નમાઝી સામેથી પસાર થવું

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 123 to 124)

નમાઝીની સામેથી પસાર થવામાં નમાઝીની નમાઝ તૂટતી નથી, પરંતુ એવા સંજોગોમાં નમાઝીનો ખ્યાલ કે, જે નમાઝમાં અલ્લાહ તઆલા સાથે સરગોશી (અલ્લાહપાક સાથે ગુપચૂપ વાતમાં તલ્લીન)માં લાગ્યો હોય છે, તે તરફથી ખસી પસાર થનાર તરફ જાય છે. એટલે એ પસાર થનાર એક રીતે નમાઝીની મજકૂર સરગોશીમાં ખલલ પાડનાર બને છે. હદીષ શરીફમાં નમાઝી સામેથી પસાર થનારને શયતાનના નામથી યાદ કરવામાં આવ્યો છે.

હદીષ શરીફમાં છે કે, “નમાઝી સામેથી પસાર થનાર જો જાણી લે કે, નમાઝી આગળથી પસાર થવામાં શું ગુનોહ છે, તો તે પસાર થવાના બદલે ૪૦ વર્ષ સુધી ત્યાં બેસી રહેવુ પડે, તો બેસી રહેવાને તે માણસ પસાર થવા કરતાં બેહતર સમજશે.” માટે મુસલમાનોએ નમાઝી આગળથી પસાર થવાથી ઘણું જ બચવું જોઈએ.

નમાઝીએ પણ જોઈએ કે, એવી જગ્યાએ નમાઝ પઢે કે જ્યાં આગળથી કોઈ પસાર થાય નહીં. અને લોકોને ચાલવામાં અને જવા-આવવામાં તકલીફ થાય નહીં. મસ્જિદમાં પણ કોઈ ખૂણો અથવા દિવાલની આડમાં નમાઝ પઢે. જો જવા-આવવાનો રસ્તો રોકી રાખી નમાઝ પઢશે, તો પસાર થનાર અને નમાઝી બન્ને ગુનેહગાર થશે.

કોઈ જગ્યાએ નમાઝ પઢવામાં કોઈ દિવાલ કે આડ ન હોય, તો પોતાની સામે એક હાથ લાંબી અને એક ઈંચ જાડી લાકડી પોતાની જમણી-ડાબી આંખ સામે ખોસી દે અથવા એક હાથ ઉંચી વસ્તુ સામે રાખીને નમાઝ પઢે. જેને શરીઅતની પરિભાષામાં “સૂત્રો” કહે છે. જેથી સામેથી જનારને પસાર થવું દુરૂસ્ત થશે અને પસાર થનારને ગુનોહ થશે નહીં.

  • મસ્જિદે હરામ (મક્કા શરીફ)માં તવાફ કરવાવાળાઓ માટે તવાફ કરતી વેળા નમાઝીના આગળથી પસાર થવું વિના સંકોચે જાઈઝ છે. પરંતુ જે લોકો તવાફ કરતા નથી એમણે નમાઝીઓની આગળથી પસાર થવામાં એહતેયાત કરવો જોઈએ. તેમ છતાં કોઈ કારણસર ન છૂટકે પસાર થવું જ પડે, તો નમાઝીની સિજદાની જગ્યા છોડીને થોડા આગળથી નીકળે, એની પાસેથી કે લગોલગથી ન નીકળે. (કિતાબુલ મસાઈલ : ૪૦૬)
  • આગળની સફમાં જગ્યા હોવા છતાં લોકો જમાઅતમાં પાછલી સફમાં ઉભા થઈ જાય, તો પાછળથી આવવાવાળા માટે જાઈઝ છે કે, પાછળની સફમાં નમાઝ પઢવાવાળાઓની આગળથી પસાર થઈને આગળની સફની ખાલી જગ્યા પૂર કરે (ભરી દે). (કિતાબુલ મસાઈલ : ૪૦૬)
Log in or Register to save this content for later.