ઔરતોની હજની રીત

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 155 to 167)

હજ જે પ્રમાણે દરેક મુસલમાન માલદાર મર્દ ઉપર ફર્ઝ છે, તે જ પ્રમાણે દરેક બુધ્ધિવાન પુખ્તવય મુસલમાન ઔરત ઉપર પણ પુરી જીંદગીમાં એક વખત ફર્ઝ છે.

હજના બધા જ અરકાનો મર્દ–ઔરત માટે સરખા છે. પરંતુ મર્દો માટે હજ અદા કરવાની જે શર્તો છે, તેના સિવાય ઔરતો માટે બે શર્તો વધારે છે : ૧. મહરમનું સાથે હોવુ, ર. ઔરતનું ઈદ્દતમાં ન હોવુ. આ સિવાય અમુક બાબતોમાં તેમના માટે ખાસ જુદા પ્રકારના હુકમો છે. જે સ્ત્રીઓએ જાણવા જરૂરી છે. તેની વિગત આ છે :

જ્યારે સ્ત્રીને તેનો ધણી પોતાની સાથે પોતાની ખુશી અને શોખથી હજ માટે લઈ જાય તો પોતાની મિલ્કતમાં ભાગીદાર સમજી લઈ જઈ રહયો છે. માટે ઔરતની પણ ફર્ઝ હજ વિના સંકોચે અદા થઈ જશે. છતાં જો કોઈને શંકા હોય કે ઔરત પોતાના માલથી નથી જઈ રહી, માટે તેનો હજ નફલ થશે, તો એવી સૂરતમાં દિલને તસલ્લી આપવા માટે આ પ્રમાણે કરી શકે છે કે હજના જરૂરી ખર્ચાની રકમની ઔરતને માલિક બનાવી આપે. અને તે રકમ ધણી ઔરત માટે વાપરે. આ પ્રમાણે કરવું જરૂરી નથી.

મસ્અલોઃ કોઈપણ ઔરત પોતાના ધણી અથવા મહરમ વગર હજમાં ન જાય. મહરમનો અર્થ એવો પુરૂષ કે જેની સાથે એ સ્ત્રીના કાયમી નિકાહ હરામ હોય. જેમ કે બાપ, ભાઈ, દીકરો, સગા કાકા, મામા, પતિના સગા બાપ (સસરા), ભત્રીજા, ભાણીયા, જમાઈ તથા આ પ્રમાણેના દૂધ પીવામાં શરીક સંબંધીઓ થાય છે. મહરમ વગર હજમાં જવુ નાજાઈઝ છે અને ગુનાહનું કામ છે.

હદીષ શરીફમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઘણી સખ્ત તાકીદ ફરમાવી છે કે, કોઈપણ સ્ત્રી પોતાના મહરમ વગર હજ માટે ન જાય.

અમુક સ્ત્રીઓ કોઈ અજાણ્યા (ગેર મહરમ) પુરૂષને પોતાના મોં બોલ્યા ભાઈ બનાવી લે છે અને તેની સાથે હજમાં ચાલી જાય છે તો આ પ્રમાણે તે ભાઈ થતો નથી, માટે આમ કરવુ ગુનાહનું કામ છે. મહરમનું બુધ્ધિવાન અને પુખ્તવયના હોવુ જરૂરી છે. જો મહરમ વગર કોઈ સ્ત્રી હજ માટે ચાલી ગઈ તો હજ તો અદા થઈ જશે, પરંતુ સખ્ત ગુનેહગાર થશે.

મસ્અલોઃ ઔરત ઉપર હજ ફર્ઝ થઈ ગઈ છે, પરંતુ સાથે ચાલવા માટે કોઈ મહરમ નથી મળતો તો તેના માટે જરૂરી છે કે મહરમ મળતાં સુધી હજ મુલતવી રાખે. આ મજબુરીને કારણે હજમાં જે મોડુ થશે તેનો ગુનોહ ઔરત ઉપર નહીં આવે. જો આખી જીંદગી મહરમ ન મળે તો એવી ઔરતે મરતી વખતે હજ્જે બદલની વસિય્યત કરવી વાજિબ છે.

મસ્અલોઃ ઔરતે મહરમ વગર બીજી ઔરતો સાથે જવુ જાઈઝ નથી.

