તવહીદ(એકેશ્વરવાદ) અને શિર્ક (અનેકેશ્વરવાદ) વિશે અકીદાઓ

Chapter : બુન્યાદી ઇસ્લામી માન્યતા (અકીદાઓ)

(Page : 74 to 78)
  • તવહીદનો અકીદો તમામ ઈબાદતો અને અમલોની મુખ્ય જડ છે. તવહીદ દીનની પ્રથમ બુનિયાદ છે. તવહીદ પછી જ તમામ ઈબાદતો અને કાર્યો કબૂલ કરવામાં આવે છે. મુઅમિનની સૌથી મોટી અને મૂલ્યવાન પૂંજી તવહીદ છે.

અલ્લાહપાકે પોતે જ કુર્‌આન શરીફમાં એની પુષ્ટિ ફરમાવી છે કે, અલ્લાહપાકે તેમજ ફરિશ્તાઓએ તથા ઈલ્મવાળાઓએ સાક્ષી આપી કે તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે જ ન્યાય સાથે જગતની વ્યવસ્થા રાખે છે. (સૂરએ આલિ ઈમરાન : ૧૮) અને તમારા પહેલાં અમે જેટલા રસૂલ મોકલ્યા તેમને અમે એ જ હુકમ મોકલ્યો કે મારા સિવાય કોઈ પણ બંદગીને પાત્ર નથી. માટે મારી જ બંદગી કરો. (સૂરએ અંબિયા : રપ)

હઝરત અબૂ હુરૈરહ (રદી.) રિવાયત વર્ણન કરે છે, જેમાં તેઓ ફરમાવે છે કે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને પૂછવામાં આવ્યું કે, સૌથી શ્રેષ્ઠ અમલ (કાર્ય) શું છે ? આપે ફરમાવ્યું : અલ્લાહ તઆલા પર ઈમાન લાવવું. (મુસ્લિમ શરીફ, કિતાબુલ ઈમાન, ખુદાપાક પર ઈમાન લાવવું શ્રેષ્ઠ અમલ હોવાનો બાબ, હદીષ નં.૧પ૬)

  • શિર્કના આચરણથી માણસ દીન-ઈમાનમાંથી સંપૂર્ણપણે નીકળી જાય છે.

કુર્‌આન શરીફમાં છે : અને જેણે અલ્લાહપાકનો શરીક ઠેરવ્યો તેણે મહાન પાપ કર્યું. અને જેણે અલ્લાહપાકનો શરીક બનાવ્યો, તો બેશક તે (સત્ય) માર્ગ ભૂલીને બહુ દૂર નીકળી ગુમરાહીમાં જઈ પડ્યો. (સૂરએ નિસાઅ : ૪૮, ૧૧૬) (અને જાણી લો કે) બેશક, જે અલ્લાહ તઆલાની સાથે (અન્ય કોઈને) શરીક ઠેરવશે, તો અવશ્ય અલ્લાહ તઆલા પણ તેના ઉપર જન્નત હરામ કરી દેશે અને તેનું ઠેકાણું (સદા માટે) દોઝખ છે. અને એવા પાપીઓનો કોઈ સહાયક થશે નહીં. (સૂરએ માઈદહ : ૭ર)

હઝરત અબ્દુલ્લાહ (રદી.) રિવાયત વર્ણન કરે છે કે, એક વાત નબી (સલ.)એ વર્ણન કરી અને બીજી હું વર્ણવું છું; નબી (સલ.)એ ફરમાવ્યું : જે માણસ એ હાલતમાં મૃત્યુ પામે કે અલ્લાહપાક સિવાય બીજા કોઈને પૂંજતો હતો (શરીક ઠરાવતો હતો) તો તે જહન્નમમાં જશે. (સહાબી ફરમાવે છે) અને હું જે વાત કહું છું તે એ કે, જે માણસ એ હાલતમાં મૃત્યુ પામે કે તે અલ્લાહપાક સિવાય બીજા કોઈને પૂકારતો ન હતો (શરીક ઠેરવતો ન હતો) તો તે જન્નતમાં જશે. (બુખારી, કિતાબુત્તફસીર, સૂરત નં.ર, બાબ-રર, હદીષ નં.૪૪૯૭)

  • શિર્કની હાલતમાં કોઈ પણ અમલ ફાયદાકારક નીવડી શકતો નથી.

