Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 120 to 127)
મસ્અલોઃ ૧૦મી તારીખની રમી ઓરતો અને બિમારો સિવાય બીજા માણસો માટે મગરિબ બાદ મકરૂહ છે, પરંતુ સુબ્હ સાદિકથી પહેલાં રાત્રે કાંકરી મારવાથી વાજિબ અદા થઈ જશે.
મસ્અલોઃ જો ૧૦મી તારીખ પછીની રાત પસાર થઈ ગઈ અને રમી નથી કરી તો તેની કઝા પણ વાજિબ છે અને વખત પસાર થઈ જવા બાદ કરવાને લઈ દમ (બકરી) પણ આપવો પડશે.
મસ્અલોઃ મર્દ, ઔરત, બિમાર, કમઝોર બધા જ પોતાના હાથથી કાંકરી મારે, કોઈને નાયબ બનાવી રમી કરાવવી શરઈ ઉઝર વગર જાઈઝ નથી. અને શરીઅતમાં ઉઝર એવી બિમારી અથવા કમઝોરીને કહેવામાં આવે છે કે, જેના કારણે બેસીને નમાઝ પઢવી જાઈઝ હોય, અથવા જમરાત (શયતાન) સુધી સવારી ઉપર પહોંચવામાં પણ સખ્ત તકલીફ હોય અથવા બિમારી વધી જવાની બીક હોય અથવા પગપાળા નથી ચાલી શકતો અને સવારી પણ નથી મળી શકતી તો એવો માણસ મજબૂર ગણાશે અને તે પોતાના તરફથી બીજા માણસને નાયબ બનાવી રમી કરાવી શકે છે.
મસ્અલોઃ જે માણસ બીજા માણસ તરફથી રમી કરે તેના માટે અફઝલ છે કે પહેલાં પોતાની રમી કરે, પછી બીજા તરફથી રમી કરે. આજકાલ ભીડના કારણે દરેક શયતાન પાસે પહેલાં પોતાની સાત કાંકરી મારે, પછી બીજા તરફથી કાંકરી મારે, એ પ્રમાણે કરવુ જાઈઝ છે. જો કે અફઝલ એ છે કે પહેલાં ત્રણેવ શયતાન ઉપર પોતાના તરફથી રમી કરી લે, પછી બીજા તરફથી ત્રણેવ શયતાનને કાંકરી મારે. પરંતુ એમ ન કરે કે એક કાંકરી પોતાના તરફથી અને બીજી કાંકરી બીજાના તરફથી મારે. આ પ્રમાણે કરવુ મકરૂહ છે. પોતાની સાત કાંકરી પૂરી કરી લીધા બાદ જ બીજા તરફથી કાંકરી મારે.
મસ્અલોઃ બિમાર, કમઝોર તરફથી કાંકરી મારવાની શર્ત એ છે કે, બીજાને પોતાનો નાયબ બનાવી મોકલે. બિમારના કહયા વગર કોઈએ તેના તરફથી રમી કરી લીધી તો રમી ગણાશે નહીં. પરંતુ બેહોશ (બેભાન) અને નાનાં બચ્ચાં તથા પાગલ તરફથી તેમના સગાં–વહાલાં પોતે કરી લે. પરવાનગી ન લે તો પણ જાઈઝ છે.
મસ્અલોઃ મોટા પથ્થર કે ચંપલ વગેરે મારવુ મકરૂહ છે.
મસ્અલોઃ કાંકરીનું દીવાળને લાગવુ જરૂરી નથી. જો કાંકરી દીવાળ પાસે પડી ગઈ, પરંતુ વર્તુળના અંદર જ પડી તો સહીહ અદા થઈ ગઈ અને જો કોઈ માણસને વાગી ગઈ અથવા દીવાળને લાગી ગઈ અને વર્તુળના બહાર પડી તો ગણાશે નહીં, તે કાંકરી ફરીથી મારવી પડશે.
મસ્અલોઃ વર્તુળમાં કાંકરી ફેંકવી જરૂરી છે. ફકત મુકી દેવાથી અદા થશે નહીં.
મસ્અલોઃ રમી માટે કાંકરી પકડવાની કોઈ ખાસ રીત આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમથી સાબિત નથી. ભીડમાં આ રીત આસાન છે કે અંગુઠો અને કલિમહની આંગળીથી પકડીને મારે. સુન્નત છે કે જમણા હાથે મારે.