મસ્અલોઃ ઔરત ઉપર હજ ફર્ઝ થઈ ગઈ હોય અને મહરમ પણ જવા તૈયાર છે. તો ધણી તેને ફર્ઝ હજ માટે રોકી શકતો નથી. મહરમ ન હોય અથવા નફલી હજ હોય તો ધણી રોકી શકે છે.

મસ્અલોઃ હજના સફરમાં કોઈ સ્ત્રીના ધણીનો ઈન્તેકાલ થઈ ગયો અને તેણીએ હજુ સુધી એહરામ બાંધ્યો નથી અને તેના માટે પોતાના વતન પાછુ ફરવુ સંભવિત (આસાન) છે તો પોતાના વતન પાછા ફરીને ઈદ્દત ગુઝારે. અને જો એહરામ બાંધી ચૂકી છે અથવા વતન તરફ પાછુ આવવું મુશ્કેલ છે, તો તે ઈદ્દતના દિવસોમાં હજ અને ઉમરહ અદા કરે.

મસ્અલોઃ જો ધણી અથવા મહરમ પોતાના ખર્ચથી હજ માટે જવાનો ઈન્કાર કરે તો તેમનો ખર્ચ પણ ઔરતના ઝિમ્મે રહેશે અને એ સૂરતમાં મહરમ અથવા ધણીના ખર્ચની માલી તાકાત હોવી પણ સ્ત્રીના ઉપર હજ ફર્ઝ થવા માટે શર્ત છે. જો સ્ત્રી પાસે એટલી રકમ નથી કે તે ધણી કે મહરમને હજ પઢાવી શકે તો સ્ત્રી ઉપર હજ ફર્ઝ નથી.

મસ્અલોઃ જો કોઈ ઔરત ઈદ્દતના દિવસોમાં હોય તો હજ માટે જવુ જાઈઝ નથી. કારણકે તેણે ઈદ્દતનો સમય ઘરમાં જ પૂરો કરવાનો હોય છે. માત્ર દિવસના ઘરથી બહાર નીકળી શકે છે. રાત્રે ઈદ્દતવાળા ઘરે પાછુ આવવુ વાજિબ છે. માટે સ્ત્રી તલાક અને મોતની ઈદ્દતમાં ઘરથી બહાર હજ માટે ન નીકળે. અને જો ઔરતે ઈદ્દતની હાલતમાં હજ પઢી લીધી તો તેની હજ તો થઈ જશે, પરંતુ તે ગુનેહગાર થશે.

મસ્અલોઃ ઘરેથી નીકળતી વખતે ઔરતને માસિક આવેલુ હોય, તો એવી હાલતમાં તે એહરામ બાંધી શકે છે. એહરામ બાંધવાની નિય્યતથી ગુસલ કરી લે. અગર નહાવુ નુકસાનકારક હોય તો વુઝૂ કરી કિબ્લા તરફ બેસીને નિય્યત કરી લે. પછી તલ્બિય્યહ પઢે. આવી હાલતમાં એહરામ માટે નમાઝ ન પઢે.

મસ્અલોઃ એહરામ બાંધ્યા પછી માસિક આવી જવાથી એહરામમાં ઉણપ અને વાંધો આવતો નથી. એહરામ બાકી રહે છે. મક્કા મુકર્રમહ પહોંચ્યા પછી તેણે પોતાના રહેઠાણ પર રહેવુ જોઈએ. મસ્જિદે હરામમાં ન જાય. કારણકે માસિક અને સુવાવડવસ્થામાં સ્ત્રી માટે મસ્જિદમાં દાખલ થવાની મનાઈ છે. તે દરમિયાન પોતાના રૂમમાં તલ્બિય્યહ, તકબીર, તસ્બીહ, દુરૂદ શરીફ વગેરે પઢતી રહે. જ્યારે માસિકથી પરવારી જાય તો પાકી માટેનું ગુસલ કરી મસ્જિદે હરામમાં જઈને ઉમરહના અરકાન અદા કરે, એટલે કે તવાફ કરે. તવાફની બે રકાઅત નમાઝ પઢે અને સઈ કરીને આંગળીના એક બેડકા જેટલા વાળ કપાવે.

