Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 95 to 107)
મિનાથી અરફાત (૯મી ઝિલ્હજ્જ) :
૯મી ઝિલ્હજ્જના ફજરની નમાઝ પછીથી તકબીરે તશરીક શરૂ થઈ જાય છે. માટે મિનામાં અને અરફાતમાં બંનેવ જગ્યાઓએ ફર્ઝ નમાઝો પછી એક વખત આ તકબીર પઢે :
اَللّٰہُ اَکْبَرُ اَللّٰہُ اَکْبَرُ لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَاللّٰہُ اَکْبَرُ اَللّٰہُ اَکْبَرُ وَلِلّٰہِ الْحَمْدَ۔
અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલિલ્લાહિલ્હમ્દ.
મસ્અલોઃ ૯મી ઝિલ્હજ્જથી ૧૩મી ઝિલ્હજ્જ સુધી પહેલાં તકબીર પઢવી, પછી તલ્બિયહ પઢવું. પરંતુ ૧૦મી ઝિલ્હજ્જની રમી સાથે જ તલ્બિયહ પઢવાનું ખતમ થઈ જશે. હવે ૧૩મીની સાંજ સુધી ફકત તકબીર પઢવામાં આવશે.
૯મી ઝિલ્હજ્જના ફજરની નમાઝ ઈસ્ફાર (સવારનું અજવાળુ સારી રીતે ફેલાઈ જાય ત્યારે)માં પઢે અને જ્યારે સૂર્યોદય થાય તો અરફાત જવા રવાના થઈ જાય. ૯મી ઝિલ્હજ્જ પહેલાં અથવા સૂરજ ઉગ્યા પહેલાં રવાના થવું સુન્નતની વિરૂદ્ધ છે. પરંતુ આજકાલ ભીડ તથા બસો સમયસર ન મળવાને કારણે મુઅલ્લિમો વહેલા મોકલી આપે છે. ત્યાંના સંજોગો અને હાલાતને લઈ આ પણ એક ઉઝર છે. માટે અલ્લાહ પાકની રહમતથી ઉમ્”મીદ છે કે સુન્નત છૂટવાનો ગુનોહ માફ કરી દેશે. ઈ.અલ્લાહ.
અરફાત તે જગ્યા છે, જ્યાં હઝરત આદમ અલૈહિસ્સલામ અને હઝરત હવ્વા રદી.નું જન્નતમાં થયેલ જુદાઈ બાદ મિલન થયુ હતું. આ મેદાનના કોઈપણ ભાગમાં નવમીના ઝવાલ બાદ અથવા રાતના કોઈપણ ભાગમાં રોકાવુ ફર્ઝ છે, પરંતુ સૂરજ ડુબ્યા પહેલાં અરફાતની હદમાંથી જવાથી દમ વાજિબ થશે. માટે સૂર્યાસ્ત સુધી થોભે.
મસ્અલો : હજનો સૌથી મોટો અને મહત્વનો ફર્ઝ અરફાતમાં થોભવુ છે. અરફાતમાં રોકાણ દરમિયાન વાજિબ છે કે, સૂરજ ડુબવા પહેલાં આવનારે સૂર્યાસ્ત સુધી થોભવુ. એટલે કે સૂર્ય અથમાય ત્યારે અરફાતમાં હોય.
પરંતુ જે માણસ ૯ ઝિલ્હજ્જના અરફાત ન જઈ શકયો અને ૧૦મીની રાત્રે આવીને થોભે તો થોડો સમય રોકાવાથી પણ ફર્ઝ અદા થઈ જશે.
અરફાતમાં નિય્યત કરવી જરૂરી નથી, મુસ્તહબ છે. એ જ પ્રમાણે થોભવા માટે ઉભુ રહેવુ પણ જરૂરી નથી. બેઠા, સૂતાં, જાગતા, ઉંઘતા પણ વુકૂફ થઈ જશે, પરંતુ વિના કારણે સુવું મકરૂહ છે.
ઝવાલ થતાં જ થોભવાનો સમય શરૂ થઈ જાય છે. આ સમયને ઘણો કિંમતી સમજી ઈબાદતોમાં પોતાને ખૂબ મશ્ગુલ રાખે. દુઆ માંગવામાં કોઈ જ કમી ન કરે. જે રબ્બે અકરમથી માંગીએ છીએ, તેના ખજાનામાં કોઈ વસ્તુની કમી નથી. આસ્માન અને ઝમીનના સઘળા ખજાનાનો તે માલિક છે. માટે પોતાના માટે, વાલિદૈન, સગાં–સંબંધીઓ અને સઘળા મુસલમાનો માટે ખૂબ આજીઝી અને નમ્રતાથી માંગે. આજે માંગવાનો ખાસ દિવસ છે.
