Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 126 to 131)
- કબરનો અઝાબ હક અને યકીની છે. કારણ કે નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કબરના અઝાબથી અલ્લાહ પાકની પનાહ માંગી છે અને મુસલમાનોને પણ દરેક નમાઝમાં કબરના અઝાબથી પનાહ માંગવાનો હુક્મ ફરમાવ્યો છે.
વધુ પડતા માણસોને મૃત્યુ બાદ કબર ખોદીને દફનાવવામાં આવે છે. એટલે કબરનો અઝાબ લખ્યું છે. બાકી ડૂબનાર, સળગી જનાર બધા જ માટે આ અકીદો છે. એટલે કબરથી મુરાદ (મતલબ) બરઝખ છે, જે દુનિયા અને આખિરતના વચમાં છે.
- ખરાબ લોકો માટે કબરનો અઝાબ નક્કી છે.
જેમ કે મૃત્યુ બાદના અઝાબનું વર્ણન કરતાં કુર્આને કરીમમાં અલ્લાહ તઆલા ફરમાવે છે : ફરી અલ્લાહપાકે મૂસા (અલયહિ- સ્સલામ)ને તેઓ જે કાવતરાં કરતા હતા તેની બુરાઈથી બચાવી લીધા અને ફિરઔનવાળાઓને બૂરી તરહના અઝાબે ઘેરી લીધા. એટલે કે તે લોકોને સવારે અને સાંજે આગની સામે લાવવામાં આવે છે અને જે દિવસે કિયામત કાયમ થશે (ત્યારે હુક્મ થશે કે) ફિરઔનવાળાઓને બહુ જ સખત અઝાબમાં દાખલ કરો. (સૂરએ મુઅમિન : ૪પ,૪૬)
- કબરના ઇમ્તિહાન અને કસોટી પર તથા કબરના અઝાબ અને નેઅમત પર ઈમાન રાખવું જરૂરી છે. જેમ કે એક હદીષ શરીફમાં ફરમાવ્યું : કબર જન્નત (સ્વર્ગ)ના બગીચાઓમાંથી એક બગીચો છે અથવા જહન્નમ (નર્ક)ના ખાડાઓમાંથી એક ખાડો છે.
- કબરમાં મુન્કર-નકીરનું આગમન અને એમના સવાલો હક્ક અને નિશ્વિત છે.
હઝરત અબૂ હરૈરહ (રદી.) આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમથી એક રિવાયત વર્ણન કરે છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું : જ્યારે કોઈ મય્યતને કબરમાં દફનાવી દેવામાં આવે છે, તો કાળા રંગના ભૂરી આંખોવાળા ફરિશ્તા આવે છે, જેમને મુન્કર-નકીર કહેવામાં આવે છે. (તિર્મિઝી શરીફ, કિતાબુલ જનાઇઝ, બાબ કબરના અઝાબ વિશે) હદીષ શરીફ ઘણી લાંબી છે, જેમાં આગળ સવાલો અને મુરદા તરફથી જવાબોનું વર્ણન છે. ત્યાર બાદ સારા લોકો માટે નેઅમતો અને ખરાબ કૃત્યો કરનારાઓ માટે અઝાબનું વર્ણન છે.
- કબરમાં મય્યિતને શારિરીક અને આત્મિક બન્ને પ્રકારનો અઝાબ થાય છે. જેમ કે ઉપર વર્ણવેલ હદીષ શરીફમાં ઉલ્લેખ છે.
- કેટલાક નેક લોકોને પણ ગુનાહના લીધે અથવા મામૂલી ચૂકને કારણે કબર ભીંસમાં લેશે. જેમ કે હદીષ શરીફમાં એનું વિવરણ મળે છે.
ભાઈઓ તથા બહેનો ! આવો, આપણે થોડોક સમય તે મુબારક હદીષ શરીફની છાંયમાં પસાર કરીએ, જે મૃત્યુના સમય તથા કબરના સવાલો તથા જવાબોનું ચિત્ર રજૂ કરે છે. જેથી આપણે આપણી આવનારી તે મંઝિલની તૈયારી કરી લઈએ. જેમાંથી આપણાં બધાએ પસાર થવાનું છે.
