અગત્યના જરૂરી સુચનો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 12 to 19)

[૧] ફકત અલ્લાહ પાકને રાજી કરવાની નિય્યત રાખે. દુન્યવી ઈઝઝત, શોહરત, દેખાવ વગેરેની નિય્યત ન હોય.

[ર] નાના–મોટા ગુનાહોથી તૌબા કરે. તૌબામાં ત્રણ કામ કરવાના છે : (૧) ભૂતકાળના કરેલા ગુનાહો પર પસ્તાવો અને જેની કઝા તથા બદલો ચૂકવી શકાતો હોય તે ચૂકવવો. (ર) વર્તમાનકાળમાં આ ગુનાહો છોડી દઈ ભવિષ્યમાં ન કરવાનો પાકો ઈરાદો કરે. (૩) બાલિગ થયા પછીથી જે નમાઝો કઝા થઈ હોય તે નમાઝોનો અંદાઝો લગાવીને કઝા કરે અને માલની ઝકાત ન આપી હોય તો હિસાબ કરી ઝકાત આપી દે. કોઈનું કર્ઝ અથવા માલી હક ઝિમ્મે હોય તો અદા કરે અને ઝબાન અથવા હાથથી કોઈને તકલીફ આપી હોય, ગીબત કરી હોય તો માફી માંગે.

[૩] જેનો માલી હક ઝિમ્મે બાકી હોય અને તે મરણ પામ્યો હોય તો તેના શરઈ વારીસોને અદા કરે અથવા તેમનાથી માફ કરાવી લે.

[૪] હજનો જરૂરી ખર્ચ પોતાની સાથે લઈ લે. લોકોના માલ તરફ બિલ્કુલ ધ્યાન ન રાખે અને સવાલ કરવાથી પોતાને બચાવે.

[પ] એક મુસલ્લો સાથે રાખે, જેથી નમાઝ પઢવામાં સહુલત રહે.

[૬] પોતાના મુઅલ્લીમનું પુરૂં સરનામું, ફોન નંબર સાથે નોંધી લે. જેથી જરૂરત સમયે કે ઠેકાણે પહોંચવામાં સહુલત રહે.

[૭] રૂમમાં સાથીઓ સૂતા હોય તો વગર જરૂરતે લાઈટ સળગાવી એમની ઉંઘમાં ખલલ ન પહોંચાડે.

[૮] ખાંસી, કબજીયાત, તાવ, શરદી, માથા વગેરેની દવા પોતાની સાથે જરૂરથી લઈ લે.

[૯] એહરામની ચાદરો, હાથના સામાનમાં રાખે. જો ભૂલથી એરમાં સામાન સાથે જતી રહે તો પોતાના સિવેલાં કપડાંમાં એહરામની નિય્યત કરી લે. જો બાર કલાકથી ઓછા સમય કપડાં પહેર્યા તો ફકત સદકો (પોણા બે કિલો ઘઉં અથવા તેની કિંમત) આપવી પડશે અને બાર કલાક કે તેથી વધુ સમય પહેર્યા તો દમ (બકરી) લાગુ પડશે.

    ઠંડીથી બચવાનો સામાન, ગરમ ચાદરો વગેરે હાથના સામાનમાં રાખે. જેથી જિદ્દહ એર્પોટ ઉપર ઠંડીમાં કામ લાગે, પરંતુ એહરામને લઈ મર્દો માથુ તથા ચહેરો અને ઔરતો (ચહેરો) ન ઢાંકે.

સૂર્ય ઉગ્યા બાદ અને ઝોહરના અડધા કલાક બાદ કાબા શરીફમાં તથા મસ્જિદે નબવી (સ.અ.વ.)માં ભીડ ઓછી હોય છે એ જ પ્રમાણે ઈશાંના ચાર–પાંચ કલાક બાદ મક્કા શરીફમાં અને અડધા કલાક બાદ મદીના શરીફમાં ભીડ ઓછી હોય છે તે સમયે તવાફ અને સલાતો સલામમાં રાહત રહે છે.

મક્કા શરીફમાં પહેલો કલિમો અને મદીના શરીફમાં દુરૂદ શરીફનો વિર્દ રાખે.

બજારોની ખરીદી, દોસ્તોની મુલાકાતો અને બેઠકો, જમાઅતની હાજરી અને તકબીરે ઉલાથી મહરૂમ ન રાખે.

