Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)
(Page : 78 to 87)
- જો કોઈ મૂંગો માણસ જીભથી એકરાર કરી શકતો નથી, પરંતુ દિલથી માને છે, તો એ મુઅમિન ગણાશે. કારણ કે ઈમાનની હકીકત અસલમાં દિલથી સત્ય માનવું છે.
- દીન (મઝહબ)ના ફરજોને દિલના યકીન અને મોઢેથી એકરારકરવાનું નામ ઈમાન છે.
કુર્આન શરીફમાં છે : હે રસૂલ ! જે લોકો દોડી દોડીને (કુફ્રની વાતો)માં પડે તેથી આપ દિલગીર થશો નહીં. ભલેને તેઓ એવા લોકોમાંથી હોય, જેઓ પોતાના મોઢેથી એમ કહે છે કે અમે ઈમાન લાવ્યા છીએ, પણ (ખરૂં જોતાં) તેઓના દિલ યકીન રાખતા નથી. (સૂરએ માઈદહ : ૪૧) જેઓ અલ્લાહ તઆલા પર તથા આખિરતના દિવસ પર સંપૂર્ણ યકીન રાખે છે, તેમને આપ એવા લોકો સાથે મિત્રતા કરતાં જોશો નહીં, જેઓ અલ્લાહ તઆલા અને તેના રસૂલના વિરૂદ્ધ થયા છે. ભલેને તેઓ તેમના બાપ હોય કે દીકરા હોય અથવા તેમના ભાઈ હોય કે તેમના કુટુંબી હોય. એમના જ દિલોમાં અલ્લાહ તઆલાએ ઈમાન લખી (જમાવી) દીધું છે. (સૂરએ મુજાદલહ : રર)
- ઈમાન અને ઇસ્લામ એક જ વસ્તુનું નામ છે.
- મુઅમિન બંદો ત્યાં સુધી કાફિર બનતો નથી, જ્યાં સુધી કે તે એ હકીકતોનો ઈન્કાર ન કરે, જેને કારણે એ ઈમાનમાં દાખલ થયો હતો.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : અને જ્યારે તેઓ (બની ઈસ્રાઈલ) સબર કરતા રહ્યા, તો અમે તેઓમાંથી ઘણા (દીની) આગેવાનો બનાવ્યા. એ અમારી આજ્ઞા અનુસાર (તેઓને) સીધા માર્ગે ચલાવતા હતા. અને તેઓ અમારી આયતોનું યકીન રાખતા હતા. (સૂરએ સિજદહ : ર૪) અને નાફરમાનો સિવાય કોઈ અમારી આયતોનો ઈન્કાર કરતું નથી. (સૂરએ અનકબૂત : ૪૭)
- ઈમાન અને અઅ્માલ બન્નેવ અલગ-અલગ વસ્તુઓ છે. ઈમાન છોડવાથી માણસ ઈમાનમાંથી નીકળી જાય છે, જ્યારે અઅ્માલ છોડવાથી ઈમાનથી નીકળી જતો નથી, ગુનેહગાર થાય છે. અઅ્માલ અને સદ્કાર્યો ઈમાનનો અંશ નથી. હા, સંપૂર્ણ (કામિલ) ઈમાનનો અંશ જરૂર છે.
કુર્આન શરીફમાં ફરમાવ્યું : ફરી અમે તે લોકોને (કુર્આનના) વારિસ બનાવ્યા, જેમને અમે અમારા (સઘળા) બંદાઓમાંથી ચૂંટી લીધા, ફરી તેઓમાંથી કોઈ (ગુનોહ કરી) પોતાનું બુરૂં કરે છે, અને તેઓમાંથી અમૂક દરમિયાની ચાલ પર છે, અને તેઓમાંથી અમૂક અલ્લાહ તઆલાની તવફીકથી આગળ ધપી રહ્યા છે. (સૂરએ ફાતિર : ૩ર)
- ગુનાહે કબીરહ (મોટા ગુનાહ)ના આચરણથી મુઅમિન કાફિર બનતો નથી. અલબત્ત, એનાથી એના ઈમાનની રોનક બાકી રહેતી નથી.
