Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 133 to 135)
Views:
194
- જ્યારે હુઝૂરે અકરમ (સલ.)નું નામ મુબારક ખુત્બામાં આવે, તો તેને સાંભળી મુક્તદીઓએ પોતાના દિલમાં દુરૂદ શરીફ પઢી લેવું જાઈઝ છે. (બહરૂર્રાઈક)
- જો કોઈ મસબુક આખરી કાએદહમાં અત્તહિય્યાત પઢતી વખતે અથવા સહવનો સિજદહ કર્યા પછી પણ જમાઅતમાં શામેલ થયો હોય, તો તેનું શામેલ થવું દુરૂસ્ત ગણાશે. તેને જોઈએ કે તે જુમ્આની નમાઝ પૂરી કરે અને ઝોહર પઢે નહીં. (શામી)
- કેટલાક લોકો જુમ્આની નમાઝ પછી ઝોહરની નમાઝ એહતિયાતી પઢે છે. જુમ્આની નમાઝ પઢ્યા પછી હવે ઝોહરની નમાઝ એહતિયાતી પઢવાની જરૂરત રહેતી નથી. (બેહિશ્તી ગોહર)
- આજકાલ અમૂક લોકો એવી દલીલ કરે છે કે, નાના ગામડાઓમાં રહેતા લોકોને જુમ્આનો ઘણો જ શોખ અને કદર છે. અને જુમ્આના કારણે પાંચેય ફર્ઝ નમાઝનો પણ શોખ રહે છે, નહીંતર સુસ્તી કરે છે. એટલે સુધી કે નમાઝો પણ છોડી દે છે અને આ વાતને મસ્લેહત બનાવી તેના આધારે જુમ્આ શરૂ કરવાનો આગ્રહ રાખે છે, તો આ કોઈ મસ્લેહત નથી અને શરતો પૂરી ન થવાને કારણે જુમ્આ પઢવામાં ઘણી ખરાબીઓનો અમલ થઈ જાય છે. એટલે આ મસ્લેહતને આધાર બનાવી જુમ્આ શરૂ કરવી જાઈઝ નથી. (મસાઈલે નમાઝે જુમ્આ : ૭૬ થોડા ફેરફાર સાથે)
- અમૂક જેલોમાં કાયદેસર મસ્જિદો બનેલી હોય છે અને ઘણા બધા કેદીઓ પણ હોય છે અને હુકૂમત (કેન્દ્ર કે રાજ્ય સરકાર) તરફથી કોઈ રૂકાવટ (મનાઈ) પણ ન હોય, તો ત્યાં જુમ્આ પઢવી દુરૂસ્ત છે. (કિતાબુલ મસાઈલ : ૪રપ)
- એરપોર્ટ કોઈ શહેરના એરીયા (હદ)માં દાખલ છે, તો એરપોર્ટની અંદર જુમ્આ પઢવી દુરૂસ્ત છે. ચાહે બહારના લોકોને અંદર આવવાની પરવાનગી ન હોય. કારણ કે તેમાં બહારના લોકોને અંદર પ્રવેશની મનાઈ સુરક્ષાના હેતુથી છે, ફક્ત નમાઝ માટે જ નથી. (કિતાબુલ મસાઈલ : ૪રપ)
- સ્ટીમર કોઈ શહેરના દરીયાકાંઠે ઉભુ હોય અથવા એરપોર્ટ પર વિમાન, ફ્લાઈટ ઉભેલું હોય, તો એના મુસાફરોએ એ સ્ટીમર કે વિમાનમાં જુમ્આની નમાઝ પઢવી જાઈઝ નથી.
