Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 38 to 42)
જ્યારે એહરામ બાંધવાનો ઈરાદો કરે ત્યારે પહેલાં ગુસલ કરે અને વુઝૂ કરવું પણ કાફી છે. સુન્નત એ છે કે નખ, મૂંછો, બગલ તથા નાફ (દુંટી)ના બાલ વગેરે સાફ કરી લે. ઘણા માણસો આ બાબતમાં મસાઈલથી અંજાણ હોય છે. ઈસ્લામ સફાઈને પસંદ કરે છે. દર અઠવાડિયે આ વાળો સાફ કરવા મુસ્તહબ છે. ૪૦ દિવસથી વધુ સમય સુધી બગલ અને દુંટીની નીચેના વાળ સાફ ન કરવા મકરૂહે તહરીમી છે. માટે આનો ખાસ ખ્યાલ રાખવામાં આવે. તવાફ દરમિયાન એવા માણસો જોવામાં આવ્યા છે કે તેમના બગલના વાળ ઘણા મોટા અને બદનથી પસીનાની બદબૂ આવી રહી છે. કપડાં અને બદનને પાક–સાફ રાખવું મસ્જિદના આદાબમાંથી છે. ફરિશ્તાઓ અને બીજા નમાઝીઓને તકલીફ ન થાય તેનો ખ્યાલ રાખવો ખાસ જરૂરી છે.
એહરામ માટે બે (ર) ચાદરો સુન્નત છે. અને ચાદરોનું સફેદ હોવું અફઝલ છે, પરંતુ બીજો કોઈ કલર હશે તો પણ જાઈઝ છે. શરદીના લઈ ગરમ ચાદર પણ એહરામની જગ્યાએ ચાલી શકે છે. પરંતુ માથુ અને મોઢું ન ઢંકાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.
એહરામ પહેર્યા બાદ સુન્નત એ છે કે બે રકાઅત નમાઝ પઢવામાં આવે, જે મકરૂહ વખતો (સૂર્યોદય–ઝવાલ–સૂર્યાસ્ત) ન હોય. એ જ પ્રમાણે ફજર બાદ સૂર્યોદય સુધી અને અસર બાદ સૂર્યાસ્ત સુધી પણ નફલ નમાઝ મકરૂહ છે. પહેલી રકાઅતમાં ‘‘સૂરએ કાફિરૂન અને બીજી રકાઅતમાં ‘‘સૂરએ કુલ્હુવલ્લાહુ અહદ પઢવી બેહતર છે. બીજી કોઈ સૂરત પઢશે તો પણ જાઈઝ છે.
આ નમાઝ પઢતી વખતે હજુ એહરામ શરૂ નથી થયો, માટે માથું ઢાંકી લે. ત્યારબાદ જે પ્રકારનો એહરામ બાંધવો હોય તેવી નિય્યત કરે અને જુબાનથી પણ ગમે તે ભાષામાં તે શબ્દો કહેવા બેહતર છે. ત્યારબાદ તલ્બિયહના શબ્દો કહે. આ શબ્દો સારી રીતે યાદ કરી લેવામાં આવે.
لَبَّیْکَ اَللّٰہُمَّ لَبَّیْکَ لَبَّیْکَ لَا شَرِیْکَ لَکَ لَبَّیْکَ اِنَّ اَلْحَمْدَ وَالنِّعْمَۃَ لَکَ وَالْمُلْکَ لَا شَرِیْکَ لَکَ
લબ્બયક અલ્લાહુમ્મ લબ્બયક, લબ્બયક લા શરીક લક લબ્બયક, ઈન્નલહમ્દ વન્નિઅમત લક વલ્મુલ્ક લા શરીક લક
ફકત નિય્યત કરવાથી એહરામ શરૂ થતો નથી, બલ્કે તલ્બિયહથી શરૂ થાય છે. એટલા માટે તલ્બિયહ પઢતાં પહેલાં માથા ઉપરથી ચાદર હટાવી લે. સફર દરમિયાન વધુ પ્રમાણમાં તલ્બિયહ પઢતા રહે. ખાસ કરીને સવાર–સાંજ, ઉઠતાં–બેસતાં, મુલાકાત વખતે, સવારી પર, ઉંચાણ–નિચાણમાં ચઢતાં–ઉતરતાં પઢતા રહેવુ મુસ્તહબ છે. અને જ્યારે પણ તલ્બિયહ પઢે તો ત્રણ વખત ઉંચા અવાજથી પઢે. ફકત ઉમરહ કરવાવાળાએ તવાફ કરતી વખતે, હજરે અસ્વદને બોસો (ચુંબન) આપતી વખતે અને હજ પઢનારાઓ ૧૦ ઝિલ્હજ્જના રમી શરૂ કરતાં જ તલ્બિયહ બંધ કરવી જોઈએ. ઉપર દર્શાવ્યા પ્રમાણે તલ્બિયહ પઢતા જ એહરામ શરૂ થઈ જાય છે. માટે જો કોઈ એરપોર્ટ ઉપર જ એહરામ બાંધવા માંગે તો નમાઝ પઢી તલ્બિયહ ન પઢે. વિમાનમાં બેસીને જ્યારે તલ્બિયહ પઢશે ત્યારથી એહરામ શરૂ થશે. એટલા માટે શાંતિથી પઢે, ઉતાવળ ન કરે. કારણકે અમુક વખતે એરપોર્ટ ઉપર એવા સંજોગો ઉપસ્થિત થાય છે કે એક–બે દિવસ મોડુ પણ થઈ જાય છે. એવી હાલતમાં એહરામની શર્તોનો ખ્યાલ રાખવો મુશ્કેલ થઈ જાય છે. મકરૂહ વખત હોય તો નમાઝ પઢયા વગર નિય્યત કરી તલ્બિયહ પઢે.
