Chapter : નમાઝ
(Page : 355-356)
સવાલ :– હું નજીકની મસ્જિદમાં દરેક નમાઝ પઢવા જાઉં છું, તે તબ્લીગી મસ્જિદ છે. તેમાં અસરની નમાઝ પછી એટલે કે સલામ ફેરવી તરત જ કિતાબ પઢવામાં આવે છે અને મવલાના જોરથી પઢે છે, જેથી જે લોકોની જમાઅત છુટી ગયેલ હોય છે તેમને અવાઝ આવવાથી ખૂબ જ તકલીફ પડે છે. આ બાબતે મવલાના ને ગુઝારિશ કરી પણ કોઈ માનતુ નથી. તેમના કહેવાથી દુઆ બાદ કિતાબ પઢવાથી કોઈ બેસતુ નથી તેમજ તે લોકો તસ્બીહ પણ પઢતા નથી. શું આવું મહત્વ કિતાબનું છે ? લોકોને ઝબરદસ્તી આ રીતે કિતાબમાં બેસાડવા અને તસ્બીહાતથી વધુ મહત્વ આપવું ઝરૂરી છે? શું આમ કરવું યોગ્ય છે?
જવાબ :– જયારે મસ્બુક મુકતદીઓ પોતાની છુટેલી નમાઝ પઢતા હોય ત્યારે આ પ્રમાણે જોરથી તઅલીમ કરવી મકરૂહ છે, મસ્બૂક મુકતદીઓની નમાઝને ખલલથી બચાવવા ઈમામે દુઆ પણ આહિસ્તા કરવાનો હુકમ છે. (શામી –૧)
આ પ્રમાણે લોકોની ઈચ્છા અને ઉત્સાહ વિના લોકોને ઘેરી રાખીને તઅલીમ કરવી દુરૂસ્ત નથી. પ્રથમ લોકોને નમાઝ પછીની તસ્બીહ, અવરાદ, દુઆ કરવા દે પછી તઅલીમ કરે. જેને પોતાના શોખ અને ઈચ્છાથી બેસવું હોય તેઓને સંભળાવે બીજાઓને બેસવાની રગબત અપાવે.
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) સપ્તાહમાં વધુથીવધુ ત્રણ વાર તકરીર કરવા ફરમાવતા અને લોકોને તકરીરથી કંટાળામાં નાંખવાથી અને નીરસ બનાવવાથી મના ફરમાવતા અને લોકોની ઈચ્છા અને ઉત્સાહ સાથે તકરીર કરવા ફરમાવતા. (બુખારી શરીફ – ર/૯૩૮)
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઉદ (રદિ.) ફરમાવે છે કે હઝરત રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અંતર રાખીને કદી કદી નસીહત ફરમાવતા હતા, કારણ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અમારી અકળામણ અને કંટાળાને પસંદ ન ફરમાવતા હતા.
(બુખારી શરીફ – ર/૯૪૯)
Log in or Register to save this content for later.