Chapter : નમાઝ
(Page : 397-398-399)
સવાલ :– જનાઝહની નમાઝમાં મસબૂક (જે અમુક તકબીરો પછી) નમાઝ માટે પહોંચ્યો તો તે નમાઝમાં કઈ રીતે શરીક થાય અને છુટેલી તકબીરો કઈ રીતે અદા કરે?
જવાબ :– મઝકૂર સવાલના જવાબ માટે જનાઝહની નમાઝના મસબૂકને લગતા મસાઈલ લખવામાં આવે છે, જેનો અભ્યાસ કરવાથી સવાલનો જવાબ સારી રીતે સમજી શકાશે.
મસ્અલહઃ–
અગર કોઈ માણસ જનાઝહની નમાઝમાં એવા સમયે પહોંચ્યો જયારે કે અમુક તકબીરો તેનાં પહોંચતા પહેલા થઈ ચૂકી હતી, તો જેટલી તકબીરો થઈ ચૂકી હોય, તે છૂટેલી તકબીરોની નિસબતથી તે માણસ મસબૂક ગણાશે અને તે માણસે આ સૂરતમાં બીજી નમાઝોની જેમ, આવીને તરત તકબીરે તહરીમા કહીને ઈમામ સાથે નમાઝમાં શરીક ન થવું જોઈએ, બલ્કે આવીને ઈમામની હવે પછીની આગલી તકબીરની રાહ જોવી જોઈએે, જયારે ઈમામ તેના આવ્યા પછી બાકીની તકબીરોમાંથી પ્રથમ તકબીર કહે તો ઈમામ સાથે તેણે પણ તકબીર કહીને નમાઝમાં શામેલ થવું જોઈએ અને આ તકબીર તેની તકબીરે તહરીમા ગણાશે, તે પછી જયારે નમાઝની સલામ કહે તો આ મસબૂક નમાઝી ઈમામ સાથે સલામ ન કહે અને પોતાની છુટેલી તકબીરો અદા કરી લે અને આ છુટેલી તકબીરો દરમ્યાન તેણે સના, દુરૂદ શરીફ અને દુઆ પઢવાની ઝરૂરત નથી, કારણકે જનાઝહ ઉઠાવતા પહેલાં તેણે છુટેલી તકબીરો પઢી લેવી ઝરૂરી છે.
(બિહશ્તી ગૌહર/અહકામે મય્યિત)
મસ્અલહઃ–
અગર કોઈ માણસ એવા સમયે પહોચેં કે ઈમામ ચોથી તકબીર પણ કહી ચૂકયા હોય તો આ માણસ ચોથી તકબીર બાબત મસબૂક નહિ ગણાય એટલે કે ચોથી તકબીર છુટેલી નહિ ગણાય, તેણે પહોંચીને તરત ઈમામની સલામથી પહેલાં તકબીર કહીને ઈમામ સાથે શરીક થઈ જવું જોઈએ અને ઈમામની સલામ પછી પોતાની છુટી ગયેલી ત્રણ તકબીરો જનાઝહ ઉઠાવતાં પહેલાં અદા કરીને સલામ કહે. (બિહશ્તી ગૌહર, શામી ભા.૧, અહકામે મય્યિત)
મસ્અલહ :–
જો કોઈ માણસ ઈમામની તકબીરે તહરીમા એટલે કે પહેલી તકબીર વખતે મવજૂદ હતો અને નમાઝમાં શરીક થવા માટે તૈયાર હતો, પરંતુ સુસ્તીના કારણે અથવા બીજા કોઈ કારણથી ઈમામ સાથે તકબીરે તહરીમા કહી શરીક ન થયો તો આવા હાજર માણસે નમાઝમાં શરીક થવા માટે ઈમામની આગલી તકબીરની રાહ ન જોવી જોઈએ, બલ્કે તેણે તકબીરે તહરીમા કહી તુરત નમાઝમાં શામેલ થઈ જવું જોઈએ. (આ માણસ મસબૂક નહિ ગણાય અને ઈમામની સલામ પછી તેણે કોઈ તકબીર કહેવાની કે દોહરાવવાની નહિ રહે)
જો કોઈ માણસ ઈમામની તકબીરે તહરીમા વખતે તો મવજૂદ ન હતો. પરંતુ તે પછીની કોઈ તકબીર વખતે હાજર હતો અને કોઈ કારણથી હાજર હોવા છતાં તેણે તે તકબીર ન કહી તો આવો માણસ પણ ઈમામની હવે પછીની આગલી તકબીરની રાહ ન જોવે, બલ્કે તકબીર કહી ઈમામ સાથે શામેલ થઈ જાય અને ઈમામની સલામ પછી નમાઝની જગ્યાએ હાજર થતાં પહેલાં એક, બે, ત્રણ જેટલી તકબીરો છૂટી હોય તેની કઝા કરી લે, કારણ કે ઈમામ સાથે હાજર ન હોવાની હાલતમાં છૂટેલી તકબીરો વિશે તે મસબૂક ગણાશે અને મસબૂકની જેમ ઈમામની સલામ પછી છૂટેલી તકબીરોની કઝા કરવી પડશે. (શામી – ૧:પ૮૮, બિહશ્તી ગૌહર)
મસ્અલહ :–
જનાઝહની નમાઝનો મસ્બૂક જયારે પોતાની છૂટેલી તકબીરો અદા કરે અને તેને એ વાતનો ડર હોય કે અગર છૂટેલી તકબીરો વખતે દુઆ – દુરૂદ શરીફ પઢશે તો મોડું થશે અને જનાઝહ તેની સામેથી ઉઠાવી લેવામાં આવશે તો દુઆ – દુરૂદ છોડીને માત્ર છૂટેલી તકબીરો કહીને સલામ કહી આપે, (કારણ કે તકબીરો કહેતી વખતે જનાઝહની સામે હોવું ઝરૂરી છે.) (અહકામે મય્યિત, શામીઃ૧)
Log in or Register to save this content for later.