Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 110 to 120)
૧૦મી ઝિલ્હજ્જ (ઈદનો દિવસ) સવારમાં મુઝદલિફાના ટૂંકા રોકાણ બાદ મિના પહોંચી પ્રથમ કામ મોટા શયતાનને કાંકરી મારવાનું છે. જે ૧૦ ઝિલ્હજ્જના વાજિબ છે. અત્રે યાદ રહે કે મિનામાં શયતાનને કાંકરી મારવાની ત્રણ જગ્યાઓ છે, જેને ‘જમરાત’ કહેવામાં આવે છે. પહેલો શયતાન મિનાની ‘મસ્જિદે ખયફ’થી નજદીક છે. જેને જમરએ ‘ઉલા’ કહે છે. બીજો વચમાં છે, જેને ‘જમરએ વુસ્તા’ કહે છે. ત્રીજો શયતાન બિલ્કુલ મિનાની છેવટમાં છે. જેને ‘જમરએ અકબા’ કહે છે. જેની નજીકમાં મિનાની હદ પૂરી થવાની તખ્તી (બોર્ડ) લગાવેલી છે. પછી હરમ શરીફ તરફ જવાનો પગપાળા રસ્તો શરૂ થઈ જાય છે.
ઈદના દિવસે ફકત છેલ્લા શયતાનને સાત કાંકરીઓ મારી હઝરત ઈબ્રાહીમ અ.સ.ના મુબારક અમલની નકલ કરવાની છે. હઝરત ઈસ્માઈલ અ.સ.ને ઝબ્હ કરવા જતી વખતે આ ત્રણ જગ્યાઓએ શયતાને બેહકાવવાની કોશિશ કરી હતી. તો આપે કાંકરીઓ મારી તેને હટાવ્યો હતો. હાજી પણ કાંકરી મારતી વખતે એ ધ્યાન રાખી મારે કે મારા જીવનની પ્રત્યેક પળે અલ્લાહ પાક મને શયતાનના વસવસાથી દૂર રાખે.
મસ્અલાઃ કાંકરીઓ મુઝદલિફાથી લાવવી મુસ્તહબ છે. બીજી કોઈ જગ્યાએથી પણ લઈ શકે છે, પરંતુ શયતાનને મારવાની જગ્યાએથી ન ઉઠાવે. કારણકે હદીષ શરીફ પ્રમાણે જેમની હજ કબૂલ થાય છે તેમની કાંકરી ઉઠાવી લેવામાં આવે છે. ત્યાં પડેલી કાંકરીઓ કબૂલ ન થયેલી (મરદૂદ) છે.
કાંકરી મારવાનો મકસદ તથા સમયમાં શરઈ છૂટછાટ
આજ કાલ કાંકરી મારવામાં ઘણી ભીડ થાય છે. ભીડમાં કચડાઈને મૃત્યુના બનાવો પણ બને છે. જે શરીઅતના મસાઇલથી અજાણતા, અભણતા અને ઉતાવળના કારણે બને છે. ભીડ તથા અકસ્માતનું ખાસ કારણ હાજીઓની બેદરકારી છે.
