[ર૯ર ] મસ્જિદમાં મળેલી રકમનું એલાન

Chapter : નમાઝ

(Page : 391-392)

સવાલ :– હું મરકઝની મસ્જિદમાં મુઅઝિ્‌ઝનની નોકરી કરું છું અને અમુક વખતે કોઈ નમાઝી ભાઈના પૈસા થોડા કે વધુ પ્રમાણમાં, જેમ કે રૂપિયા, બે રૂપિયા, પાંચ કે પચાસ રૂપિયા મસ્જિદમાં પડેલા મળે છે, તો હું તેનું એલાન કરું છું, પરંતુ એલાન કરવા છતાં તે રકમનો કોઈ માલિક મળતો નથી. તો મસ્જિદમાંથી મળેલી તે રકમ બાબત મારે શું કરવું જોઈએ ?

જવાબ :– જાહેર જગ્યા ઉપર એલાન કરી કે લખી અને મસ્જિદના દરવાજા ઉપર બોર્ડ ઉપર લખી મસ્જિદમાંથી મળેલી રકમનો માલિક તલાશ કરવો જોઈએ, જો માલિક મળી જાય તો નિશાની પૂછીને સંતોષ થતાં તે રકમ તેને આપી દેવી જોઈએ અને એટલી મુદ્દત સુધી માલિક મળવાની રાહ જોયા પછી કે જયારે માલિક મળવાની અને માલિકે રકમ તલાશ કરવાની આશા ન રહે તો માલિક તરફથી કોઈ ગરીબ મુસલમાનને તે રકમનો સદકહ કરી દેવો જોઈએ અને જો તમે પોતે ઝકાત લઈ શકો એવા હોય તો તમે પોતે પણ તે રકમનો ઉપયોગ કરી શકો છો.        (‘શામી ૩)

               અત્રે એ વાત યાદ રાખવી ઝરૂરી છે કે મસ્જિદમાંથી મળેલી વસ્તુનું એલાન પણ મસ્જિદમાં કરવું દુરૂસ્ત નથી. અલબત્ત મસ્જિદમાંથી મળેલી વસ્તુનું એલાન જમાઅતખાનાથી બહાર બલ્કે બોર્ડ ઉપર લખવું જાઈઝ છે, કારણકે ખોવાયેલી વસ્તુનું એલાન મસ્જિદમાં કરવાની હદીસ શરીફમાં મનાઈ આવેલી છે. અલબત્ત મસ્જિદમાં ખોવાયેલી વસ્તુ બાબત મસ્જિદમાં એલાન કર્યા વગર પરસ્પર એક બીજાને વ્યકિતગત પૂછપરછ કરવી જાઈઝ છે.

(‘શામી ર/૪૩૩, ‘મઆ. સુનન ૩/૩૧૩, ‘અહસનુલ ફતાવા ૬)

Log in or Register to save this content for later.