Chapter : નમાઝ
(Page : 323-324-325-326-327-328-329-330-331-332-333)
સવાલ :– વરસાદથી વંચિત રેહવાના કારણો અને વરસાદ વરસવાના ઉપાયો જણાવશો.
જવાબ :– વરસાદ અટકવાના કારણો :
કુર્આને કરીમ અને હદીષ શરીફના અભ્યાસથી માલૂમ પડે છે વરસાદ અટકવામાં અમૂક વાતોને ખાસ દખલ છે.
(૧)માપ–તોલમાં કમી એટલે કે પરસ્પર બંદાઓના હકકો અને અલ્લાહ તઆલાના હકકો ખાસ કરી ઈસ્લામી બુનિયાદી ફરાઈઝની અદાયગીમાં કમી અને કોતાહી, માટે આપણે બધાજ હકકો પૂરા અદા કરવા સક્રીય બની જવું જોઈએ.
(ર) પોતાના ઝકાતપાત્ર માલોની ઝકાત ન અદા કરવી અને આ ઝકાતમાં ખેતીની ઝકાત પણ શામેલ છે અને હદીષથી માલૂમ પડે છે કે ખેતીની ઝકાત અદા કરવાની બરકતથી વરસાદ વર્ષે છે, માટે ખેત ઉત્પાદનનો દસમો ભાગ ઝકાત રૂપે અદા કરવો જોઈએ અને સોના, ચાંદી, રોકડ વેપારના માલની ઝકાત બાકી હોય તો તાત્કાલિક અદા કરવાની ફિકર કરવી જોઈએ.
(૩) ઝિનાકારી અને વ્યભિચારની બદી વ્યાપક થવાથી વરસાદ અટકે છે અને ઝિનાના અનેક પ્રકાર છે, આંખ, હાથ, પગ, કાન, ઝબાન, દિલ અને શર્મગાહ જેવા દરેક અંગથી ઝિના થાય છે અને તે બરબાદી નોતરે છે માટે તેની રોકથામ માટે સામૂહિક ઈસ્લામી ઝુંબેશ ઉપાડવી જોઈએ.
(૪) રિશ્તેદારોથી સંબંધ તોડવાથી રહમત વરસતી અટકે છે અને આ બદી પણ દરેક ઘર, કુટુંબ, મહોલ્લા, આબાદીમાં સર્વત્ર ફેલાયેલી છે, માટે અલ્લાહ તઆલા અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના હુકમને માથે ચઢાવવા અને રાઝી કરવાની નિય્યતથી નફસને દબાવી કત્એ તઅલ્લુક ખતમ કરી સિલા રહમીના માહોલને આમ બનાવવામાં આવે, સિલારહમીથી રોઝીની બરકત મળે છે, બીમારીઓથી મુકિત મળી લાંબી ઉમરની બરકત પ્રાપ્ત થાય છે.
(પ)ઝુલ્મ અને અત્યાચારથી વરસાદ અટકે છે અને દુકાળની પરિસ્થિતિ ઉભી થાય છે, ઝુલ્મમાં અલ્લાહ તઆલાની પાક ઝાત સાથે તવહીદના અકીદામાં ખલલ પડે એ અંતિમ દરજાનો ઝૂલ્મ છે, માટે શિર્કિયહ પ્રવૃત્તિઓ જે અભણતાના કારણે સમાજમાં પ્રસરેલી છે, તેનાથી બચવાની ખૂબ ફિકર કરવી ઝરૂરી છે અને એક બીજાના માલ ત્થા આબરૂ નાહક તરીકાથી છીનવી લેવા એ બંદાઓનો પરસ્પર ઝુલ્મ છે, નિર્દોષ અને બેગુનાહ માનવીઓને વિવિધ ક્ષેત્રે અનેક પ્રકારની નાપાક યુકિતઓ અને કાવત્રાઓ વડે દોષિત ઠરાવી મુસિબતોમાં ગિરફતાર કરવામાં આવે છે, આ વાતાવરણને બદલી ન્યાય, શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ ઉભું થાય તો અલ્લાહ તઆલાની રહમત નાઝિલ થવાનું વાતાવરણ સર્જાશે અને અલ્લાહની પાક ઝાતથી ઉમ્મીદ છે કે રહમતની વર્ષા થશે.
