ પછી તુરંત જે ગુનેગાર તોબા કરે એ સારો ગુનેગાર છે.

એક જૂઠ

ફક્ત એકવારનું જુઠ પાછલા હઝાર સત્યોને શંકાસ્પદ બનાવી દે છે.

તકદીર અને તદબીર

તકદીર અને તદબીર સાથે મળે તો માણસને કામ્યાબી મળે છે. તકદીર તો ખુદાને હવાલે છે, માણસ પોતે તદબીર કરતો રહે, શી ખબર કયારે તકદીર સાથે થઈ જાય.

આદતથી મજબૂર

ત્રણ માણસો આદતથી મજબૂર હોય છે. ઝાલિમ ઝુલમ કરવાને, સાચો સચ્ચાઈ ઉપર અને સખી સખાવત કરવાને મજબૂર હોય છે.

સંબંધો કેમ ખરાબ થાય છે ?

ઘણા સંબંધો ફકત એટલા માટે ખરાબ થઈ જાય છે કે એક માણસ યોગ્ય રીતે પોતાની વાત કહી નથી શકતો અને બીજા યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન નથી કરતા.

હિકમતનું ઝાડ

હિકમત અને બુદ્ધિ એક પ્રકારનું ઝાડ છે, જે માણસના દિલમાં ઉગે છે. અને ઝબાન થકી એના ફળ લોકોને ચાખવા મળે છે.

કેવા કામો કરશો ?

માણસે પોતાની મરજીના કામો કરવાના બદલે એવા કામો કરવા જોઈએ જે કરવા યોગ્ય હોય.