હજ્જ જેવી મુકદ્દસ અને મુબારક ઇબાદત તેનો મકસદ સમજ્યા વગર કરવામાં આવે છે. હજ્જના આદાબ, મર્યાદાઓ, શરઈ હિકમતો, મકસદો વગેરે જાણતા જ નથી અને જાણવાની ફિકર પણ ઘણા ઓછા માણસોને હોય છે. શરીઅતે શયતાનને કાંકરી મારવાનો કેમ હુકમ કર્યો છે ? જ્યારે કે ત્યાં શયતાન તો દેખાતો નથી, ફકત તે જગ્યાએ તેના નિશાનરૂપી થાંભલાઓ– દીવાળો બનાવવામાં આવી છે, જ્યાં સય્યિદિના ઇબ્રાહીમ ખલીલ અ.સ. તેમના ખ્વાબને પૂરો કરવા માટે પોતાના પ્યારા પૂત્ર હઝરત ઇસ્માઈલ ઝબીહ અ.સ.ને લઈ મિના જઈ રહયા હતા. ત્યારે ત્રણ અલગ–અલગ જગ્યાઓએ આવી આપને ખુદા વન્દે કુદ્દૂસનો હુકમ માનવાથી રોકવા માટે તેણે કોશિશ કરી હતી. તેની નિશાનીરૂપે આ જગ્યાઓએ આવી હાજી પણ હઝરત ઇબ્રાહીમ અ.સ.ના મુહબ્બત અને ઇશ્કે ઇલાહીમાં તરબોળ અમલની નકલ કરી શયતાનને કહી રહયો છે કે હું પણ કાંકરી મારવાના આ અમલ દ્વારા તને ઝલીલ કરી એવી પ્રતિજ્ઞા અને પાકો ઇરાદો કરૂં છું કે આજે જેમ તને કાંકરી મારી તારી વાત માનવાના ઇન્કારની નકલ કરૂં છું. સાથે મારા પરવરદિગારથી દુઆ પણ ગુઝારું છું કે મારી જીંદગીના બધા જ કામોમાં શયતાનના કહેવા મુજબ ચાલવાથી મને બચાવે. એટલા જ માટે ઇમામ ગિઝાલી રહ. ફરમાવે છે કે શયતાનને કાંકરી મારતી વખતે શયતાન દિલમાં આ વસવસો નાંખે કે આ જગ્યાએ શયતાન તો નજર આવતો નથી અને તુ તો થાંભલાઓ કે દીવાળને કાંકરી મારે છે ? તો આવુ અક્કલ અને બુધ્ધિ વિનાનું કામ શા માટે કરે છે ? ત્યારે જ સમજી લેવું જોઇએ કે આ પણ શયતાની વસવસો છે જે ખુદા વન્દે કુદ્દૂસના આ આદેશ અને તેના નબીઓની સુન્નતથી મને મહરૂમ કરવા માંગે છે.
તો સૈા પ્રથમ કાંકરી મારવાના અમલનો ઇતિહાસ તેનો ભેદ અને શરઈ મકસદ જ્યારે માણસ સમજી લેશે તો પછી પોતાના હજ્જના દરેક અમલ અને ખાસ કરીને કાંકરી મારવાના અમલમાં આ વાતનું બરાબર ધ્યાન રાખશે કે આ અમલ દરમિયાન શયતાનને રાજી કરવાવાળો કોઈ અમલ ન થાય. તેમાં ધક્કા મુક્કી, ઉતાવળ, લોકોને સતાવવા વગેરે બધી જ બાબતોનો સમાવેશ થાય છે. શયતાન તો આપણા આ પ્રમાણેના બેદરકારીભર્યા વર્તાવ અને અમલથી ખુશ થાય છે કે મારો મકસદ તો પૂરો થઈ રહયો છે. ચાહે જાહેરી દ્રષ્ટીએ આ લોકો મને કાંકરી મારી રહયા છે, પરંતુ તેમના અમલની રૂહ નીકળી જવાને લઈ પરિણામે તો મને જ ખુશ કરી રહયા છે, તથા મારા કહયા મુજબ ચાલી રહયા છે. માટે હજ્જ પઢવા જનાર ભાઈઓ અને બહેનોએ આ બાબતે નીચેની સૂચનાઓ અને મસ્અલા ધ્યાનથી વાંચી–વંચાવી તેના ઉપર અમલ કરવો જોઇએ, જેથી શરીઅતના બતાવ્યા પ્રમાણે આપણી હજ્જ થાય. ખાસ કરીને કાંકરી મારવાના ટાઇમો તથા શરીઅતે તે બાબતે આપેલી સૂચનાઓને ધ્યાનમાં રાખે. અને એવો સમય નક્કી કરે જેમાં ભીડ ઓછી હોય. ખાસ કરી અનુભવી હાજીઓથી ટાઈમ પૂછી લે.
રમીનો સમય :
કાંકરી મારવાના દિવસો ૧૦,૧૧,૧રઅને ૧૩ ઝીલ્હજ્જ છે. જેમાં ૧૦ ઝીલ્હજ્જના ફકત એક મોટા (શયતાન)ને કાંકરી મારવાની છે. જ્યારે ૧૩મી તારીખની સવાર સુધી મિનામાં રોકાઇ જવાથી કાંકરી મારવી વાજિબ થાય છે. અને જો ૧રમીના સાંજના મીનાથી મક્કા મુકર્રમહ તરફ રવાનગી થઈ જાય તો પછી ૧૩મી ઝીલ્હજ્જના કાંકરી મારવી વાજિબ નથી.