કુર્‌આન શરીફમાં ફરમાવ્યું : (સામાન્ય ચેતવણી આપો કે હે માનવી !) જો તું શિર્ક કરીશ, તો ચોક્કસ તારી (સઘળી) કરણી (અમલો) વ્યર્થ જશે. (સૂરએ ઝુમર : ૬પ)

હઝરત અબૂ હુરૈરહ (રદી.) રિવાયત વર્ણન કરે છે કે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ફરમાવ્યું : અલ્લાહ તઆલા ફરમાવે છે કે, (કોઈને શરીક ઠરાવવામાં આવે એવા) ભાગીદારોમાં હું શિર્કથી સૌથી વધુ બેપરવા છું. જે માણસ મારા માટે કોઈ અમલ કરે અને એમાં મારી સાથે બીજા કોઈને શરીક ઠરાવે, તો હું એનાથી બેપરવા છું અને તે અમલ તે ભાગીદાર માટે થશે. (ઈબ્ને માજહ, કિતાબુઝઝુહદ, બાબુર્રિયા, હદીષ નં.૪ર૦ર)

  • શિર્ક ન હોય તો તમામ ગુનાહોની બખ્શિશ અને મગફિરતની ઉમ્મીદ છે.

કુર્‌આન શરીફમાં વર્ણન છે : બેશક, અલ્લાહ તઆલા આ વાત કદી પણ માફ કરશે નહીં કે તેની સાથે કોઈને શરીક કરવામાં આવે અને તેના સિવાય ચાહે તેને બખ્શી દેશે. (સૂરએ નિસાઅ : ૧૧૬)

હઝરત અમ્ર બિન અબસા (રદી.) રિવાયત કરે છે કે, તેઓ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પાસે આવ્યા. (હદીષ ઘણી લાંબી છે, જેમાં અમુક સવાલો અને આપના તરફથી પ્રત્યુત્તરનો ઉલ્લેખ છે. તેમાં એક સવાલ આ છે 🙂 ઉપરોક્ત સહાબી (રદી.)એ સવાલ કર્યો : શું (રાત-દિવસની) ઘડીઓમાંથી કઈ ઘડી (વખત બીજા વખતોથી) શ્રેષ્ઠ છે અને ક્યા સમયમાં (ઈબાદતથી) બચવું જોઈએ (એટલે કે મકરૂહ સમય શું છે) ? તો આપે ફરમાવ્યું : તમે એવો સવાલ કર્યો છે, જે આજ સુધી તમારા સિવાય કોઈએ કર્યો નથી. અલ્લાહ તઆલા રાત્રિના સમયે (આસમાન પર) ઉતરે છે, પછી શિર્ક અને ઝુલ્મ સિવાય (શિર્ક પણ માણસનો ઝુલ્મ છે) (જે ગુનાહ વિશે ચાહે તે) માફ કરે છે. (મુસ્નદે અહમદ : ૩૮પ/૪)

  • અલ્લાહ તઆલા શિર્કના ગુનાહને કદાપિ માફ ફરમાવશે નહીં. શિર્કથી ઉતરતા ગુનાહોને જેના માટે ચાહશે માફ કરી દેશે.

કુર્‌આન શરીફમાં ફરમાવ્યું : (અને જાણી લો કે) બેશક, જે અલ્લાહ તઆલાની સાથે (અન્ય કોઈને) શરીક ઠેરવશે, તો અવશ્ય અલ્લાહ તઆલા પણ તેના ઉપર જન્નત હરામ કરી દેશે અને તેનું ઠેકાણું (સદા માટે) દોઝખ છે. (સૂરએ માઈદહ : ૭ર)

  • કોઈ પણ પ્રકારના ગુનાહને હલાલ સમજવો કુફ્ર છે.