(૧) ઈસ્તિગ્ફાર અને તવબહ
હઝરાત અમ્બિયાએ કિરામ (અલ.) સિવાય માનવીઓમાંથી કોઈ ગુનાહથી માસૂમ નથી, આપણાથી ડગલે અને પગલે ગુનાહોનું આચરણ થાય છે, નાના મોટા દરેક પ્રકારના ગુનાહોથી સમગ્ર સમાજ ખદબદી રહયો છે, પરંતુ કોઈ પણ મુસ્લિમે પોતાના ગુનાહોના કારણે નિરાશ અને હતાશ ન થવું જોઈએ અને અલ્લાહ તઆલાની રહમતથી નાઉમ્મીદ ન થવું જોઈએ અને દરેક મુસ્લિમે વ્યકિતગત પોતાના ગુનાહો પ્રત્યે ફિકર કરવી જોઈએ.
અલ્લાહ તઆલા ફરમાવે છે :
” આપ મારા તરફથી ફરમાવી આપો કે હે મારા તે બંદાઓ કે જેઓએ પોતાની ઝાતો પર (ગુનાહોના આચરણથી) ઝયાદતી કરી છે, તમો અલ્લાહ તઆલાની રહમતથી નિરાશ ન થશો. નિસંદેહ અલ્લાહ તઆલા તમામ ગુનાહોને માફ ફરમાવી આપશે અને તે ખરેખર ગુનાહોને માફ કરનાર અને મહેરબાન છે અને તમો પોતાના પરવરદિગાર તરફ રૂજૂઅ કરો અને તેની સામે ઝૂકી પડો એથી પહેલાં કે તમારી ઉપર અઝાબ આવી પડે અને પછી તમારી મદદ ન કરવામાં આવે.” (સૂરએ ઝૂમર )
અલ્લાહ તઆલા ફરમાવે છે કે :
”અને જે માણસ કોઈ ગુનાહ કરે અથવા પોતાની ઝાત પર ઝૂલ્મ કરે પછી અલ્લાહ તઆલાથી મગ્ફિરતનો તલબગાર બને તો તે અલ્લાહ તઆલાને ગફૂર, રહીમ પામશે.” (સૂરએ નિસાઅ)
ઈસ્તિગ્ફાર અને તવબહથી જેમ ગુનાહો માફ થાય છે તેમ ઈસ્તિગફાર કરવાથી વરસાદ વરસે છે અને બીજી ઘણી નેઅમતો પ્રાપ્ત થાય છે. કુર્આન શરીફમાં હઝરત હૂદ (અલ.) ની નસીહતનું આ શબ્દોમાં વર્ણન છે, જે નસીહત તેઓએ પોતાની કોમને ફરમાવી હતી.
”અને હે મારી કૌમ તમો પોતાના રબથી મગફિરત તબલ કરો અને તેની બારગાહમાં તવબહ કરો તે પાક ઝાત તમારા ઉપર ખૂબ વરસાદ વરસાવશે અને તમારી શકિતમાં વધારો કરી અન્ય શકિત અતા ફરમાવશે અને પાપી બનીને રૂખ ન ફેરવો.” (હૂદ)
બીજી જગ્યાએ હઝરત નૂહ (અલ.)ની નસીહત જે તેઓએ પોતાની કૌમને ફરમાવી હતી તે પણ નકલ ફરમાવી છે :
”અને મેં કહયું કે તમો પોતાના પરવરદિગારથી ગુનાહ માફ કરાવો, બેશક તે મોટો બક્ષીશ કરનાર છે, તમારા ઉપર મુશળાધાર વરસાદ વરસાવશે અને તમારા માલોમાં અને અવલાદમાં પ્રગતિ આપશે અને તમારા માટે બાગ બનાવશે, અને તમારા માટે નહેરો બનાવશે. (નૂહ)
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ પણ મુસિબતો અને ચિંતાઓથી નજાત મેળવવાના અને રોઝી પ્રાપ્ત કરવાના ઉપાય રૂપે ઈસ્તિગફારની પાબંદી કરવા ફરમાવ્યું છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છેઃ
”જે માણસ ઈસ્તિગફારની પાબંદી કરશે, અલ્લાહ તઆલા તેના માટે દરેક મુસીબતથી નિકળવાનો રસ્તો અતા ફરમાવશે અને દરેક ચિંતા દૂર ફરમાવશે અને તેને એવી જગ્યાએથી રોઝી અતા ફરમાવશે જેનો તેને ખયાલ પણ નહીં હોય.” (અબૂ દાવૂદ, અહમદ)
