મીકાતના મસાઈલ

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 29 to 36)

કાબા શરીફના એહતેરામ અને પવિત્રતાને ધ્યાનમાં લઈ એના આજુબાજુ ત્રણ વર્તુળ અને રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડ મસ્જિદે હરામનો છે. જેના વચમાં કાબા શરીફ છે. એના પણ ખાસ મસ્અલા છે, પરંતુ એહરામ સાથે એનો ખાસ સંબંધ નથી. માટે એની છણાવટની જરૂરત નથી.

બીજો વર્તુળ (રાઉન્ડ) હરમ શરીફની સરહદનો છે. મક્કા મુકર્રમહની ચારેવ તરફ એની નિશાનીઓ લાગેલી છે. આ સરહદોનું અંતર મક્કા મુકર્રમહથી કોઈ તરફ ત્રણ માઈલ તો કોઈ તરફ નવ માઈલ છે. તો કોઈ તરફ એનાથી ઓછું–વત્તું છે. જે લોકો આ વર્તુળની અંદર રહે છે તેમને હરમવાસી કહેવામાં આવે છે.

ત્રીજો વર્તુળ (રાઉન્ડ) હરમ શરીફની હદની બહાર અને મીકાતની હદની અંદરનો છે. આ વર્તુળમાં રહેનારાઓને હિલવાસી કહેવામાં આવે છે.

આ ત્રણેવ વર્તુળથી બહાર રહેનારાઓને આફાકી કહેવામાં આવે છે.

એહરામ વિશે આફાકીઓનો હુકમ એ છે કે, એ જ્યારે પણ મક્કા મુકર્રમહના ઈરાદાથી મીકાતની હદમાં પ્રવેશશે, એમના માટે એહરામ બાંધવો વાજિબ છે. ચાહે હજ–ઉમરહની નિય્યત હોય કે પછી વેપાર અથવા દોસ્તોથી મુલાકાતની નિય્યત હોય.

હિલવાળાઓનો હુકમ એ છે કે, એ જ્યારે હજ કે ઉમરહના ઈરાદાથી મક્કા મુકર્રમહ જવા ચાહે તો પોતાના ઘરેથી અથવા હરમ શરીફની હદ શરૂ થતાં પહેલાં એહરામ બાંધી લે અને જો વેપાર અથવા કોઈ જરૂરતને લઈ મક્કા મુકર્રમહ જવા ચાહે તો એહરામની કોઈ પાબંદી નથી. જ્યારે ચાહે ત્યારે એહરામ વગર જઈ શકે છે.

એ જ પ્રમાણે હરમ શરીફની હદમાં રહેનારા લોકો માટે પણ એહરામની કોઈ પાબંદી નથી. એ જ્યારે ઉમરહ કરવા ચાહે ત્યારે હરમ શરીફની હદથી બહાર જઈ એહરામ બાંધી લે અને હજ પઢવા ચાહે ત્યારે હરમ શરીફથી જ એહરામ બાંધી લે.

મીકાત : ચોક્કસ ટાઈમ કે ચોક્કસ જગ્યાને મીકાત કહે છે. શરઈ ભાષામાં તે સ્થળોને કહે છે, જ્યાંથી એહરામ બાંધવું વાજિબ છે.

મીકાતના ત્રણ પ્રકાર છે :

આફાકીઓનો મીકાત : જો કોઈ આફાકી (મીકાતથી બહાર રહેનાર) મક્કા મુકર્રમહ અથવા હરમની હદમાં દાખલ થવા ચાહતો હોય, ચાહે હજ કે ઉમરહની નિય્યત હોય અથવા બીજા કોઈ કામ માટે, તેના માટે મીકાતથી આગળ એહરામ બાંધ્યા વગર જવુ નાજાઈઝ છે. જો ભૂલથી એહરામ બાંધ્યા વગર હરમ શરીફની હદમાં દાખલ થઈ ગયો તો તેના માટે જરૂરી છે કે તે મીકાત પર પાછો જાય અને ત્યાંથી એહરામ બાંધીને આવે. જો આ પ્રમાણે નહીં કરે તો તેના ઉપર દમ લાઝિમ થશે. પરંતુ જો તે મીકાત પર પાછો જઈને ત્યાંથી એહરામ બાંધીને ફરીથી હરમની હદમાં દાખલ થશે તો તેના ઉપર દમ વાજિબ રહેશે નહિ.

