Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 167 to 171)
જે માણસ ઉપર હજ ફર્ઝ થઈ ગઈ અને હજનો સમય પણ મળ્યો છતાં હજ અદા ન કરી શકયો અને હવે હજ્જ અદા કરવા માટે બિલ્કુલ શકિત નથી અથવા એવી બિમારીમાં સપડાય ગયો કે, જેનાથી સારા થવાની બિલ્કુલ ઉમ્મીદ નથી. જેમકે લકવા અથવા અંધાપો આવી ગયો. ખુલાસો એ કે સફર કરવાની બિલ્કુલ શકિત નથી, તો તેના ઉપર ફર્ઝ છે કે પોતાના તરફથી કોઈ માણસને હજ માટે મોકલે અથવા વસિય્યત કરે કે મારા મરણ પછી મારા માલથી હજ કરાવી લેશો.
હજ્જે બદલ કરવા માટે શર્ત એ છે કે તે બિમારી મરણ સુધી બાકી રહે. અને જો હજ્જે બદલ કરાવવા પછી શકિત આવી ગઈ અને સફર કરવાની તાકાત પણ ધરાવે છે તો તેના માટે ફરી પોતે હજ કરવી ફર્ઝ છે. પહેલી હજ્જે બદલ નફલી ગણાશે.
મસ્અલોઃ જે માણસે હજ પઢી લીધી હોય, તેનાથી હજ્જે બદલ કરાવવી મુસ્તહબ છે.
મસ્અલોઃ જે માણસે હજ નથી પઢી અને તેના ઉપર હજ ફર્ઝ પણ નથી તો એવા ગરીબ માણસને હજ્જે બદલ માટે મોકલવુ બેહતર નથી. પરંતુ હજ અદા થઈ જશે.
મસ્અલોઃ એવા માલદાર માણસને હજ્જે બદલ માટે મોકલ્યો, જેણે પોતાની ફર્ઝ હજ અદા નથી કરી તો એવા માલદાર માણસને મોકલવુ મકરૂહે તહરીમી છે. પરંતુ હજ અદા થઈ જશે.
મસ્અલોઃ મજદૂરીથી હજ્જે બદલ કરવા કે કરાવવાથી બંનેવ ગુનેહગાર થશે, પરંતુ રકમ આપનારની હજ અદા થઈ જશે. અને જે મજુરી લીધી છે તે માલિકને પાછી આપવી પડશે. કારણકે હજ્જે બદલ કરનાર ફકત જરૂરી ખર્ચનો જ હકદાર છે.
મજુરીનો અર્થ એ કે, કોઈ એમ કહે કે મને હજના ખર્ચ સિવાય આટલી રકમ આપો તો હજ્જે બદલ કરીશ. આ જાઈઝ નથી.
મસ્અલોઃ હજ્જે બદલ કરનારનો સર્વે ખર્ચ આવવા–જવાનું ભાડુ, કપડાં, ધોલાઈ, વાસણો તેમજ મક્કા મુકર્રમહ, મિના, અરફાતનો બધો ખર્ચ મોકલનારે આપવાનો રહેશે. અહીંયા સુધી કે એહરામના કપડાં પણ આપવાના રહેશે. પરંતુ હજ્જે બદલ કરીને આવનાર માણસે જે રકમ બચે તે અને કપડાં, વાસણો સર્વે ચીજ માલિકને પાછી આપવાની રહેશે. અગર મોકલતી વખતે માલિકે જનારને માલિક બનાવી આપ્યો તો પાછી આપવી જરૂરી નથી.
પરંતુ મય્યીત તરફથી હજ્જે બદલ કરાવ્યુ હોય તો મય્યીતની વસિય્યત હોવી જરૂરી છે કે, આ વસ્તુઓ હજ પઢનારને આપવામાં આવે. અને જો મય્યીતે વસિય્યત ન કરી હોય તો અથવા વસિય્યત હોય, પરંતુ વારસાના ત્રીજા ભાગથી વધારે છે, તો હવે વારિસોનું આ વસ્તુઓ આપવા રાજી હોવુ જરૂરી છે.
મસ્અલોઃ હજ્જે બદલમાં જનારને હજ માટે મોકલનારના વતનથી હજનો સફર કરાવવો જોઈએ.
મસ્અલોઃ હજ્જે બદલ કરનાર માણસે હજમાં મોકલનારનું નામ નિય્યત કરતી વખતે લેવુ જરૂરી છે. મુસ્તહબ છે કે તલ્બિય્યહ પઢતી વખતે મોકલનારનું નામ લેવુ. જેમકે લબ્બયક (ફલાણા) તરફથી.
મસ્અલોઃ હજ્જે બદલ કરનારે હજ્જે ઈફરાદ કરવો જોઈએ. હજ કરાવનારની પરવાનગીથી હજ્જે તમત્તુઅ અને કિરાન પણ કરી શકે છે. પરંતુ શુક્રાનાની કુર્બાની હજ્જે બદલ કરનારે આપવી પડશે. જો મોકલનાર ખુશીથી શુક્રિયાની વાજિબ કુર્બાનીની કિંમત પણ આપી દે તો લેવી જાઈઝ છે. પરંતુ હાલના સંજોગોમાં હજમાં થતી તકલીફ તથા હાલાકી તથા લોકોના રિવાજને લઈ હજ્જ પઢાવનાર તરફથી હજ્જે તમત્તુઅ, કિરાન અને શુક્રિયહની (વાજિબ) કુર્બાનીની પરવાનગી અને રઝામંદી ગણાશે. માટે હજ્જ પઢાવનાર તરફથી હજ્જે કિરાન અને તમત્તુઅની ચોખવટ કરવી જરૂરી નથી. છતાં સ્પષ્ટ શબ્દોમાં રજામંદી લેવી બેહતર છે.