મસ્અલો : એહરામ બાંધ્યા બાદ અરફાતમાં થોભવા પહેલાં કોઈએ પત્ની સાથે સંભોગ કરી લીધો તો હજ ફાસિદ થઈ જશે, અને તેના ઉપર ત્રણ ચીજો વાજિબ થઈ જશે.
૧. એક નાનું જાનવર હલાલ કરે. (બકરી)
ર. એહરામ સાથે હજની બાકી ક્રિયાઓ પુરી કરે.
૩. એહરામમાં મના કરેલ બધી જ વસ્તુઓથી બચતો રહે અને આવતા વર્ષે નવા એહરામ સાથે આ હજની કઝા કરે. ચાહે આ હજ નફલી હોય.
મીનાનું મકકા મુકર્રમહમાં શામિલ હોવું :
બધી જુની કિતાબોમાં આ લખ્યુ છે કે, મક્કા મુકર્રમહ અને મીના બન્નેવ અલગ–અલગ જગાઓ છે. પરંતુ આ જમાનામાં મક્કા મુકર્રમહની વસ્તી મીના સાથે મળી ગઈ છે અને બન્નેવ જગાની મ્યુનિસિપાલિટી પણ એક છે. મક્કા મુકર્રમહની મોટી હોસ્પિટલ ખાસ મીનાની હદમાં આવેલી છે, જે આખુ વર્ષ ખુલ્લી રહે છે. તથા રાબતએ આલમે ઈસ્લામીની ઓફીસ પણ મીનામાં આવેલી છે. માટે હવે મીના પર પણ મક્કા મુકર્રમહના અહકામ લાગુ પડશે. અને તેને મક્કા મુકર્રમહમાં શામેલ કરી હાજીઓ સાથે આ મસ્અલા જોડાશે (સંબંધિત થશે).
[૧] જે શખ્સ ઝિલ્હજ્જની ૯ તારીખ પહેલાં પંદર દિવસથી મક્કા મુકર્રમહ સ્થાયી હોય તો તેણે પુરી નમાઝ પઢવી પડશે. પહેલાં આ સિલસિલામાં ૮મી તારીખથી ગણના થતી હતી, પણ હવે ૯મી તારીખનો એઅતેબાર થશે. કારણકે તે જ દિવસે મીનાથી અરફાત જવાનું હોય છે.
[ર] જે શખ્સ પહેલેથી સ્થાયી ન હોય અને તે ૧૦મી ઝિલ્હજ્જથી આગલા પંદર અથવા વધારે દિવસ મક્કામાં રહેવાનો હોય તો તે મીનામાં જ દસ તારીખે ઝોહરના વખતથી મુકીમ ગણાશે અને પુરી નમાઝ પઢવી પડશે.
[૩] એવો હાજી જે પહેલાથી મુકીમ હોય અથવા ૧પ દિવસની નિય્યતથી મુકીમ થઈ ગયો હોય તો ૧૦ ઝિલ્હજ્જાએ મુકીમ હોવાને લીધે તેના પર કુર્બાની પણ વાજિબ થશે. (આ કુર્બાની દમે શુક્રના સિવાયની છે.) આ કુર્બાની હરમની હદમાં કરવી જરૂરી નથી, પોતાના વતનમાં પણ કુર્બાની કરાવી શકે છે. અને જો આ મુકીમે ઈદના દિવસોમાં (૧૦, ૧૧, ૧ર) કુર્બાની ન કરી તો પછી કુર્બાનીની કિંમતનો સદકો આપવો જરૂરી છે.
