૧૦મો ઓલ ઈન્ડિયા ફિકહી સેમીનાર

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 85 to 91)

તા. ર૧ થી ર૪ જમાદિયુલ આખર ૧૪૧૮ હિ. મુતાબિક ર૪ થી ર૭ ઓકટોબર ૧૯૯૭, સ્થળ : હજ હાઉસ, મુંબઈ

વિષયઃહજ–ઉમરહના મસાઈલ બાબત ફેંસલા

ઠરાવ નં.૧: હજ ઈસ્લામનો એક જરૂરી રૂકન છે. જે જીંદગીમાં એક જ વખત ફર્ઝ છે. સામાન્ય રીતે હાજીઓએ એના માટે લાંબા સફરની તકલીફો ઉઠાવવી પડે છે અને મોટી રકમો ખર્ચ કરવી પડે છે. એટલા માટે અલ્લાહ તઆલાએ તેનો અજ્ર અને સવાબ પણ ઘણો રાખ્યો છે. અને આપ આ ઈબાદતને એક પ્રકારનો જિહાદ ઠેરવ્યો છે. માટે હાજીઓએ જોઈએ કે તે આ રસ્તાની તકલીફોને એક સદ્‌ભાગ્ય સમજી વેઠે. હજના કામોમાં વધુથી વધુ સાવચેતી દર્શાવે અને જે મસાઈલમાં ફુકહાએ કિરામની વચ્ચે મતભેદ છે, એક કથનુસાર છૂટછાટ અને બીજામાં સાવચેતી છે તો આ સુરતમાં યથાશકિત પ્રમાણે એવી કોશિષ કરે કે તેનો અમલ બન્નેવ કથનો પ્રમાણે સહીહ થાય અને આ મોટી ઈબાદતને અદા કરવામાં પોતાની ઝાતને વધુ રાહત પહોંચાડવા અને આસાની શોધવાથી બચાવી શકે.

ઠરાવ નં.રઃ મીકાતની હદથી બહાર રહેવાવાળા હોય અથવા મક્કા મુકર્રમહ અને હિલમાં રહેવાવાળ, જો તે મીકાતની હદના બહારથી મક્કા મુકર્રમહની નિય્યત કરી મિકાતથી આગળ વધે તો તેમના માટે જરૂરી છે કે તે એહરામ બાંધીને જ મીકાતની આગળ વધે. ચાહે હજ અને ઉમરહની નિય્યતથી જાય અથવા બીજા કોઈ મકસદથી જાય.

હાલના સંજોગોમાં જ્યારે કે વેપારીઓ, ઓફિસોમાં કામ કરનારા, ટેકસી ચલાવવાવાળા અને બીજા ધંધાકીય માણસોને કોઈ વખતે દરરોજ, કદી બીજા, ત્રીજા દિવસે અને અમુક લોકોને તો એક જ દિવસમાં એકથી વધુ વખતે હરમમાં પ્રવેશવું પડે છે. એવી હાલતમાં આ લોકોએ એ દરેક વખતે એહરામ અને ઉમરહ અદા કરવાની પાબંદી ઘણી મુશ્કેલ છે.

એટલા માટે આ લોકોએ એહરામ બાંધ્યા વગર હરમની હદમાં દાખલ થવાની ગુંજાઈશ રહેશે.

ઠરાવ નં.૩: જે લોકો મક્કા મુકર્રમહના સ્થાનિક રહેવાસી છે, અથવા ત્યાં ફકત રહે છે, તેમના માટે હકીકતમાં તમત્તુઅ નથી. એટલા માટે આ લોકોએ હજના મહિનાઓમાં ઉમરહ કરવાનો નથી. તે માણસ જેના ઉપર આ વર્ષે હજ ફર્ઝ છે અને તે આ વર્ષે હજનો ઈરાદો રાખે છે, તેણે હજના મહિનાઓમાં મીકાતની બહાર જવાથી બચવું જોઈએ અને જો તે વેપાર, ઓફિસ અને પોતાની ધંધાકીય લાચારીને કારણે બહાર જવા માટે મજબૂર છે તો તે ઠરાવ નં. ર પ્રમાણે અમલ કરતાં મીકાતથી અંદરમાં પ્રવેશ થતા એહરામ ન બાંધે અને ઉમરહ ન કરે.

મક્કાના રહેવાસી હોવાનો અર્થ એ કે, હજના મહિના શરૂ થતાં પહેલા કાયદેસર રીતે મક્કા મુકર્રમહમાં આવી રહેતો હોય અથવા ઓછામાં ઓછા એક વર્ષથી ત્યાં સ્થાયી થયો હોય.

ઠરાવ નં.૪: તમત્તુઅ કરવાવાળા આફાકી હાજીઓ હજનો એહરામ બાંધવાથી પહેલા વધુ ઉમરહ કરી શકે છે.