મસ્અલોઃ ૧૦મી તારીખના ફકત છેલ્લા શયતાનને જ કાંકરી મારવાની છે.
મસ્અલોઃ જે લોકો ૧૦ ઝિલ્હજ્જના બપોર પછી અથવા રાત્રે રમી કરવાની તાકાત અને શકિત ધરાવે છે. તેમણે પોતાના તરફથી બીજાને નાયબ બનાવવુ જાઈઝ નથી. ૧૧મી તારીખના સવાર સુધીમાં પોતે રમી કરે.
મસ્અલોઃ સાતથી વધુ કાંકરીઓ મારવી મકરૂહ છે, પરંતુ શકના (વહેમ) કારણે વધુ મારી દેવામાં આવે તો વાંધો નથી.
મસ્અલોઃ જો કોઈએ ત્રણેવ દિવસની રમી બિલકુલ છોડી દીધી, અથવા એક દિવસની બિલકુલ રમી ન કરી અથવા એક દિવસની ચાર અને બીજા દિવસની અગિયાર કાંકરીઓ છોડી દીધી. તો આ બધી હાલતોમાં દમ વાજિબ થશે. આવુ એક દિવસ બને અથવા ત્રણેય દિવસ બને તો પણ દમ એક વાજિબ થશે.
મસ્અલોઃ જો ૧૦મી તારીખની રમીમાંથી ત્રણ અથવા એનાથી ઓછી કાંકરીઓ અને બાકી દિવસોની રમીમાંથી દસ અથવા એનાથી ઓછી કાંકરીઓ છોડી દીધી. તો દરેક કાંકરીઓના બદલામાં પૂરો સદકો (પોણા બે કિલો ઘઉં) અથવા એની કિંમત વાજિબ થશે.
મસ્અલોઃ કાંકરી મારતી વખતે હાથ એટલો ઉંચો કરે કે બગલ ખૂલી જાય અને તેની સફેદી દેખાવા માંડે. આ પ્રમાણે કરવુ મુસ્તહબ છે, જરૂરી નથી.
મસ્અલોઃ રમીના દિવસોમાં આગલી રમીની કઝા થઈ શકશે, પરંતુ જો રમીના દિવસોમાં રમીની કઝા ન કરી તો હવે રમી તેના ઝિમ્મે રહેશે નહિ. પરંતુ બધાનો એક માત્ર દમ (બકરી) વાજિબ થશે.
મસ્અલોઃ જો ૧ર ઝિલ્હજ્જના મક્કા મુકર્રમહ જવાનો ઈરાદો હોય તો સૂર્યાસ્ત પહેલાં મિનાથી નીકળી જાય. સૂર્યાસ્ત પછી ૧૩મી તારીખે રમી કર્યા વગર જવુ મકરૂહ છે, પરંતુ ૧૩ ઝિલ્હજ્જની રમી વાજિબ નથી.
મસ્અલોઃ ૧૩ ઝિલ્હજ્જના સુબ્હે સાદિક સુધી મિનામાં રહે તો ત્રણેવ શયતાનની રમી કરવી વાજિબ છે. અને એનો સુન્નત ટાઈમ ઝવાલ પછીથી સૂર્યાસ્ત સુધીનો છે. ઝવાલથી પહેલાં પણ જાઈઝ છે. જે લોકો મિનામાં હજ દરમિયાન મકાન લઈને રહે છે અને ૧૩ તારીખની સુબ્હ સાદિક સુધી ત્યાં રહે છે તો તેમના માટે ૧૩મી ઝિલ્હજ્જે રમી કરવી વાજિબ છે. તે દિવસની રમી છોડવાને કારણે દમ વાજિબ થશે.
મસ્અલોઃ ૧૧–૧ર (૧૩ ઝિલ્હજ્જના રોકાય તો) મિનામાં પહેલા અને બીજા શયતાનને કાંકરી માર્યા બાદ ત્યાં થોડે દૂર હટીને કિબ્લા તરફ મોઢું કરી ઉભા રહી દુઆ માંગવી સુન્નત છે. પરંતુ છેલ્લા શયતાનને કાંકરી માર્યા બાદ કોઈપણ દિવસે દુઆ માટે ઉભા રહેવુ સુન્નત નથી.