હઝરત બરાઅ્ બિન આઝિબ (રદી.)થી રિવાયત છે કે, એક અન્સારી સહાબીની દફનવિધિ પછી આપ (સલ.)એ કબર પાસે જ બેસી ગયા અને અમને કહૃયું કે, ‘‘(કબરના) અઝાબથી અલ્લાહની પનાહ માંગો. ત્યાર પછી ફરમાવ્યું : ‘‘જ્યારે મુઅમિન બંદાન મૃત્યુનો સમય નજીક આવે છે તો આકાશમાંથી સુંદર ફરિશ્તા આવે છે. તેમની પાસે જન્નતની ખુશ્બૂથી મહેંકતા કફન હોય છે. ત ફરિશ્તાઓ મરનાર પાસે જઈ બેસી જાય છે. અહીં સુધી કે મલકુ મૌત પણ આવી જાય છે. તે મુઅમિન બંદાના માથા પાસે જઈન બેસી જાય છે અને કહે છે : ‘‘હે પાક રૂહ (આત્મા) ! નીકળ અને અલ્લાહપાકની માફી તથા ખુશી તરફ ચાલ. જ્યારે તે રૂહ તેમાંથી નીકળી જાય છે તો તે ફરિશ્તાઓ પલકવારમાં તેને ખુશ્બૂદાર કફન પહેરાવી દે છે. તે કફનમાંથી દુનિયામાં જોવા મળતી બધી ખુશ્બૂઓથી સારી ખુશ્બૂ આવતી હોય છે. ફરિશ્તાઓ તે રૂહને લઈને આકાશો તરફ ચાલ્યા જાય છે. તેઓ જ્યાં જ્યાંથી પસાર થાય છે, ફરિશ્તાઓ તેમનાથી પૂછે છે કે આ પાક રૂહ કોણ છે ? ફરિશ્તાઓ સારા સારા ઈલ્કાબો વડે તેનો પરિચય કરાવે છે કે, આ ફલાણાનો પુત્ર, ફલાણાની પાક રૂહ છે. અહીં સુધી કે તેઓ આ રૂહને લઈને દુનિયાથી નજીકના (પહેલા) આસમાને પહોંચી જાય છે ને આસમાનના દરવાજાઓ ખોલાવે છે. તેઓ માટે દરવાજા ઉઘાડી નાંખવામાં આવે છે. આમ, એક પછી એક આસમાનના ફરિશ્તાઓ તે પાક રૂહને સાતમા આસમાને પહોંચાડી દે છે. પછી અલ્લાહ તબારક વ તઆલા ફરમાવે છે કે, મારા આ બંદાના આઅમાલ (કર્મો) ઈલ્લિય્યીનમાં (સર્વોચ્ચ સ્થાન) લખી લ્યો. અને આ રૂહને ફરી દુનિયામાં લઈ જાઓ. કારણકે મેં તેને જમીનમાંથી પેદા કર્યો છે, તેમાં જ તેને પાછો મોકલી આપીશ અને ફરી તેમાંથી જ તેને ઉભો કરીશ. એટલે તે રૂહને ફરી તે મુઅમિન બંદાના શરીરમાં પાછી મોકલી આપવામાં આવે છે. પછી બે ફરિશ્તાઓ તેની પાસે આવે છે, તેને બેસાડે છે, અને તેનાથી તેના ધર્મ, રબ અને પયગમ્બર અલયહિસ્સલામ વિશે પુછે છે. તે મુઅમિન બંદો તે સવાલોના (સાચા) જવાબો આપે છે, ત્યારે આકાશમાંથી એક અવાજ આવે છે કે, મારા બંદાએ સાચું કહયું, તેના માટે તેની કબરમાં જન્નતનું પાથરણું પાથરી દો. તથા તેને જન્નતનો પોશાક પહેરાવી દો, અને તેની કબરમાં જન્નત તરફની બારી ખોલી દો. તેની કબરમાં જન્નતની હવા (પવન) તથા ખુશ્બૂ આવવા માંડે છે. અને જ્યાં સુધી તેની નજર પહોંચે છે, ત્યાં સુધી તેની કબરને વિશાળ કરી દેવામાં આવે છે. પછી સુંદર વસ્ત્રો પરિધાન કરેલો, ખુશ્બૂમાં મહેંકતો એક સુંદર શખ્સ તેની પાસે આવે છે અને કહે છે કે, ‘‘તમને જે ખુશી આપનારી વસ્તુઓ મળી છે એ તમને મુબારક, આ તે જ દિવસ છે જેનો તમારાથી વાયદો કરવામાં આવ્યો હતો. મુઅમિન બંદો તેનાથી પૂછે છે કે, તમે કોણ છો ? તો તે કહે છે, ‘‘હું તમારો નેક અમલ છું.
રસૂલે અકરમ (સલ.)એ ફરમાવ્યું : ‘‘જ્યારે કોઈ કાફિર (ઈન્કારી) બંદાના મૃત્યુનો સમય આવે છે તો અત્યંત કદરૂપ ફરિશ્તાઓ અત્યંત ગંધાતુ કફન લઈને આવે છે. અને તેની પાસે બેસી જાય છે. અહીં સુધી કે મૌતનો ફરિશ્તો પણ તેના માથા પાસે આવીને બેસી જાય છે. અને કહે છે : ‘હે નાપાક રૂહ ! નીકળ અને અલ્લાહની નારાજગી તથા ગુસ્સા (ક્રોધ) તરફ ચાલ. જ્યારે તેની રૂહ નીકળી જાય છે, તો ફરિશ્તાઓ પલકવારમાં તે નાપાક રૂહને પેલુ ગંદુ કફન પહેરાવી દે છે. તેનાથી બહુ જ ખરાબ દુર્ગંધ વછૂટે છે. તે ફરિશ્તાઓ જ્યાં જ્યાંથી પસાર થાય છે, અન્ય ફરિશ્તાઓ પૂછે છે કે, આ નાપાક રૂહ કોણ છે ? ફરિશ્તાઓ બહુ જ ખરાબ ઈલ્કાબોથી તેનો પરિચય કરાવે છે કે, આ ફલાણાનો પુત્ર ફલાણાની રૂહ છે. અહીં સુધી કે જ્યારે તેઓ પહેલા આસમાને પહોંચે છે, અને આસમાનના દરવાજા ખોલાવવા માંગે છે, તો દરવાજો ખોલવામાં નથી આવતો. ત્યાર પછી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે આ આયત તિલાવત ફરમાવી. જેનો અર્થ એ છે કે, ‘‘તેઓ માટે આસમાનના દરવાજા ઉઘાડવામાં આવશે નહીં.
