[ર૭૬] દુરૂદે ઈબ્રાહીમ સિવાય અન્ય દુરૂદો પઢવા

Chapter : નમાઝ

(Page : 374-375)

સવાલ :– એક ભાઈનું કહેવું છે કે જે દુરૂદ શરીફ ‘‘અલ્લાહુમ્મ  સલ્લિ અલા  સય્યિદિના  મુહમ્મદિંવ્‌ વ  અલા  આલિ  સય્યિદિના મુહમ્મદિંવ્‌ વ  બારિક્‌  વ  સલ્લિમ આપણે કોઈ પણ દુઆ માંગતા પહેલાં પઢીએ છીએ તે ખરા અર્થમાં મોઅ્‌તબર દુરૂદ શરીફ નથી, પરંતુ મોઅ્‌તબર દુરૂદ શરીફ દુરૂદે ઈબ્રાહીમ (જે આપણે નમાઝના છેલ્લા કઅ્‌દામાં અત્તહિય્યાત પછી પઢીએ છીએ તે) છે. અમુક લોકોનું કહેવું છે કે મજકૂર દુરૂદ શરીફ, દુરૂદ શરીફ તો ગણાય જ છે, પરંતુ એ પઢવાથી સવાબ ઓછો મળે છે તો આ વાત બરાબર છે કે નહિં ? ઉપરોકત દુરૂદ શરીફ અગર કોઈ વ્યકિત કાયમ પઢયા કરે તો દુરૂદ શરીફના હુકમમાં ગણાશે કે નહિ કે પછી દુરૂદે ઈબ્રાહીમ પઢવું વધુ મોઅ્‌તબર છે ?

જવાબ :– હદીસોથી દુરૂદ શરીફના વિવિધ શબ્દો અને વાક્યો સાબિત છે. દુરૂદ શરીફ માટે કોઈ ચોક્કસ શબ્દો અને વાક્યરચના ઝરૂરી નથી અને હદીસ શરીફમાં દુરૂદ શરીફની બયાન ફરમાવવામાં આવેલી ઘણી ફઝીલતો આમ અને સામાન્ય છે, જે દરેક દુરૂદ શરીફને લાગુ પડે છે. કોઈ ખાસ દુરૂદ શરીફ માટે મર્યાદિત નથી.

               અલબત્ત, અમુક ફઝીલતો આવી પણ છે, જે ખાસ શબ્દો અને વાક્યરચનાવાળા દુરૂદ શરીફ માટે જ બયાન ફરમાવવામાં આવી છે. માટે એવા દરેક શબ્દ અને વાક્યરચનાવાળું દુરૂદ શરીફ મોઅ્‌તબર અને જાઈઝ ગણાશે અને તે પઢવા ઉપર સવાબ પણ મળશે, જેમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને આપની આલ–અસ્હાબ (રદિ.) માટે અલ્લાહ તઆલાથી રહમત નાઝિલ થવાની દુઆ માંગવામાં આવે. અલબત્ત, મશહૂર દુરૂદ શરીફ જેને લોકો દુરૂદે ઈબ્રાહીમના નામથી ઓળખે છે અને જે નમાઝમાં પઢવામાં આવે છે તે દુરૂદ શરીફને લગતી હદીસોમાં સૌથી વધુ સહીહ હદીસથી સાબિત છે અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની ખિદમતમાં સહાબએ કિરામ (રદિ.) તરફથી દુરૂદ વિશે સવાલ કરવામાં આવ્યો કે અમો આપના ઉપર કયા શબ્દોથી દુરૂદ શરીફ પઢીએ તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ જવાબમાં મશહૂર દુરૂદ શરીફના શબ્દો બતાવ્યા અને સહાબએ પરસ્પર પણ તેને એક મોટા હદિયહ તરીકે એકબીજાને શીખવ્યું. માટે મજકૂર દષ્ટિએ નમાઝમાં અને નમાઝની બહાર મશહૂર દુરૂદ શરીફ પઢવું અફઝલ અને બેહતર છે.         (શામી, ભાગ–૧, ફઝાઈલે દુરૂદ શરીફ)

Log in or Register to save this content for later.