તવાફમાં ઔરતોથી દૂર રહે તથા પોતાની ઔરતોને પારકા પુરૂષોથી દૂર રાખે.

મિના, અરફાતમાં નાશ્તા માટે હલકો ખોરાક બિસ્કીટ વગેરે સાથે રાખે. જેથી ઈબાદત, દુઆ વિગેરેમાં દિલ લાગે. પાણીનો થર્મોસ, લોટો વગેરે પણ સાથે રાખે.

[૧૦] પ્રવાસ દરમ્યાન રૂપિયા–રિયાલની હિફાઝતનું ખાસ ધ્યાન રાખે. અને પોતાની રકમ એક જગ્યાએ ન રાખે, બલ્કે જુદા જુદા સામાનોમાં જુદી જુદી જગ્યાએ મૂકે.

[૧૧] હજ્જના પ્રવાસ પહેલા હજ્જના મસાઈલને સારી રીતે જાણવુ જરૂરી છે, એટલા માટે અનુભવી આલિમોથી સંપર્ક કરીને અને પોતાના સહપ્રવાસીઓ સાથે મસાઈલની ચર્ચા કરીને ખાસ જાણકારી પ્રાપ્ત કરવી જોઈએ.

[૧ર] પ્રવાસમાં ઝૌક અને શોખની સાથે આ ખુશનસીબી પર અંતઃકરણથી શુક્ર અદા કરવો પણ જરૂરી છે, કારણકે આ ખુશનસીબી દરેકને મળતી નથી.

[૧૩] વિશેષ રીતે આ પ્રવાસમાં આંખ, કાન, ઝબાન અને બધા જ અવયવોને ગુનાહોથી બચાવવાનો સંપૂર્ણપણે પ્રબંધ કરવો જોઈએ. અને સંપૂર્ણ એકાગ્રતા અને ખુશૂઅ ખુઝૂઅ સાથે રિયાકારીથી બચતાં પ્રવાસનો આરંભ કરવો જોઈએ. અને પ્રવાસ દરમ્યાન બેકાર બાબતોમાં ભાગ ન લઈ ઝિક્ર વગેરેમાં વધારે સમય ગુજારવો જોઈએ.

જિદૃા વિમાન મથકે :

[૧૪] ભારતથી જિદૃાનુ અંતર સામાન્યતઃ વિમાન પ્રવાસ વડે પાંચથી સાડા પાંચ કલાકનું હોય છે. સઉદી અરબનો સ્થાનિક સમય ભારત કરતાં અઢી કલાક પાછળ છે. એટલા માટે વિમાન મથકે ઉતરતાની સાથે પોતાનું ઘડીયાળ ત્યાંના સમય પ્રમાણે મેળવી લેવુ જોઈએ, જેથી નમાઝો નિશ્ચિત સમય પ્રમાણે અદા થઈ શકે.

[૧પ] વિમાનમાંથી ઉતર્યા બાદ હાજીઓને એક મોટા હોલમાં પહોંચાડી દેવામાં આવે છે. તે હોલમાં ઈસ્તિન્જા, વુઝૂ વગેરેની સર્વોત્તમ વ્યવસ્થા છે. એટલા માટે જો કોઈ નમાઝનો સમય હોય તો ત્યાં સરળતાથી અદા કરી શકાય છે.

[૧૬] હોલમાં સર્વપ્રથમ આપને એક દિશા નિર્દેશક ફોર્મ ભરવા માટે આપવામાં આવશે. તેને તમે પોતે ભરશો અથવા પોતાના સહપ્રવાસીની સહાયથી ભરી શકો છો.

[૧૭] ત્યારબાદ પાસપોર્ટની તપાસની કાર્યવાહી શરૂ થશે. આ કાર્યવાહીમાં ઘણી વાર લાગે છે, એટલા માટે સબ્ર અને શાંતિનો દેખાવ કરવો જોઈએ, દિલમાં ગભરામણ પેદા ન થવી જોઈએ.

[૧૮] પાસપોર્ટની કાર્યવાહી બાદ આગલો પડાવ કસ્ટમનો છે. કસ્ટમ પહેલાં આપના સામાનની સારી રીતે ઓળખ કરી લેવી જોઈએ.

