મકકા મુકર્રમહના અદબો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 47 to 51)

હરમ શરીફની હદમાં પ્રવેશ એ હકીકતમા અલ્લાહ રબ્બુલ ઈઝઝતના દરબારમાં પ્રવેશવુ છે. આ સદ્‌ભાગ્ય ખુશનસીબોને પ્રાપ્ત થાય છે. માટે ઘણી જ વિનમ્રતા અને આશિકાના ચાલ સાથે પોતાના ગુનાહોની શરમિંદગી અને તૌબા ઈસ્તિગફાર કરતા દાખલ થાય. દાખલ થતાં પહેલાં ગુસલ કરવુ સુન્નત છે. જે જીદ્દહથી પણ કરી શકે છે.

અમુક લોકો એવું કરે છે કે, મક્કા મુકર્રમહ પહોંચીને ન તો સામાન ઠેકાણે મુકે છે અને ન થાકલો દૂર કરે છે. શોખમાં ને શોખમાં હરમ શરીફ પહોંચીને અરકાન અદા કરવા લાગે છે. આ દરમિયાન કદી તો સામાનની ફિકર સતાવે છે અથવા થાકલાના કારણે આરામથી તવાફ નથી કરી શકતા. માટે આ વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે. જ્યારે આપﷺ પાસે કબીલએ અબ્દુલ કૈસનું જુથ (મંડળ) આવ્યું તો આ જુથના બધા લોકો મુલાકાતના શોખમાં તરત જ આપﷺ ની સેવામાં હાજર થઈ ગયા. પણ તેમના સરદાર હઝરત અસજ્જ અબ્દુલ કૈસ આરામની સાથે ગુસલ કરીને કપડાં બદલીને મુલાકાત માટે હાજર થયા. આપﷺ એ ફરમાવ્યુ કે, તમારી આ આદત અલ્લાહપાકને વધુ પ્રિય છે. [તિરમિઝી શરીફ] આપણે સૌ મુસલમાનોએ દરેક કામમાં આરામ અને સુકૂનનો રસ્તો પસંદ કરવો જોઈએ.

આ વાતનો જરૂર ખ્યાલ રાખે કે કદી પણ મોટી રકમ લઈ હરમ શરીફમાં દાખલ ન થાય. એટલા માટે કે તવાફ દરમિયાન મોટી મોટી રકમો ઉડાવી લેવામાં આવે છે. તમે સારૂ ગુમાન રાખી તવાફ માટે કદી પણ ન જશો. ઘણા બધા લોકો હજ કરવા નથી આવતા, પરંતુ તેઓ ચોરી કરવા અને ખિસ્સા કાપવા આવે છે. જે દર હકીકત હાજી નહીં, પરંતુ હાજીની શકલમાં ચોર અને ડાકુ હોય છે. કોઈના ચહેરા પર લખેલુ નથી હોતુ કે કોણ ચોર છે અને કોણ હાજી છે! ઘણા લોકો એવા જોવા મળ્યા કે જેઓ સારૂ ગુમાન લઈ સારા ગુમાનમાં પૈસા લઈને હરમ શરીફમાં પહોંચ્યા, અને ત્યાંથી રડતા પાછા આવ્યા અને ઘણા લોકો તો ખિસ્સુ કપાઈ ગયા પછી હરમ શરીફમાં જ લોકોથી માંગવા લાગે છે. ખિસ્સા કાપુઓ મોટેભાગે હજરે અસ્વદની પાસે તાકમાં જ હોય છે. એટલા માટે તમો મોટી રકમ લઈ હરમ શરીફ ન જશો. વીસ–પચ્ચીસ રીયાલ જરૂરતના પ્રમાણે સાથે રાખો કે જેથી આ રકમ બરબાદ પણ થઈ જાય તો વધારે નુકસાન અને પરેશાનીનો સામનો ન થાય. રૂપિયા– પૈસાની બાબતમાં દરેક પર ભરોસો કરવો સારૂ નથી, માટે આ બધી વસ્તુઓનો ખાસ ખ્યાલ રાખે.

મસ્અલા : મસ્જિદે હરામમાં બાબુસ્સલામથી દાખલ થવુ અફઝલ છે. અને જો ઉમરહનો એહરામ બાંધ્યો હોય તો બાબુલ્ઉમરહથી પ્રવેશે. બાબુસ્સલામ સિવાય બીજા કોઈપણ દરવાજાથી પોતાની સહુલત પ્રમાણે દાખલ થઈ શકે છે.

બાબુસ્સલામ (સલામગેટ) સફા–મરવાની વચમાં લીલી લાઈટોની નજીક છે           . પ્રવેશતી વખતે

بِسْمِ اللّٰہِ وَالصَّلٰوۃُ وَالسَّلَامُ عَلٰی رَسُوْلِ اللّٰہِ

“બિસ્મિલ્લાહિ વસ્સલાતુ વસ્સલામુ અલા રસૂલિલ્લાહ” પઢી જમણો પગ મસ્જિદમાં મુકે અને દુરૂદ શરીફ પઢી આ દુઆ પઢે :

اَللّٰھُمَّ افْتَحْ لِیْ اَبْوَابَ رَحْمَتِکْ وَسَھِّلْ لَنَا اَبْوَابَ رِزْقِکْ

”અલ્લાહુમ્મફ્‌ તહ્‌લી અબ્વાબ રહ્‌મતિક વ સહિહલ લના અબ્વાબ રિઝકિક.“

મસ્જિદમાં દાખલ થતી વખતે એઅતેકાફની નિય્યત કરવી મુસ્તહબ છે.