મસ્અલોઃ ઔરતોનો એહરામ મર્દોની જેમ ચાદરો નથી. બલ્કે તેમણે પોતાના રોજિંદા પહેરવાના, સિવેલાં કપડાં જ પહેરવાના છે. ભલે પછી રંગીન હોય કે સફેદ હોય. હાથ અને પગના મોજા પણ પહેરી શકે છે, પરંતુ બેહતર છે કે ન પહેરે. સોના, ચાંદીના ઘરેણા વગેરે પણ પહેરી શકે છે. પગના પંજાનું વચલુ ઉપસેલુ હાડકુ ઢંકાઈ જાય તે પ્રકારના ચંપલ, જોડા પણ પહેરી શકે છે.

સ્ત્રીએ પોતાનું માથુ ઢાંકવું સામાન્ય દિવસોની જેમ હજમાં પણ જરૂરી છે. પોતાના માથા ઉપર એક નાનું કપડું બાંધી લે. જેથી માથુ ઉઘાડુ ન રહે. આ કપડું એહરામને લઈને નથી, બલ્કે એટલા માટે કે વાળ ન દેખાય. (જે હજ સિવાય પણ સતરમાં દાખલ છે) ઔરતના માથા માટે કોઈ અલગ એહરામ નથી. એટલા માટે એકાંતમાં માથુ ખુલી જાય (પારકા પુરૂષ ન હોય) તો વાંધો નથી. આ પણ પરદાના હુકમને લઈને જરૂરી છે. એહરામનો એની સાથે કોઈ સંબંધ નથી.

નોંધઃ અમુક સ્ત્રીઓ આ કપડાંને એહરામ સમજી અને બાંધવું જરૂરી સમજે છે, તે બરાબર નથી. હાં, પરદા માટે બાંધવું જરૂરી છે. અને વાળ પણ તૂટે નહીં, પરંતુ વુઝૂ કરતી વખતે આ કપડું હટાવી માથા ઉપર મસહ કરવો જરૂરી છે. ઘણી ઔરતો આ કપડાને હટાવ્યા વગર કપડાં ઉપર જ ભીંગેલા હાથથી મસહ કરી લે છે. તેનાથી મસહ અદા થશે નહીં. મસહ માથા ઉપર કરવાનો છે અને ચોથા ભાગના માથાનો મસહ ફર્ઝ છે. જો ફર્ઝ અદા નહીં થાય તો વુઝૂ સહીહ થશે નહીં. અને તેના કારણે નમાઝ અદા થશે નહીં. માટે બહુ કાળજી રાખી વુઝૂ તથા ફર્ઝ (પાકી)ના ગુસલ માટે કપડું માથા ઉપરથી હટાવવુ જરૂરી છે.

ગુસલમાં આખુ શરીર ધૂએ, પરંતુ ન સુગંધી સાબુ વાપરે, ન મેલ કાઢે. (ઓરતોએ એહરામની હાલતમાં મોઢાને કપડુ ના લાગવુ જોઈએે. મોઢુ એ રીતે ઢાંકે કે કપડું ના લાગે.) અમુક ઉલમાએ કિરામે ઔરતોને અંગ્રેજી ટોપો માથા ઉપર ઢાંકવાનું લખ્યુ છે. જેનાથી મર્દોની સામે કપડું મોઢા ઉપર એ પ્રમાણે રહે છે કે ચહેરાને સ્પર્શ કરતું નથી અને પરદો પણ થઈ જાય છે. જો મુનાસિબ હોય તો સ્ત્રીઓ આ પ્રમાણે કરે.

મસ્અલોઃ ઔરતો તલ્બિય્યહ ઊંચા અવાજે ન પઢે.

મસ્અલોઃ ઈઝતિબાઅ અને રમલ પણ ન કરે. અમુક ઔરતો મર્દોના જેમ રમલ કરે છે. તથા તવાફમાં જલ્દી ચાલે છે, એ ખોટુ છે.

મસ્અલોઃ સ્ત્રીઓ માટે મુસ્તહબ છે કે મર્દોની ભીડ હોય તો કાબા શરીફથી દૂર રહી તવાફ કરે. રાત્રે તવાફ કરવો મુસ્તહબ છે અને હજના દિવસોમાં જ્યારે ભીડ વધી જાય છે ત્યારે મતાફના કિનારે કિનારે તવાફ કરે. એ જ પ્રમાણે પુરૂષોની ભીડમાં હજરે અસ્વદને ચુંબન ન કરે. ઈશારાથી ઈસ્તિલામ કરી લે.