આફાકીઓ માટે આપ એ પાંચ અલગ– અલગ જગ્યાઓ મીકાત તરીકે નક્કી કરે છે. જેમાંથી ઝાતે ઈર્ક (જરબિય્યહ) ઈરાક, ઈરાન અને પૂર્વિય દેશોની અને જુહફહ (મિસર, સિરિયા, તબુક વગેરેની મીકાત) ઉજ્જડ થઈ ગયા છે. માટે ઈરાક તરફથી આવનારે અકીક અને મિસર, સિરિયા તરફથી આવનારે રાબિગ નામના સ્થળોથી એહરામ બાંધવું જોઈએ.

ઝુલ્હુલયફહ : મદીના મુનવ્વરહથી આવવાવાળાઓ માટે છે. આ જગ્યા (અબ્યારે અલી) નામથી ઓળખાય છે અને સડક પર આ નામનું બોર્ડ લગાવેલું છે.

કર્ને મનાઝિલ : તાઈફ, યમન અને કુવૈત તરફથી આવનારા માટે મીકાત છે. મક્કા મુકર્રમાથી ૪ર માઈલ દૂર છે. હવે એને ‘‘અસ્સયલુલ્કબીર કહે છે.

યલમલમ : યમન, ઈન્ડીયા અને પાકિસ્તાનથી આવનાર માટે દરિયાઈ માર્ગે એક પહાડ છે, જે દરિયા કિનારાથી પંદર–વીસ માઈલ અને મક્કા મુકર્રમહથી દક્ષિણમાં લગભગ ૩ર માઈલ દૂર આવેલો છે. હવે એને ‘‘સઅદિયહ પણ કહે છે.

નોંધ : હવે રસ્તાઓ બદલાય ગયા છે અને ઉપરોકત નિયુકત કરેલ મીકાતોમાં એકબીજાની મીકાતથી લોકો ગુઝરે છે તો જે મીકાતથી પણ પસાર થશે, ત્યાંથી એહરામ બાંધવો જરૂરી રહેશે.

મસ્અલો : કોઈ રસ્તામાં બે મીકાતો આવે છે. તો પહેલી મીકાતથી એહરામ બાંધવું અફઝલ છે. જો બીજી મીકાત સુધી ન બાંધે તો પણ દમ લાગુ પડશે નહીં.

મસ્અલો : કોઈ આફાકી માણસ મક્કા મુકર્રમહ પહોંચી ગયો અને ઉમરહ કરી હલાલ થઈ ગયો તો તેની મીકાત હવે મક્કાવાસીઓની જેમ છે. એટલે કે હજ્જ માટે હરમ શરીફ અને ઉમરહ માટે હિલ છે. પરંતુ તન્ઇમ (મસ્જિદે આઈશહ)થી એહરામ બાંધવું અફઝલ છે.

મસ્અલો : કોઈ માણસ મીકાતથી એહરામ બાંધ્યા વગર પસાર થઈ ગયો અને આગળ પહોંચીને એહરામ બાંધી લીધો, પરંતુ મક્કા મુકર્રમહ પહોંચતા પહેલાં મીકાત પાસે પાછો આવ્યો અને તલ્બિયહ પઢી પાછો ગયો તો દમ માફ થઈ જશે.

મસ્અલો : જે માણસ કોઈ એક મીકાતથી એહરામ વગર પસાર થયો તો તેના ઉપર જરૂરી નથી કે તે તેજ મીકાતે પાછો આવે. બલ્કે બીજી કોઈપણ મીકાતથી આવવું જાઈઝ છે. હાં, અફઝલ છે કે, જે મીકાતથી પ્રથમ પસાર થયો હતો ત્યાંથી જ પાછો ફરે.