કુર્આન શરીફમાં આપસમાં લડાઈ-ઝઘડા અને મારધાડ કરવા છતાં તેમને મુઅમિન કહી સંબોધન કર્યું : મુઅમિન (મુસલમાનો) તો સૌ (ધાર્મિક) ભાઈ જ છે. માટે પોતાના બે ભાઈઓ વચ્ચે મેળાપ કરાવી આપો અને (તે વેળા) અલ્લાહપાકથી ડરતા રહો કે જેથી તમારા ઉપર રહમ થાય. (સૂરએ હુજુરાત : ૧૦)
- નેક કાર્યોમાં વધારો-ઘટાડો થવાથી ઈમાનની વાસ્તવિક્તામાં વધારો-ઘટાડો થતો નથી. હા, યકીન (શ્રદ્ધા)માં વધારો થાય છે.
- ગુનેહગાર મુઅમિનને અલ્લાહ તઆલા ચાહશે, તો ગુનાહોના પ્રમાણમાં સજા આપીને જન્નતમાં મોકલશે અથવા ચાહશે તો માફ કરી દેશે.
કુર્આન શરીફમાં છે : ફરી ચાહે તેને માફ (ક્ષમા) કરશે અને ચાહે તેને સજા (શિક્ષા) કરશે. (સૂરએ બકરહ : ર૮૪) શું આપને ખબર નથી કે આકાશો અને પૃથ્વીની સત્તા અલ્લાહપાકની જ છે ? તે ચાહે તેને (શિક્ષાના પાત્ર હોય તો) શિક્ષા કરે છે અને ચાહે તેને (ક્ષમાના પાત્ર હોય તો) બખ્શી દે છે. અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર સંપૂર્ણ શક્તિમાન છે. (સૂરએ માઈદહ : ૪૦)
- કામિલ (સંપૂર્ણ) મુઅમિન દોઝખમાં જશે નહીં, બલ્કે તે હંમેશા જન્નતમાં રહેશે.
કુર્આન શરીફમાં છે : અને જે લોકો (અલ્લાહપાક અને રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર) ઈમાન લાવ્યા તથા નેક કામો કર્યા, તે લોકો જ જન્નતી છે. અને તેઓ તેમાં સદા રહેશે. (સૂરએ બકરહ : ૮ર) અલ્લાહપાકે મુઅમિન પુરૂષો અને મુઅમિન સ્ત્રીઓને એવા બગીચાઓનો વાયદો આપ્યો છે, જેમની નીચે નહેરો વહેતી હશે. જેમાં તેઓ સદા રહેશે. (સૂરએ તવબહ : ૭ર)
- મૃત્યુ વેળા (સકરાત)નું ઈમાન સ્વીકાર્ય નથી.
કુર્આન શરીફમાં ફિરઔન કસમયે ઈમાન લાવ્યો તેનો ઉલ્લેખ કરતાં ફરમાવ્યું : બની ઈસ્રાઈલે દરિયો પાર કરી લીધા પછી ફિરઔન પોતાના લશ્કર સાથે શરારત અને જુલ્મના ઈરાદાથી તેમની પાછળ (સમુદ્રમાં) પડ્યો. એટલે સુધી કે જ્યારે તે ડૂબવા લાગ્યો, તો (ગભરાઈને) બોલી ઉઠ્યો કે હું ઈમાન લાવ્યો કે જે અલ્લાહ તઆલા પર બની ઈસ્રાઈલ ઈમાન લાવ્યા છે. તેના સિવાય કોઈ મઅબૂદ નથી અને હું મુસલમાનોમાં શામેલ થાઉં છું. (ઉત્તર મળ્યો કે) હવે એવું બોલે છે !!! અને એથી પહેલાં તો નાફરમાની જ કરતો રહ્યો અને ગુમરાહીમાં રહ્યો. (સૂરએ યૂનુસ : ૯૦-૯૧)
- મરતી વેળાની તૌબા પણ કબૂલ થતી નથી.