ઠરાવ નં.પ: કાંકરી મારવા વિશે સામાન્ય રીતે હાલના સંજોગોમાં હાજીઓમાં રિવાજ થઈ ગયો છે કે, મામુલી અગવડ અને બહાના બલ્કે વગર કારણે પણ લોકો પોતે શયતાનને કાંકરા મારવા જતા નથી. બીજાને પોતાનો નાયબ બનાવે છે. બધા જ ઉલ્માએ કિરામ આ વાત ઉપર સહમત છે કે, આ સુરતમાં હજનો એક વાજિબ છૂટી જાય છે. આ નાયબ બનાવવું શરઈ રીતે માન્ય નથી અને આ પ્રમાણે કરનાર ઉપર દમ વાજિબ છે.

હાં, જે લોકો ‘જમરાત’ સુધી ચાલીને જવા શકિતમાન નથી અથવા સખ્ત બિમાર કે કમઝોર છે, તેમના માટે નાયબ બનાવવો જાઈઝ છે.

ઠરાવ નં.૬: ફકત ભીડ હોવી ઉઝર (અગવડ) નથી. એનો સારો ઉપાય આ છે કે, જો કોઈ માણસ ભીડમાં જઈ કાંકરી નથી મારી શકતો, તે સુન્નત વખત પછી જાઈઝ વખતે અને વધારે તકલીફ હોય તો મકરૂહ વખતમાં પણ રમી કરી શકે છે. એના માટે આ મકરૂહ પણ નહીં રહેશે.

ઠરાવ નં.૭: હન્ફી મસ્લક પ્રમાણે ૧૦ ઝિલ્હજ્જના અમલો કાંકરી મારવી, ઝબ્હ કરવું અને માથું મૂંડાવવાને ક્રમવાર કરવું વાજિબ છે અને સાહિબૈન (ઈમામ અબૂ યૂસુફ તથા ઈમામ મુહમ્મદ) તથા વધુ પ્રમાણમાં ઉલમાએ કિરામના મત મુજબ આ ક્રમ સુન્નત છે. ક્રમના વિરૂધ્ધ કરવાથી દમ વાજિબ નથી. હાજીઓએ જ્યાં સુધી બની શકે ક્રમનો ખ્યાલ રાખવો જોઈએ. છતાં ભીડ, સખ્ત ગરમી અને કુરબાનીની જગ્યા દૂર હોવાના કારણોસર સાહિબૈન અને બીજા ઈમામોના કથન ઉપર અમલ કરવાની ગુંજાઈશ છે. માટે જો આ અમલો ક્રમના વિરૂધ્ધ થઈ જાય તો પણ દમ વાજિબ થશે નહીં.

ઠરાવ નં.૮: આખા જગતમાંથી લાખો હાજીઓ હજ્જના દિવસોમાં મક્કા મુકર્રમહ પહોંચે છે અને હજના અરકાન અદા કરે છે.

(અ) હજની બધી જ વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી સાઉદી સરકાર ઉપર છે. હજ એક સામૂહિક ઈબાદત છે. તેને વ્યવસ્થિત અને ચોકસાઈપૂર્વક કાયદાઓના પાલન સાથે અદા કરવી જરૂરી છે. લાખો માણસોનુ થોભવું, સફર કરવો, તેમની તંદુરૂસ્તી, જાનમાલની હિફાઝત, વ્યવસ્થાપૂર્વક કાયદાના પાલન વગર અશકય છે. આવા સંજોગોમાં સાઉદી સરકાર ઘણી વ્યવસ્થિત અને કાયદાકીય પાબંદીઓ લગાવે છે. જેનાથી હાજીઓની સંખ્યા એટલા પ્રમાણમાં રહે કે સારી રીતે વ્યવસ્થા થઈ શકે. સાઉદી સરકારના આ વ્યવસ્થાકિય કાયદાઓનું પાલન કરવું દરેકે જરૂરી છે. આ ભલાઈનો હુકમ છે, જેનું પાલન કરવું જરૂરી છે. માટે સરકારી કાયદા પ્રમાણે સાઉદીમાં સ્થિત મુસલમાનોને જો દર વર્ષે હજ કરવાથી રોકવામાં આવે તો તેની પાબંદી કરવી શરઈ રીતે જરૂરી છે.

(બ) જો કોઈ માણસ આ પાબંદીઓની વિરૂદ્ધ કરીને હજનો એહરામ બાંધી મીકાતથી આગળ વધી જાય અને પછી પકડાઈ જાય અને તેને સાઉદીનું વહીવટીતંત્ર પાછો કાઢે તો તેનો હુકમ પણ તે જ છે, જે શરઈ રીતે હજથી રોકનારનો છે.

એટલે કે તેણે હરમમાં એક દમ આપવો વાજિબ થશે અને જે તારીખ અને જે નક્કી કરેલ સમયે હરમમાં એના તરફથી દમે ઈહસાર (હજથી રોકવામાં આવવાને કારણે લાગુ પડેલ દમ) અદા કરવામાં આવશે. તે સમયે તે એહરામની પાબંદીઓથી મુકત થશે.