આમ તોર ફિકહની કિતાબોમાં લખેલું છે કે, જો કોઈ માણસ મક્કા મુકર્રમહમાં પહોંચ્યો અને ૮ ઝિલ્હજ્જ સુધી તેના પંદર દિવસ પુરા નથી થતા તો તેને નમાઝોમાં કસ્ર કરવાની રહેશે. કારણકે આઠ તારીખે તો કોઈપણ સંજોગોમાં તેણે મક્કા મુકર્રમહ છોડવાનું છે. માટે તેની પંદર દિવસની ઈકામત (થોભવાની) નિય્યતનો એઅતેબાર ન થશે. આ તે વખતની વાત છે જ્યારે મીના મક્કા મુકર્રમહથી અલગ હતું. હવે સુરતે હાલ એ છે કે, મક્કા મુકર્રમહની આબાદી મીનાને પણ વટાવી ગઈ છે અને મીના મક્કાનો એક મહોલ્લો બની ચૂકયુ છે. જેમકે સ્થાયી લોકોથી પુછવાથી અને જોવાથી ખબર પડી. બન્નેવની મ્યુનિસિપાલિટી એક જ છે. માટે હવે ૮ તારીખ નહિં, પણ ૯ તારીખને એઅતેબાર થશે.
મીનામાં જુમ્આની નમાઝ કાયમ કરવી :
મીનાનું મક્કા મુકર્રમહમાં શામેલ થઈ જવાથી તેના સંબંધિત ચોથો મસ્અલો એ છે કે, જો મીનામાં રહેવાના દિવસો (૧૦, ૧૧, ૧ર, ૧૩ ઝિલ્હજ્જ)માં જુમ્આ આવી જાય તો ત્યાં જુમ્આ કાયમ કરવી જરૂરી છે. જો મસ્જિદમાં જુમ્આની નમાઝ કાયમ ન થાય તો તંબુઓમાં અલગ–અલગ જમાઅતોની સાથે જુમ્આની નમાઝ પઢવી પડશે. એટલા માટે કે આ પણ એક શહેરના હુકમમાં આવી ચૂકયું છે.
મીનાના દિવસોમાં મુઝદલિફામાં થોભવુ :
મીનાની હદ શરીઅતમાં નક્કી છે. જ્યાં સાઉદી હુકૂમતે મોટા લીલા બોર્ડ લગાવી રાખ્યા છે. પરંતુ સન હિજરી ૧૪ર૦ થી હુકૂમતે તંબુઓની સલામતી અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે તંબુઓનો સિલસિલો ફકત મીના સુધી સિમિત ન રાખી મુઝદલિફાના વિસ્તારમાં પણ ફેલાવ્યો છે. મુઝદલિફામાં બનાવેલા તંબુઓમાં હજારો હાજીઓના રહેવાની વ્યવસ્થા છે. હવે આ સુરતે હાલમાં મીનામાં રાત ગુજારવાની જે ખાસ સુન્નત છે, તે છૂટી રહી છે. માટે જો મુઝદલિફામાં રહેવાવાળા હાજીઓને સહુલતની સાથે મિનાની હદમાં રહેવાનું મળે તો ઠીક, નહી તો જો મુઝદલિફામાં રહેવુ પડે. જેમકે આજકાલ થઈ રહયુ છે. તો તેના કારણથી તેના પર કોઈ દમ વાજિબ ન થશે. અને હુકૂમતી વ્યવસ્થાની મજબુરીના કારણે ઈન્શાઅલ્લાહ સુન્નત છોડવાનો ગુનોહ પણ ન થશે. અને મુઝદલિફામાં રહેવાવાળા હાજીઓ જો અરફાતથી પાછા આવી મુઝદલિફાની હદમાં આવેલ પોતાના તંબુઓમાં રાત ગુજારે તો મુઝદલિફા થોભવાનો અમલ પણ પૂર્ણ થઈ જશે.
મુઝદલિફાના બારામાં ઉલમાએ કિરામ અને મુફતી હઝરાતનો ફતવો :
પહેલા જમાનામાં મક્કા મુકર્રમહ, મીના, મુઝદલિફા અને અરફાત બધા અલગ–અલગ સ્થળો હતા. આ સ્થળોની વસ્તી એકબીજા સાથે મળેલી ન હતી. માટે લાંબા વખતથી તેના પર જ એઅતેબાર કરીને કસ્ર અને ઈતમામના (પુરી નમાઝ પઢવા ન પઢવાનો) મસાઈલ બતલાવવામાં આવતા હતા. પણ પાછલા અમુક વર્ષોથી મક્કા મુઅઝઝમહની વસ્તીમાં એટલી તેજીથી વધારો થયો છે કે મીના ત્રણ બાજુથી મક્કા મુકર્રમહની સાથે મળી ચૂકયું છે. માટે સન હિ. ૧૪ર૦માં પ્રખર ઉલમા અને મુફતીઓએ પોતાની નજરોથી જોઈને મીનાના મક્કામાં શામેલ હોવાનો ફતવો આપ્યો.