અલ્લાહ તઆલા ફરમાવે છે : અને જેઓ દુષ્ટ કામ કર્યે જ જાય છે, એટલે સુધી કે જ્યારે તેઓમાંથી કોઈની સામે મૌત આવી ઉભું રહે, ત્યારે કહેવા લાગે કે હવે હું તૌબા કરૂં છું. તો એવા લોકોની તૌબા (કબૂલ થતી) નથી તેમજ જેઓ કુફ્રની હાલતમાં મરે છે, તેમની પણ (તૌબા કબૂલ) થતી નથી. (સૂરએ નિસાઅ : ૧૮)
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદી.) હુઝૂરે પાક સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમથી રિવાયત વર્ણન કરે છે કે, અલ્લાહપાક પોતાના બંદાની તૌબા ત્યાં સુધી કબૂલ કરતો રહે છે, જ્યાં સુધી તેની રૂહ (આત્મા) ગળા સુધી ન પહોંચી જાય. (એટલે કે સકરાતની પહેલા સુધી તૌબા કબૂલ કરે છે.) (ઈબ્ને માજહ, કિતાબુઝઝુહદ, તૌબા વિશેનો બાબ, હદીષ નં.૪રપ૩)
- ઈમાન અને કુફ્રમાં આખરી હાલત (ખાતિમા)નો એતેબાર થાય છે.
કુર્આન શરીફમાં છે : બેશક, જે લોકો કાફિર થયા અને કુફ્રની જ સ્થિતિમાં મરી ગયા, ત્યારે જો એવા લોકોમાંથી કોઈ (છૂટકારા માટે) બદલામાં પૃથ્વી ભરીને સોનું આપે તો પણ કદાપિ સ્વીકારવામાં આવશે નહીં. (સૂરએ આલિ ઈમરાન : ૯૧) ખરેખર, તે (લોકોમાંથી) જેઓ ઇસ્લામ લાવે નહીં અને એ જ કુફ્રની હાલત પર મૃત્યુ પામે, તેવા જ લોકો પર અલ્લાહપાકની તથા ફરિશ્તાઓની તેમજ લોકોની સૌની લાનત (ફિટકાર) છે. (સૂરએ બકરહ : ૧૬૧)
હઝરત મુઆઝ બિન જબલ (રદી.) રિવાયત વર્ણન કરે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : જેના અંતિમ શબ્દો ‘લા ઈલાહ ઈલ્લલ્લાહ’ હશે, તે જન્નતમાં પ્રવેશશે. (અબૂ દાવૂદ, કિતાબુલ જનાઈઝ, (મૃત્યુ વેળા) તલકીન કરવા વિશેનો બાબ, હદીષ નં.૩૧૧૬)
- ગુનાહને હલાલ સમજવાથી ઈમાન જતું રહે છે.
- અલ્લાહપાક અને તેના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કોઈ વાતમાં શંકા કરવાથી, એને જૂઠાડવાથી, એની ઠેકડી ઉડાડ -વાથી, એમાં ક્ષતિ-ખામી શોધવાથી, એને હલકી સમજવાથી ઈમાન જતું રહે છે.