મસ્અલોઃ રમીમાં કાંકરીઓ એક પછી એક સતત ફેંકવી સુન્નત છે. બે કાંકરીઓ વચ્ચે સમયનું અંતર રાખવુ કે મોડુ કરવું મકરૂહ છે. એ જ પ્રમાણે બે શયતાનોની વચમાં દુઆ સિવાય થોભવુ તથા મોડુ કરવુ પણ મકરૂહ છે.
મસ્અલોઃ રમીમાં કોઈ ખાસ દિશા તરફ મોઢુ કરવુ જરૂરી નથી. જે તરફથી સગવડ હોય ત્યાંથી કાંકરી ફેંકે.
મસ્અલોઃ ૧ર ઝિલ્હજ્જના મગરિબથી પહેલાં મિના છોડવુ જરૂરી નથી. પરંતુ મિનામાં મગરિબ થઈ જાય તો મિનાથી નીકળવું મકરૂહ છે. જો કોઈ મગરિબ પછી મક્કા મુકર્રમહ ચાલ્યો જાય તો કરાહત (મકરૂહ) સાથે જાઈઝ છે. માટે સ્ત્રીઓ, વૃધ્ધ, બિમાર માણસો માટે બેહતર છે કે, ૧ર ઝિલ્હજ્જના મગરિબ પહેલાં પહેલાં અથવા મગરિબ પછી પોતાની રમી પોતે જ કરે. ત્યારબાદ મક્કા મુકર્રમહ જાય. આ પ્રમાણે મકરૂહ તો છે, પરંતુ ભીડને કારણે તથા આ લોકોની કમજોરીના લઈને ઈ.અલ્લાહ કરાહત નહીં રહે.
મસ્અલોઃ નાપાક કાંકરીઓ મારવી મકરૂહ છે. માટે બેહતર છે કે કાંકરી મારતા પહેલાં ધોઈ લે. પરંતુ જ્યાં સુધી નાપાક હોવાનું યકીન ન હોય ધોયા વગર મારવામાં કોઈ વાંધો નથી.
મસ્અલોઃ જમરહ (વર્તુળ)થી ઓછામાં ઓછા પાંચ હાથના અંતરે ઉભો રહે. બહુ દૂર પણ ન રહે અને નઝદીક પણ ન રહે. ‘‘બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર” કહી જમણા હાથથી એક કાંકરીને જમરહના વર્તુળમાં ફેંકે. દરેક કાંકરીની સાથે બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર કહેતો રહે અને યાદ રહે તો આ દુઆ પણ પઢે :
رَغْمًا لِلشَّیْطَانِ وَرِضًی لِلرَّحْمٰنِ، اَللّٰہُمَّ اجْعَلْہُ حَجًّا مَّبْرُوْرًا، وَسَعْیًا مَّشْکُوْرًا، وَذَنْبًا مَّغْفُوْرًا۔
રગ્મન લિશ્શયતાનિ વ રિઝન લિર્રહમાનિ અલ્લાહુમ્મજઅલ્હુ હજ્જન મબરૂરન વ સઅયમ્મશ્કૂરા વ ઝમ્બમ્મગફૂરા.
અર્થઃ આ કાંકરી શયતાનને ઝલીલ કરવા અને અલ્લાહ પાકને રાજી રાખવા માટે મારૂં છું. અય અલ્લાહ ! તુ મારી હજને મકબૂલ અને અમલની કોશિશને કબૂલ કરી મારા ગુનાહોને માફ ફરમાવ.
મસ્અલોઃ સાતેવ કાંકરી એક સાથે મારી તો એક જ કાંકરી ગણાશે. બાકી છ કાંકરી મારવી જરૂરી છે.
મસ્અલોઃ છેલ્લા શયતાનને કાંકરી મારવાનું શરૂ કરતાં જ તલ્બિય્યહ પઢવાનું બંધ કરી આપે.
મસ્અલોઃ ૧૦ ઝિલ્હજ્જના કાંકરી મારવા પછી દુઆ માટે થોભવુ સુન્નત નથી. રમી પછી પોતાના તંબૂ તરફ ચાલ્યો જાય. આ દિવસે બીજા શયતાનને કાંકરી મારવી અભણતા છે.