ફરી ૧૪ર૪માં ઉપરોકત સ્થળોને જોવામાં આવ્યા તો માલુમ પડયું કે, મુઝદલિફા પણ મક્કા મુકર્રમાની વસ્તીથી લગોલગ થઈ ચૂકયુ છે. માટે હવે નમાઝ પુરી પઢવા ન પઢવા વિશે મુઝદલિફાનો હુકમ પણ મક્કા મુકર્રમાનો જ રહેશે અને જે હાજીઓનો મક્કા મુકર્રમાનો આવવા–જવા દરમિયાન થોભવાનો સમય પંદર દિવસનો થાય છે, તેઓ પુરી નમાઝ પઢશે. અને આ મુદ્દતમાં મીના અને મુઝદલિફામાં રાત ગુજારવાથી તેના મુકીમ હોવામાં કોઈ ફર્ક નહીં પડે. કારણકે મીના અને મુઝદલિફા હવે મક્કા મુકર્રમહના હુકમમાં છે. અને અરફાતમાં પણ દિવસમાં થોભવાનું હોવાથી ત્યાં પણ પુરી નમાઝ પઢશે.
યાદ રહે કે આ ફતવાનો સંબંધ પવિત્ર શઆઈર (મિના, મુઝદલિફા, અરફાત)ની શરઈ હદથી નથી. કારણકે આ બધાનો દારોમદાર (આધાર) વહી પર છે. તેમાં વધારા–ઘટાડાનો કોઈને હક નથી. હાં, નમાઝ પુરી પઢવા ન પઢવાના બારામાં તે હુકમ હશે, જે ઉપર રજૂ થઈ ચૂકયો. આ ફતવા પર નીચેના ઉલમા અને મુફતીઓની મોહર છે :
[૧] હઝરત મૌલાના શૈખ અબ્દુલ હક સા. (ખાદીમે દારૂલ ઉલૂમ–દેવબંદ) [ર] હઝરત મૌલાના મહમૂદ હસન બલન્દ શેહરી (ખાદીમે દારૂલ ઉલૂમ–દેવબંદ) [૩] હઝરત મૌલાના શબ્બીર અહમદ મુફતી (જામિઅહ કાસિમિય્યહ– શાહી મુરાદાબાદ) [૪] હઝરત મૌલાના શબ્બીર મુહમ્મદ અલવી (મુફતી જામિઅહ અશરફિય્યહ–લાહોર–પાકિસ્તાન) [પ] હઝરત મૌલાના મુફતી સલમાન મન્સૂરપુરી (જામિઅહ કાસિમિય્યહ–શાહી મુરાદાબાદી) [૬] હઝરત મૌલાના મુશર્રફઅલી થાનવી સા. (મુફતી : દારૂલ ઉલૂમ ઈસ્લામિય્યહ –ઈકબાલ ટાઉન, લાહોર) [૭] હઝરત મૌલાના મુફતી ફારૂક સાહબ (જામિઅહ મહમૂદિય્યહ–અલીપુર હાપૂર, મીરઠ) [૮] હઝરત મૌલાના મુબીન અહમદ કાસમી સા. (જામિઅહ અરબિય્યહ ખાદીમુલ ઈસ્લામ–હાપોર) [૯] હઝરત મૌલાના મુફતી મકસુદ આલમ સા. [૧૦] હઝરત મૌલાના મુફતી અબૂલ કલામ મરકઝી (દારૂલ ઈફતા જામિઅહ ઈસ્લામિય્યહ અરબિય્યહ–ભોપાલ [૧૧] હઝ. મૌલાના મુફતી અબ્દુસ્સત્તાર સા. (અફઝુલુલ ઉલૂમ–તાજગંજ, આગ્રા)
અરફાતના મેદાનમાં ઈમામ સાથે નમાઝ :
અરફાતમાં હજના ઈમામ મસ્જિદે નમિરહમા ઉભા થઈ નમાઝ પઢે છે. અને પાછળ લાખો નમાઝીઓ તેમની પેરવી કરે છે. અને તે ઈમામ ઝોહર અને અસર બન્નેવ નમાઝોને ઝોહરના વખતમાં એક સાથે પઢાવે છે. તદ્ઉપરાંત તે ઈમામ હાલમાં નજ્દથી આવે છે. અને મુસાફિર હોય છે. તે બન્નેવ નમાઝોને બે–બે રકાત કરી કસ્ર કરે છે. માટે જો તમો મક્કા મુકર્રમહમાં ૯મી ઝિલ્હજ્જથી પંદર દિવસથી ઓછી મુદ્દતમાં પહોંચેલા છો, તો બન્નેવ નમાઝો