ઈસ્તિગફારનો અફઝલ અને તેની કબૂલિય્યતની વધુ આશાનો વખત રાતનો છેલ્લો છઠઠો ભાગ છે, મુત્તકી મુસલમાનોના ગુણો અને આદતોમાં અલ્લાહ તઆલાએ આ વાતનું વર્ણન ફરમાવ્યું છે કે તેઓ રાતના છેલ્લા ભાગમાં (પોતાની કોતાહીઓથી) ઈસ્તિગફાર કરે છે.” (ઝારિયાત – ૧૮)
માટે વરસાદ પ્રાપ્ત થવાનો પહેલો ઉપાય આ છે કે આપણામાંથી દરેક વ્યકિતગત રીતે પોતાના ગુનાહોથી તવબહ કરે અને મગફિરત તલબ કરે અને સહીહ હદીષ શરીફમાં આ વાત મજકૂર છે કેઃ
અલ્લાહ તઆલા દરેક રાતે છેલ્લા ત્રીજા ભાગમાં આસમાને દુન્યા પર તવજ્જૂહ ફરમાવે છે અને એલાન ફરમાવે છે કે છે કોઈ તવબહ કરનાર? જેની તવબહ હું કબૂલ કરું, છે કોઈ મગફિરતનો તલબગાર? કે જેની મગફિરત કરી આપું. (મઆ. કુર્આન : ૮)
અને અલ્લાહ તઆલા આ વખતે દુઆઓ ખૂબ કબૂલ ફરમાવે છે માટે તહજજૂદની નમાઝ પઢી તવબહ – ઈસ્તિગફાર કરી વરસાદની, રોઝીની અને પૂરી ઉમ્મતની, તથા પોતાની જરૂરતો માટે ઈનફિરાદી દુઆઓ કરવામાં આવે, આ કામની આદત ન હોવાથી તાત્કાલિક અમલ માટે આસાન સૂરત આ છે કે ઈસ્તિસ્કાની નમાઝ પહેલાં ત્રણ દિવસોના રોઝહ રાખી મસ્જિદોમાં એ’અતિકાફ કરી તહજજૂદ તથા બીજા નવાફિલ અને દુઆઓનો એહતેમામ કરવામાં આવે.
ઈસ્તિગફારની જે દુઆઓ હદીષ શરીફોમાં આવી છે તે ઈસ્તિગફારના સૌથી અફઝલ શબ્દો છે, માટે તે અહીંયા નકલ કરવામાં આવે છે :
હઝરત ઈબ્ને ઉમર (રદિ.)નું બયાન છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) દરેક મજલિસમાં સો વખત આ કલિમાત પઢતા હતા.
رَبِّ اغْفِرْلِي وَتُبْ عَلَيَّ اِنَّکَ اَنْتَ التَّوَّابُ الغَفُوْرُ
એ મારા રબ મારી મગફિરત ફરમાવી દે અને મારી તવબહ કબૂલ ફરમાવ, બેશક આપ ખૂબ જ તવબહ કબૂલ કરનાર અને મગફિરત કરનાર છો. (તિર્મિઝી, અબૂ દાઉદ)
ત્રણવાર આ ઈસ્તિગફાર પઢવાથી ગુનાહ માફ થઈ જાય છે.
اَسْتَغْفِرُاللّٰہَ العَظِیْمَ الَّذی لا اِلٰہ اِلاَّ ھُوَ الحَیُّ القَیُّومُ وَاَتُوبُ اِلیْہِ
હું અલ્લાહ તઆલાથી ગુનાહોની મગફિરત ચાહું છું જે મહાન છે, જેના સિવાય કોઈ મઅબૂદ નથી, જે સદા જીવંત અને સંભાળ રાખનાર છે અને હું તેની બારગાહમાં તવબહ કરું છું. (હાકિમ)
ત્રણવાર ઈસ્તિગફારના આ કલિમાત પઢવાથી ગુનાહ પણ માફ થઈ જાય છે.
اَللّٰہُمَّ مَغْفِرَتُکَ اَوْسَعُ مِنْ ذُنُوبِی وَرَحْمَتُکَ اَرجٰی عِنْدِی مِنْ عَمَلِی۔
હે અલ્લાહ તઆલા ! આપની મગફિરત મારા ગુનાહોથી ઘણી વિશાળ છે અને આપની રહમત મારી નજરમાં મારા અમલથી વધારે આશાપાત્ર છે. (હાકિમ)
અને આ શબ્દોમાં પણ ઈસ્તિગફાર કરતા રહેવું જોઈએ.