મસ્અલો : આફાકી (મીકાતથી બહાર રહેનાર વ્યકિત) મીકાતથી આગળ કોઈ એવી જગ્યાએ જે હરમથી બહાર હિલમાં છે, ત્યાં કોઈ જરૂરતથી જવા ચાહે છે. મક્કા મુકર્રમહ જવા અથવા હજ ઉમરહ કરવાની નિય્યત નથી, તો તેના માટે મીકાતથી એહરામ બાંધવું વાજિબ નથી. ત્યારબાદ તે જગ્યાએથી મક્કા મુકર્રમહ પણ એહરામ વગર આવી શકે છે. તેના ઉપર દમ લાગુ પડશે નહી. આ જગ્યાએ પહોંચી તે હિલવાળા લોકોની જેમ થઈ ગયો. માટે ત્યાંથી હજ–ઉમરહની નિય્યત કરે તો તેની મીકાત હિલ ગણાશે. ત્યાંથી એહરામ બાંધવો પડશે.

મસ્અલો : જો મીકાતથી પસાર થતી વખતે મક્કા મુકર્રમહનો ઈરાદો હતો અને આગળ જઈને બીજી જગ્યાનો ઈરાદો કર્યો તો એહરામ વગર મીકાતથી પસાર થવું જાઈઝ નથી, બલ્કે દમ લાગુ પડશે.

મસ્અલો : આફાકી વ્યકિત હરમ અથવા મક્કા મુકર્રમહમાં એહરામ વગર દાખલ થશે તો તેના ઉપર હજ અથવા ઉમરહ કરવો વાજિબ થઈ જાય છે. પરંતુ ફર્ઝ હજ તથા મન્નતવાળી હજ અથવા મન્નતવાળો ઉમરહ અદા કરવાથી ઉપરનો વાજિબ પણ ઝિમ્મેથી અદા થઈ જશે. બીજા ઉમરહ કે હજની જરૂર નથી.

હિલવાળાઓની મીકાત :

મસ્અલો : જે લોકો મીકાતની અંદર રહે છે અથવા મીકાત અને હરમની વચમાં રહે છે. જો તેઓ હજ્જ કે ઉમરહની નિય્યતથી મક્કા મુકર્રમહ જશે તો એહરામ બાંધવો વાજિબ છે. અને જો હજ કે ઉમરહના ઈરાદાથી ન જાય તો તેમના માટે એહરામ બાંધવો જરૂરી નથી. એહરામ વગર મક્કા મુકર્રમહમાં દાખલ થઈ શકે છે.

મસ્અલો : આફાકી (મીકાતની બહારથી આવનાર) ઈન્ડીયા, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ વગેરેથી હજમાં જવાવાળી વ્યકિત ઉમરહથી ફારિગ થઈ પોતાના સગાં–સંબંધીઓ પાસે જીદ્દહ ચાલ્યા જાય છે. તેઓ પણ હવે ‘‘હિલવાળાના હુકમમાં આવી જાય છે. માટે તેઓ જો હજ અને ઉમરહની નિય્યતથી મક્કા મુકર્રમહ ન જાય. પોતાની કોઈ જરૂરત અર્થે જાય અથવા ફકત હરમ શરીફમાં નમાઝ કે તવાફની નિય્યતથી જાય તો તેમણે પણ એહરામ બાંધવુ જરૂરી નથી.

હરમની હદમાં રહેનારાની મીકાત : તેમની મીકાત હજ માટે હરમ શરીફ અને ઉમરહ માટે હિલ છે.

જો કોઈ આફાકી મક્કા મુકર્રમહ પહોંચી ઉમરહ કરીને હલાલ થઈ ગયો તો તેની મીકાત પણ હવે મક્કાવાસીઓ જેવી જ હશે. એટલે કે હજ માટે હરમ શરીફ અને ઉમરહ માટે હિલ એટલે કે ‘‘તન્ઈમ અને ‘‘જિઈર્રાના”થી એહરામ બાંધી લે. જીદ્દહથી પણ બાંધી શકે છે.

