[ર૯૧ ] નાના બાળકોને મસ્જિદમાં લાવવા

Chapter : નમાઝ

(Page : 390-391)

સવાલ :– અહિંયા નગીના મસ્જિદમાં જુમ્અહના દિવસે અને પાંચ ટાઈમની નમાઝો વખતે નાના છોકરાઓ નમાઝ માટે આવે છે. આ છોકરાઓની મસ્જિદનો અદબ ન જાળવવાની ફરિયાદો મળે છે. તો આપ ખુલાસાથી જવાબ લખશો કે કેટલી ઉંમરના છોકરાઓ મસ્જિદમાં આવી શકે છે ?

જવાબ :– જે બાળકો પાકી–નાપાકી અને મસ્જિદના અદબ– એહતિરામને સમજી શકતા ન હોય, જો તેઓને મસ્જિદમાં લાવવામાં આવે તો મસ્જિદમાં પેશાબ–પાયખાનું કરવાનો અને બૂમો પાડવાનો અને રડવાનો ભય હોય તો એટલી નાની ઉંમરના બાળકોને મસ્જિદમાં લાવવા નાજાઈઝ અને હરામ છે. અને સામાન્ય રીતે પાંચ–છ વર્ષથી ઓછી ઉંમરનું બાળક નાસમજ હોય છે અને તે મસ્જિદના અદબ–એહતિરામથી ગાફિલ અને નાવાકિફ હોય છે.

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે, ‘‘તમારી મસ્જિદોને તમારા નાના બાળકો અને પાગલોથી બચાવો.          (‘શામી ર/૪ર૯ ઝક.)

               જે બાળકો ઉપર લખેલા મસાઈલ સમજાવવાથી સમજી શકે છે અને મસ્જિદનો અદબ એહતિરામ જાળવી શકે છે તેવા બાળકોને વાલીઓ મસ્જિદના આદાબ, પાકી–નાપાકીની વાતો વગેરે સમજાવે અને તેઓને મસ્જિદમાં આવવા દે તો વાંધો નથી અને એવા બાળકોને મસ્જિદમાં આવવા દેવા જાઈઝ છે અને છ થી સાત વર્ષની ઉંમરના બાળકો મસ્જિદના આદાબ–એહતિરામને સમજી શકે છે.

(‘તકરીરાતે રાફઈ, ‘શામી ૧)

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ નાની અવલાદના વાલીઓને હુકમ આપ્યો છે કે તેઓ સાત વર્ષની ઉંમરના થાય તો તેઓને નમાઝનો હુકમ આપો અને દસ વર્ષની ઉંમરના થાય તો નમાઝ છોડવા ઉપર તેઓને (હાથથી) મારો અને તેઓના બિસ્તર અલગ કરી આપો.          (‘મરાકિયુલ ફલાહ ૯૩)

               માટે ફુકહાએ કિરામે મસ્જિદની જમાઅતની સફોની તરતીબમાં બાળકોની સફનું પણ વર્ણન કર્યું છે કે, બાલિગ મરદો પાછળ તેઓની સફ બનાવવામાં આવે અને એ વાત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે કે મસ્જિદમાં આવતા સમજદાર મોટા બાળકોની તરબિયતની જવાબદારી તેઓના વાલીઓ ઉપર છે, માટે દરેક વાલી પોતાની અવલાદને મસ્જિદના આદાબ શીખવાડે અને મસ્જિદમાં તે પ્રમાણે આવવા–જવાની અને મસ્જિદનો અદબ જાળવવાની ખૂબ તાકીદ કરે.

Log in or Register to save this content for later.