[રપ૮] નમાઝે ઈસ્તિસ્કા (વરસાદ માટે નમાઝ)

Chapter : નમાઝ

(Page : 322-323)

સવાલ :– હાલના સંજોગોમાં ઈસ્તિસ્કાની નમાઝ પઢવી જોઈએ કે નહિં અને શું અમલ કરવો જોઈએ ?

જવાબ :– ખેડુત ભાઈઓથી સાંભળવા મુજબ છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન હોવાના કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું છે અને જાનવરોના ઘાસચારા તથા પીવાનાં પાણીની તંગી ઉપસ્થિત થઈ રહી છે.

               મુસ્લિમ બિરાદરોએ આ હકીકત સમજી લેવી જોઈએ કે શરીઅતના બદની અને માલી ફરાઈઝ પ્રત્યેની આપણી ગફલત અને આપણા ગુનાહિત કાર્યોની સજારૂપે અલ્લાહ તઆલા તરફથી વરસાદની અછત અને દુષ્કાળની મુસીબત નાઝિલ થાય છે માટે આ મુસીબતનો બુનિયાદી ઈલાજ તો એ જ છે કે શરીઅતના ફર્ઝો પાબંદી સાથે અદા કરવામાં આવે અને નાના મોટા દરેક પ્રકારના ગુનાહોનો ત્યાગ કરી અત્યાર સુધી થયેલા ગુનાહોથી સાચા દિલથી તવબહ ઈસ્તિગફાર કરવામાં આવે અને ખાસ કરીને બીજાઓના પોતાના શિરે વાજિબ થતા હકકો કાળજીપૂર્વક અદા કરવામાં આવે.

               જો વરસાદની સખત જરૂરત હોય કે કૂવા–તળાવ અને નહેરોના પાણી સૂકાઈ જવાના કારણે પોતાને પીવા અને જાનવરોને પીવડાવવાનું અને ખેત સિંચાઈ માટેનું પાણી ન હોય અથવા તે સૂકાયા તો ન હોય અને તેમાં પાણી તો હોય પરંતુ પીવા અને સિંચાઈ વગેરેની બધી જરૂરતો માટે તે પાણી પૂરતું ન હોય અને વરસાદના અભાવે ખેતી ખરાબ થઈ રહી હોય અને ઘાસચારાની તકલીફ હોય અને તેના કારણે લોકો પરેશાન અને બેચેન બની ગયા હોય તો આવી સૂરતમાં ઉપરોકત વિગત મુજબ તવબહ ઈસ્તિગફાર કરવામાં આવે અને લોકોમાં ત્રણ નફલ રોઝા રાખવાનું પણ એલાન કરવામાં આવે અને ત્રણ નફલ રોઝા રાખ્યા પછી આ આબાદીના બધા મુસ્લિમ બિરાદરો લગાતાર ત્રણ દિવસ ઈસ્તિસ્કાની નમાઝ અને દુઆ માટે આબાદીથી બહાર ખુલ્લા મેદાનમાં જઈ નમાઝ પઢે અને દુઆ કરે.

Log in or Register to save this content for later.