Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 114 to 118)
- જેણે નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને ઈમામની હાલતમાં જોયા હોય અથવા જે આપની સેવામાં હાજર થયા હોય અને ઈમાન પર જ એમની વફાત થઈ હોય, તો એવા માણસને સહાબી કહે છે.
- બધા જ સહાબા નેક અને ન્યાયપ્રિય હતા.
અલ્લાહ તઆલા એમની નેકી અને પરહેઝગારીની પ્રશંસા કરતાં ફરમાવે છે : અલ્લાહપાકની નેઅમત અને કૃપા પર તથા આ વાત પર આનંદ મનાવે છે કે, અલ્લાહપાક ઈમાનવાળાઓની મહેનત અકારત કરતો નથી. જેઓએ (લડાઈમાં) ઘવાયા પછી પણ અલ્લાહ અને રસૂલનો હુકમ માન્યો, તેઓમાં જે નેક અને પરહેઝગાર છે તેમને માટે (આખિરતમાં) મહાન બદલો છે. (સૂરએ આલિ ઈમરાન : ૧૭૧-૧૭ર)
- સહાબએ કિરામ રદીયલ્લાહુ અન્હુમ દરજ્જાની રીતે પરસ્પર નાના-મોટા છે. અલબત્ત, દરેક સહાબા (રદીયલ્લાહુ અન્હુમ) બાકી સઘળી ઉમ્મતથી અફઝલ અને સર્વશ્રેષ્ઠ છે.
- હુઝૂર નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના પ્રથમ ખલીફા હઝરત અબૂબક્ર, બીજા ખલીફા હઝરત ઉમર, ત્રીજા ખલીફા હઝરત ઉષ્માન અને ચોથા ખલીફા હઝરત અલી રદીયલ્લાહુ અન્હુમ છે.
- ચારે ખલીફા સઘળા સહાબામાં સર્વશ્રેષ્ઠ અને મહાન છે.
જેમકે હદીષ શરીફમાં હઝરત અબૂબક્ર રદીયલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું કે, આ ઉમ્મતમાં નબી પછી સર્વશ્રેષ્ઠ અબૂબક્ર છે અને બધા સહાબાએ ઉપરોક્ત ચાર સહાબાને ખલીફા તરીકે પસંદ કર્યા. કારણ કે તેમને સઘળા સહાબા શ્રેષ્ઠ સમજતા હતા. અને આ ચાર સહાબાની મહાનતા વિશે હદીષો પણ છે.
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદી.) ફરમાવે છે કે, નબીએ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના સમયમાં અમે કોઈને પણ હઝરત અબૂબક્ર સિદ્દીક (રદી.)ના સમાન ગણતા ન હતા. એમના પછી હઝરત ઉમર(નો દરજ્જો ગણતા હતા) અને એમના પછી હઝરત ઉષ્માન. એ પછી કોઈ સહાબીને કોઈનાથી શ્રેષ્ઠ સમજતા ન હતા. (અને બધાને સમાન ગણતા હતા.) હઝરત અલી (રદી.) વિશે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : શું તમે એ વાતે ખુશ (રાજી) નથી કે તમારો દરજ્જો મારી સામે એ રીતે હોય, જે રીતે હઝરત હારૂન અલયહિસ્સલામનો હઝરત મૂસા અલયહિસ્સલામ પાસે હતો. ફર્ક એટલો જ છે કે (આ બંને નબી હતા અને) મારા પછી કોઈ નબી નથી.
- અલ્લાહ તઆલાએ કુર્આન શરીફમાં દરેક સહાબાથી પોતાની પ્રસન્નતા (ખુશ હોવું) અને રઝામંદી (રાજી હોવું) ફરમાવી છે.
