હજ્જમાં મસ્જિદે નબવી સ.અ.વ.માં પ્રવેશ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 176-177)

પોતાનો સામાન વગેરે વ્યવસ્થિત ગોઠવી આપ્યા પછી થોડો આરામ કરી મસ્જિદ તરફ રવાના થાય.

જન્નતની કયારી : મસ્જિદે નબવીમાં દાખલ થતાં જમણો પગ પહેલાં મૂકે અને દુરૂદ શરીફ પઢી આ દુઆ પઢે : અલ્લા– હુમ્મફતહલી અબ્વાબ રહમતિક. બેહતર છે કે બાબે જિબ્રીલથી મસ્જિદમાં દાખલ થાય. (પરંતુ અમુક સમયે ઔરતોનો સલાતો સલામનો ટાઈમ થવાને લઈ ત્યાંથી પ્રવેશ રોકવામાં આવે છે) અથવા બીજા કોઈપણ દરવાજેથી પ્રવેશે. પ્રથમ (રવઝહ) રવઝતુજન્નહ (જન્નતની કયારી)માં આવે. જે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના હુજરહ (મકાન) મુબારક અને મિમ્બરની વચલી જગ્યા છે. જેના વિશે હદીષ શરીફમાં છે કે, આ જન્નતનો ટુકડો છે.

રવઝહની લંબાઈ પશ્ચિમથી પૂર્વ ૭૩ ફૂટ અને પહોળાઈ પ૦ ફૂટ છે. હાલ મસ્જિદે નબવી ઘણી વિશાળ બની છે. આપﷺ ના જમાનાનું આખુ મદીના શરીફ હવે મસ્જિદમાં સમાવાય ગયુ છે. તેમાં કિબ્લા તરફનો તુર્કી જમાનાનો ભાગ છે. તેના ઉપર સોનેરી અને લાંબી લીટીઓ પાડવામાં આવી છે. આ ભાગ આપﷺ ના જમાનાની અસલ મસ્જિદ છે. મિમ્બર શરીફ અને કબર શરીફના વચમાં જે ભાગ છે તેમાં થાંભલાઓ ઉપર સફેદ મારબલની પટ્ટીઓ જડવામાં આવી છે અને નીચે લાલની જગ્યાએ સફેદ રંગના મુસલ્લારૂપે કારપેટ બિછાવવામાં આવી છે. જે લીલા રંગની વણાટથી ભરવામાં આવી છે. આ ભાગ ‘જન્નતની કયારી‘ છે. આ ભાગમાં અમુક નમાઝો પઢવાની કોશિશ કરવી જોઈએ. જો ફર્ઝ નમાઝ ન પઢી શકાય તો નફલ નમાઝ પઢે. પરંતુ મકરૂહ વખતમાં નમાઝ ન પઢે. જેમકે અસર, ફજર બાદ, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે.

Log in or Register to save this content for later.