ઈમામ સાથે બે–બે રકાત કરી પઢી લો. અને જો તમો મક્કા મુકર્રમહમાં ૯મી ઝિલ્હજ્જથી પંદર દિવસ પહેલા પહોંચ્યા છો તો તમે મુકીમ (સ્થાયી)ના જેમ દરેક નમાઝ ૪–૪ રકાત પઢો. એવી રીતે કે ઈમામ જ્યારે બે રકાત પર સલામ ફેરવે તો જલ્દીથી ઉભા થઈ કિરાઅત પઢયા વગર રૂકૂઅ–સજદા સાથે બે રકાત પઢી સલામ ફેરવી આપો. પછી ઈમામ સાથે અસરની નમાઝમાં શરીક થઈ જાઓ અને તેને પણ આ જ રીતે પઢો. અમુક લોકો ન જાણવાના કારણે મુકીમ હોવા છતાં ઈમામ સાથે સલામ ફેરવી દે છે. આ સુરતમાં તેમની નમાઝ થશે નહીં, ફરીથી પઢવી જરૂરી છે.
તંબુવાળાઓની નમાઝ :
જો તમો અરફાતમાં ઈમામ સાથે નમાઝ ન પઢી શકો અને પોતાના તંબુમાં એકલા અથવા જમાઅત સાથે નમાઝ પઢો છો તો બન્નેવ નમાઝો એક સાથે પઢવી જાઈઝ ન થશે. પોત– પોતાના વખત પર દરેક નમાઝ પઢે. [ઝુબદતુલ મનાસિક : પેજ–૧પ૯]
અમુક મુસાફિર હાજીઓ હરમ શરીફમાં ઈમામ સાહબની પાછળ પણ પોતાના મુસાફિર હોવાના લઈ બે રકઅત પઢે છે તો મુસાફિર જ્યારે મુકીમ ઈમામ પાછળ નમાઝ પઢે તો એણે ચાર પૂરી પઢવાની હોય છે. માટે ચાર રકઅત પૂરી પઢે.
મસ્અલોઃ અફઝલ એ છે કે, કિબ્લારૂખ ઉભા રહી મગરિબ સુધી દુઆ અને ઝિક્રમાં મશ્ગુલ રહે. જો પૂરો વખત ઉભો ન રહી શકે તો જેટલો ટાઈમ ઉભો રહી શકતો હોય ઉભો રહે, પછી બેસી જાય.
મસ્અલો : અરફાતની દુઆઓમાં સામાન્ય દુઆની જેમ હાથ ઉઠાવવો સુન્નત છે. જ્યારે થાકી જાય ત્યારે હાથ છોડીને પણ દુઆ માંગી શકે છે.
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમથી રિવાયત છે કે આપે હાથ મુબારક ઉઠાવી ત્રણ વખત ‘અલ્લાહુ અકબર વલિલ્લાહીલ્હમ્દ’ કહયું અને પછી આ દુઆ પઢી :
لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَھٗ لَا شَرِیْکَ لَہٗ، لَہٗ الْمُلْکُ وَلَہٗ الْحَمْدُ، اَللّٰھُمَّ اھْدِنِیْ بِالْھُدٰی وَنَقِّنِیْ بِالتَّقْوٰی وَاغْفِرْلِیْ فِیْ الْاٰخِرَۃِ وَالْاُوْلیٰ۔
લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્દહુ લા શરીકલક લહુલમુલ્કુ વલહુલ્હમ્દુ અલ્લાહુમ્મહ્દિની બિલ્હુદા વનક્કીની બિત્તકવા વગ્ફિરલી ફીલ્આખિરતિ વલ્ઉલા.
અર્થઃ અલ્લાહ તઆલા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. તે એકલો છે. તેનો કોઈ ભાગીદાર નથી. તેના જ માટે હુકૂમત છે. સઘળા વખાણ પણ તેના જ માટે છે. અય અલ્લાહ તઆલા ! આપ મને હિદાયત ઉપર બાકી રાખો અને તકવા– પરહેઝગારીના ઝરીએ મને પાક ફરમાવી, દુન્યા અને આખિરતમાં મને બક્ષી આપો.
