Chapter :
(Page : )
નબી કરીમ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમ એક જનાઝાની સાથે ચાલતા હતા. કબ્રસ્તાન પહોંચી એક કબર પાસે જઈ બેસી ગયા. સહાબાએ કિરામ પણ આપ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમની આજુબાજુ બેસી ગયા. આપે ફરમાવ્યું. કબરના અઝાબથી અલ્લાહની પનાહ માંગો. પછી ફરમાવ્યું કે મોમિન જ્યારે દૂનિયાની છેલ્લી ઘડીઓ ગણી રહ્યો હોય અને આખિરતની પહેલી ઘડીઓમાં હોય તે વખતે તેના પાસે આસમાન થી નુરાની ચહેરાવાળા ફરીશ્તાઓ આવે છે જેમના ચહેરાઓ સુરજની જેમ ચમકદાર હોય છે તેમના પાસે જન્નતનું કફન અને જન્નતની ખુશ્બુ હોય છે. તેઓ જ્યાં સુધી મરનારની નજર પહોંચી શકે છે ત્યાં સુધી બેઠેલા હોય છે. પછી મોતનો ફરીશ્તો આવે છે. તે મરનારના માથા પાસે બેસીને કહે છે. ઓ પાક રૂહ! અલ્લાહની મગફીરત અને રજામંદી એટલે કે પ્રસન્નતા તરફ ચાલ. આ સાંભળીને તરત મરનારની રૂહ એકદમ આસાનીથી નીકળી જાય છે. તે જ સમયે આંખના પલકારામાં જન્નતી ફરીશ્તાઓ તે પાક રૂહને પોતાના હાથમાં ઉઠાવી લે છે અને જન્નતી કફન અને જન્નતી ખુશ્બુમાં રાખી દે છે. તેમાંથી એવી સરસ ખુશ્બુ આવે છે જેનો જોટો દૂનિયામાં જડતો નથી. હવે તેઓ આ રૂહને લઈ આસમાન તરફ ચાલવા લાગે છે. રસ્તામાં ફરીશ્તાઓની જે કોઇ ટીમ મળે છે પુછે છે કે આ પાક રૂહ કોની છે? ફરીશ્તાઓ તેનું સૌથી શ્રેષ્ઠ નામ જે દૂનિયામાં પ્રચલિત હતું તે નામ સાથે ફરીશ્તાઓને બતાવે છે કે ફલાણો માણસ અને ફલાણાનો પુત્ર કે પુત્રી છે. આસમાન સુધી પહોંચી જાય છે અને આસમાનના દરવાજા તેના માટે ખોલવામાં આવે છે આસમાનો સુધી પહોંચાડવા માટે વારાફરતી ફરીશ્તાઓની અલગ અલગ ટુકડીઓ આવે છે આ રીતે સાતમા આસમાને પહોંચી જાય છે. હવે અલ્લાહ તઆલા આ બંદા વિશે હુકમ આપે છે કે મારા બંદાના આમાલોને એટલે કે જીવનના સારા કાર્યો ને લઈ ઈલ્લિય્યિન (જન્નતી લોકો) માં લખી આપો. ફરી હુકમ થાય છે કે આ રૂહને જમીન તરફ ફરી મોકલી આપો. મેં મારા બંદાઓને જમીન થી જ પેદા કર્યા છે અને ફરી જમીનમાં જ મોકલવામાં આવશે. અને જમીનમાંથી જ બીજા વખત ઉભા કરીશ. હવે મય્યિતની રૂહ ફરી તેના બદનમાં મોકલવામાં આવે છે પછી બે ફરીશ્તા તેની કબરમાં આવી તેને બેસાડીને પુછે છે. તારો પાલનહાર કોણ છે? તારો દીન શું છે? માણસ જવાબ આપે છે કે મારો પાલનહાર એક અલ્લાહ જ છે અને મારો ધર્મ ઈસ્લામ છે ફરીશ્તાઓ ફરી પુછે છે આ માણસ કોણ છે? મરનાર જવાબ આપે છે કે આ માણસ અલ્લાહ તઆલાના રસૂલ છે. ફરીશ્તાઓ પુછે છે કે આ બધું તને કોણે શિખવાડ્યું? માણસ જવાબ આપે છે કે મેં અલ્લાહ તઆલાની કિતાબ કુર્આન શરીફ પઢયો. તેના પર ઈમાન લાવ્યો. તેને સાચું છે તે સમજ્યો. હવે આસમાનમાંથી એક પોકારનાર પોકારે છે કે મારા બંદાએ સાચુ કહ્યું. હવે તેના માટે જન્નતી ગાલીચા બિછાવી આપો. અને જન્નતી પોશાક પહેરાવી આપો. અને જન્નતના દરવાજા ખોલી આપો જેનાથી જન્નતી હવાના ઝોંકા તેમજ ત્યાંની ખુશ્બુ આવતી રહે. ત્યાર બાદ મય્યિતની કબરને તેની નજર પહોંચે ત્યાં સુધી ફેલાવી દેવામાં આવે છે. હવે તેની પાસે એક ખુબસુરત માણસ શાહી સુગંધિત કપડાંમાં સજ્જ થઈ આવીને કહેશે. હે અલ્લાહના નેક બંદા! આ જ એ દિવસ છે જેનો તમારી સાથે વાયદો કરવામાં આવ્યો હતો. મોમિન માણસ પુછે છે કે તમે કોણ છો? તમારા ચહેરા પરથી તમે ભલા માણસ લાગી રહ્યા છો. તે જવાબ આપે છે કે હું તમારા નેક કામો છું. તમે અલ્લાહના રસ્તામાં ચુસ્તી બતાવી અને બુરા કામો થી દૂર રહ્યા. માટે અલ્લાહ તઆલાએ તમને બેહતર બદલો આપ્યો. મોમિન માણસ જ્યારે આ બધું જોવે છે કે તેની કબર દૂર દૂર સુધી ફેલાયેલી છે અને જન્નતી નેઅમતો તેને કબરમાં મળતી થઈ જાય છે તો તે માણસ જન્નતનો આશિક થઈ જાય છે અને અલ્લાહ તઆલાથી દુઆ કરે છે કે હે અલ્લાહ ! કયામત જલ્દી કાયમ કરીદે જેથી હું જન્નતમાં પહોંચી જાઉં અને મારા પરિવાર ને મળી શકું.
(ડૉક્ટર મુહંમદ અબ્દુર્રહમાન અરીફીની કિતાબ ઝીંદગીકી આખરી તસ્વીરેં)
Log in or Register to save this content for later.