[૧૯] કસ્ટમ પછી પોતાનો સામાન સારી રીતે બાંધીને લીલા રંગનો ડ્રેસ પહેરેલા કુલીઓને સુપ્રત કરી આપો. આ કુલીઓ તમારો સામાન વિના મૂલ્યે ભારતીય હજ્જ કમિટીની ઓફિસ સુધી પહોંચાડી દેશે.

[ર૦] કસ્ટમ હોલથી બહાર નીકળતાની સાથે સામે ‘મકતબુલ વુકલાઉલ મુવહહદ’ના કાઉન્ટર લાગેલા છે, તેમને તમે સર્વિસ અને ટ્રાન્સપોર્ટ ચેક આપી દો અને ટ્રાન્સપોર્ટ ટિકિટ પ્રાપ્ત કરી લો.

[ર૧] ત્યાંથી નીકળીને ત્રિરંગા ઝંડાને જોઈને ભારતીય હજ્જ ઓફિસ નજીક જઈ પોતાના સામાનની શોધ કરવાથી મળી જશે. સામાન એક જગ્યાએ કાઢી ભેગો કર્યા પછી પોતે તેની દેખરેખ રાખો.

[રર] જિદૃાના અતિ વિશાળ વિમાનઘરે અનેક જગ્યાએ આરામ દાયક વુઝૂખાના અને ઈસ્તિન્જાખાના (સંડાશ) છે. અહીંયા તમે પોતાની જરૂરતથી ફારિગ થઈ શકો છો.

[ર૩] અહીંયા અનેક બેંકોની શાખાઓ કામ કરે છે, ત્યાં તમે ચેક અથવા ડોલર વગેરેને બીજી કરન્સીમાં બદલી શકો છો.

[ર૪] જરૂરીયાતથી ફારિગ થઈ હજ્જ ઓફિસના કાર્યકરો અને જવાબદાર વ્યકિતઓ સાથે મુલાકાત કરો અને પોતાના પાસપોર્ટ પર મુઅલ્લિમ અને રહેઠાણની જગ્યાની વિગતો આધારિત સ્ટીકર લગાવી દો. અને એ માહિતી પણ મેળવી લો કે તમારી રવાનગી કેટલા સમયમાં થશે.

જિદૃાથી રવાનગી :

[રપ] જિદૃાથી મક્કા મુકર્રમહ રવાના થતા પહેલા ગુસ્લ વગેરે કરીને તૈયાર થઈ જાઓે.

[ર૬] જ્યારે તમે બસમાં બેસવા લાગશો, ત્યારે મુઅલ્લિમના પ્રતિનિધિ તમારો પાસપોર્ટ લઈને બસ ડ્રાઈવરના હવાલે કરશે. અને તમારો આ પાસપોર્ટ હજ્જથી પાછા ફરતા પહેલા મળશે. આ સમયગાળા દરમ્યાન તમે પાસપોર્ટને જોઈ પણ નહી શકો.

[ર૭] જિદૃાથી રવાના થઈને બસ મક્કા મુઅઝઝમાના બહાર ‘મરકઝુલ ઈસ્તિકબાલ પર રોકાશે અને દરેક બસમાં એક રહબર સવાર થશે, જે હાજીઓને પોતાના મુઅલ્લિમોની ઓફિસો અથવા તેમના રહેઠાણ પર પહોંચાડશે.

[ર૮] ‘મરકઝુલ ઈસ્તિકબાલ પર પોતાની બસમાંથી બહાર નીકળવુ નહી. જો જવુ હોય તો પોતાના સહપ્રવાસીઓને બતાવીને જવુ. અને જલ્દીથી પાછા આવી જવુ.

મક્કા મુકર્રમામાં :

[ર૯] જ્યારે બસ તમારા મુઅલ્લિમની ઓફિસ સામે જઈને ઉભી હોય, ત્યારે બસની બહાર નીકળવાની કોશિશ ન કરશો. બલ્કે પોતાની બેઠકો પર બેસી રહો અને જે પ્રશ્ન કરવામાં આવે તેનો ખરો જવાબ આપો.