કુર્આન શરીફમાં છે : અને સાચે જ અલ્લાહ તઆલા તમારા ઉપર કુર્આનમાં આ હુકમ ઉતારી ચૂક્યો છે કે, જ્યારે તમે (કોઈ બેઠકમાં) અલ્લાહ તઆલાના હુકમોનો ઈન્કાર અને તેની હાંસી ઉડાવતા સાંભળો, તો તમે તે લોકોની સાથે ન બેસો. એટલે સુધી કે તેઓ અન્ય કોઈ વાતમાં લાગે નહીં. (જો એમ નહિં કરો તો) બેશક, તમે પણ (ગુનાહમાં) તેઓના જેવા જ થઈ જશો. બેશક, અલ્લાહ તઆલા એવા મુનાફિકો અને કાફિરોને જહન્નમમાં એક જ સ્થળે ભેગા કરશે. (સૂરએ નિસાઅ : ૧૪૦) બેશક, આ ઠઠ્ઠા કરનારાઓને આપના તરફથી અમે બસ છીએ. (સૂરએ હિજ્ર : ૯પ) આ (અઝાબ)નું કારણ એ છે કે, તમે અલ્લાહપાકની આયતોની મશ્કરી કરી હતી અને દુનિયાની જિંદગીએ તમને ધોકામાં નાખ્યા હતા. તો આજે તેઓને દોઝખમાંથી કાઢવામાં આવશે નહિં અને ન તેઓથી તૌબાની માંગણી થશે. (સૂરએ જાષિયહ : ૩પ) બેશક, ઈમાનવાળા તો તે લોકો જ છે, જેઓ અલ્લાહપાક પર અને તેના રસૂલ પર ઈમાન લાવ્યા. ફરી કંઈ શંકા ન કરી. અને પોતાના માલ અને જાન વડે અલ્લાહપાકના માર્ગમાં કષ્ટ વેઠ્યા, તે લોકો જ સાચા છે. (સૂરએ હુજુરાત : ૧પ)
- ઈમાન ખૌફ (ડર) અને ઉમ્મીદમાં છે. એટલે કે મુઅમિને અલ્લાહપાકના અઝાબથી ડરવું જોઈએ અને એની રહમતની પણ ઉમ્મીદ રાખવી જોઈએ.
કુર્આન શરીફમાં છે : તે હસ્તીઓ જેમને આ મુશ્રિકો પુકારે છે, તે ખુદ પોતાના પરવરદિગાર તરફ વસીલો શોધે છે કે તેઓમાં ક્યો બંદો વધારે નજીક છે. અને તેઓ તેની રહમતની આશા રાખે છે અને તેના અઝાબથી ડરે છે. (બની ઈસ્રાઈલ : પ૭) (રાત્રે) તેમના પડખાં બિછાણાઓથી અળગા રહે છે. તેઓ પોતાના પરવરદિગારને ડર (ખૌફ) તથા આશાપૂર્વક (ઉમ્મીદથી) પુકારે છે. (સિજદહ : ૧૬)
- દિલની તસ્દીક (પુષ્ટિ) જ્યારે ફૂટીને અવયવો પર જાહેર થઈ જાય, તો એનું નામ ઇસ્લામ છે. અને જ્યારે ઇસ્લામ દિલમાં ઉતરી જાય, તો એનું નામ ઈમાન છે.
કુર્આન શરીફમાં છે : આ (અમૂક) ગામડીયા કહે છે કે, અમે ઈમાન લાવ્યા. આપ ફરમાવી દો કે તમે ઈમાન લાવ્યા નથી, પરંતુ તમે એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા. અને ઈમાન તો હજુ સુધી તમારા દિલોમાં પ્રવેશ્યું જ નથી. (સૂરએ હુજુરાત : ૧૪)
- ઝુલ્મ, જબરદસ્તી અને દમનકારીથી કોઈ ઇસ્લામનો ઈન્કાર કરવા મજબૂર કરે, તો માત્ર જીવ બચાવવા ખાતર જીભથી ઈન્કાર કરવાની ગુંજાઈશ છે. દિલથી યકીન રાખવું જરૂરી છે.