કુર્આન શરીફમાં છે : તેમનો પરવરદિગાર તેમને અતિશય ખુશ્નૂદીની તેમજ એવા બગીચાઓની ખુશખબર આપે છે, જેમાં તેઓ માટે સદાની નેઅમતો છે. (સૂરએ તવબહ : ર૧) તેમને એવા બગીચાઓમાં દાખલ કરશે, જેમની નીચે નહેરો વહેતી હશે, તેમાં તેઓ સદા રહેશે. અલ્લાહપાક તેઓથી રાજી થશે અને તેઓ તેનાથી રાજી થશે. તેઓ જ અલ્લાહપાકના સૈનિકો છે. હા, સાંભળો ! બેશક અલ્લાહપાકના સૈનિકો જ સફળ થનાર છે. (સૂરએ મુજાદલહ : રર)
- અમે અશરએ મુબશ્શરહને જન્નતી માનીએ છીએ.
નોંધ : એટલે કે દસ સહાબા જેમને અલ્લાહ તઆલાના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ જન્નતી (સ્વર્ગવાસી) હોવાની ખુશખબરી દુનિયામાં જ આપી દીધી હતી. અબૂબક્ર, ઉમર, ઉષ્માન, અલી, તલ્હા, ઝુબૈર, અબ્દુર્રહમાન બિન ઔફ, સઅદ બિન અબી વક્કાસ, સઈદ બિન ઝૈદ, અબૂ ઉબૈદહ બિન જર્રાહ (રદીયલ્લાહુ તઆલા અન્હુમ).
તિરમિઝી શરીફમાં હઝરત અબ્દુર્રહમાન બિન ઔફ (રદી.)એ ઉપરોક્ત દસ સહાબાઓના નામો સાથે રિવાયત વર્ણન કરી છે.
- સહાબએ કિરામ, અઝ્વાજે મુતહ્હરાત (આપ સલ.ની પાકપુનિત પત્નીઓ) અને અહલે બૈતની મુહબ્બત દીન અને ઈમાનનો અંશ છે. એમનાથી દુશ્મની અને કપટ રાખવું કુફ્ર (કાફિર થઈ જવું), નિફાક (ઉપરછલ્લો મુસલમાન અને દિલથી કાફિર), દંભ અને અનાદરની નિશાની છે.
જેમકે એક હદીષમાં ફરમાવ્યું : મારા સહાબા વિશે બુરૂ-ભલું ના કહો, અલ્લાહ તઆલાથી ડરો. મારા સહાબા વિશે બુરૂં બોલવાથી અલ્લાહપાકથી ડરો. ત્યાર બાદ બીજી એક-બે બાબતો ફરમાવ્યા બાદ કહ્યું : અને મારા અહલે બૈત વિશે પણ, હું તમને મારા અહલે બૈત વિશે (બુરૂં બોલવામાં) અલ્લાહ(ના ડર)ની યાદ અપાવું છું. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ)
- સહાબએ કિરામ (રદી.)થી કપટ, કીનો, દ્વેષ અને દુશ્મની રાખનાર સાથે પણ કપટ અને દુશ્મની રાખવી જોઈએ.
અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું કે, જેણે એમની સાથે મુહબ્બત રાખી, એણે મારી સાથે મુહબ્બતના કારણે એમની સાથે મુહબ્બત રાખી. અને જેણે એમની (સહાબાની) સાથે કપટ (અને દુશ્મનાવટ) રાખી, તો તેણે મારી સાથે કપટ (અને) દુશ્મનીના કારણે એમની સાથે કપટ અને દુશ્મની રાખી.
- સહાબએ કિરામ (રદી.)નો ઉલ્લેખ અત્યંત મુહબ્બતની સાથે કરવો જોઈએ.
કારણ કે અલ્લાહ તઆલા કુર્આનમાં તેમનો ઉલ્લેખ કરતાં ફરમાવે છે કે, જેઓને અલ્લાહપાક ચાહતો હશે અને તેઓ તેને ચાહતા હશે તેઓ મુસ્લિમો પ્રત્યે મહેરબાન (અને) કાફિરો પર જોરાવર હશે. (સૂરએ માઈદહ : પ૪) તો સહાબા સાથે અલ્લાહપાક મુહબ્બત કરે છે અને જેમને નબી પણ ચાહે છે. તેમનો ઉલ્લેખ આદર, ઈઝઝત અને અદબ સાથે કરવો જ રહ્યો.