મસ્અલોઃ ૮મી ઝિલ્હજ્જ નજીક આવતાં ભીડ વધી જાય છે. માટે હજથી નજીકના દિવસોમાં ઔરતોએ જમાઅત ઉભી થવાના પહેલાં તવાફ કરવો જોઈએ. કારણકે પછી મતાફમાં મર્દોની ભીડ વધી જાય છે અને ઔરતોને બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. માટે ભીડના સમયથી પહેલાં જ તવાફ કરી લે અને કાબા શરીફના નજીક જવાની બિલ્કુલ કોશિશ ન કરે તથા એક, બીજી ઔરતને ધક્કા–મુક્કી પણ ન કરે.

મસ્અલોઃ તવાફ પુરો કર્યા બાદ મકામે ઈબ્રાહીમ પાસે મર્દોની ભીડ જામેલી હોય છે. તો સ્ત્રીઓએ તવાફની બે રકાઅત ત્યાં ન પઢવી જોઈએ, પરંતુ થોડે દૂર ઝમઝમની પાસે પઢવી જોઈએ.

મસ્અલોઃ સફા–મરવહની સઈ કરતી વખતે લીલા થાંભલાની વચમાં ઝડપથી ન ચાલે, બલ્કે પોતાની સામાન્ય ચાલથી ચાલે. સઈમાં સ્ત્રીઓએ બિલ્કુલ દોડવાનું નથી.

મસ્અલોઃ તવાફ, સઈ, કાંકરી મારવા દરમિયાન તથા દરેક અરકાન અદા કરતી વખતે પોતાને મર્દોની ભીડથી દૂર રાખે. પારકા મર્દથી પોતાના શરીરને લગાડવુ ઘણા મોટા ગુનાહનું કામ છે. ઘણી ઔરતો આ બાબતનો ખ્યાલ નથી રાખતી અને એમ સમજે છે કે હરમ શરીફમાં મસ્અલા બદલાઈ જાય છે, તે ગલત છે. શરીઅતના કાયદાઓ બધે જ સરખા છે. અમુક મસ્અલા હરમ શરીફમાં અલગ છે, તેનાથી આખી શરીઅતના મસાઈલ બદલાઈ ગયા એમ ન સમજવું.

મસ્અલોઃ એહરામથી હલાલ થવા માટે બધા વાળ ન કપાવે, પરંતુ આંગળીના એક બેડકાથી થોડા વધારે કાપી લે. વાળ કાપવામાં ખ્યાલ રાખે કે કોઈ ઔરત પાસે કપાવે અથવા મહરમ મર્દ પાસે કપાવે. ગેરમહરમ (પારકા) પાસે કપાવવા જાઈઝ નથી.

મસ્અલોઃ મક્કા મુકર્રમહના રોકાણ દરમિયાન હજ કરવા પહેલાં માસિક આવી જાય તો એ જ હાલતમાં એહરામ બાંધે. હજની નિય્યત કરે અને તલ્બિય્યહ પઢે. મિના, અરફાત અને મુઝદલિફામાં નમાઝ ન પઢે. તલ્બિય્યહ, તકબીર, તસ્બીહ વગેરે ઝિક્ર કરતી રહે. ત્યારબાદ પણ જો માસિક ચાલુ રહે તો તવાફે ઝિયારત ન કરે. જ્યારે પાક થાય તો તરત તવાફે ઝિયારત કરે.

મસ્અલોઃ માસિકની હાલતમાં તવાફે ઝિયારત સિવાય હજ્જના બધા જ અરકાનો અદા થઈ જશે. માટે વિના સંકોચે ઔરતોએ અરકાનો અદા કરવા. પરંતુ મિના, મુઝદલિફા, અરફાતમાં નમાઝ પઢે નહીં.

મસ્અલોઃ માસિકના કારણે જો તવાફે ઝિયારતમાં મોડુ થયુ તો દમ વાજિબ નહીં થાય, પરંતુ તવાફે ઝિયારત હજનો રૂકન છે. તેના બદલામાં બીજી કોઈ વસ્તુ અદા થઈ શકતી નથી, અને તે માફ પણ થઈ શકતો નથી. માટે જ્યાં સુધી તવાફે ઝિયારત નહીં કરે, હજ અદા થશે નહીં. એહરામ તો રમી, કુર્બાની અને માથુ હલક કર્યા બાદ છોડી કાઢશે, પરંતુ ઔરત હલાલ થશે નહીં, જ્યાં સુધી તવાફે ઝિયારત ન કરે. તો ફકત ઔરતના હલાલ ન હોવાની રૂએ એહરામ બાકી રહેશે. બીજી કોઈ એહરામને લગતી પાબંદી કરવાની નથી.