કુર્‌આન શરીફમાં ફરમાવ્યું : અને જે વસ્તુઓ માટે માત્ર તમારો જીભથી જૂઠો દાવો છે, તેના માટે એમ ન કહો કે આ હલાલ છે અને આ હરામ છે, કે જેથી અલ્લાહ તઆલા પર જૂઠી તોહમત લગાડી દે. બેશક, જે લોકો અલ્લાહ તઆલા પર જૂઠી તોહમત લગાડે છે તેઓનું ભલુ નહીં થાય. (સૂરએ નહલ : ૧૧૬) તેઓએ (વ્યાજને હલાલ કરવા માટે દલીલમાં) કહ્યું હતું કે, વેપાર પણ વ્યાજ લેવા સમાન જ છે. અને જુઓ તો અલ્લાહપાકે વેપારને હલાલ કર્યો છે અને વ્યાજને હરામ કર્યું છે. ત્યારે જેને પોતાના પરવરદિગાર તરફથી (એ વિશે) બોધ પહોંચ્યા પછી તે (વ્યાજ લેવાથી કે) તેને હલાલ કહેવાથી અટકીગયો, તો જે કંઈ (આ હુકમ આવ્યા) પહેલાં લઈ ચૂક્યો, તે તેનું જ છે. પણ (તૌબા સબંધી) તેનો મામલો અલ્લાહપાકને હવાલે છે, અને જે કાંઈ પાછો (વ્યાજને હલાલ ગણે) તો તેઓ જ દોઝખવાળા છે. જેમાં તેઓ સદા રહેશે. (સૂરએ બકરહ : ર૭પ)

અલ્લાહ તઆલાના હુકમના મુકાબલામાં બીજા કોઈના હુકમને પસંદ કરવું પણ શિર્ક જ લેખાય છે.

બંદાઓ પર અલ્લાહપાકનો આ હક છે કે, તેઓ કેવળ એની જ બંદગી કરે અને એની સાથે કોઈને શરીક પણ ન કરે.

હઝરત મુઆઝ બિન જબલ (રદી.)ની એક લાંબી હદીષમાં આ વાક્યો છે : અલ્લાહપાકના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હઝરત મુઆઝ (રદી.)ને પૂછ્યું : શું તમે જાણો છો કે, અલ્લાહપાકનો તેના બંદાઓ પર શું હક છે ? મેં (હઝરત મુઆઝ રદી.એ) જવાબ આપ્યો : (એ વિશે) અલ્લાહપાક અને તેના રસૂલ જ વધુ જાણે છે. તો આપે ફરમાવ્યું : અલ્લાહપાકનો હક તેના બંદાઓ પર એ છે કે, તેઓ અલ્લાહપાકની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને શરીક ન ઠેરવે. (બુખારી શરીફ, કિતાબુલ્લિબાસ, હદીષ નં.પ૯૬૭)

  • શરીઅતના આદેશોનો ઠઠ્ઠો (મશ્કરી) કરવો અને તુચ્છ ગણવા કુફ્ર છે.

કુર્‌આન શરીફમાં એની પણ છણાવટ કરી છે : અને અલ્લાહ તઆલાના હુકમોને ઠઠ્ઠા મશ્કરી (સમાન) ગણો નહીં અને અલ્લાહ તઆલાના જે ઉપકાર તમારા ઉપર છે, તેને યાદ કરો. (સૂ. બકરહ : ર૩૧) અને જ્યારે અમારી આયતો પૈકી અમૂકની તેને જાણ થાય છે, ત્યારે તેની હાંસી ઉડાવે છે. એવા જ લોકો માટે ઝિલ્લત (રૂસ્વાઈ)નો અઝાબ છે. (સૂરએ જાષિયહ : ૯)

Log in or Register to save this content for later.