[ર૭૧ ] નમાઝ પછી ‘અલ્લાહુમ્મ અન્તસ્સલામ…’ ઉપરાંત બીજી દુઆ

Chapter : નમાઝ

(Page : 368-369-370)

સવાલ :– ઈસ્લામી અરકાનમાં ‘‘અલ્લાહુમ્મ અન્તસ્સલામ વિશે લખ્યું છે કે આટલું જ પઢવું સુન્નત છે, જ્યારે બધી જ મસ્જિદોમાં એ દુઆમાં વધારો કરીને પઢાય છે, જેથી આપણા ભાઈઓ ટીકા કરે છે કે જુઓ ! તમારા મોલ્વીની કિતાબ અને તે જ મોલ્વીઓ બે ખુત્બહ પણ કરે છે અને દુઆ પણ લાંબી પઢે છે.

જવાબ :– ‘‘ઈસ્લામી અરકાન નામી કિતાબના પેજ ૬૪ ઉપર મસ્અલા નંબર ૧ર૩માં છે કે ‘‘અલ્લાહુમ્મ અન્તસ્સલામ વ મિન્કસ્સલામ તબારક્‌ત યા ઝલ્‌જલાલિ વલ્‌ ઈક્‌રામ પર વધારો કરવો સુન્નત વિરુદ્ધ છે. જો એનો એ મતલબ લેવામાં આવે કે આ દુઆમાં મજકૂર વાક્યો સિવાય બીજા વાક્યો જે ઉમેરવામાં આવે છે, જેમ કે ‘‘વ ઈલય્‌ક યર્જિઉસ્સલામ, ફહય્યિના રબ્બના બિસ્સલામ વ અદ્‌ખિલ્‌ના દારસ્સલામ અને તબારક્‌ત રબ્બના પછી ‘‘વતઆલય્‌ત વધારવામાં આવે છે. તે વધારાના વાક્યો હદીસ શરીફથી સાબિત નથી અને સુન્નત નથી તો એ મતલબ દુરુસ્ત છે.

               અલ્લામહ તહતાવી (રહ.)એ મરાકિયુલ ફલાહના હાશિયહમાં શર્હે મિશ્કાત શરીફથી નકલ કર્યું છે કે આ વધારવામાં આવતા વાકયોની હદીસમાં કોઈ અસલ નથી, બલ્કે અમુક વઅઝ કહેનારાઓએ પોતાના તરફથી આ શબ્દો ઉમેર્યા છે.                          (તહતાવી : ૧૭૦)

               પરંતુ એનો મતલબ એ પ્રમાણે સમજવો કે મસ્અલહમાં બતાવ્યા પ્રમાણે હદીસ શરીફમાં આવેલ વાકયો સિવાય જે વાકયો વધારવામાં આવે છે તે વધારવા જાઈઝ નથી અથવા મજકૂર દુઆ ઉપરાંત બીજી કોઈ દુઆ પઢવી અને એથી લાંબી દુઆ માંગવી જાઈઝ નથી તો એ મતલબ સમજવો દુરુસ્ત નથી, કારણ કે જો વધારાના વાક્યોને મસ્નૂન દુઆના અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની દુઆના વાક્યો સમજ્યા અને માન્યા સિવાય દુઆમાં શામિલ કરવામાં આવે તો જાઈઝ છે. શામિલ કરવામાં કોઈ વાંધો નથી.

               એ જ પ્રમાણે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી નમાઝ બાદ મજકૂર દુઆ ઉપરાંત બીજી ઘણી દુઆઓ પઢવી હદીસોથી સાબિત છે. માટે જો ઉપરોકત દુઆ સિવાય તે બીજી દુઆઓ પઢી કંઈક લાંબી દુઆ માંગવામાં આવે તો એ પણ વિના કરાહતે જાઈઝ છે.

(નિઝામુલ ફતાવા, ભાગ–૧/૧૬૩, કિ. મુફતી, ભાગ–૩/ર૮૬–ર૯પ)

Log in or Register to save this content for later.