તવાફે ઝિયારત

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 132 to 134)

૧૦મી ઝિલ્હજ્જનો સૌથી મોટો અમલ તવાફે ઝિયારત છે. આ તવાફ ફર્ઝ છે. આ તવાફમાં સુન્નત એ છે કે તેને રમી, કુર્બાની અને હલક પછી કરવામાં આવે. જો આ ત્રણેવ પહેલાં તવાફે ઝિયારત કરી લેશે તો પણ ફર્ઝ અદા થઈ જશે.

મસ્અલોઃ તવાફે ઝિયારતનો અફઝલ વખત ૧૦મી ઝિલ્હજ્જ છે, પરંતુ ૧રમી તારીખના સૂર્ય આથમતા પહેલાં કરી લે તો પણ જાઈઝ છે. જો ૧રમી તારીખ પસાર થઈ ગઈ અને તવાફે ઝિયારત ન કર્યો તો મોડુ કરવાથી દમ (કુર્બાની) વાજિબ થશે અને તવાફ તો કરવો જ પડશે. આ તવાફ કોઈપણ સંજોગોમાં માફ નથી અને ન એનો કોઈ બદલ (ફિદિયો) છે. બલ્કે જીંદગીની છેલ્લી પળો સુધી એને અદા કરવો ફર્ઝ રહેશે.

મસ્અલોઃ તવાફે ઝિયારતથી ફારિગ થઈ બધી વસ્તુઓ હલાલ થઈ જશે. અને પત્નીથી સંભોગ પણ હલાલ થઈ જશે.

મસ્અલોઃ અરફાતમાં થોભવા પછી અને તવાફે ઝિયારતથી પહેલાં જો કોઈએ પત્નીથી સંભોગ કરી લીધો તો એ સંભોગ હજામત કરવા પહેલાં કર્યો, તો તેના ઉપર એક ઊંટ અથવા ગાયની કુર્બાની લાઝિમ આવશે. અને હજામત પછી સંભોગ કર્યો તો એક બકરાની કુર્બાની આપવી પડશે. પરંતુ હજ ફાસિદ નહી થાય. પરંતુ ત્યાર પછી પણ તવાફે ઝિયારત તો કરવો જ પડશે. તવાફે ઝિયારત કુર્બાનીથી માફ નહીં થાય.

મસ્અલોઃ જો કોઈ માણસ તવાફે ઝિયારત કરવા પહેલાં મરણ પામે અને હજની ક્રિયાઓ પુરી કરવાની વસિય્યત કરી જાય તો તેના તવાફે ઝિયારત માટે ઊંટ અથવા ગાય ઝબહ કરવી વાજિબ છે.

મસ્અલોઃ જો તવાફે કુદૂમ સાથે સઈ કરી ચૂકયો છે, તો તવાફે ઝિયારતમાં ન તો રમલ કરે, ન ઈઝતિબાઅ કરે અને ન સઈ કરે.

મસ્અલોઃ જો તવાફે કુદૂમ સાથે સઈ નથી કરી, તો પહેલા ત્રણ ચક્કરોમાં રમલ કરે. તવાફની નમાઝ પઢીને ઈસ્તિલામ કરે. અને ત્યારબાદ સઈ કરે.

મસ્અલોઃ હજામત કરાવ્યા બાદ સિવેલા કપડાં પહેરી લેવામાં આવે છે. અમુક માણસો તેનાથી અચંબો અને વિચારમાં પડી જાય છે કે સિવેલાં કપડાં પહેરીને તવાફ તથા સઈ થાય. તો તેમણે જાણવુ જોઈએ કે હજના મુખ્ય અરકાનો અદા થઈ ગયા અને એહરામ બદલવો હલાલ થઈ ગયો. માટે સામાન્ય કપડામાં તવાફે ઝિયારત કરતી વખતે રમલ તો થશે, પરંતુ ઈઝતિબાઅ નહીં થાય.

મસ્અલોઃ તવાફે ઝિયારત કરીને ફરીથી મક્કા મુકર્રમહથી મિના આવી જાય. રાતના મિનામાં રહેવુ સુન્નત છે. મિના સિવાય અન્ય જગા પર રહેવુ મકરૂહ છે. ચાહે મક્કા મુકર્રમહમાં રહે, ચાહે રસ્તામાં રહે.

એ જ પ્રમાણે રાતનો વધુ ભાગ બીજી જગ્યાએ પસાર કરવો પણ મકરૂહ છે. પરંતુ એનાથી દમ વાજિબ થશે નહીં.

શરઈ ઉઝર અને કારણ વગર સુન્નતો છોડવાથી હજની બરકતોથી માણસ મહરૂમ રહે છે. માટે મિનામાં જ પોતાનો સમય પસાર કરે અને હજના બધા જ અરકાનો સુન્નત પ્રમાણે અદા કરવાની કોશિશ કરે.

Log in or Register to save this content for later.