મસ્અલોઃ માસિક અને સુવાવડવસ્થા (બાળક જનમ્યા પછીના ખૂન આવવાના દિવસો)માં મસ્જિદમાં જવાની સખ્ત મનાઈ છે. માટે એ હાલતમાં કાબા શરીફનો તવાફ કરવો પણ સખ્ત ગુનાહનું કામ છે. ખાસ કરીને તવાફે ઝિયારત કરવો તો બહુ જ મોટો ગુનોહ છે. જો કોઈ સ્ત્રીને માસિક શરૂ થઈ જાય અને સરકારી પાબંદીના કારણે મક્કા મુકર્રમહમાં વધુ રોકાવવાનું શકય ન હોય, તેની તથા તેના ધણી અથવા મહરમ કે ગૃપની રવાનગીની તારીખમાં ફેરફાર ન થઈ શકતો હોય તો એવી હાલતમાં લાચારીએ તવાફે ઝિયારત કરવો પડે તો કફફારો આપવો પડશે અને ઈમામ અબૂ હનીફા રહ.ના ઉસૂલ પ્રમાણે તેની હજ પુરી થઈ જશે. અને એહરામ પુરી રીતે હલાલ થઈ જશે. આવી ઔરત તવાફ પછી બે રકાઅત તવાફની ન પઢે. તેને બાકી રાખે, ઘેર આવ્યા પછી અથવા માર્ગમાં જ્યાં પાક–સાફ થઈ જાય પછી પઢે.

જો સઈ ન કરી હોય તો સઈ કરી લે. ત્યાર પછી કફફારામાં પુરા ઊંટ કે ગાયની કુર્બાની હરમ શરીફની હદમાં કરે. નાપાકીની હાલતમાં તવાફ કરવાથી જે ગુનોહ થયો છે, તેનાથી તૌબા ઈસ્તિગફાર કરે.

નોંધઃ નાપાકીની હાલતમાં તવાફે ઝિયારતનો મસ્અલો ઘણો પાબંદીવાળો છે. આ કોઈ જાઈઝ હોવાનો ફત્વો નથી. પરંતુ અત્યંત મજબૂરી અને લાચારીને લઈ શરીઅત તરફથી આ પ્રમાણેની ઔરતોને જ ફકત છૂટ આપવામાં આવી છે. દરેક હૈઝવાળી ઔરતો માટે આ મસ્અલો નથી, માટે જો ઘેર પાછા ફરવાની તારીખોમાં ફેરફાર થઈ શકતો હોય તો ઔરતોએ પાક થવા સુધી ત્યાં જ રોકાવવુ જોઈએ અને શરીઅતના હુકમ મુજબ પાક થઈને તવાફે ઝિયારત કર્યા બાદ જ રવાના થવુ જોઈએ.

મસ્અલોઃ સાઉદી તથા નજીકના દેશોમાં રહેતા લોકો જેમને ફરીથી આવવાની વિઝા આસાનીથી મળી શકે છે, ત્યાંની ઔરતોને માસિકનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તવાફે ઝિયારત કર્યા વગર પોતાના ઘેર ચાલી જાય, અને પછી વહેલી ફુરસદે ઉમરહનો એહરામ બાંધીને મક્કા મુકર્રમહ આવે. પ્રથમ ઉમરહના અરકાન પુરા કરે, પછી તવાફે ઝિયારત કરે અને તવાફે ઝિયારતમાં મોડુ થવા બદલ ‘‘દમ” પણ આપે.

મસ્અલોઃ મક્કા મુકર્રમહના રોકાણમાં સરકારી પાબંદીના લઈ ઔરત માસિક આવવાના ડરથી માસિક રોકનારી દવાઓ વાપરી શકે છે, પરંતુ કારણ વગર આ પ્રમાણે ન કરે. ત્યાર બાદ પણ જો ખૂન આવ્યું તો તે (હૈઝ) માસિક જ ગણાશે અને ઔરત નાપાક ગણાશે.

મસ્અલોઃ તવાફે ઝિયારત દરમિયાન માસિક શરૂ થઈ જાય તો તવાફ બંધ કરી દે, અને મસ્જિદથી બહાર નીકળી જાય અને સઈ પણ ન કરે અને જો તવાફ પુરો કર્યા બાદ માસિક આવે તો એવી હાલતમાં સઈ કરવી જાઈઝ છે. કારણકે સઈ માટે પાકીની જરૂરત નથી અને સઈ મસ્જિદમાં નથી થતી.