- દરેક સહાબી પ્રતિષ્ઠિત (સન્માનનીય) છે. એમાંથી કોઈ એક સહાબી વિશે પણ બદગોઈ (બુરૂ બોલવું) જાઈઝ નથી.
- કોઈ સહાબીની પ્રશંસા કે તારીફમાં હદ વટાવવી નહીં અને કોઈ સહાબીથી બેઝારી (વિમુખ થવું અને નફરત) પણ વ્યક્ત કરવી નહીં. જેમકે ઉપર હદીષ આવી ચૂકી છે કે, એમની સાથે દુશ્મની નબી સાથે દુશ્મની કરવા બરાબર છે. તો એમની સાથે નફરતમાં પણ એમ જ સમજવું જોઈએ.
- કોઈ સહાબી દરજ્જામાં કોઈ નબીને આંબી શકતા નથી. કારણ કે સહાબા અને સઘળી ઉમ્મતને નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પેરવી અને ફરમાંબરદારીનો હુકમ આપ્યો છે. જેથી આપનો દરજ્જો ઉપર રહેશે.
- કોઈ વલી દરજ્જામાં કોઈ સહાબીને આંબી શકતા નથી. કારણ કે સહાબા માટે અલ્લાહ તઆલાએ રાજી અને ખુશ હોવાનું કુર્આન શરીફમાં જાહેર એલાન કરી દીધું. અને તેમને નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના દીદાર અને આપની મજલિસોમાં બેસવાનો મોકો મળ્યો એ જ શું ઓછું છે ? આ વસ્તુઓ વલીને પ્રાપ્ત નથી અને સહાબએ કિરામ માટે બીજી ફઝીલતો અલગ.
- સહાબએ કિરામ (રદી.)ના પારસ્પરિક મતભેદો અને સંઘર્ષો વિશે ચૂપકીદી રાખવામાં જ સાવચેતી અને સલામતી છે.
- સહાબએ કિરામ (રદી.)ની ટીકા કરવાથી બચવું જોઈએ. એમાં જ ઈમાનની સુરક્ષા છે.
- કોઈ પણ સહાબી વિશે બુરૂં બોલવું જાઈઝ નથી. જેમકે આગળ હદીષ આવી ગઈ છે કે, મારા સહાબા વિશે (બુરૂં) બોલવામાં અલ્લાહપાકથી ડરો.
- અહલે સુન્નત વલ જમાઅત સહાબએ કિરામ (રદી.) વિશે કોઈ પણ અયોગ્ય અને અશોભનીય વાત કહેવાથી પોતાના દિલ અને ઝબાનને મહફૂઝ રાખે છે.
હઝરત અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ (રદી.) રિવાયત કરે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : તમે અલ્લાહ તઆલાથી ડરો, અલ્લાહ તઆલાથી ડરો મારા સહાબા બાબતે (બૂરૂ ભલુ બોલવાથી), મારા (જગતથી વિદાય થઈ ગયા) પછી એમને (પોતાના સ્વાર્થ ખાતર) નિશાન બનાવવાથી બચો. જેણે એમની સાથે મુહબ્બત રાખી, તેણે મારી સાથે મુહબ્બત હોવાના કારણે એમનાથી મુહબ્બત રાખી, અને જેમણે એમનાથી દ્વેષ (કપટ) રાખ્યો, તો તેણે મારી સાથે દ્વેષ હોવાને લઈ એમનાથી દ્વેષ રાખ્યો. અને જેમણે એમને તકલીફ પહોંચાડી, તેણે મને તકલીફ પહોંચાડી. અને જેણે મને તકલીફ પહોંચાડી, તેણે અલ્લાહપાકને તકલીફ પહોંચાડી અને જેણે અલ્લાહ તઆલાને તકલીફ પહોંચાડી, તો હવે ભય છે કે, અલ્લાહપાક તેની પકડ કરી લે. (મુસ્નદે અહમદ : પ૪, પપ/પ)
Log in or Register to save this content for later.