ઉમરહ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 80 - 82)

ઉમરહઃ કાબા શરીફની સાથે બે ઈબાદતોનો સંબંધ છે. એક હજ જેના ખાસ દિવસો નક્કી છે. બીજા દિવસોમાં હજ અદા થઈ શકતી નથી. બીજી ઈબાદત ઉમરહ છે. જે હજના સમયે પણ થઈ શકે છે. ઉમરહનો અર્થ ઝિયારત કરવુ છે. ઉમરહ કરવો સુન્નતે મુઅક્કદહ છે.

ઉમરહની બધી જ શર્તો હજની શર્તોની જેમ છે. અને એહરામના બધા જ મસ્અલા પણ હજના મસ્અલા જેવા છે. જે બાબતો હજના એહરામમાં હરામ, મકરૂહ, સુન્નત અને જાઈઝ છે. તે બધી ઉમરહમાં પણ તે જ પ્રમાણે છે.

પરંતુ અમુક બાબતોમાં બંનેવમાં ફર્ક છે.

[૧] એક તો સમય છે, જે ઉપર દર્શાવ્યો છે.

[ર] હજ ફર્ઝ છે, ઉમરહ ફર્ઝ નથી.

[૩] હજ સમય પૂરો થતાં અદા થઈ શકતી નથી, જ્યારે ઉમરહ કોઈપણ સમયે અદા થઈ શકે છે.

[૪] હજમાં અરફાત તથા મુઝદલિફામાં થોભવાનું છે. એટલે કે હજના બધા અરકાનો (તવાફે ઝિયારત સિવાય) મક્કા મુકર્રમહની બહાર અદા કરવાના છે.

[પ] હજમાં તવાફે કુદૂમ અને તવાફે વિદાઅ છે. જ્યારે ઉમરહમાં આ બંનેવ તવાફ નથી.

[૬] ઉમરહ ફાસિદ કરવાથી અથવા નાપાકીની હાલતમાં તવાફ કરવાથી બકરી ઝબહ કરવી જરૂરી છે. જ્યારે હજમાં બકરી ઝબહ કરવી કાફી નથી.

[૭] ઉમરહની મિકાત બધા લોકો માટે હિલ છે. (હરમ શરીફની હદથી બહાર) જ્યારે મક્કા મુકર્રમહવાળા તથા આફાકી (ઉમરહ કરી મક્કા શરીફના રોકાણ બાદ) હજ માટે હરમ શરીફથી જ એહરામ બાંધશે. હાં, આફાકી જ્યારે પોતાના વતનથી આવશે ત્યારે ઉમરહ માટે પોતાની મિકાતથી એહરામ બાંધશે.

[૮] ઉમરહમાં તવાફ શરૂ કરતી વખતે તલ્બિય્યહ પઢવાનું બંધ કરવામાં આવે છે. જ્યારે હજમાં છેલ્લા શયતાનને કાંકરી મારતી વખતે તલ્બિય્યહ પઢવાનું બંધ કરવામાં આવે છે.

Log in or Register to save this content for later.