મસ્અલોઃ હજ્જે બદલમાં કિરાન અને તમત્તુઅની શુક્રાનાની (વાજિબ) કુર્બાની હજ પઢાવનારના ઝિમ્મે રહેશે. અને કોઈ ભૂલથી દમ કે સદકો વાજિબ થશે તે હજ પઢનાર પોતે તેનો જવાબદાર છે.
મસ્અલોઃ હજ્જે બદલ માટે જનાર (મામૂર)માં એટલી બુધ્ધિ હોવી જરૂરી છે કે તે હજના અરકાનો સમજતો હોય. જો મર્દના બદલે ઔરતને મોકલશે તો પણ જાઈઝ છે. પરંતુ મર્દને મોકલવો અફઝલ છે. એ જ પ્રમાણે એવા માણસ પાસે હજ કરાવવી અફઝલ છે, જે પોતે આલિમ હોય અથવા મસાઈલથી જાણકાર હોય અને પોતાની હજ અદા કરી ચૂકયો હોય.
મસ્અલોઃ મરનારે વસિય્યત નથી કરી, પરંતુ વારિસે તેના તરફથી હજ કરી અથવા કોઈ અંજાણી વ્યકિતએ તેના તરફથી હજ કરી અથવા કોઈની પાસે કરાવી તો ઉમ્મીદ છે કે ઈન્શાઅલ્લાહ મય્યીત તરફથી ફર્ઝ અદા થઈ જશે.
મસ્અલોઃ હજ્જે બદલમાં બધી રકમ અથવા મોટાભાગની રકમ મોકલનારની વાપરવી જોઈએ. જો જનારે પોતાના માલમાંથી વાપરી અને પછી મોકલનાર પાસેથી વસૂલ કરી લીધી તો મોકલનારની હજ અદા થઈ જશે. વસૂલ ન કરી તો નહીં થાય.
મસ્અલોઃ જનારે માત્ર એક જ માણસ તરફથી અને એક જ હજનો એહરામ બાંધવો જોઈએ.
મસ્અલોઃ મોકલનારે કોઈ ચોક્કસ માણસનું નામ લીધુ તો વારિસોએ તે માણસને જ મોકલવો જોઈએ અને જો મોકલનારે સત્તા (અધિકાર) આપી હોય તો કોઈથી પણ કરાવી શકાય છે. મોકલનાર માટે પણ યોગ્ય એ છે કે ગમે તે માણસને મોકલવા અંગે વારિસોને કે બીજા કોઈને પણ છૂટ આપે. જેને નક્કી કર્યો છે તેણે જવાથી ઈન્કાર કર્યો તો વારિસ કોઈપણ વ્યકિતને મોકલી શકે છે.
મસ્અલોઃ મય્યીતની છોડેલી મિલ્કતના ત્રીજા ભાગમાંથી જો હજ થઈ જતી હોય તો મોકલનાર (આમિર)ના વતનથી, નહીં તો મિકાતથી પહેલાં જ્યાંથી થઈ શકતી હોય ત્યાંથી અદા કરી દેવામાં આવે.
મસ્અલોઃ અમુક ઉલમાનું કહેવુ છે કે, મોકલનાર લાચાર છે અને તે પોતાના તરફથી જનારને તમત્તુઅની પરવાનગી આપે છે, તો એવી હાલતમાં તમત્તુઅ અદા થઈ જશે. એ જ પ્રમાણે ફર્ઝ હજ લાઝિમ થનાર માણસ મરતી વખતે તમત્તુઅની વસિય્યત કરે છે તો પણ જનારે તમત્તુઅ કરવી જાઈઝ છે.
મસ્અલોઃ માં–બાપમાંથી કોઈ મરણ પામે અને તેમના ઉપર હજ ફર્ઝ હોય અને તેમણે હજની વસિય્યત ન કરી હોય તો દિકરાએ માં–બાપ તરફથી ભલાઈ અને તેમના એહસાનને લઈ હજ્જે બદલ પોતે પઢવી જોઈએ અથવા કોઈને મોકલવો જોઈએ. આ જરૂરી નથી, મુસ્તહબ છે. એ જ પ્રમાણે માં–બાપ ગરીબ પરિસ્થિતિમાં મરણ પામ્યા અને છોકરાને અલ્લાહ તઆલાએ માલદાર બનાવ્યો તો મુસ્તહબ છે કે, માં–બાપ તરફથી નફલી હજ કરાવે અથવા પોતે કરે, ફર્ઝ તો નહીં થાય. કારણકે તેમના ઉપર ફર્ઝ ન હતી. અને આ નફલી હજમાં એહરામ બાબતે ઉપર દર્શાવેલ કોઈપણ શર્ત જરૂરી નથી. મરનારની મિકાતને બદલે ગમે ત્યાંથી અને ગમે તે પ્રકારનો એહરામ બાંધી શકે છે.
ઘણી હદીષોમાં માં–બાપ તરફથી હજ કરવાની ફઝીલતો આવી છે, અને તેમનો હક પણ છે.
હજ્જે બદલની નિય્યત આ પ્રમાણે કરે. અય અલ્લાહ, હું……………તરફથી હજની નિય્યત કરૂં છું. તુ એને મારા માટે આસાન ફરમાવી કબૂલ કરી લે. કોઈના તરફથી તવાફ કરે તો પણ આ મુજબ નિય્યત કરે.
Log in or Register to save this content for later.