[રપ૪] વાજિબ ઈઆદહ વાળી ફર્ઝ નમાઝમાં મસબૂક માટે શરીક થવાનો તરીકો

Chapter : નમાઝ

(Page : 318-319)

સવાલઃ–કોઈ જમાઅતથી પઢેલી ફર્ઝ નમાઝમાં ઈમામના ઈરાદા પૂર્વક કોઈ વાજિબ છોડી દેવાથી કે ભૂલથી છૂટી જવાથી અને ભૂલથી વાજિબ છુટવા બદલ સજદએ સહવ ન કરવાથી, નમાઝનો ઈઆદહ  કરવો વાજિબ છે, તો આવી વાજિબ ઈઆદહ વાળી નમાઝ બીજી વાર જમાઅતથી પઢવામાં આવે તો પહેલી જમાઅતનો મસબૂક નમાઝી (જેની રકઅત છૂટી હોય) બીજી જમાઅતમાં કેવી રીતે શામેલ થાય? શું નમાઝ તોડીને છૂટેલી રકઆતો પઢયા વગર બીજી જમાઅતમાં શામેલ થાય અથવા પહેલી જમાઅતમાં ઈમામની સલામ પછી પોતાની છૂટેલી રકઆત પઢીને શામેલ  થાય ?

જવાબ :– વાજિબ છુટવાના કારણે જે ફર્ઝ નમાઝ  લોટાવવી  વાજિબ છે, તો પહેલી જમાઅતનો મસબૂક નમાઝી પોતાની પહેલી નમાઝ પૂરી  કર્યા વગર નમાઝ તોડીને બીજી જમાઅતમાં શામેલ ન થાય, બલ્કે પહેલી જમાઅતમાં ઈમામની સલામ પછી પોતાની છુટેલી રકઅતો પઢીને તે નમાઝ પૂરી કરીને ફર્ઝની બીજી જમાઅતમાં શામેલ થાય અને  બહેતર છે કે બીજી જમાઅત પાંચ મિનિટ પછી શરૂ કરવામાં  આવે તાકે મસબૂક નમાઝીઓ પોતાની પહેલી નમાઝ પૂરી કરીને બીજી જમાઅતમાં શરૂથી શામેલ થઈ શકે.

               મસબૂક માટે પોતાની પહેલી નમાઝ પૂરી કર્યા વગર બીજી જમાઅતમાં શામેલ થવું જાઈઝ નથી, જો પહેલી નમાઝ પૂરી કર્યા વગર તે પહેલી નમાઝ તોડીને  બીજી જમાઅતમાં શામેલ થશે તો તેની ફર્ઝ નમાઝ અદા નહિ થાય અને તેણે તે ફર્ઝ  નમાઝ ત્રીજીવાર પઢવી  પડશે, કારણ કે વાજિબ ઈઆદહ વાળી ફર્ઝ નમાઝનો ફર્ઝ તો પહેલી નમાઝથી જ અદા થઈ જાય છે, અને વાજિબ છુટવાથી પહેલી ફર્ઝ નમાઝમાં જે નુકશાન થયું છે, બીજી જમાઅતની  નમાઝ તો માત્ર તે પહેલી નમાઝના નુકસાનની તલાફી માટે અને પુર્તિ રૂપે છે, અસલ ફર્ઝ નમાઝ તો પહેલી જ ગણાશે, બીજી નમાઝ તો વાજિબ અને પૂર્તિ ગણાશે, માટે આ સુરતમાં પહેલી નમાઝ તોડી બીજી જમાઅતમાં શરીક થનાર મસબૂક નમાઝી એવા ઈમામ પાછળ પોતાની ફર્ઝ નમાઝ પઢનાર ગણાશે જે ઈમામ પોતાની ફર્ઝ નમાઝ પહેલી જમાઅતથી પઢી ચૂકયો છે અને બીજી જમાઅતની નમાઝ તો માત્ર તે પહેલી નમાઝના નુકશાનની તલાફી માટે પઢી રહયો છે, જયારે કે મઝકૂર મસબૂક  મુકતદી તો બીજી જમાઅતથી પોતાની ફર્ઝ નમાઝ પઢી રહયો છે, કારણકે તેની પહેલી જમાઅતની નમાઝ તો તોડી નાખવાથી ફાસિદ થઈ ગયેલી ગણાશે.         (શામી ભા.૧/૩૦૬,૩૦૭)

Log in or Register to save this content for later.