સ્ત્રીઓ અને પુરૂષેનું એકત્રિત થવું

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 92 to 95)

હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ અને ફઝલ ઈબ્ને અબ્બાસ રદી.થી એક રિવાયત છે કે, આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે, જે માણસ હજમાં ખાસ કરીને અરફાતમાં પોતાની ઝબાન અને કાનને સાચવશે તો અલ્લાહ તઆલા આ હજના અરફાતના દિવસથી લઈ આવતી હજના અરફાતના દિવસ સુધી બધા જ ગુનાહ માફ કરી દે છે. મતલબ એ છે કે, તેની હજ કબૂલ થઈ જાય છે અને વર્ષ દરમિયાન જો કોઈ ગુનાહ થઈ જાય તો તૌબાની તૌફિક થઈ જાય છે. અને જે માણસ પોતાની ઝબાન, આંખ, કાનની હિફાઝત નથી કરતો, તો એના માટે કોઈ જીમ્મેદારી નથી. અને જોવામાં આવે છે કે, હજ ગાર્ડો (વ્યવસ્થાપકો) તરફથી ખરાબ વાત એ છે કે ગેરમહરમ મર્દ–ઓરત માટે એક જ રૂમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ કરીને મક્કા મુકર્રમહમાં લાંબુ રહેવાનું થાય છે. તેમાં મર્દ–ઓરત એકત્રિત થાય છે. એવી જ રીતે મિનામાં રહેઠાણની વ્યવસ્થા પણ ભેગાં જ કરવામાં આવે છે. બલ્કે અમુક તંબુઓમાં ઓરતો કિબ્લા તરફ સુધી જાય છે અને મર્દ તેમની પાછળ હોય છે. ન નમાઝની વ્યવસ્થા, ન રહેઠાણની વ્યવસ્થા. બિલ્કુલ હળીમળીને રહે છે. આ બધી વસ્તુઓ ઈબાદતની રૂહ ખતમ કરી નાખે છે. જ્યારે મુઅલ્લીમ તરફથી કોઈ વ્યવસ્થા નથી તો પોતે હાજીઓની જવાબદારી છે કે રૂમમાં રહેવાવાળી ઓરતોને એક તરફ કરી દે અને પોતે એક તરફ થઈ જાય અને વચમાં પરદો લટકાવી દે. તેવી જ રીતે મિનાના તંબુઓમાં પણ ઓરતોને પાછળ રાખે અને મર્દોને આગળની તરફ. અને વચમાં એવો પરદો નાંખી દે કે કોઈ જાતનો મેળમેળાપ ન રહે, તેમજ અરફાતમાં પણ પોતાના તંબુઓમાં ઓરતોને પાછળ રાખે અને મર્દ પાબંદીની સાથે આગળ રહે. જેથી ઈબાદતમાં એકાગ્રતા રહે. અને મેળમેળાપના નતીજામાં ઈબાદતની રૂહ ખતમ ન થઈ જાય. ગુજારીશ છે કે આના પર અમલ થશે.

મિનામાં ૮મી ઝિલ્હજ્જના ઝોહરની નમાઝથી લઈ ૯મી ઝિલ્હજ્જની સવાર સુધી પાંચ નમાઝો પઢવી અને રાત્રે મિનામાં થોભવુ સુન્નત છે. જો આ રાત્રે મીનામાં ન રહયો અથવા અરફાત પહોંચી ગયો તો મકરૂહ છે. માટે કાયદેસર ઉઝર વગર મિના સિવાય કોઈ જગ્યાએ રાત્રી રોકાણ ન કરવુ જોઈએ.

મસ્અલો : કારિન જે પહેલાંથી એહરામની હાલતમાં છે, તેણે જો તવાફે કુદૂમ નથી કર્યો તો તેના માટે સુન્નત છે કે, ૮મી ઝિલ્હજ્જે મિના જવા પહેલાં કુદૂમ કરી લે અને અફઝલ છે કે, તવાફે કુદૂમ પછી જ સઈ કરે. એવી હાલતમાં તવાફના બધા ચક્કરોમાં ‘ઈઝતિબાઅ’ કરે. પહેલા ત્રણ ચક્કરોમાં રમલ કરે (આ તવાફે ઝિયારતની સઈ ગણાશે.) અને જો હજ્જની સઈ તવાફે ઝિયારત પછી કરવા ચાહે તો તવાફે કુદૂમમાં ઈઝતિબાઅ અને રમલ ન કરે. હવે તવાફે ઝિયારતમાં રમલ કરવુ પડશે. ઈઝતિબાઅ નહીં કરવુ પડે. કારણકે આ સમયે તે એહરામ ઉતારીને સિવેલા કપડાં પહેરી ચૂકયો હશે (જો એહરામની હાલતમાં હોય તો ઈઝતિબાઅ કરે).

મસ્અલો : હજનો એહરામ મસ્જિદે હરામમાં બાંધવો મુસ્તહબ છે. હરમની હદમાં ગમે ત્યાંથી બાંધી શકે છે. જો મસ્જિદે હરામ પહોંચવામાં કોઈ અડચણ હોય તો પોતાના રહેઠાણથી પણ એહરામ બાંધી શકે છે.

મસ્અલો : તમત્તુઅવાળા માટે તવાફે કુદૂમ કરવાનો નથી. માટે તે તવાફે ઝિયારતમાં રમલ કરે, ત્યારબાદ પછી સઈ કરે, પરંતુ જો હજની સઈ મિના જવા પહેલાં કરવા ચાહે તો તેના માટે જરૂરી છે કે, હજનો એહરામ બાંધી એક નફલી તવાફ કરે. તેના બધા ચક્કરોમાં ‘ઈઝતિબાઅ’ અને પ્રથમ ત્રણ ચક્કકરોમાં રમલ કરે. પરંતુ હજ્જે તમત્તુઅ કરવાવાળા માટે અફઝલ એ છે કે તવાફે ઝિયારત પછી સઈ કરે.

મસ્અલો : મુફરિદ (ફકત હજ્જની નિય્યત કરનાર) તો પહેલેથી જ એહરામમાં હોવાના લઈ તેણે તવાફે કુદૂમ કરી લીધો હશે. તેના માટે અફઝલ છે કે તે હજ્જની સઈ તવાફે ઝિયારત પછી કરે અને ૮મી ઝિલ્હજ્જના કોઈપણ અરકાન કર્યા વગર જ મિના રવાના થઈ જાય, પરંતુ જો તે હજની સઈ મિના જવા પહેલાં કરવા ચાહતો હોય તો ઉપર દર્શાવ્યા પ્રમાણે (મુતમત્તિઅની જેમ) સઈ કરી મિના જવા રવાના થાય.

મસ્અલો : મિનામાં મસ્જિદે ખયફની નજીક થોભવુ મુસ્તહબ છે, પરંતુ હવે મુઅલ્લિમો તરફથી તંબૂ નક્કી કરી આપવાને લઈ ત્યાં ભીડ હોય અથવા જવામાં અડચણ હોય તો જ્યાં જગ્યા મળે ત્યાં થોભે.

આઠમી (૮) ઝિલ્હજ્જના મિનાના રોકાણ દરમિયાન ઈબાદતોમાં (નમાઝ, ઝિક્ર, તિલાવત)માં પોતાનો ટાઈમ પસાર કરે. બેકાર વાતો, ફુઝૂલ કામો અને ગીબત જેવા મહાન ગુનાહથી પોતાને બચાવે.

Log in or Register to save this content for later.