કુર્આને પાકમાં ફરમાવ્યું : જે કોઈ ઈમાન લાવ્યા પછી અલ્લાહ તઆલાની સાથે કુફ્ર કરે, પણ તે માણસ નહીં જેના ઉપર બળજબરી કરવામાં આવે અને એનું દિલ ઈમાન પર કાયમ હોય (તો તેના પર કોઈ દોષ નથી), પરંતુ જે કોઈ ખુલ્લા મને કાફિર થયો, તો એવા લોકો પર અલ્લાહ તઆલાનો ગુસ્સો છે અને તેમના માટે મહાન અઝાબ છે. (સૂરએ નહલ : ૧૦૬)
- ઇસ્લામની બુનિયાદ પાંચ વસ્તુઓ પર છે (ઇસ્લામના પાંચ અરકાન છે) : (૧) અલ્લાહ તઆલા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ અલ્લાહ તઆલાના બંદા અને અંતિમ રસૂલ છે, એ વાતની ગવાહી આપવી, (ર) નમાઝ કાયમ કરવી, (૩) રોઝા રાખવા, (૪) સાબધારી માણસે ઝકાત અદા કરવી, (પ) શક્તિશાળી માણસે હજ્જ કરવી. (આ પાંચ અરકાનની છણાવટ બુખારી શરીફ અને મુસ્લિમ શરીફમાં કરવામાં આવી છે.)
- ઈમાનના સાત (૭) અરકાન છે. દરેક મુઅમિને તેના ઉપર ઈમાન લાવવું જરૂરી છે : (૧) અલ્લાહ તઆલા પર ઈમાન લાવવું, (ર) અલ્લાહ તઆલાના ફરિશ્તાઓ પર ઈમાન લાવવું, (૩) અલ્લાહ તઆલાની તમામ કિતાબો પર ઈમાન લાવવું, (૪) અલ્લાહ તઆલાના તમામ રસૂલો પર ઈમાન લાવવું, (પ) આખિરતના દિવસ પર ઈમાન લાવવું, (૬) એ વાત પર ઈમાન લાવવું કે સારી અને બૂરી તકદીર (ભાગ્ય) અલ્લાહપાક તરફથી છે અને (૭) એ વાત પર ઈમાન લાવવું કે મૃત્યુ બાદ બીજી વાર જીવંત (સજીવન) થવાનું છે.
કુર્આન શરીફમાં છે : રસૂલ (તે ચીઝના સત્ય હોવા પર) યકીન (ઈમાન) રાખે છે, જે કંઈ તેમના પરવરદિગાર તરફથી તેમના ઉપર ઉતારવામાં આવ્યું છે. અને મુસલમાનો પણ (યકીન રાખે છે), દરેકે દરેક અલ્લાહ તઆલા પર તેમજ તેના ફરિશ્તાઓ પર તેમજ તેની કિતાબો પર તથા તેના પયગમ્બરો પર ઈમાન લાવ્યા. (સૂ.બકરહ : ર૮પ) વળી, તે લોકો આ કિતાબ જે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર ઉતારવામાં આવી છે તેમજ જે કિતાબો આપથી પહેલાં ઉતારવામાં આવી છે તેના ઉપર પણ ઈમાન રાખે છે. અને કિયામતના દિવસ ઉપર પણ યકીન રાખે છે. (સૂરએ બકરહ : ૪) અને જો તે લોકો (મુનાફિકો)ને કોઈ ભલાઈ પહોંચે છે, તો તેઓ કહે છે કે, આ તો અલ્લાહપાક તરફથી છે, પણ જો તેઓને કોઈ બુરાઈ પહોંચે છે, તો તેઓ કહે છે : (હે નબી !) આ આપના જ કારણે છે. આપ ફરમાવી દો કે, સઘળુ અલ્લાહ તઆલા તરફથી જ છે. (સૂરએ નિસાઅ : ૭૮) આપ ફરમાવી દો કે અલ્લાહપાકે અમારા માટે જે તકદીરમાં લખી દીધું છે, તે સિવાય અમને કદી કંઈ નુકસાન નહીં પહોંચે. (સૂરએ તવબહ : ૯) અને એ કે કિયામત આવનાર છે. તેમાં જરા પણ શંકા નથી અને એ કે અલ્લાહ તઆલા કબરવાળાઓને ઉઠાવશે (સજીવન કરશે). (સૂરએ હજ : ૭)
- ઈન્સાન જ્યારે એક વાર ઈમાન લાવે છે, તો પછી જ્યાં સુધી એના કોઈ કૃત્ય અથવા અકીદાથી ઈમાનની વિરૂદ્ધ કોઈ વાત જાહેર ન થાય, ત્યાં સુધી તેની સાથે ઈમાનનું અસ્તિત્વ કાયમ રહે છે.
