જુમ્આના આદાબ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 129 to 131)

દરેક મુસલમાને જોઈએ કે, જુમેરાતના દિવસથી જુમ્આના માટે તૈયારીઓ કરે. જુમેરાતના દિવસે અસરના વખતથી જ ઈસ્તિગફાર વધુ પઢે અને પોતાના પહેરવાના કપડાં ધોઈને સાફ કરી રાખે. શરીર ઉપર લગાડવા અત્તર વિગેરે ઘરમાં ન હોય અને વેચાતુ લઈ શકતો હોય તો તે જ દિવસે વેચાતુ લાવી ઘરમાં તૈયાર રાખે, જેથી જુમ્આના દિવસે મજકુર ચીજો લાવવા-કરવાની તૈયારીમાં વખત બગાડવો પડે નહીં. બુઝુર્ગોએ ફરમાવ્યું છે કે, જુમ્આના દિવસનો ફાયદો સૌથી વધારે તેને પહોંચશે કે જે તેના માટે રાહ જોયા કરે, અને જુમેરાતના દિવસથી એની તૈયારીઓ કરતો હોય. અને સૌથી કમનસીબ માણસ તે છે, જેને એ વાતની ખબર ન હોય કે જુમ્આ ક્યારે છે. અહીં સુધી કે, સવારે લોકોથી પૂછતો ફરે કે આજે ક્યો દિવસ છે ? કેટલાક બુઝુર્ગો વધારે બંદોબસ્ત કરવા માટે જુમ્આની રાતથી જ જુમ્આ મસ્જિદમાં રહેતા હતા. (ઈહ્યાઉલ ઉલૂમ)

જુમ્આના દિવસે ગુસલ કરે. માથાના વાળ અને શરીરને ન્હાતી વખતે ખૂબ સાફ કરે. જુમ્આના દિવસે મિસ્વાક કરવું પણ બહુ જ સવાબનું કામ છે.

જુમ્આના દિવસે ગુસલ કરીને સારામાં સારા જે કપડાં તેની પાસે હોય તે પહેરે. બને તો અત્તર (ખુશ્બૂ) લગાડે. નખ વિગેરે પણ કતરાવી નાખે. (ઈહ્યાઉલ ઉલૂમ)

જુમ્આ મસ્જિદમાં વહેલા ચાલ્યા જાવ. જે માણસ જેટલો વહેલો જશે, તેટલો વધારે સવાબ તેને મળશે. નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, જુમ્આના દિવસે જે મસ્જિદમાં જુમ્આની નમાઝ થતી હોય, તેના બારણે ફરિશ્તાઓ આવીને ઉભા રહે છે. અને સૌ કરતાં પહેલો જે આવે છે તેનું અને તેના પછી જે આવે છે તેનું, એ પ્રમાણે એક પછી એક (અનુક્રમે) નામ લખી લે છે. અને જે માણસ પહેલો આવે છે, તેને એટલો સવાબ મળે છે, જાણે અલ્લાહપાકની જનાબમાં તેણે એક ઉંટની કુર્બાની આપી. પછી બીજા આવનારને ગાયની કુર્બાની કરવા જેટલો, તે પછી ત્રીજા આવનારના માટે મેંઢાની કુર્બાની કરવા જેટલો, ચોથા આવનારના માટે અલ્લાહ તઆલાની રાહમાં મરઘી સદકામાં ઝબહ કરી આપવા જેટલો અને પાંચમા આવનારના માટે ઈંડુ સદકામાં આપવા જેટલો સવાબ મળે છે. જ્યારે ઈમામ ખુત્બો પઢવા માટે ઉભા થાય છે, ત્યારે ફરિશ્તાઓ તે દફતરને બંધ કરી દે છે અને ખુત્બો સાંભળવા લાગી જાય છે. (બુખારી, મુસ્લિમ, ઈહ્યાઉલ ઉલૂમ) મતલબ કે, ખુત્બાથી પહેલા આવનારનો સવાબ લખાતો રહે છે, અને ખુત્બો શરૂ થયા પછી એ મામલો બંધ થઈ જાય છે.

ભૂતકાળમાં અને આપણા પૂર્વજોના સમયમાં જુમ્આના દિવસે સવારે રસ્તાઓ અને ગલીઓ (માણસોની આવ-જાથી) ભરેલી દેખાતી હતી. તમામ લોકો ઘણા જ વહેલા (સવારથી) જુમ્આ મસ્જિદમાં જતા રહેતા. ત્યાં ઘણી ભીડ થતી જેવી કે આજકાલ ઈદને દિવસે થાય છે. જ્યારે લોકોમાંથી એ વાત જતી રહી, ત્યારે લોકોએ કહ્યું કે, ઇસ્લામમાં એ સૌથી પહેલી નવી વાત પેદા થઈ.

હઝરત ઈમામ ગિઝાલી (રહ.) ફરમાવે છે કે, યહૂદી અને નસરાની લોકો પોતાની ઈબાદતના દિવસે એટલે કે, યહૂદી શનિવારે અને ખ્રિસ્તીઓ રવિવારે પોતાના દેવળોમાં અને દુનિયા મેળવવા ઈચ્છનારા લોકો બજારોમાં ધંધા અર્થે વહેલી સવારે ઉઠીને જાય છે, તે જોઈ મુસલમાનોએ શરમાવું જોઈએ. તેઓએ દીન અને સવાબ અર્થે મજકુર લોકોથી આગળ જ રહેવું જોઈએ. (ઈહ્યાઉલ ઉલૂમ)

ખરેખર, મુસલમાનોએ આ જમાનામાં આ મુબારક દિવસનું માન અને મહત્વ તદ્દન ઘટાડી દીધું છે. તેઓને એ ખબર પડતી નથી કે, આજે ક્યો દિવસ છે અને તેનો શો રૂતબો છે. અફસોસ ! જે દિવસને મુસલમાનો ઈદના દિવસ કરતાં વધારે મહાન ગણતા હતા, જે દિવસને માટે નબીએ કરીમ (સલ.) ગર્વ લેતા હતા, અને જે દિવસ આગલી ઉમ્મતને આપવામાં ન આવ્યો, આજે મુસલમાનો તેની જરા પણ કદર કરતા નથી. એટલું જ નહીં, પણ તે તરફ બેદરકારી દેખાડી તેનું અપમાન કરે છે. ખુદાપાકની આપેલી નેઅમતને એવી રીતે બરબાદ કરવી ઘણી મોટી નાશુક્રી છે. જેની સજા આપણે આંખોથી જોઈ રહ્યા છીએ. “ઈન્ના લિલ્લાહિ વ ઈન્ના ઈલયહિ રાજિઉન” (અર્થ : અમે અલ્લાહપાકને માટે છીએ અને અમે તેની તરફ પાછા ફરનારા છીએ.)

Log in or Register to save this content for later.