. . .
૧૦મી ઝીલ્હજ્જના કાંકરી મારવાનો સમય :
(૧) અફઝલ અને સુન્નત સમય સુર્ય ઉગવાથી લઈ ઝવાલ (ઝોહર) સુધી છે.
(ર) ઝવાલથી લઈ મગરિબ સુધી જાઈઝ સમય છે.
(૩) મગરિબથી લઈ ફજર (સુબ્હે સાદિક) સુધીનો સમય કમઝોર અને બીમાર સ્ત્રી–પુરૂષો માટે જાઈઝ છે. તંદરૂસ્ત અને શકિતવાળા તથા ભીડ–ભાડ વેઠી શકતા માણસો માટે પહેલા બે સમય વધુ મુનાસિબ છે. અને મગરિબ બાદ મકરૂહ છે. પરંતુ તંદરૂસ્ત અને શકિતવાળા માણસોએ પણ રાત્રે કાંકરી મારવાથી દમ, સદકો વગેરે કોઇ પણ સજા લાગુ પડશે નહીં.
આજ કાલ ભીડ વધુ રહે છે અને ઝવાલ પહેલાં કાંકરીઓ મારવા જતી વખતે વધુ ભીડના કારણે અમુક વખતે મરણ પણ થઈ જાય છે. માટે તંદરૂસ્ત માણસો પણ ગુરૂબ પહેલા–પહેલા કાંકરી મારે, જ્યારે ભીડભાડ ઓછી થાય છે. અને સ્ત્રીઓ, બાળકો તથા કમઝોર માણસો રાત્રે શાંતિથી રમી કરે. સખ્ત ઉઝર વગર બિલ્કુલ રમી ન છોડે.
૧૧ અને ૧ર ઝિલ્હજ્જના ત્રણેય શયતાનને કાંકરી મારવાનો સમય આ પ્રમાણે છે :
[૧] સુન્નત અને અફઝલ સમય ઝવાલ (બપોર)થી લઈ સુર્ય આથમતા સુધી છે.
[ર] સુર્ય આથમવા બાદથી લઈ બીજા દિવસે સવાર (સુબ્હે સાદિક) સુધી મકરૂહ સમય છે. પરંતુ દમ વગેરે કોઈ સજા લાગુ પડશે નહીં. અને ભીડને કારણે અલ્લાહ પાકની ઝાતે આલીથી ઉમ્મીદ છે કે બંદાઓની તલબ તેના હુકમના પાલનની ધગશ જોઈ મકરૂહ પણ માફ કરી આપશે. ઈ.અલ્લાહ ૧૩મી તારીખના અફઝલ સમય ઝવાલથી લઈ મગરિબ સુધી છે, પરંતુ ફજર પછી પણ કાંકરી મારવી જાઈઝ છે.
શરીઅત તરફથી સહુલત :
હાજીઓના કચડાઈ જવાના અને ભીડ વગેરેમાં અકસ્માત થવાના બનાવોમાં હાજીઓની અભણતા, અજાણતા, ઉતાવળ વગેરેને લઈ ઘણાં અરકાન અદા કરવામાં ખલલ પહોંચે છે, પરંતુ ફકત હાજીઓની નાદાની જ અકસ્માતનું એક કારણ નથી. કાંકરી મારવાની જગ્યાઓનું તંગ હોવું, તથા સમયનું મર્યાદિત હોવું અને હાજીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો હોવો, ટ્રાફિકનું જામ થઈ જવું અને કાંકરી મારવાની જગ્યાએ વારંવાર અકસ્માત સર્જાવવાને લઈ આ અમલ કરવા પહેલાંથી જ તેનો એક અંજાણો ડર અને બીકનું હોવું, કાંકરી માર્યા બાદ આજુ બાજુ ટોળા વળી ઉભા રહેવું, અમુક લોકોનો રસ્તામાં જ સામાન લઈ પડાવ નાંખી દેવો અને હાજી લોકો સાથે સાઉદી સરકારની નરમીને લઈ પણ વ્યવસ્થામાં ખલલ પહોંચે છે.