اَللّٰھُمَّ اِنِّی اَسْتَغْفِرُکَ لِمَا قَدَّمْتُ وَماَ اَخَّرْتُ وَمَا اَعْلَنْتُ وَمَا اَسْرَرْتُ اَنْتَ المُقَدِّمُ وَاَنْتَ المُوَخِّرُ وَاَنْتَ عَلیٰ کُلِّ شَییٍٔ قَدِیْرْ
એ અલ્લાહ પાક હું આપનાથી આ બધા ગુનાહોની માફી ચાહું છું, જે મેં પહેલાં અને પછી કર્યા છે, અને જે જાહેરમાં કર્યા છે અને છુપી રીતે કર્યા છે આપ જ આગળ વધારનાર છો અને આપ જ પાછળ હટાવનાર છો અને આપ દરેક વસ્તુ પર શકિતમાન છો. (હાકિમ)
(ર) નફલ સદકહ
યાદ રાખવું જોઈએ કે ઉપર લખેલા ગંભીર પ્રકારના ગુનાહો અને અન્ય ગુનાહોથી અલ્લાહ તઆલાની શાને ગઝબ જોશમાં આવી જાય છે અને તેના પરિણામે અનેક આફતો ઉતરે છે જેમાંથી એક વરસાદ રોકાણ અને દુકાળ છે અને તે પાક ઝાતનો ગઝબ જમીન, પહાડ, લોઢું, આગ, પાણી અને હવા જેવી સખત અને મજબૂત મખલૂકથી પણ સખત અને સખત છે અને હદીષ શરીફની રોશનીમાં તેને ઠંડો કરવાનો ઉપાય અને અમલ સદકહ છે, માટે પોતાના માલોની ઝકાત અદા કરવાની સાથે સાથે ખાસ એ હેતુથી દરેક કોમના ગરીબોને ખાવા – પીવા અને પહેરવાની તથા દવાની જરૂરતો માટે યથા શકિત નફલ સદકહ પણ આપવો જોઈએ.
(૩) ઈસ્તિસ્કાની નમાઝ
ઉપરોકત વિગત મુજબ તવબહ, ઈસ્તિગફાર કરવામાં આવે અને લોકોમાં ત્રણ નફલ રોઝો રાખવાનું પણ એ’લાન કરવામાં આવે અને ત્રણ નફલ રોઝા રાખ્યા પછી આબાદીના બધા મુસ્લિમ બિરાદરો લગાતાર ત્રણ દિવસ ઈસ્તિસ્કાની નમાઝ અને દુઆ માટે આબાદીથી બહાર ખુલ્લા મેદાનમાં જઈ નમાઝ પઢે અને દુઆ કરે.
(શામી–૧/કબીરી)
ઈસ્તિસ્કાની નમાઝ માટે જવાનો તરીકો :
નમાઝ દુઆ માટે નીકળવાનો તરીકો આ છે કે નીકળતા પહેલાં ગરીબોને સદકો ખૈરાત આપવામાં આવે અને ધોયેલા અથવા થીંગડાવાળા હલકા પ્રકારના કપડાં પહેરવામાં આવે અને નવા અને કિંમતી કપડાં ન પહેરવામાં આવે અને નમાઝની જગ્યાએ જતી વખતે દિલોમાં અલ્લાહ તઆલાનું ધ્યાન અને ડર હોય, પોતાના ગુનાહો ઉપર નદામત અને પસ્તાવો હોય, આજિઝી અને નમ્રતાથી મસ્તકો જમીન તરફ ઝૂકેલા હોય અને ઝબાનો ઉપર ઈસ્તિગફાર જારી હોય. રસ્તે જતાં દુનિયાની વાતો ન કરવામાં આવે, પોતાની સાથે ઘરડા પુરૂષો અને નાના બાળકોને પણ લઈ જવામાં આવે અને પોતાના જાનવરો પણ સાથે લઈ લેવામાં આવે અને ત્યાં નમાઝની જગ્યાએ આસપાસ નમાઝમાં ખલલ ન પડે એ રીતે ઊભા કરી દેવામાં આવે અને મુસ્લિમ માલિકો પોતે પોતાના જાનવરો લઈ જઈ શકતા હોય તો જ લઈ જવા જોઈએ, બાકી તે માટે પોતાના નોકર ચાકરોને સાથે ન લેવા જોઈએ અને નમાઝની જગ્યાએ પગે ચાલીને જવું જોઈએ, કોઈ વાહન ઉપર બેસીને કે સવારી ઉપર સવાર થઈને ન જવું જોઈએ.