કુર્આન શરીફમાં છે : અને જે માણસ ઈમાન (લાવવા યોગ્ય ચીજો)ની સાથે કુફ્ર કરશે, તો તેનું કર્યું કરાવ્યું (નેકીઓ) અકારત (બેકાર થઈ) જશે. અને તે આખિરતમાં સંપૂર્ણ નુકસાન ભોગવ- નારાઓ માંહેનો હશે. (સૂરએ માઈદહ : પ) અને જે શખ્સ અલ્લાહ તઆલા પર અને તેના ફરિશ્તાઓ પર તથા તેની કિતાબો પર તેમજ તેના રસૂલો પર અને કિયામતના દિવસ પર યકીન નહીં રાખે, તો તે શખ્સ માર્ગ ભૂલી બહુ દૂર જઈ પડ્યો. (સૂરએ નિસાઅ : ૧૩૬)
- માત્ર ગુનાહ કરવાથી મુસલમાન કાફિર બની જતો નથી અને ગુનાહે કબીરહના આચરણથી મુઅમિન કાફિર બની જતો નથી. હા, એના ફાસિક અને ગુનેહગાર બની જવામાં કોઈ શંકા નથી.
જેમકે કુર્આન શરીફમાં અલ્લાહ તઆલાએ તેમને નાઉમ્મીદ ન થવા અને તૌબા તરફ ઉભાર્યા છે (તેમને કાફિર કહ્યા નથી) : અને તમારામાંથી જે બે મર્દ બદફેલી (ખરાબ કૃત્ય) કરી બેસે, તો તે બન્નેવને શિક્ષા આપો. પછી જો તે બન્નેવ (કરેલા કામથી) તૌબા કરે અને (ભવિષ્ય માટે) પોતાની હાલત સુધારી લે, તો તેમનો પીછો છોડી દો. (કારણ કે) નિઃસંદેહ અલ્લાહપાક તૌબા કબૂલ કરનાર અને દયાળુ છે. અલ્લાહપાકને પોતાના (વાયદાનુસાર) તેઓની જ તૌબા કબૂલ કરવી પડે છે, જેઓ નાદાનીથી કોઈ ખોટું કામ કરી બેસે છે, પછી જલ્દી તૌબા કરી લે છે. (સૂરએ નિસાઅ : ૧૬-૧૭) (હે નબી સલ. ! મારા તરફથી લોકોને) આપ ફરમાવી દો કે હે મારા તે બંદાઓ ! જેમણે (ગુનાહો કરી) પોતાના ઉપર બેહદ જુલ્મ કર્યો છે, તમે અલ્લાહપાકની રહમતથી નિરાશ થશો નહીં. બેશક, અલ્લાહ તઆલા (પાછલા) સૌ ગુનાહ માફ કરી દેશે. બેશક, તે જ (ગુનાહ બખ્શનાર મહા દયાળુ છે. (સૂરએ ઝુમર : પ૩)
- જેણે દીની ઈલ્મ પ્રાપ્ત કર્યા વગર દીનના ઉસૂલો (અકાઈદ, કાયદા કાનૂન વગેરે) વિશે ચર્ચા કરી અને તસ્લીમ (માની લેવું) તથા રઝા (ખુશીથી માનીને અમલમાં લાવવા)નો અંદાજ ધારણ ન કર્યો, તો એને ખાલિસ (કોઈ પણ પ્રકારની ખામીથી પાક) તવહીદ, દીનની મઅરિફત અને સહીહ ઈમાન નસીબ થતા નથી, બલ્કે તે કુફ્ર અને ઈમાન, તસ્દીક (દિલથી સાચું માની લેવું) અને તકઝીબ (સત્યને જૂઠલાવવું અને ન માનવું), એકરાર અને ઈન્કારના દરમિયાન ડામાડોળ રહે છે.