ફરી જો તે ઉમરહનો એહરામ બાંધી લે તો તેણે ત્યારબાદ ઉમરહની કઝા કરવી પડશે અને જો તેણે હજનો એહરામ બાંધી લીધો તો તેણે હજની કઝા કરવી પડશે અને હલાલ થવા માટે એક ઉમરહ કરવો પડશે.

ઠરાવ નં.૯: જો શરીઅત પ્રમાણે હકીકતમાં હજ્જે બદલ હોય તો સામાન્ય કાયદા પ્રમાણે તેણે હજ્જે ઈફરાદ કરવી જોઈએ. પરંતુ હજ્જે બદલ કરનારે જોઈએ કે હજ્જે બદલ કરાવનારને મસ્અલો સમજાવી તેનાથી હજ્જે તમત્તુઅ અથવા કોઈપણ પ્રકારની હજની પરવાનગી લઈ લે. જો કોઈ કારણથી તેણે પરવાનગી નહીં લીધી તો સામાન્ય રીતે હજ્જે તમત્તુઅ કરવામાં આવે છે. હજ કરાવનાર પોતે જો હજ કરે તો તે પણ સહુલતને લઈ હજ્જે તમત્તુઅ કરે. માટે લોકપ્રચલિત અને સામાન્ય આદતને લઈ હજ કરનાર માટે હજ્જે તમત્તુઅની પરવાનગી સમજવામાં આવશે. આ સુરતમાં મીકાતથી ઉમરહનો એહરામ પણ હજ કરાવનાર તરફથી કરવાનો રહેશે અને આ સુરતમાં દમે શુક્ર (હજ ઉમરહ ભેગા થવાના શુક્રિયહ રૂપે) પણ હજ કરાવનારની રકમમાંથી અદા કરવામાં આવશે.

ઠરાવ નં.૧૦: જો તવાફે ઝિયારતથી પહેલા કોઈ ઔરતને માસિક અથવા સુવાવડસ્થાનું ખૂન આવી જાય અને તેના નક્કી કરેલ પ્રોગ્રામ પ્રમાણે ગુંજાઈશ નથી કે તે માસિકથી પાક થઈ તવાફે ઝિયારત કરી શકે તો તેના માટે જરૂરી છે કે તે દરેક રીતે આ કોશિશ કરે કે તેના સફરની તારીખ આગળ વધી શકે, જેથી તે પાક થઈ તવાફે ઝિયારત અદા કરવા બાદ પોતાના ઘરે પાછા ફરી શકે. પરંતુ જો તેની બધી બનતી કોશિશો બેકાર જાય અને પાક થવા પહેલા તેને સફર કરવો જરૂરી થઈ જાય તો એવી હાલતમાં તે તવાફે ઝિયારત અદા કરી શકે છે. આ તવાફે ઝિયારત શરઈ રીતે માન્ય ગણાશે અને તે ઔરત સંપૂર્ણ રીતે હલાલ થઈ જશે. પરંતુ તેના ઝિમ્મે એક મોટા જાનવરની કુર્બાની (દમે જિનાયત) હરમ શરીફની હદમાં જરૂરી રહેશે.

ઠરાવ નં.૧૧: હજના સફરમાં કોઈ ઔરતનો ધણી મરણ પામે અને તે સ્ત્રીએ હજુ સુધી એહરામ નથી બાંધ્યો અને તેના માટે પોતાના વતન પાછુ ફરવુ શકય છે તો તે પોતાના વતન પાછા ફરી ઈદ્દત ગુઝારે અને જો એહરામ બાંધી ચૂકી છે અથવા પાછુ ફરવુ મુશ્કેલ છે તો તે ઈદ્દતના દિવસોમાં હજ અને ઉમરહ અદા કરી લે.

ઠરાવ નં.૧રઃ હજનો સફર કરનાર હજના દિવસોથી એટલો વહેલો મક્કા મુકર્રમહ પહોંચી રહયો છે કે મક્કા મુકર્રમહમાં પંદર દિવસ થોભવા પહેલા જ હજ શરૂ થઈ જાય છે અને મિના ચાલ્યો જાય છે તો મુસાફિર ગણાશે. એણે ચાર રકઅતવાળી નમાઝોમાં કસર (બે રકઅત) પઢવી પડશે. (હવે મિના તથા મુઝદલિફાને મક્કા મુકર્રમહમાં શામિલ કર્યા છે, માટે હવે હુકમ બદલાય જશે. જે રમીના વર્ણનમાં આવી ચૂકયો છે.)

ઠરાવ નં.૧૩: અરબ દેશોમાં સામાન્ય રીતે વિત્રની ત્રણ રકઅતો બે સલામથી અદા કરવામાં આવે છે. હન્ફી મસ્લકવાળા માટે એવા ઈમામની પાછળ વિત્રની નમાઝ પઢવાની ગુંજાઈશ છે. જો ઈમામ વિત્રની ત્રણ રકઅતો બે સલામથી અદા કરે તો હન્ફી મુકતદી બે રકઅત પછી સલામ ન ફેરવે અને ઈમામની સાથે ત્રીજી રકઅત માટે ઉભો થઈ જાય.

Log in or Register to save this content for later.