[૩૦] બસમાં તમોને તમારા મુઅલ્લિમ તરફથી એક પીળો પટ્ટો આપવામાં આવશે. જેમાં તમારા મુઅલ્લિમનું સરનામુ લખેલુ હશે. અને બિલ્ડીંગ નંબર લખેલો હશે તે પટ્ટાને તમે પોતાના હાથમાં બાંધી લો. અને તમારી સાથે જે સ્ત્રીઓ હોય તેમને પણ પહેરાવી દો. (ખુદા ન કરે) તમારા ખોવાઈ જવાની પરિસ્થિતિમાં આ પટ્ટો ઘણો કામ આવશે.

[૩૧] જ્યારે તમારી બસ રહેઠાણ બિલ્ડીંગ સુધી પહોંચશે તો ઉતરીને સર્વપ્રથમ પોતાનો સામાન બસમાંથી ઉતારીને ચેક કરાવી લો.

[૩ર] ત્યારબાદ બિલ્ડીંગના પોતાના નક્કી કરેલા રૂમમાં (જે હવે કોમ્પ્યુટર વડે નક્કી થાય છે), ચાલ્યા જાઓ.

[૩૩] અને જે લોકો હજ્જ કમિટી વડે ન જતા હોય, તેઓ મુઅલ્લિમની ઓફિસે પહોંચીને પોતાના રહેઠાણની વ્યવસ્થા પોતે કરે. જો કોઈને પોતાના જાણીતા માણસને ત્યાં રહેવુ હોય તો તેની કાર્યવાહી સંપૂર્ણ રીતે કરાવી લો. ટૂરવાળા પોતાની રીતે વ્યવસ્થા કરી આપે છે.

[૩૪] મક્કા મુઅઝઝમા પહોંચ્યા બાદ એક દિવસમાં મુઅલ્લિમ તરફથી એક ફોટાવાળો કાર્ડ દરેક હાજીને આપવામાં આવે છે. આ કાર્ડ વાસ્તવમાં તમારા પાસપોર્ટના બદલામાં છે, જેમાં મુઅલ્લિમ અને રહેઠાણ વગેરેની બધી વિગતો લખેલી હોય છે. હરમૈન શરીફૈનમાં રહેવાના સમગ્ર સમયગાળામાં આ કાર્ડને હંમેશ સાથે રાખવો જોઈએ. આ ઘણી કીંમતી અને જરૂરી વસ્તુ છે.

[૩પ] આ રીતે મિના જતા પહેલા મિના અને અરફાતના રહેઠાણની જગ્યા બાબત એક કાર્ડ મુઅલ્લિમ તરફથી આપવામાં આવે છે, તેને લેવાનુ ભૂલશો નહી અને પ્રવાસ દરમ્યાન હંમેશ સાથે રાખશો.

[૩૬] પાછલા વર્ષોના અનુભવોથી જણાયુ છે કે, લગભગ દર વર્ષે અમુક ઠગ લોકો હાજીઓ સાથે કોઈ ન કોઈ પ્રકારે સંબંધ વધારે છે. પછી પોતાને તેનો સંપૂર્ણ ભરોસાપાત્ર બનાવીને સસ્તી કુરબાનીઓની લાલચ દઈને એક મોટી રકમ હડપ કરવામાં સફળ થાય છે. તેમનો હેતુ માત્ર અને માત્ર હાજીઓને ઠગવાનો હોય છે. તમે આવા પ્રકારના લોકોથી હંમેશ સાવધાન રહો. પોતાની કુરબાની તમે પોતે જ પોતાના હાથથી કરો અથવા તમારા સહપ્રવાસીઓમાંથી કોઈ ભરોસાપાત્ર વ્યકિત વડે કરાવો.

[૩૭] હરમ શરીફમાં લગભગ દરેક ફર્ઝ નમાઝ પછી જનાઝાની નમાઝનું એલાન થાય છે. અને જનાઝાની નમાઝ પઢવામાં આવે છે. જેથી ફર્ઝ નમાઝો પછી બેહતર છે કે, બે–ચાર મિનીટ થોભ્યા બાદ સુન્નતો અને નવાફિલની નિય્યત બાંધો. જેથી આટલા મોટા સમૂહમાં હરમ શરીફની અંદર પઢવામાં આવતી જનાઝાની નમાઝના સવાબથી તમે પણ લાભવંત થઈ શકો. જેમાં ભાગ લેવાની હદીષ શરીફમાં ઘણી ફઝીલત આવી છે.

Log in or Register to save this content for later.