ત્યાર પછી અલ્લાહ તઆલા ફરમાવે છે કે, મારા બંદાના અઅમાલ સિજ્જીન (નીચા સ્થાન)માં લખી લેવામાં આવે. ત્યાર પછી તેની રૂહને તેના શરીરમાં પાછી મોકલી દેવામાં આવે છે. બે ફરિશ્તાઓ તેની પાસે આવે છે, તેને બેસાડે છે અને તેના દીન (ધર્મ), રબ (ઉપાસ્ય) અને પયગમ્બર વિશે પૂછે છે. તો તે અફસાસે કરવા માંડે છે, અને કહે છે કે, હું કશું નથી જાણતો. આકાશમાંથી અવાજ આવે છે કે, ‘‘મારા બંદાએ જુઠુ ઠરાવ્યું. તેના માટે નર્કનો બિસ્તરો બિછાવી દો. અને તેની કબરની બારી જહન્નમની બાજુ ખોલી દો. અહીં સુધી કે તેમાં જહન્નમની ગરમી તથા પવન આવાવ માંડે છે. તેની કબર એટલી સાંકડી કરી દેવામાં આવે છે કે, તેની પાંસળીઓ એકબીજામાં ઘૂસી જાય છે. ત્યાર પછી એક બદસૂરત, બદબૂદાર શખ્સ તેની પાસે આવે છે અને કહે છે કે, ‘‘તને જે ખરાબ વસ્તુઓ મળી છે, તે તને મુબારક ! આ તે દિવસ છે જેનો તારાથી વાયદો કરવામાં આવ્યો હતો. તે ગેર મુઅમિન બંદો તેનાથી પૂછે છે કે, ‘ ‘તું કોણ છે ? તે જવાબ આપે છે કે, ‘‘હું તારા ખરાબ આઅમાલ (કર્મો) છું. આ જોઈ પેલો કાફિર બંદો કહે છે કે, હે ખુદા ! હવે કિયામત નહીં સર્જતા. [નસઈ, ઈબ્ને માજહ, અબૂ દાઉદ, મુસ્નદે અહમદ]
આ બરકતવંત હદીષ તે પ્રત્યેક વ્યક્તિ માટે વિચારણીય છે, જેના નસીબમાં મોત લખાયું છે, માટીમાં ભળવાનો જેનાથી વાયદો કરવામાં આવ્યો છે, કબરની માટી તેનું બિછાનું બનવાનું છે, કીડાઓ તેના સાથી છે, મુન્કર–નકીર તેનાથી પ્રશ્ન કરનાર છે, તેના કર્મો તેના ભાઈબંધ છે, કબર તેનું ઠેકાણું છે, કિયામત સર્જાવાનો જેનાથી વાયદો કરવામાં આવ્યો છે, તથા જેને જન્નત અથવા જહન્નમ કોઈ એકમાં જવાનું છે. જે શખ્સ સામે આવા પડાવ આવવાના હોય, તેણે મુડદાઓ (મૃતકો)ની દફનવિધિ તથા કબ્રસ્તાનની મુલાકાત વેળા પોતાની આ મંઝિલો તથા તેની સામે આવનાર તબક્કાઓથી ગાફેલ ન રહેવું જોઈએ.
હઝરત બરાઅ્ બિન આઝિબ (રદી.)થી રિવાયત છે કે, એક વખત અમે આપ (સલ.) સાથે હતા. રસૂલે અકરમ (સલ.)એ જોયું કે, કેટલાક અન્ય સહાબીઓ કોઈ વસ્તુની આજુબાજુ એકઠા થયેલા છે. આપ (સલ.)એ પૂછયું કે, ‘‘તેઓ શા માટે એકત્ર થયેલા છે. આપ (સલ.)ને બતાવવામાં આવ્યું કે, આ લોકો કોઈને દફનાવવા માટે કબર ખોદી રહૃયા છે. આપ (સલ.) ઝડપથી ચાલીને કબર પાસે પહોંચી ગયા. કબરને જોઈ આપ ભાવવિભોર થઈ ગયા. ત્યાર પછી આપ (સલ.)એ સહાબાથી પૂછયું : ‘‘હે મારા ભાઈઓ! આ દિવસ માટે તૈયારી કરો. [ઈબ્ને માજહ, મુસ્નદે અહમદ] Log in or Register to save this content for later.