મસ્અલોઃ જો ઔરતના ધણી તથા મહરમ વગેરે તવાફે વિદાઅ કરી ઘેર જઈ રહયા છે, અને ઔરત માસિકમાં છે, તો તે તવાફે વિદાઅ છોડી શકે છે. તવાફે વિદાઅ માફ થઈ જશે અને દમ પણ વાજિબ થશે નહીં. એવી હાલતમાં એ મસ્જિદમાં ન આવે. કોઈપણ દરવાજાની બહાર ઉભી રહી દુઆ માંગે. કાબા શરીફની દૂરથી જ ઝિયારત કરી લે અને રવાના થઈ જાય.

મસ્અલોઃ મુઝદલિફામાં થોભવુ વાજિબ છે, પરંતુ ઉઝરને લઈ ઔરતો મુઝદલિફામાં નહીં થોભે તો કંઈ વાજિબ થશે નહીં. કાંકરી મારવા માટે ઔરતોએ રાત્રે જવુ મકરૂહ નથી. માટે ભીડથી બચવા શરીઅતની છૂટથી ફાયદો ઉઠાવે. એ જ પ્રમાણે હજનું એહરામ જ્યારે (૭ ઝિલ્હજ્જ) બાંધે ત્યારે નફલ તવાફ કરી શકે છે. જો કમઝોર ઔરતો હોય તો તેમણે નફલ તવાફ સાથે સફા–મરવહની સઈ કરી લેવી બેહતર છે. જેથી તવાફે ઝિયારત પછી સઈ કરવાની જરૂરત રહેશે નહીં.

ઔરતોએ રમીમાં ઉઝર વગર કોઈ પુરૂષને પોતાનો નાયબ બનાવવો જાઈઝ નથી. ચાહે રાત્રે રમી કરે, પરંતુ પોતે જ રમી કરે.

મસ્અલોઃ ઔરતોએ મેકઅપ કરી મસ્જિદમાં આવવુ તથા તવાફ કરવો જાઈઝ નથી અને પરદાનો પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ. હજરે અસ્વદને ચુંબન કરતી વખતે પારકા માણસો સામે મોઢુ ખોલવુ તથા અવાજ કરવો જાઈઝ નથી. અને તલ્બિય્યહ પણ અવાજથી ન પઢે. અમુક ઔરતો હરમ શરીફમાં અને તે પણ કાબા શરીફની સામે તથા મદીનહ મુનવ્વરહમાં મસ્જિદે નબવીમાં બેસી દુનિયાભરની ગપસપ તથા ગીબતો કરતી રહે છે અને અમુક વખતે લડાઈ પણ થઈ જાય છે. ત્યાં બેસી પોતાની ખરીદેલ વસ્તુઓ ઉપર ચર્ચા તથા અભિમાની સાથે ખરીદવાનું વર્ણન વગેરે વ્યર્થ અને બેકાર વાતોથી બચવુ જોઈએ. આપણે હજારો રૂપિયા ખર્ચો કરી અલ્લાહ પાકને રાઝી કરવા આવ્યા છીએ, તેની જગ્યાએ અલ્લાહ પાકની નારાઝગી અને આપﷺ ના રોઝએ અકદસની બેહુરમતી (જોરથી અવાજ કરવાથી) થઈ જાય છે. માટે ત્યાંના રોકાણને સબ્ર, શુક્ર અને અદબ સાથે પસાર કરવો જોઈએ.

ઔરતોથી એ પણ ગુજારિશ છે કે હરમ શરીફમાં સૂઈ જવાની કોશિશ ન કરે. એ ઘણી બેઅદબી અને બેદરકારી છે. એ જ પ્રમાણે ઝમઝમના નળો પાસે જઈ શરીરના અવયવો ઉપર પાણી નાંખે છે. જેનાથી કપડાં ભીંગાઈને શરીર સાથે ચોંટી જવાથી શરીર દેખાવાનો ભય રહે છે. માટે આ બાબતની ખાસ કાળજી રાખવી જોઈએ. પાણી ખૂબ ધરાઈને પી શકે છે. માથા ઉપર પણ નાંખી શકે છે.

Log in or Register to save this content for later.