પછી સૂરએ ફાતિહા પઢવા જેટલીવાર હાથ છોડી આપવા, ત્યારબાદ ફરી હાથ ઉઠાવી ઉપરોકત તકબીર અને દુઆ પઢી ફરી સૂરએ ફાતિહા પઢવા જેટલી વાર હાથ છોડી આપવા. પછી ત્રીજી વાર આ પ્રમાણે શબ્દો અને દુઆઓ માંગવી.
આપﷺ એ ફરમાવ્યું છે કે અરફાતના દિવસે સૌથી શ્રેષ્ઠ દુઆઓ જે મેં પઢી અથવા મારાથી પહેલાં નબીઓએ (અ.સ.) પઢી, તેમાં શ્રેષ્ઠ દુઆ આ છે :
لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ، لَہٗ الْمُلْکُ وَلَہٗ الْحَمْدُ وَھُوَ عَلٰی کُلِّ شَیٍٔ قَدِیْرٌ۔
લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્દહુ લાશરીકલહુ લહુલ્મુલ્કુ વલહુલ્હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર.
આ મુખ્તસર દુઆ વારંવાર પઢે. બીજી જે દુઆઓ યાદ હોય તે પઢે. આપﷺ થી એક રિવાયત છે કે, જે મુસલમાન અરફાના દિવસે ઝવાલ બાદ અરફાતના મેદાનમાં કિબ્લા તરફ મોઢું કરી સો વખત
لَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَحْدَہٗ لَا شَرِیْکَ لَہٗ، لَہٗ الْمُلْکُ وَلَہٗ الْحَمْدُ وَھُوَ عَلٰی کُلِّ شَیٍٔ قَدِیْرٌ۔
લા ઈલાહ ઈલ્લલ્લાહુ વહ્દહુ લા શરીકલહુ લહુલ્મુલ્કુ,વલહુલ્હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઈન કદીર
સો વખત
قُلْ ھُوَ اللّٰہُ اَحَدٌ اَللّٰہُ الصَّمَدُ لَمْ یَلِدْ وَلَمْ یُوْلَدْ وَلَمْ یَکُنْ لَّہٗ کُفُوًا اَحَدٌ
કુલ્હુવલ્લાહુ અહદ, અલ્લાહુસ્સમદ, લમ્યલિદવલમ્યૂલદ વલમ્યકુલ્લહુ કુફૂવન અહદ
સો વખત
اَللّٰھُمَّ صَلِّ عَلٰی مُحَمَّدٍ وَّعَلٰی آلِ مُحَمَّدٍ کَمَا صَلَّیْتَ عَلٰی اِبْرَاھِیْمَ وَعَلٰی آلِ اِبْرَاھِیْمَ اِنَّکَ حَمِیْدٌ مَّجِیْدٌ وَعَلَیْنَا مَعَھُمْ
અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદિન કમા સલ્લય્ત અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહિમ ઈન્નક હમીદુમ્મજીદ વઅલયના મઅહુમ
પઢશે તો અલ્લાહ તઆલા ફરિશ્તાઓથી ફરમાવશે કે, અય મારા ફરિશ્તાઓ ! તે બંદાનો શું બદલો છે, જેણે મારી તસ્બીહ, તહલીલ, તકબીર, તઅઝીમ, તઅરીફ અને વખાણ કર્યા. મારા રસૂલ સ.અ.વ. પર દુરૂદ પઢયો. અય મારા ફરિશ્તાઓ તમો ગવાહ રહો મેં આ બંદાને બક્ષી દીધો, એની શિફાઅત કબૂલ કરી અને જો તે અરફાતવાળાઓ માટે શિફાઅત કરત તો પણ હું કબૂલ કરી આપત. [દૂર્રે મન્સુર]
હિઝબુલ અઅઝમ નામી કિતાબમાં હદીષ શરીફની ઉપરોકત દુઆઓ સાથે સો વખત ત્રીજો કલિમો અને સો વખત ઈસ્તિગફારનો પણ વધારો છે.