૧૦મી ઝિહજજનો ત્રીજો વાજિબ કુર્બાની છે.
કારિન અને મુતમત્તિઅ ઉપર વાજિબ છે કે મોટા શયતાનને કાંકરી માર્યા બાદ ત્યાં સુધી બાલ મુંડાવે કે કપાવે નહીં, જ્યાં સુધી પોતાની વાજિબ કુર્બાની ન કરે. જો કુર્બાની પહેલાં વાળ મુંડાવી લીધા તો દમ વાજિબ થશે.
હા, મુફરિદ માટે કુર્બાની વાજિબ નથી, મુસ્તહબ છે. જો તે કુર્બાની ન કરે અને માથુ મુંડાવી લે તો જાઈઝ છે.
મસ્અલોઃ જો કારિન અને મુતમત્તિઅ પાસે એટલા પૈસા નથી કે કુર્બાની કરી શકે, તો કુર્બાનીના બદલે ૧૦ રોઝા રાખવા પડશે. જેમાં શર્ત છે કે, ત્રણ રોઝા અરફાના દિવસ પહેલાં રાખે અને બાકી સાત રોઝામાં ઈખ્તિયાર છે કે, જ્યારે રાખી શકે ત્યારે રાખે. ચાહે પોતાના વતનમાં રાખે, પરંતુ જો ત્રણ રોઝા ૯ ઝિલ્હજ્જ પહેલાં નથી રાખ્યા તો પછી હવે કુર્બાની જ કરવી પડશે. જો પૈસાની ગુંજાઈશ ન હોય તો તાત્કાલિક માથુ મુંડાવી હલાલ થઈ જાય. પરંતુ હવે એના ઝિમ્મે બે દમ લાગુ પડશે. એક કિરાનનો અને બીજો કુર્બાનીથી પહેલાં માથું મુંડાવવાને કારણે. માટે બેહતર છે કે કોઈની પાસેથી રકમ લઈ કિરાનવાળી કુર્બાની કરે. હલાલ થવુ અને બે કુર્બાની થવી એ મજબુરીના લઈ ગુંજાઈશ આપેલી છે. જેથી એહરામથી ફારિગ થઈ શકે.
મસ્અલોઃ કારિન અને મુતમત્તિએ એક કુર્બાની તો શુક્રિયહની અદા કરવાની છે કે, અલ્લાહ પાકે એમને હજ અને ઉમરહ બંનેવ ઈબાદતોની તૌફીક આપી. આ કુર્બાનીને (દમે શુક્રિયહ) કહે છે. આ કુર્બાની કારિન અને મુતમત્તિઅ ઉપર વાજિબ છે અને મુફરિદ માટે મુસ્તહબ છે.
બીજી કુર્બાની ઈદુલ અઝહાની છે. જે દર વર્ષે વાજિબ છે. હવે જ્યારે એ હજ માટે આવ્યો, જો એ મુસાફિર છે તો એના ઉપર કુર્બાની વાજિબ નથી. મુસાફિર હોવાનો અર્થ એ કે નવમી ઝિલ્હજ્જ પહેલાં મક્કા મુકર્રમહમાં તેના રોકાણને પંદર દિવસ નથી થયા. તો એ મુસાફિર ગણાશે. એટલે એના ઉપર કુર્બાની વાજિબ નથી. પરંતુ એ કુર્બાની કરે તો મુસ્તહબ અને સવાબનું કામ છે. અને જો ૧પ દિવસ કે વધુ દિવસ થઈ ગયા છે અને પોતે સાહિબે નિસાબ (જેના ઉપર ઝકાત લાગુ પડે છે) પણ છે, તો તેના ઉપર કુર્બાની વાજિબ છે.
મસ્અલોઃ આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હજ કરતી વખતે પોતાની અને પૂરી ઉમ્મતના તરફથી કુર્બાની કરી હતી, તો માલદાર માણસોને નમ્ર વિનંતી છે કે, આપﷺ તરફથી કુર્બાની કરવાનું ન ચૂકે. એનો ઘણો સવાબ છે.
Log in or Register to save this content for later.