- નાના ગામડાઓમાં (જ્યાં વસ્તી ત્રણ હજારથી ઓછી હોય અને) જ્યાં રોજીંદા જીવન જરૂરીયાતની વસ્તુઓ અને સામગ્રી ઉપલબ્ધ ન હોય, તો ત્યાં જુમ્આની નમાઝ જાઈઝ નથી. એમના ઉપર ઝોહરની નમાજ ફર્ઝ છે. એટલે જ જો તેઓ ઝોહરની જગ્યાએ જુમ્આ પઢશે, તો ગુનેહગાર થશે. (કિતાબુલ મસાઈલ : ૪ર૩-૪ર૪)
- જુમ્આની નમાઝ સહીહ થવા માટે મોટું ગામ હોવું જરૂરી છે. મોટા ગામડાની વ્યાખ્યામાં ફુકહા (ઇસ્લામી કાયદાશાસ્ત્રી)ઓનો મતભેદ છે. બધાના મંતવ્યોનો નિચોડ એ છે કે, ત્યાં રોજીંદી જીવન જરૂરીયાતની ચીઝ-વસ્તુઓ માટે દુકાનો હોય અને સરકારી રાહે એવી વ્યવસ્થા હોય કે જ્યાં અત્યાચાર અને જુલ્મનો ભોગ બનેલ વ્યક્તિઓને મદદ મળી રહે. જેમકે પોલીસ ચોકી અથવા ગ્રામ પંચાયત. મોટે ભાગે આપણા ભારત દેશમાં ત્રણ હજારની વસ્તી પર આ બધી સેવાઓનો લાભ આપવામાં આવે છે. જેથી એટલા મોટા ગામમાં જુમ્આ પઢવી દુરૂસ્ત છે, જ્યાં ત્રણ હજારની વસ્તી હોય. (કિતાબુલ મસાઈલ : ૪રર)
- બેહતર એ છે કે, જુમ્આનો ખુત્બો પઢે તે જ નમાઝ પઢાવે. તેમ છતાં ખુત્બો એક માણસ પઢે અને નમાઝ બીજો માણસ પઢાવે, તો પણ ખુત્બો અને નમાઝ અદા થઈ જાય છે. (કિતાબુલ ફતાવા : ૬૧/૩)
- કારખાના અને કંપનીઓમાં પણ જુમ્આની નમાઝ પઢી શકાય છે. જુમ્આ માટે “બધા જ લોકો માટે પ્રવેશ”ની પરવાનગી શર્ત છે. પરંતુ અહિયાં કારખાનાઓ અને કંપનીઓમાં બહારના લોકો માટે પ્રવેશ બંધ છે. અંદર જે લોકો કામ કરે છે, તેમને માટે નથી. (કિતાબુલ ફતાવા : ૬૩/૩)
- ખુત્બા દરમિયાન માણસને જે રીતે બેસવામાં સહુલત હોય તે રીતે બેસે અને એ રીતે બેસે કે બીજા લોકોને તકલીફ ન પહોંચે. હા, કાએદહમાં બેસવું ઘણું સારૂં છે. (કિતાબુલ ફતાવા : ૭૦/૩)
- અમૂક મસ્જિદોમાં રિવાજ છે કે, ખુત્બા દરમિયાન નમાઝીઓ સામે ચંદા અર્થે ડબ્બો કે રૂમાલ ફેરવવામાં આવે છે, તો આ કામ બિલ્કુલ જાઈઝ નથી. કારણ કે ખુત્બા દરમિયાન ઝિક્ર કરવાની પણ મનાઈ છે, તો પછી આ કામની કેવી રીતે પરવાનગી હોય શકે ? (કિતાબુલ મસાઈલ : ૪૩૧)
- ખુત્બા વખતે હાથમાં અસા (લાકડી-લાઠી) લેવી મુસ્તહબ છે. પરંતુ એને જરૂરી સમજવું અને ન લેવાવાળાને કોસવો તથા મલામત કરવી જાઈઝ નથી. (કિતાબુલ મસાઈલ : ૪ર૮)
- ખુત્બા દરમિયાન નાના બાળકો અવાજ અને ધિંગામસ્તી કરતા હોય, તો એમને ઈશારા વડે રોકે, ઝબાનથી ન રોકે. (કિતાબુલ મસાઈલ : ૪ર૯, ફતાવા રહીમિય્યહ : ૪ર૩/૩)
- બીડી, સિગારેટ કે એવી કોઈક દુર્ગંધવાળી વસ્તુ નમાઝના સમયે ખિસ્સામાંથી કાઢી મસ્જિદમાં મૂકવી અથવા ખિસ્સામાં રાખવાથી નમાઝ તો થઈ જશે, પરંતુ આવી વસ્તુઓ ન રાખવી જોઈએ. (મસાઈલે નમાઝે જુમ્આ : રપ૬)
- જુમ્આની નમાઝ બાદ દુઆથી પહેલાં કોઈ ધાર્મિક કામ અર્થે ચંદો કરવો (ડબ્બો કે જોળી ફેરવવી) જાઈઝ છે. (મસાઈલે નમાઝે જુમ્આ : રપ૯)
Log in or
Register to save this content for later.