નમાઝ અને દુઆનો તરીકો :
ખુલ્લા મેદાનમાં ઈમામ સાહેબ પોતાના મુસલ્લા ઉપર પહોંચી અઝાન– ઈકામત વગર પ્રથમ સફો સીધી કરી બે રકઆત ઈસ્તિસ્કાની મુસ્તહબ નમાઝ પઢાવે. બેહતર છે કે પહેલી રકઆતમાં સૂરએ ‘ફાતિહા પછી ‘સબ્બિહીસ્મ રબ્બિકલ અઅ્લાની સૂરત અને બીજી રકઆતમાં સૂરએ ‘ફાતિહા પછી ‘હલ અતાક હદીસુલ્ ગાશિયહની સૂરત જોરથી કિરાઅત કરી પઢે.
નમાઝ પછી લોકો તરફ મોઢું કરી પોતાની જગ્યાએ જમીન ઉપર ઊભા રહીને અને ચાદર ઓઢીને જુમ્અહની જેમ બે ખુત્બહ પઢે. બન્ને ખુત્બહથી ફારિગ થઈને ઈમામ સાહેબ કિબ્લા તરફ મોઢું કરીને ઊભા રહે અને પોતે ઓઢેલી ચાદરને એ પ્રમાણે ઉલટાવી નાખે કે પોતાના બંને હાથ પીઠ પાછળ લઈ જાય અને જમણા હાથથી ચાદરનો ડાબી બાજુનો નીચેનો છેડો અને ડાબા હાથથી ચાદરનો જમણી બાજુનો નીચેનો છેડો પકડે, પછી જમણા હાથથી પકડેલો છેડો જમણા ખભા ઉપર અને ડાબા હાથથી પકડેલો છેડો ડાબા ખભા ઉપર લઈ આવે. આ પ્રમાણે કરવાથી ચાદરની જમણી બાજુનો ભાગ ડાબી બાજુ અને ડાબી બાજુનો ભાગ જમણી બાજુ થઈ જશે અને ઉપર ખભાવાળો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર થઈ જશે અને આ પ્રમાણે ચાદર ઉલટાવવાનું કામ પહેલા ખુત્બા પછી અને બીજો ખુત્બો શરૂ કરતાં પહેલા કરી લેવામાં આવે તો પણ જાઈઝ છે, ખુત્બો પઢીને અને ચાદર ઉલટાવીને ફારિગ થઈ જાય તો ઈમામ સાહેબ કિબ્લા તરફ મોઢું કરી ઊભા રહે અને લોકો પોતાની જગ્યાએ જ કિબ્લારૂખ થઈને કઅ્દહમાં બેસે એ પ્રમાણે બેસી રહે. તે પછી ઈમામ ઊભા રહીને અને મુકતદીઓ બેસીને રડી–કકડીને અલ્લાહ તઆલા સામે ખૂબ દિલથી દુઆ ગુજારે. ઈમામ સાહેબ જરા અવાજથી દુઆ કરે અને મુકતદીઓ ઈમામની દુઆ પર આમીન કહેતા રહે. દુઆમાં કસરતથી અલ્લાહ તઆલાની હમ્દ અને દુરૂદ શરીફ પઢવામાં આવે, પોતાના ગુનાહોની મગફિરત અને રહમત તથા લાભદાયક વરસાદ માંગવામાં આવે. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી વરસાદની જે દુઆઓ મનકૂલ છે તે દુઆઓ કરવી અફઝલ છે. દુઆ વખતે હાથ એટલા ઉઠાવવામાં આવે કે માથાથી ઊંચા ન થઈ જાય અને પોતાની સામે લાંબા પણ કરવામાં આવે. જયારે ખાસ વરસાદની દુઆ કરે તો બધા જ પોતાની હથેળીઓ આસમાન તરફ રાખે અને મુસીબત દૂર થવાની દુઆ કરતી વખતે હથેળીઓ જમીન તરફ રાખે.
