મુઝદલિફામાં થોભવું

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 107 to 110)

મસ્અલોઃ મુઝદલિફામાં મગરિબ અને ઈશાંની નમાઝ ભેગી પઢવાની છે. મુઝદલિફામાં એક સાથે બે નમાઝો માટે અરફાતની જેમ બાદશાહના નાયબની શર્ત નથી. તથા જમાઅતથી પઢવું પણ શર્ત નથી. એકલા પઢે તો પણ ભેગી પઢે. બે–ચાર માણસો ભેગા થઈ ઈશાના ટાઈમે એક અઝાન અને તકબીર સાથે મગરિબ અને ઈશાંની નમાઝ પઢી લે તો બેહતર છે. બંનેવ નમાઝો વચ્ચે સુન્નત કે નફ્‌લ પણ ન પઢે. ઈશાંની ફર્ઝ નમાઝ બાદ મગરિબ તથા ઈશાંની સુન્નતો અને વિત્ર પઢે. મુસાફિર કસર પઢશે અને મુકીમ પૂરી પઢશે.

મસ્અલોઃ જો મુઝદલિફા ઈશાં પહેલાં પહોંચી જાય તો પણ ઈશાના સમય થતા પહેલાં મગરિબ ન પઢે. ઈશાંના ટાઈમ થવાની રાહ જુએ (ઈશાંના ટાઈમમાં મગરિબ ઈશાં પઢે).

મસ્અલોઃ મુઝદલિફામાં મગરિબ ઈશાંની નમાઝથી પરવાર્યા બાદ ‘સુબ્હ સાદિક’ સુધી થોભવુ સુન્નતે મોઅક્કદહ છે અને ખાસ વાજિબનો ટાઈમ સુબ્હ સાદિક પછીથી લઈ સૂરજ ઉગ્યા સુધીનો છે. જે હજના વાજિબોમાંથી છે.

મસ્અલોઃ સુન્નત એ છે કે થોભવાનું સુબ્હ સાદિકથી શરૂ કરે અને સારી રીતે અજવાળુ થવા સુધી એટલે કે, સૂર્યોદય થતાં પહેલાં લંબાવે.

મસ્અલોઃ મુઝદલિફાની રાત્રે જાગવું અને ઈબાદતમાં મશ્ગૂલ રહેવું મુસ્તહબ છે. આ રાતની ફઝીલત અને મહત્વતા ઘણી જ છે. માટે એમ ન થાય કે આ મુબારક રાત ઉંઘવામાં વેડફાઈ જાય. બેહતર એ છે કે જો અરફાતથી આવી થાકી ગયો હોય તો બે–ત્રણ કલાક આરામ કરી લે અને પછી મોડી રાત્રે ઉઠીને તહજ્જુદની નમાઝ દુઆ, તસ્બીહ વગેરેમાં પોતાનો ટાઈમ પસાર કરે.

મસ્અલોઃ સુબ્હ સાદિક થઈ જતાં ફજરની નમાઝ અદા કરે, ત્યાર પછી થોડીવાર મુઝદલિફામાં થોભી જાય. તસ્બીહ, દુઆ વગેરે કરે અને સૂર્યોદયથી પાંચ–દસ મીનીટ પહેલાં મીના જવા રવાના થાય.

નોંધઃ ફજરની નમાઝનો ટાઈમ મક્કા મુકર્રમહથી રવાના થતી વખતે સારી રીતે નોંધી લે. જેથી મુઝદલિફમાં ટાઈમની ગરબડ ઉભી ન થાય. અમુક માણસો મિના જવાની ઉતાવળમાં ફજરનો ટાઈમ થતાં પહેલાં અઝાન આપી નમાઝ પઢી લે છે. માટે સાવચેત રહેવું જોઈએ. કારણકે વખત થતાં પહેલાં નમાઝ અદા થતી નથી. ગવર્મેન્ટ તરફથી ફજરનો ટાઈમ શરૂ થતાં તોપની અવાઝ કરવામાં આવે છે.

મસ્અલોઃ મુસ્તહબ છે કે મુઝદલિફામાંથી કાંકરીઓ વીણી લેવામાં આવે. આ કાંકરીઓ ઘણી મોટી પણ ન હોય અને નાની પણ ન હોય. ખજૂરના ઠળિયાથી ચણા–વટાણાના દાણા જેટલી હોવી જોઈએ. કુલ ૭૦ થી ૭પ કાંકરીઓ લઈ લે. મુઝદલિફામાં વીણવામાં સહુલત રહેશે. જ્યાં થોભ્યા હોય ત્યાં આજુબાજુ પડેલી જ હોય છે. માટે આસપાસથી વીણી લે. મુઝદલિફામાંથી ન લેવામાં આવી તો બીજી જગ્યાએ મુશ્કેલી પડશે.

મસ્અલોઃ જો કોઈએ મગરિબની નમાઝ અરફાતમાં અથવા રસ્તામાં પઢી લીધી તો મુઝદલિફા પહોંચી તેને દોહરાવવી વાજિબ છે.

મસ્અલોઃ જો કોઈ સુબ્હ સાદિક પછી થોડીવાર થોભી મિના રવાના થઈ જાય. સૂર્યોદયની રાહ ન જુએ તો પણ વાજિબ અદા થઈ જશે. વાજિબ અદા થવા માટે ફજરની નમાઝ મુઝદલિફામાં પઢવી કાફી છે, પરંતુ સુન્નત એ છે કે સૂર્યોદયથી પાંચ મિનીટ પહેલાં સુધી થોભે.

મસ્અલોઃ મુઝદલિફાના પુરા મેદાનમાં જ્યાં ચાહે ત્યાં થોભી શકે છે. પરંતુ એક જગ્યા ‘વાદીએ મુહસ્સર’ જેને આજકાલ ‘વાદિયુન્નાર’ પણ કહે છે. સઉદી સરકારે તેના શરૂમાં તખ્તી લગાવેલી છે. જેથી કોઈ ભૂલમાં ત્યાં ન થોભે. આ મિના તરફ મુઝદલિફાથી બહાર તે જગ્યા છે, જ્યાં હાથીવાળા (અબ્રહાના લશ્કર) ઉપર અઝાબ ઉતર્યો હતો.

મસ્અલોઃ મુઝદલિફામાં થોભવું વાજિબ છે, પરંતુ ઓરતો અને કમઝોર બિમાર વૃદ્ધો જો ઉઝરને લઈ આ વાજિબ છોડી દે અને અરફાતથી સીધા મિના ચાલ્યા જાય તો જાઈઝ છે. તેનો કોઈ કફફારો કે દમ વાજિબ થશે નહીં, પરંતુ જો કોઈ મર્દ બિમારી અને ઘડપણના ઉઝર વગર આ થોભવાનું છોડી આપશે તો દમ વાજિબ થશે.

મસ્અલોઃ બિમાર અને તંદરૂસ્તનો આ ફર્ક ફકત મુઝદલિફામાં થોભવા બાબત જ છે. તેના સિવાય એહરામમાં મના કરેલ કોઈપણ બાબતથી વિરૂદ્ધ કામ કોઈ બિમારે કર્યું તો પણ તેના ઉપર દમ લાગુ પડશે. ફકત મુઝદલિફાનું રોકાણ અને દમ માફ છે.

મસ્અલોઃ સૂર્યોદય પછી જાણી જોઈને મુઝદલિફાથી નીકળવામાં મોડુ કરવુ સુન્નત વિરૂદ્ધ છે.

Log in or Register to save this content for later.