[૬પ] કૂવો પાક કરવા મશીન વડે કૂવાના તળિયેથી પાણી કાઢવું

Chapter : તહારત

(Page : 105 -106)

સવાલ :– કૂવો નાપાક થઈ ગયો હોય ત્યારે પાક કરવામાં મશીનનો ઉપયોગ કરવો કેવું છે ? તેનાથી કૂવો પાક થશે કે નહિ ?

                ઉપરોક્ત મસ્અલાની ‘શામી કિતાબમાં આ જ વિષય પર કંઈક ચોખવટ છે. તેમાં સમજાવવામાં આવ્યું છે કે મશીનથી પાણી કાઢવામાં નાપાક પાણી ઉપરના ભાગમાં રહે છે, જયારે મશીન કૂવાના તળિયેથી પાણી ખેંચે છે તો આ બાબતે યોગ્ય ખુલાસો આપશો, કારણકે હાલ ગામડાઓમાં લગભગ મોટર મશીનથી જ પાણી કાઢવામાં આવે છે.

જવાબ :– મશીન વડે નાપાક કૂવાનું પાણી નિશ્ચિત પ્રમાણમાં કાઢવાથી પણ કૂવો પાક થઈ જશે, કારણકે કૂવાની પાકીમાં મુખ્ય હેતુ એક ચોકકસ પ્રમાણમાં પાણી કાઢવાનો હોય છે, પછી તે ગમે તે રીતે કાઢવામાં આવે, ચાહે ડોલ કે કોસ વડે કાઢવામાં આવે કે મશીન મોટર વડે કાઢવામાં આવે, બલ્કે જો પાણી કાઢવામાં ન આવે અને આપો આપ જોઈતા પ્રમાણમાં પાણી ઓછું થઈ જાય. જેમ કે પાણી જમીનમાં ઉતરી જવાથી એટલું ઓછું થઈ જાય તો પણ કૂવો પાક થઈ જાય છે.

 દુર્રે મુખ્તારમાં છે કે,

‘વ યક્‌ફી જરયાનુ બઅઝિહિ વ ગવરાનુ કદરિલ્‌ વાજિબિ

તે કૂવાની પાકી માટે થોડા પાણીનું આપમેળે વહી નીકળી જવું અથવા જરૂરી પ્રમાણમાં જમીનમાં ઉતરી જવું પણ પૂરતું છે. (‘દુર્રે મુખ્તાર શામી ૧/૧૪પ)

                અને એ જરૂરી નથી કે મશીનથી તળિયાનું જ પાણી નીકળે. કારણ કે જો મશીનનો પાઈપ પાણીના ઉપરના ભાગમાં રાખવામાં આવશે તો ઉપલા ભાગનું પાણી નીકળશે અને જો માની પણ લઈએ કે મશીનથી નીચેનું જ પાણી નીકળે છે તો પણ મશીનથી પાણી કાઢી કૂવાના પાક થવામાં કોઈ વાંધો નહિ આવે, કારણ કે કૂવાનું પાણી કાઢવામાં એવી કોઈ વિગત નથી કે ઉપરના ભાગનું પાણી જ કાઢવું જરૂરી છે અને નીચલા ભાગનું પાણી કાઢવાથી કૂવો પાક નહિ થાય.

                શામીમાં કૂવાની પાકી વિશે એવી કોઈ ચર્ચા અભ્યાસમાં આવી નથી અને ઉપર શામીના હવાલાથી લખવામાં આવેલા મસ્અલાથી તો સાબિત થાય છે કે કૂવાની પાકીનો મુખ્ય આધાર ખાસ ખાસ સૂરતોમાં નિશ્ચિત પ્રમાણમાં પાણી નીકળી જવા ઉપર છે, ઉપર કે નીચેથી પાણી નીકળવાની કોઈ પાબંદી નથી.

                હા, હોઝ અને ટાંકીના પાક કરવાના તરીકાને વર્ણન કરતાં એક મંતવ્ય એ પ્રમાણે લખ્યું છે કે નીચલા ભાગનું પાણી વહેતું કરવાથી હોઝ અને ટાંકી પાક નહિ થાય, બલકે તેને પાક કરવા ઉપરના ભાગનું પાણી વહેતું કરવું જરૂરી છે.     (‘શામી ૧/૧ર૭)

                પરંતુ કૂવાના પાક કરવાના તરીકાને હોઝ અને ટાંકીના પાક કરવાના તરીકા ઉપર અનુમાન કરવું અને તેમાં પણ ઉપરથી પાણી કાઢવાને જરૂરી ઠેરવવું દુરૂસ્ત નથી, કારણ કે કૂવાના પાણીની પાકી–નાપાકીના મસાઈલ બીજા પ્રકારના પાણીના પાકી નાપાકીના મસાઈલ કરતાં જુદા છે. (‘હિદાયહ અવ્વલૈન)

Log in or Register to save this content for later.