(શામી–૧/ આલમગીરી–૧)
(૪) રહમતે બારાં માટે મસ્નૂન દુઆઓ
یَا رَبِّ یَا رَبِّ یَا رَبِّ اَللّٰہُمَّ أسْقِنَا اَللّٰہُمَّ أسْقِنَا اَللّٰہُمَّ أسْقِنَا اَللّٰہُمَّ اَغِثْنَا، اللّٰہُمَّ اَغِثْنَا ، اللّٰہُمَّ اَغِثْنَا
હે પરવરદિગાર (રહમ ફરમાવો) હે રબ, હે અલ્લાહ તઆલા, તુ અમોને સેરાબ ફરમાવી દે, હે અલ્લાહ તઆલા, તુ અમોને સેરાબ ફરમાવી દે, હે અલ્લાહ તઆલા, તુ અમોને સેરાબ ફરમાવી દે, હે અલ્લાહ તઆલા, તુ હમારી ઉપર રહમત વર્ષા વરસાવ, હે અલ્લાહ તઆલા, તુ હમારી ઉપર રહમત વર્ષા ઉતાર, હે અલ્લાહ તઆલા, તુ હમારી ઉપર રહમત વર્ષા મોકલ.
اَللّٰہُمَّ اسْقِنَا غَیْثاً مُغِیثاً مَرِیْئاً مُرِیْعاَْ نَافِعاً غَیْرَ ضَارٍّ عَاجِلاً غَیْرَ اٰجِل۔
હે અલ્લાહ તુ અમારા પર એવી રહમત વર્ષા વરસાવ કે જે મદદરૂપ, સાનુકુળ, હરિયાળી લાવનાર, લાભદાયક હોય, નુકસાન હોય, તુરત વરસનારી હોય, મોડી આવનાર ન હોય. (મિશ્કાત શરીફ)
اَللّٰہُمَّ اسْقِ عِباَدَکَ وَبَھِیْمَتَکَ وَ انْشُرْ رَحْمَتَکَ وَاَحْیِ بَلَدَکَ المَیِّتَ۔
હે અલ્લાહ, તુ તારા બંદાઓને અને પોતાની રહમત વર્ષા (દરેક જગ્યાએ) ફેલાવી દે અને મૃત (સૂકી) આબાદીને જીવંત (હરિયાળી) બનાવી દે. (મિશ્કાત – અબૂદાઉદ)
اَلْحَمْدُ لِلّٰہِ رَبِّ الْعٰلَمِیْنَ، الرَّحْمٰنِ الرَّحِیْمِ ، مٰلِکِ یَوْمِ الدِّیْنِ، لاَاِلٰہَ اِلاَّ اللّٰہ، یَفْعَلُ مَایُرِیْدُ، اَللّٰھُمَّ اَنْتَ اللّٰہ، لاَاِلٰہَ اِلاَّ اَنْتَ الغَنِیُّ وَ نَحْنُ الفُقَرَاء، اَنْزِلْ عَلَیْنَا الغَیْثَ وَاجْعَلْ مَا اَنْزَلْتَ لَنَا قُوَّۃً وَبَلاَغاً إلیٰ حِیْنَ۔
બધા વખાણો અલ્લાહ તઆલા માટે છે બધા આલમોનો પાલનહાર છે, અતિ મહેરબાન, ખૂબ રહમકરનાર છે, બદલાના દિવસનો માલિક છે, અલ્લાહ તઆલા સિવાય કોઈ ઈબાદતના લાયક નથી, તે જે ચાહે છે તે કરે છે, હે અલ્લાહ તુ જ અલ્લાહ છે, તારા સિવાય કોઈ મઅબૂદ નથી, તુ ગની છે અને અમો મોહતાજ છીએ, તુ અમારા ઉપર રહમતવર્ષા ઉતાર અને જે રહમતવર્ષા વરસાવે તેને એક સમય સુધી અમારા માટે શકિત અને રોઝીનો ઝરિયો બનાવી આપ. (અબૂ દાઉદ – મિશ્કાત)
જયારે વાદળ આવતું જોવે તો આ દુઆ પઢે :
اَللّٰہُمَّ اِنَّا نَعُوذُبِکَ مِنْ شَرِّ مَا اُرْسِلَ بِہِ، اَللّٰھُمَّ سَیْباً نَافِعاً
હે અલ્લાહ તઆલા, અમો તે વસ્તુઓની બુરાઈથી તારી પનાહ માંગીએ છીએ જેને લઈને આ વાદળ મોકલવામાં આવ્યું છે, હે અલ્લાહ તઆલા, લાભકારક વરસાદ વરસાવ.
(હિસ્ને હસીન)
જયારે વરસાદ વરસે તો આ દુઆ પઢે :
اَللّٰھُمَّ صَیْباً نَافِعاً
હે અલ્લાહ તઆલા, ખૂબ વરસનાર અને લાભદાયક વર્ષા વરસાવ. (બુખારી શરીફ) (તાઃ ૯/૯/૧૯૯૯ ઈસવી)
Log in or Register to save this content for later.