આ અકસ્માતના કિસ્સાઓ વધુ પડતા ૧૦ અને ૧ર ઝિલ્હજ્જના થાય છે. કારણ કે ઇદના દિવસે કાંકરી મારવી, કુરબાની અને વાળ કપાવવા–મુંડાવવાનો અમલ તથા તવાફે ઝિયારત કરવાનો હોય છે. તો આવા મોકા ઉપર શરીઅતે આપેલ રૂખ્સત અને રાહતનો કમઝોર તથા ભીડ ભાડ ન વેઠી શકનાર લોકોએ ફાયદો ઉઠાવવો જોઈએ, જેથી કાંકરી મારવાના એક અમલમાં જ થાકી જઈ અથવા સખ્ત તકલીફ ઉઠાવી બીમાર પડી જનાર લોકો જે ત્યાર પછીના અરકાનો અને બીજા અમલોમાં પણ કમઝોર અને સુસ્ત પડી જાય છે. તેઓ બીજા અરકાનો સારી રીતે અદા કરી શકે.
પ્રખ્યાત હનફી ફકીહ અલ્લામા શામી રહ. લખે છે કે જે માણસને ભીડનો ખતરો અને ડર હોય અને તે મુઝદલિફામાં રાત ન ગુઝારે અને (અરફાતથી સીધો) મિના જઈ સુર્ય ઉગ્યા પહેલા રમી કરી લે તો તેને કોઈ દમ (સજા) લાગુ પડશે નહીં.
ત્યાર બાદ અલ્લામા શામી રહ. એક કાયદો લખે છે જેનો ખુલાસો એ કે જો કોઈ વ્યકિત હજ્જના કોઈ પણ વાજિબ અમલને ઉઝરને કારણે છોડી આપશે તો તે વાજિબ છોડવાને લઈ કોઈ સજા લાગુ પડશે નહીં. એની તુલના (મુકાબલા)માં શરીઅતે મના કરેલ કોઈ કામ કર્યું (જેને જીનાયત કહેવામાં આવે છે.) દાખલા તરીકે સીવેલાં કપડાં ઉઝરને કારણે પહેર્યા તો પણ સદકો અથવા દમ (સજા) લાગુ પડશે.
આ જ પ્રમાણે ૧૧–૧ર અને ૧૩ ઝીલ્હજ્જ વિશે અલ્લામા શામી રહ. લખે છે કે કુર્બાનીના દિવસોમાં (૧૧–૧ર ઝીલ્હજ્જ) ત્રણેય શયતાનોને કાંકરી મારવાનો સમય ઝવાલ પછી છે, માટે મશ્હૂર કૌલ (કથન) પ્રમાણે તેનાથી પહેલાં જાઈઝ નથી અને એક કૌલ (કથન) એ છે કે ઝવાલ પહેલાં પણ જાઈઝ છે. [ શામી : પર૧–પરર ભાગ –ર]
ઉપરની વાતોનો ખુલાસો અને સારાંશ એ કે જ્યારે બીજા ઈમામો હઝરત અતા, તાઉસ, શુઅબી, ઈમામ શાફિઈ તથા હંબલી અને માલિકી મઝહબમાં ફજરથી પહેલાં કાંકરી મારવી જાઈઝ છે. તો તેમના માનવાવાળા ઈદના દિવસે ફજર પહેલાં કાંકરી મારવા જવા માંડશે તો દિવસે ભીડ ઓછી થશે. અને હનફી મઝહબમાં પણ બીમાર ,કમઝોર પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો પણ ફજર પહેલાં જઈ શકે છે. તથા હનફી મઝહબમાં પણ ઈદના દિવસે સુર્ય ઉગ્યા બાદથી લઈ તે આખો દિવસ અને ત્યાર પછીની આખી રાત (સુબ્હે સાદિક) સુધી કાંકરી મારી શકે છે. તો હનફી લોકો આ પ્રમાણે સહુલત ઉપર અમલ કરી ભીડથી બચી શકે છે.