માણસને જે વિશે દીની જ્ઞાન અને માહિતી ન હોય તેમાં તેણે જ્ઞાની અને ઈલ્મવાળાઓની દીની વાત માની લેવી જોઈએ. અને જ્ઞાની (ઈલ્મ પ્રાપ્ત કરેલ) અને અભણ બન્ને સરખા નથી હોઈ શકતા. એ બન્ને વાત તરફ કુર્આન શરીફમાં ધ્યાન દોર્યું છે : હા, તમે તે જ લોકો છો કે જેની તમને કંઈ ખબર હતી, તેમાં તો તમે (નાહકનો) ઝઘડો કરી ચૂક્યા. તો હવે જે વાતમાં તમને જરા પણ માહિતી નથી, તેમાં કેમ ઝઘડો કરો છો ? (સૂરએ આલિ ઈમરાન : ૬૬) આપ ફરમાવી દો કે જ્ઞાનવાળા અને અજ્ઞાનો કંઈ સરખા થઈ શકે છે ?(સૂ.ઝુમર-૯)
- ગૈબની વાતો બતાવનાર (જ્યોતિષ વગેરે)ને સાચું માનવું કુફ્ર છે. અને ગૈબની વાતો જાણવાનો દાવો કરવો પણ કુફ્ર છે. જામુસ્નદે અહમદની હદીષમાં એની પણ ચોખવટ કરવામાં આવી છે.પ્ત અને ગૈબની વાતો જાણવી એ માત્ર અલ્લાહપાકનું જ લક્ષણ (સિફત) છે. તેમાં અલ્લાહ તઆલાનો કોઈ ભાગીદાર નથી.
કુર્આન શરીફમાં છે : આપ ફરમાવી દો કે જેટલી મખ્લૂક (સૃષ્ટિ) આકાશો તથા પૃથ્વીમાં છે, તે કોઈ પણ ગૈબની વાત જાણતું નથી. ફક્ત અલ્લાહપાક જ જાણે છે. (સૂરએ નમ્લ : ૬પ) (તે જ) ગૈબનો જાણનાર છે અને તે પોતાના ભેદની કોઈને ખબર આપતો નથી. (સૂરએ જિન : ર૬)
- એવો વઝીફો અને અમલ કરવો પણ કુફ્ર છે, જેમાં અલ્લાહ તઆલાના સિવાય અન્યની મદદ માંગવામાં આવે.
કુર્આન શરીફમાં છે : અને અલ્લાહપાકના સિવાય કોઈ પણ તમારા હિમાયતી (મદદગાર) થનાર નથી. ફરી તમને જરા પણ સહાય નહીં મળે. (સૂરએ હૂદ : ૧૧૩) અને તમારા માટે અલ્લાહ તઆલાના સિવાય ન કોઈ હિમાયતી છે, અને ન તો કોઈ મદદગાર છે. (સૂરએ બકરહ : ૧૦૭) અને (ખરૂં જોતાં તો) મદદ માત્ર અલ્લાહ તઆલાના તરફથી જ છે. (સૂરએ અન્ફાલ : ૧૦)
- દરેક મુસલમાને કાફિર થવાના કારણોથી પણ માહિતગાર થવું જરૂરી છે.