ત્રીજો કલિમો આ છે :
سُبْحَانَ اللّٰہِ وَالْحَمْدُ لِلّٰہِ وَلَا اِلٰہَ اِلَّا اللّٰہُ وَاللّٰہُ اَکْبَرُ
સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુલિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર
ઈસ્તિગફાર આ છે :
اَسْتَغْفِرُ اللّٰہَ الَّذِیْ لَا اِلٰہَ اِلَّا ھُوَ الْحَیُّ الْقَیُّومُ وَاَتُوْبُ اِلَیْہْ
અસ્તગફીરૂલ્લાહલ્લઝી લા ઈલાહ ઈલ્લા હુવલ્હય્યુલ કય્યૂમ વઅતૂબુ ઈલયહ.
મસ્અલોઃ જો અરફાના દિવસે જુમ્આ હોય તો અરફાતનું મેદાન શહેર ન હોવાને લઈને અરફાતમાં જુમ્આની નમાઝ નથી. ઝોહરની નમાઝ અદા કરવામાં આવે.
મસ્અલોઃ અરફાતમાં ન તો મગરિબની નમાઝ પઢે, ન રાત પસાર કરે, બલ્કે સૂરજ ડુબ્યા બાદ મુઝદલિફા જવા રવાના થઈ જાય. રસ્તામાં તલબિય્યહ, તકબીર, દુરૂદ શરીફ અને દુઆઓ પઢતો રહે.
મસ્અલોઃ જો કોઈ અરફાતમાં ૧૦ ઝિલ્હજ્જની સુબ્હે સાદિક સુધી ન પહોંચી શકયો તો તેની હજ અદા થશે નહીં. અને હજના કામો પણ હવે કરવાના નથી. એનો હજનો એહરામ ઉમરહના એહરામમાં ફેરવાઈ જશે. માટે હવે ઉમરહમાં કરવાના કામો કરીને હલાલ થઈ જાય અને એના ઉપર આવતા વર્ષે હજની કઝા કરવી લાઝિમ થશે.
અરફાતમાં થોભવું અને ત્યાંથી નીકળવું
અરફાતના મેદાનમાં ઈમામ સાથે નમાઝથી ફારિગ થયા બાદ છેલ્લે સુધી કોઈ નફલ નમાઝ જાઈઝ નથી, ફકત દુઆ– ઓમાં મશ્ગુલ થઈ જાય. એ જ રીતે તંબુવાળાઓ માટે અસરની નમાઝ પછી કોઈ નમાઝ જાઈઝ નથી. વિનમ્રતા અને આજીઝીના સાથે અલ્લાહથી દીલ લગાવી રડી રડીને દુઆઓ કરે. ઘણાં લોકોને જોવામાં આવ્યા કે, આમ–તેમ આંટાફેરા મારવામાં કદી જબલે રહમત પર તો કદી દોસ્તોને ઢુંઢવામાં વખત પસાર કરી દે છે. આ વંચિત હોવાની નિશાની છે. હાલાંકે આ જ કબુલ થવાનો વખત છે. જેમાં અલ્લાહ તઆલાથી જે ઈચ્છે તે મેળવી શકે છે. એવી જ રીતે સૂરજ આથમવાથી પહેલાં મુઝદલિફા જવા માટે અરફાતના દરવાજા પર ભીડ જામી જાય છે. જ્યારે કે સૂરજ ડુબ્યા પછી જ્યાં સુધી તોપની અવાજ ન થાય, સરકારી કર્મચારીઓ દરવાજો બંધ રાખે છે. અને કોઈને બહાર નથી નીકળવા દેતા. હાલાંકે આ જ દુઆની કબુલિયતની ઘડી છે. માટે શાંતિ અને સુકૂનની સાથે પોતાની જગ્યા પર બેસી દુઆઓમાં લાગેલા રહે. એવી જ રીતે જે લોકો બસથી મુઝદલિફા જવાવાળા હોય છે તેમાંથી ઘણા લોકો સૂરજ ડુબવામાં એક– દોઢ કલાક પહેલાં જ બસોમાં જઈ ભીડ કરે છે. હાલાંકે આ જ દુઆની કબૂલિયતની ઘડી છે. માટે આ રીતે ભીડભાડમાં જઈને પોતાને કબૂલિયતથી વંચિત ન રાખે. તદ્ઉપરાંત સૂરજ ડુબ્યા પહેલાં અરફાતની હદથી બહાર નીકળવું જાઈઝ નથી. હજના અખીરથી પહેલા અથવા સૂરજ ડુબ્યા પહેલા અરફાતની હદથી બહાર નીકળશે તો એક ‘દમ’ વાજિબ થશે. [શામી : ભાગ–ર, પેજ–પરર] Log in or Register to save this content for later.