જે લોકો નવયુવાન અને શકિતમાન છે તથા ફેમિલી વગર એકલા હજ્જ માટે આવ્યા છે અને તેમણે અફઝલ વખત ઉપર અમલ કરવો શકય હોય તો પછી તેમણે અફઝલ (સુન્નત) તથા જાઈઝ વખતે કાંકરી મારવાની કોશિશ કરવી જોઈએ. તે સિવાય ફેમિલીવાળા તથા કમઝોર લોકો આખા દિવસમાં અને ત્યાર બાદ આખી રાતમાં ગમે ત્યારે કાંકરી મારી ભીડથી બચી શકે છે.
ફેમિલીવાળા લોકોની તકલીફ એ છે કે તેમને એકલા જઈ કાંકરી માર્યા બાદ ફરીથી પોતાની સ્ત્રીઓ, બાળકો અને કમઝોરોને પણ બીજા ટાઈમે લઈ જવામાં ભીડને લઈ થાક તથા બીમાર પડી જવાની આશંકા હોય છે, તો તેમણે સાંજે અથવા રાત્રીના સમયે ફેમિલી સાથે પોતાની કાંકરી મારવાની ગુંજાઈશ છે.
૧૧ ઝીલ્હજ્જના ફકત કાંકરી મારવાની વિધિ કરવાની છે. તો તે દિવસે બપોર પછીથી લઈ બીજા દિવસે સવાર (સુબ્હે સાદિક) સુધી કાંકરી મારવામાં આવે.
અને ૧ર ઝિલ્હજ્જના હાજીઓ મગરિબ પહેલાં મિના છોડવાની ઉતાવળમાં હોય છે, તેમને એવો ખોટો ડર હોય છે કે મિનામાં મગરિબ થઈ જવાથી હવે બીજા દિવસ (૧૩) પણ રોકાવુ જરૂરી છે. અને ૧૩મી ઝીલ્હજ્જની રમી કરવી પણ વાજિબ થઈ જશે. હાલાંકે મગરિબ બાદ નીકળવું ફકત મકરૂહ છે, તેનાથી કોઈ સજા લાગુ પડશે નહીં. મગરિબ બાદ મિનાથી મક્કા મુકર્રમહ માટે નિકળશે તો પણ આવતી કાલ (૧૩)ની રમી મારવી જરૂરી નથી. ૧૩ ઝિલ્હજ્જની કાંકરી મારવી ત્યારે વાજિબ થશે જ્યારે ૧૩ ઝિલ્હજ્જની સવાર સુધી મિનામાં રોકાઈ જાય.
હાજીઓને એ ડર પણ હોય છે કે ૧ર ઝીલ્હજ્જની સાંજથી જ મિનામાં તંબુ ઉખેડી નાખવામાં આવે છે તથા વિજળી, પાણીની સપ્લાઈ બંધ કરવામાં આવે છે,જ્યારે કે હકીકત એ છે કે તંબુ કાઢવાનો તો હવે સવાલ જ પેદા થતો નથી. તંબુ તો આખુ વર્ષ એવા જ રહે છે. હાં, પાણી–વિજળી વિશે અમુક તંબુઓમાં શિકાયત રહે છે, પરંતુ મુઅલ્લિમોના માણસોની ઓફિસો મિનામાં ખુલ્લી રહે છે. અને થોડાક જ માણસો ૧૩મી ઝિલ્હજ્જની રાત્રે મિનામાં બાકી રહેતા હોય છે. તેમને મુઅલ્લિમોના માણસો એમ કહે છે કે તમો બધા અલગ અલગ તંબુમાં પોતાની જગ્યાએ ન રહો. અને હમારી ઓફિસની પાસેના તંબુમાં આવી જાવો, જેથી તમારી જરૂરિયાતનો ખ્યાલ રાખી શકાય. જો કે મુઅલ્લિમોના માણસો પણ એમ ચાહે છે કે લોકો જલ્દી ચાલ્યા જાય. હાજીઓને એવી તઅલીમ આપવી જોઈએ કે ૧૩મી ઝીલ્જ્જના રોકવાનો માહોલ બનાવે. જેથી ભીડથી બચી શકાય. અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સુન્નત ઉપર પણ અમલ થાય.