સિવેલા કપડામાં એહરામ બાંધી મકકા મુકર્રમહમાં દાખલ થવું
સાઉદી હુકૂમત તરફથી મક્કા મુકર્રમહની હદની બહાર રહેનારા ત્યાંના રહેવાસીઓ જે પોતાની હજ કરી ચૂકયા છે. તેમના ઉપર પાબંદી હોય છે કે તેઓ બીજા વખત હજ ન કરે. એટલા માટે કે સાઉદી લોકોની ભીડના કારણે બહારથી આવનારા હાજીઓને પરેશાની થાય છે. માટે જે પણ એહરામ બાંધીને મક્કા રવાના થાય છે તેમને રસ્તામાં જ અટકાવી તે જ રસ્તે પાછા મોકલી આપવામાં આવે છે. પરંતુ આ લોકો તે જ દિવસોમાં વગર એહરામે મક્કા જાય તો તેમને રોકવામાં નથી આવતા. આવી હાલતમાં મદીના મુનવ્વરહ, તાઈફ, જીદ્દહ વગેરેમાં રહેવાવાળા હજનો શોખ ધરાવનારા જેઓ હજમાં જવા ઈચ્છે છે, પરંતુ એહરામના કપડા પહેરી દાખલ નથી થઈ શકતા અને સિવેલ કપડા પહેરી દાખલ થઈ શકે છે, તો એમના મસ્અલાનો હલ એ છે કે, તેઓ સિવેલ કપડામાં જ મીકાત અથવા મીકાતથી પહેલા તલ્બિય્યહ પઢીને એહરામ બાંધીને (અને એહરામ હજની નિય્યતથી તલ્બિય્યહ પઢવાનું નામ છે, વગર સિવડાવેલ કપડા પહેર્યાનું નામ નથી. માટે તેઓ કપડા પહેરીને એહરામ બાંધીને) કલાકોની ગણતરીમાં મક્કા મુકર્રમહમાં દાખલ થઈ જાય છે અને પછી મક્કા મુકર્રમહમાં દાખલ થઈને તરત જ સિવેલ કપડાં ઉતારી નાખી સિલાઈ વગરના કપડા પહેરી લે અને એક સદ્કએ ફિત્રની કિંમત અદા કરી દે. આ સૂરતમાં કોઈ ‘દમ લાગુ નહીં પડે, એક સદ્કએ ફિત્ર બસ છે. એટલા માટે કે ‘દમ તે વખતે વાજિબ થાય છે જ્યારે કે પૂરેપૂરો એક દિવસ અથવા એક રાત એટલે કે ૧ર કલાક લગાતાર સિવેલ કપડા પહેરી રાખે.
એહરામની હાલતમાં સિવેલ લૂંગી પહેરવી
એવુ દરેક કપડું પહેરવુ મર્દોના માટે જાઈઝ નથી, જે શરીરનો ઢાંચો (ફિટીંગ) અને બનાવટ પ્રમાણે સિવેલ કે બનાવેલ હોય, જેવી કે ટોપી, ગંજી, કૂર્તો, પાયજામો, સલ્વાર, ઝભ્ભો, બંદી, શિરવાની વગેરે. આ બધા કપડા કોઈને કોઈ રીતે શરીરના ઢાંચા પ્રમાણે બનેલા હોય છે. માટે તેમને પહેરવા જાઈઝ નથી. હાં, સિવેલ લૂંગી કરાહત વગર પહેરવી જાઈઝ છે. એવી જ રીતે એહરામની બે ચાદરોમાંથી એકને લુંગીની જેમ સીવી લેવામાં આવે, જેથી ચાલતી વખતે જાંઘ અને સતર ન ખુલે તો વગર કરાહતે જાઈઝ છે.
Log in or Register to save this content for later.