મસ્અલો : વિમાન માર્ગે આવનારા લોકો જીદ્દહ આવતા પહેલાં જ મીકાતથી એહરામ બાંધી લે. અફઝલ તો એ છે કે પોતાના ઘર અથવા એરપોર્ટથી જ બાંધી લે. પરંતુ જીદ્દહ એરપોર્ટ ઉપર ઉતરીને એહરામ બાંધવો સહીહ નથી. કારણકે ત્યાર પહેલાં વિમાન મીકાતથી પસાર થઈ ગયું હોય છે. માટે જો એહરામ બાંધ્યા વગર મીકાત વટાવી ગયો તો દમ દેવો પડશે. આવા સંજોગોમાં તેણે નજીકની કોઈપણ મીકાત પર પહોંચી તલ્બિયહ પઢી એહરામ બાંધી લેવો જોઈએ. પછી જ મક્કા મુકર્રમહમાં દાખલ થાય. આ પ્રમાણે કરવાથી દમ આપવો પડશે નહીં.

મસ્અલો : જે હાજીઓ દૂરના દેશોથી ૧૦ થી ર૦ કલાકનો પ્રવાસ ખેડી આવે છે અને ઘેરથી એહરામ બાંધીને આવવું મુશ્કેલ હોય છે, તો તેઓ પ્રવાસ દરમ્યાન એહરામની ચાદરો નાની બેગમાં પોતાની પાસે રાખે અને જીદ્દહ આવવાના બે કલાક પહેલાં શકય હોય તો ગુસલ અથવા વુઝૂ કરી એહરામ બાંધી લે અને એહરામની બે રકાત ઉભા–ઉભા અથવા બેસીને પઢી લે અને હજ અથવા ઉમરહની નિય્યત કરી લે.

મસ્અલો : વિમાન જો નજીકના કોઈ દેશ કે શહેરમાં થોડીક વાર રોકાવાનું હોય, જેમકે દમાસ્કસ, અમ્માન, કેરો, કુવૈત, દુબઈ અથવા રિયાઝ વગેરે તો ત્યાં ગુસલ કે વુઝૂ કરી એહરામ બાંધી શકે છે.

મસ્અલો : જો પહેલાં મદીના મુનવ્વરહ જવાની નિય્યત છે તો જીદ્દહ એહરામ વગર ઉતરી શકે છે. ત્યારબાદ મદીના મુનવ્વરાથી વાપસી વખતે ઝુલ્હુલયફહ (અબયારે અલી)થી એહરામ બાંધી લે.

મસ્અલો : જે લોકો હજ પછી મદીના મુનવ્વરહ જાય છે અને મદીના મુનવ્વરહથી રવાના થતી વખતે એક વધુ ઉમરહ કરવા ચાહે છે તો તેમણે રસ્તામાં ઝુલ્હુલયફહથી જ એહરામ બાંધવું જરૂરી છે. જીદ્દહ આવી સામાન રાખી જીદ્દહ એહરામ બાંધવું સહીહ નથી. કારણકે મદીના મુનવ્વરાથી જ એમની નિય્યત ઉમરહ કરવાની છે. તો મીકાત (ઝુલ્હુલયફહ)થી એહરામ વગર પસાર થવાથી દમ લાગુ પડશે અને ગુનેહગાર પણ થશે. પરંતુ જો મદીના મુનવ્વરહથી ઉમરહની નિય્યત ન હતી અને જીદ્દહ આવીને ટાઈમ હોવાને કારણે ઉમરહની નિય્યત કરી તો હવે જીદ્દહથી એહરામ બાંધવો સહીહ છે. કારણકે હવે તે હિલવાળાના હુકમમાં આવી ગયો.

મસ્અલો : જે લોકો નોકરી–ધંધા અર્થે મક્કા મુકર્રમહમાં રહે છે તેઓ જ્યારે પોતાના દેશમાં છુટ્ટીના દિવસો ગુજારી પાછા મક્કા મુકર્રમહ જાય છે અને એહરામ વગર અથવા જીદ્દહથી એહરામ બાંધે છે તો આ પ્રમાણે સહીહ નથી. આ પ્રમાણે કરવાથી ગુનાહ તથા દમ લાગુ પડશે. તેમણે પોતાના દેશના એરપોર્ટથી અથવા મીકાતથી એહરામ બાંધવો જોઈએ. મક્કા મુકર્રમહ પહોંચી પ્રથમ ઉમરહ કરે, પછી પોતાના કામ– ધંધામાં લાગે.

Log in or Register to save this content for later.