[ર૮૮ ] મસ્જિદમાં પંખાનો ઉપયોગ

Chapter : નમાઝ

(Page : 385-386-387-388)

સવાલ :– સતત વરસાદના કારણે હવા ખૂબ ભેજવાળી હોય છે અને મસ્જિદનું ધાબું ટપકતું હોવાથી તેનો ભેજ પણ રહે છે, આવા ભેજવાળા વાતાવરણમાં પણ મસ્જિદના જમાઅતખાનામાં પંખાઓ ફુલ કરી દેવામાં આવે છે અને હવા મારા માટે હાનિકારક હોવાથી હું ફર્ઝ નમાઝોની જમાઅત વખતે જમાઅતખાનાથી બહાર સહનમાં ઊભો રહી નમાઝ પઢું છું તો મને ફર્ઝ નમાઝનો સવાબ મળશે કે નહિ?

જવાબ :– મસ્જિદમાં જમાઅતની નમાઝ વખતે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) બધા જ નમાઝીઓની તબિયતનો ખયાલ ફરમાવતા હતા અને બધા નમાઝીઓની અગવડ અને તકલીફનો ખયાલ રાખવાની તાકીદ પણ ફરમાવતા હતા.

હઝરત અબૂ હુરૈરહ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે, જયારે તમારામાંથી કોઈ લોકોને નમાઝ પઢાવે તો ટૂંકી નમાઝ પઢાવે, કારણકે નમાઝીઓમાં બીમાર, અશકત અને ઘરડા માણસો પણ હોય છે અને જયારે પોતાની એકલી નમાઝ પઢે તો પોતાની ઈચ્છા મુજબ લાંબી નમાઝ પઢે.

(‘બુખારી, ‘મુસ્લિમ, ‘મિશકાત)

હઝરત અબૂ મસ્ઉદ (રદિ.) કહે છે કે,

સહાબીએ કહ્યું કે, ‘‘યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ! ખુદા તઆલાની કસમ હું ફલાણા ઈમામના કારણે ફજરની (બાજમાઅત) નમાઝથી પીછેહઠ (ત્યાગ) કરું છું, કારણકે તેઓ અમોને લાંબી નમાઝ પઢાવે છે.

હઝરત અબૂ મસ્ઉદ (રદિ.) કહે છે કે,

“મેં તે દિવસથી વધુ સખત ગુસ્સે થઈને નસીહત કરતાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને કદી નથી જોયા.

આપે (આ શિકાયત સાંભળીને) ફરમાવ્યું કે,

“તમારામાંથી અમુક લોકો (જમાઅતથી) નફરત અને તોડ પેદા કરે છે, માટે તમારામાંથી જે કોઈ પણ નમાઝ પઢાવે તો ટૂંકી નમાઝ પઢાવે, કારણકે મુકતદીઓમાં કમઝોર, ઘરડા અને ઝરૂરી કામવાળા લોકો પણ હોય છે. (‘બુખારી, ‘મુસ્લિમ, ‘મિશકાત)

               હઝરત અબૂ કતાદહ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે,

“હું લાંબી નમાઝ પઢાવવાના ઈરાદાથી નમાઝ શરૂ કરું છું અને પછી કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળું છું તો હું પોતાની નમાઝને (કિરાઅત અને અઝકારને મુખ્તસર પઢીને) ટૂંકાવી આપું છું, એ કારણથી કે હું જાણું છું કે બાળકના રડવાથી તેની મા સખત ચિંતામાં પડશે.       (‘બુખારી, ‘મિશકાત)

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મસ્જિદના વાતાવરણને હાનિમુકત રાખવાની પણ તાલીમ અને તાકીદ ફરમાવી છે. માટે પ્યાજ, લસણ જેવી બદબૂદાર વસ્તુ ખાધા–પીધા પછી મોઢામાંથી બદબૂ સાફ કર્યા વગર મસ્જિદમાં આવવાની મનાઈ ફરમાવી છે, કારણકે તેના કારણે મસ્જિદના વાતાવરણમાં બદબૂ ફેલાય છે અને બીજા નમાઝીઓ અને ફરિશ્તાઓને તકલીફ પહોંચે છે.

હઝરત ઈબ્ને ઉમર (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે,

“જે માણસ આ સબજી (લસણ) ખાય તો તેની બદબૂ દૂર થતાં સુધી અમારી મસ્જિદના નઝદીક ન આવે. (‘મુસ્લિમ ર૦૯)

હઝરત ઉમર (રદિ.) ફરમાવે છે કે,

“મેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને આ કાર્યવાહી કરતાં જોયા છે કે જયારે આપ મસ્જિદમાં કોઈ માણસથી પ્યાજ અને લસણની દુર્ગંધ અનુભવતા તો તેને મસ્જિદથી નીકળી જવાનો હુકમ ફરમાવતા અને તેને મકામે બકીઅમાં મોકલી દેવામાં આવતો, માટે જે માણસ આ બે વસ્તુઓ ખાવા ચાહે તો તેણે પકાવીને તેની દુર્ગંધ દૂર કરી લેવી જોઈએ.        (‘મુસ્લિમ શરીફ ર૧૦)

ફુકહાએ કિરામ લખે છે કે,

               મસ્જિદના નમાઝીઓ માટે હાનિકારક દરેક પ્રકારની દુર્ગંધવાળા માણસનો જેમ કે મચ્છી–મટનનો ધંધો કરનાર માણસનો પણ આ જ હુકમ છે કે તેણે પોતાના શરીર તથા કપડાંની બદબૂ દૂર કરી મસ્જિદમાં આવવું જોઈએ અને દરેક હાનિકારક વસ્તુને મસ્જિદમાં થતી રોકવી જોઈએ.                  (‘શામી ૧/૪૪૪)

               ઉપરની વિગતથી માલૂમ પડયું કે જયારે વાતાવરણ ઠંડુ હોય અને પંખાઓ ચાલુ કરવાની સામાન્ય રીતે જરૂરત ન હોય ત્યારે પંખાઓ ચલાવી અમુક નમાઝીઓને નુકસાન પહોંચાડવું જાઈઝ નથી અને સાધારણ ગરમી હોય ત્યારે પણ અમુક પંખાઓ ચાલુ રાખવા જોઈએ અને અમુક પંખાઓ બંધ રાખવા જોઈએ, તા કે હવાથી બચવા ચાહતા નમાઝીઓ બંધ પંખાઓ નીચે સફમાં ઊભા રહી વિના તકલીફે નમાઝ પઢી શકે અથવા સાધારણ ગરમી વખતે ધીમી ગતિથી પંખા ચલાવવામાં આવે.

               બાકી પંખાની હવાના કારણે જમાઅતખાનાથી બહાર સહનમાં જમાઅત સાથે નમાઝ પઢવા માટે સફોથી અલગ ઊભા રહેવું એ મકરૂહે તહરીમી છે.             (‘શામી ૧)

Log in or Register to save this content for later.