હાજીઓ પાસે મિનામાં રોકાણ માટે સામાન પણ હોય છે. ૧ર ઝીલ્હજ્જના તેને ઉંચકવાનો તથા સાથે કમઝોર, ઘરડા, બીમાર, સ્ત્રીઓ અને બાળકો હોય તો તેમને સહી સલામત મક્કા મુકર્રમહ લઈ જવાના હોય છે. તેવી હાલતમાં કાંકરી મારવાની વિધિ કરવાની હોય છે. આ બધા ટેન્શનોમાં ગભરાય જાય છે અને જલ્દીમાં કોઈ પણ પગલુ ભરવા તૈયાર થઈ જાય છે.
તો એવી સુરતમાં હઝરત ઈમામ અબુ હનીફા રહ.ના એક ગેર મશ્હૂર (અપ્રચલિત) અને ગેર મુફતાબિહિ (જેના આધારે ફતવો અપાતો નથી) કથન ઉપર ફતવો આપી શકાય છે, જેના પ્રમાણે ૧૧,૧ર ઝીલ્હજ્જ બંન્નેવ દિવસની રમીનો સમય સુબ્હે સાદિકથી શરૂ થાય છે. આ કથનુસાર કમઝોર, અશકત લોકો તથા સ્ત્રીઓ, બાળકો અને તેમને સાચવવાવાળા તંદરૂસ્ત, જવાન માણસોને ફજર પછીથી પરવાનગી આપવામાં આવે તો પણ ભીડ તથા અકસ્માત સર્જાવાના સંજોગો ઓછા થઈ શકે છે. અને તંદરૂસ્ત, શકિતમાન ફેમિલી વગરના માણસો સુન્નત ટાઈમ પ્રમાણે બપોર પછી સાંજના ચાર–પાંચ વાગ્યા બાદ કાંકરી મારવા જાય, કારણ કે તે ટાઈમે બન્નેવ દિવસે (૧૧,૧ર) ભીડ ઓછી હોય છે.
ઇમામ હસન રહ. ઇમામ અબુ હનીફા રહ.થી રિવાયત નકલ કરે છે કે જો હાજીનો ઇરાદો નફરે અવ્વલ (મિનાથી મક્કા જલ્દી પહોંચવા)નો છે. તો તેના માટે ત્રીજા દિવસે ઝવાલથી પહેલા રમી કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ જો તેનો ઇરાદો આ પ્રમાણેનો ન હોય તો તેના માટે ઝવાલથી પહેલા રમી કરવી જાઇઝ નથી. (જલ્દી પહોંચવાનો ઇરાદો હોય તો ઝવાલથી પહેલાં રમી જાઇઝ છે.) કેમ કે જ્યારે હાજીનો ઇરાદો જલ્દી પહોંચવાનો છે તો રમી કરવામાં મોડુ કરવાના લઈ તે હરજ (મુસીબત)માં સપડાઈ જશે. કે, તે મક્કા શરીફમાં રાત્રે પહોંચશે, એટલે તે હવે મોહતાજ છે કે ઝવાલથી પહેલા રમી કરી લે કે, જેથી દિવસે (અજવાળામાં) મક્કા શરીફમાં પહોંચી જાય, કે જેથી પોતાના પડાવ માટેની જગ્યા શોધી લે. માટે (આવા સંજોગોમાં) તેને છૂટ આપવામાં આવશે. હા….અફઝલ તો અઝીમત પર અમલ કરવો જ રહયો, એટલે કે ઝવાલ પછી રમી કરવી. [મબસૂતે સરખ્સી ભાગ –૪ પેજ : ૬૮]
રમીનો સમય : રમીનો સમય બીજા અને ત્રીજા (૧૧–૧ર ઝીલ્હજ્જના) દિવસે ઝવાલ પછીથી છે. આ બન્નેવ દિવસોમાં ઈમામ અબૂ હનીફા રહ.ની મશ્હૂર રિવાયત પ્રમાણે રમી જાઇઝ નથી. અને ઇમામ અબૂ હનીફા (રહ.)થી એક રિવાયત એમ પણ છે કે અફઝલ તો એ છે કે બીજા અને ત્રીજા દિવસે ઝવાલ પછી રમી કરે, પરંતુ જો ઝવાલ પહેલાં પણ કરી લે તો તે જાઈઝ છે. [બદાઈઉસ્સનાઈઅ : ભાગ–ર, પેજ–૩ર૪] Log in or Register to save this content for later.