જ્યારે બયતુલ્લાહ શરીફ પર પહેલી નજર પડે તો ત્રણ વખત

اَللّٰہُ اَکْبَرْ لَا اِلٰہَ اِلَّا اللّٰہُ

”અલ્લાહુ અકબર લા ઈલાહ ઈલ્લલ્લાહ પઢે.“ તકબીરે તશ્‍રીક પણ પઢી શકે છે. ત્યારબાદ તલ્બિયહ પઢે. દુરૂદ શરીફ પઢે. પછી જે દુઆ માંગવી હોય તે દુઆ માંગે. આ સમય અને જગ્યા બંનેવ દુઆ કબૂલ થવાના છે. હદીષ શરીફમાં છે કે, બયતુલ્લાહ પર પ્રથમ નજરે જે દુઆ થાય છે તે કબૂલ થાય છે. માંગવામાં કંજૂસાઈથી કામ ન લે, બલ્કે પોતાના માટે, સગાં–સંબંધીઓ માટે તથા મુસલમાનો માટે દીન દુન્યાની ભલાઈ માટે માંગે. શાંતિથી દુઆ માંગી શકે તે માટે બુઝુર્ગોનું કથન છે કે, હરમ શરીફમાં નજર ઝુકાવીને ચાલે અને સારી સુકૂનવાળી જગ્યા મળે, જ્યાંથી બયતુલ્લાહ સારી પેઠે દેખાય શકતું હોય ત્યાં ઉભા રહી દુઆ માંગે.

મસ્જિદે હરામમાં ‘‘તહિય્યતુલ મસ્જિદ“ ન પઢે. કારણકે આ મસ્જિદનો ‘તહિય્યહ’ તવાફ જ છે. જો તવાફની ગુંજાઈશ ન હોય અને મકરૂહ વખત પણ ન હોય તો તહિય્યતુલ મસ્જિદ પઢી શકે છે. મસ્જિદમાં શાંતિથી તવાફ વગેરે થઈ શકે એ માટે પ્રથમ પોતાનો સામાન વગેરે પોતાના રૂમ ઉપર મૂકી દે અને ગુસલ વગેરે કરી શાંતિથી મસ્જિદમાં પ્રવેશે.

મસ્જિદે હરામમાં નમાઝની ફઝીલત જગતની બધી જ મસ્જિદોથી વધારે છે. એક નમાઝનો સવાબ એક લાખ નમાઝો બરાબર છે. માટે પુરૂષોએ હરમ શરીફમાં નમાઝ પઢવાનો ખાસ એહતેમામ (તૈયારી) કરવો જોઈએ. બજારોમાં હરવા– ફરવા અને શોપીંગમાં હરમ શરીફની જમાઅતો સાથે નમાઝો ન છૂટે. એ જ પ્રમાણે ઘણા ભાઈઓ પોતાની બિલ્ડીંગથી નજીકની મસ્જિદોમાં નમાઝ પઢી લે છે અને હરમ શરીફની નમાઝથી મહરૂમ રહે છે. આ ઘણી મોટી મહરૂમીની વાત છે કે, એક લાખ નમાઝોના સવાબની કદ્ર નથી કરતા. કોઈ ઉઝર વગેરે હોય તો પોતાના રૂમ કે નજીકની મસ્જિદમાં પણ પઢી શકે છે, પરંતુ કોશિષ એ કરે કે હરમ શરીફમાં જ નમાઝ પઢે.

મસ્અલો : જ્યારે ઈમામ સાહબ મતાફ (ખુલ્લી જગ્યા)માં નમાઝ પઢાવતા હોય તો એમની લાઈનમાં જે સફ હોય તે લોકોએ ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે ઈમામ સાહબ અને કાબા શરીફની વચમાં જેટલુ અંતર હોય તેનાથી એમનું અને કાબાની વચમાં અંતર વધારે હોવુ જરૂરી છે. મતલબ કે સફમાં પોતે ઈમામથી આગળ ન નીકળી જાય. નહિ તો એમની નમાઝ થશે નહીં. આ શર્ત ફકત ઈમામ સાહબની લાઈનવાળા માટે છે. બીજી ત્રણ દિશાવાળામાંથી જો કોઈ ઈમામ સાહબ કરતાં કાબા શરીફની વધુ નજીક ઉભો રહેશે તો તેની નમાઝ થઈ જશે. [ઈમામના મ્હોં સામે જે નમાઝીની પીઠ થશે, તે ઈમામથી આગળ હોવાથી તેની નમાઝ નહીં થાય.] Log in or Register to save this content for later.