Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 106 to 109)
- કુર્આનમાં ૧૪ આયતો સિજદહની છે. જે ઘણાખરા લોકો જાણે છે. એ આયતોમાંથી કોઈ એક આયત જે કોઈ પઢે, તેણે સિજદહ કરવો વાજિબ છે, અને જે કોઈ સાંભળે તેના ઉપર પણ વાજિબ છે. સાંભળવાનો ઈરાદો હોય કે ન હોય. માટે પઢનારે સિજદહની આયત ધીમેથી પઢવી જોઈએ. એવી રીતે ઈમામે સિજદહની આયત પઢી, તો મુક્તદીએ સાંભળી હોય કે ન સાંભળી હોય, પણ તેણે ઈમામની સાથે સિજદહ કરવો વાજિબ છે.
- તિલાવતના સિજદહની રીત એ પ્રમાણે છે કે, જે વસ્તુ નમાઝ માટે શર્ત છે, તે તિલાવતના સિજદહ માટે પણ શર્ત છે. જેમકે વુઝૂનું હોવું, જગ્યા પાક હોવી, બદન તથા કપડાં પાક હોવા, વિગેરે. પછી કિબ્લહ રૂખ થઈ એક તકબીર ‘અલ્લાહુ અકબર’કહી સિજદહ કરે. સિજદહમાં “સુબ્હાન રબ્બિયલ અઅ્લા’ ત્રણ વાર પઢે. અને અલ્લાહુ અકબર કહીને માથુ ઉપાડે, એટલે સિજદએ તિલાવત થઈ ગયો.
- બેહતર એ છે કે, ઉભા થઈને પ્રથમ ‘અલ્લાહુ અકબર’ કહીને સિજદહમાં જાય અને ‘અલ્લાહુ અકબર’ કહીને ઉભા થાય. જો બેસીને પણ ઉપર પ્રમાણે સિજદહ કરે તો પણ દુરૂસ્ત છે.
- જો એક જ આયત સિજદહની ઘણીવાર એક જ બેઠકમાં પઢે અથવા સાંભળે, તો એક જ સિજદહ વાજિબ થશે. અને જો બેઠક બદલાય જાય, એટલે કે તે જ આયત બીજી જગ્યાએ પઢે અથવા તો સાંભળે તેમજ જેટલી જગ્યાએ પઢશે અને સાંભળશે તેટલા સિજદહ વાજિબ થશે.
- જો એક જ બેઠકમાં સિજદહની અનેક આયતો પઢશે અથવા સાંભળશે, તો તેટલા સિજદહ અદા કરવા પડશે.
- જો કોઈનું વુઝૂ તે વખતે ન હોય તો બીજી કોઈ વાર સિજદહ કરી લે. એ જ વખતે સિજદહ કરવો જરૂરી નથી. પણ બેહતર એ છે કે, તે જ વખતે સિજદહ કરી લે. એટલા માટે કે ભૂલી ન જવાય.
- ઘણા માણસો કુર્આન શરીફ ઉપર સિજદહ કરી લે છે, એથી સિજદહ અદા થતો નથી. જેવી રીતે નમાઝનો સિજદહ થાય છે, તેવી જ રીતે સિજદહ કરવો જોઈએ.
- જો કોઈના માથે તિલાવતના સિજદહ કરવા બાકી હોય, તો તેને જલ્દીથી અદા કરે. અને જો ઝિંદગીમાં અદા કરવા રહી ગયા, તો ગુનેહગાર થશે.
- નમાઝ પઢવામાં કોઈથી સિજદહની આયત સાંભળી લીધી હોય તો નમાઝમાં સિજદહ કરે નહીં, પણ નમાઝ પછી કરે. જો નમાઝમાં જ કરશે, તો સિજદહ અદા થશે નહીં અને ફરીથી કરવો પડશે, અને ગુનોહ પણ થશે.
- સ્ત્રીએ હૈઝ (માસિક) અથવા નિફાસ (પ્રસુતિ બાદનો રક્તસ્ત્રાવ) -ની હાલતમાં સિજદહની આયત સાંભળી, તો તેણી ઉપર સિજદહ વાજિબ થતો નથી. પણ જો એવી હાલતમાં સાંભળ્યું કે હૈઝ બંધ થયું છે અને ન્હાવું વાજિબ થયું છે, તો ગુસલ કર્યા પછી સિજદહ કરવો વાજિબ છે.
- જો નમાઝમાં સિજદહની આયત પઢે, તો તે આયત પઢીને તરત નમાઝમાં જ સિજદહ કરે, પછી બાકીની સૂરત પઢીને રુકૂઅમાં જાય. જો તે આયત પઢીને તરત સિજદહ ન કર્યો અને તે પછીની બે-ત્રણ આયતો પઢી લીધા પછી સિજદહ કર્યો, તો પણ દુરૂસ્ત છે. પરંતુ જો એનાથી વધુ આયતો પઢી લીધી અને પછી સિજદહ કર્યો, તો સિજદહ તો અદા થઈ જશે, પરંતુ ગુનેહગાર થશે.
- જો નમાઝમાં સિજદહની આયત પઢી અને નમાઝમાં જ સિજદહ ન કર્યો, તો હવે નમાઝ પછી સિજદહ કરવાથી અદા થશે નહીં. હંમેશના માટે ગુનેહગાર રહેશે. તૌબા અને ઈસ્તિગફાર વગર બીજી કોઈ રીતે માફી નથી.
- જો સિજદહની આયત પઢીને તરત રુકૂઅમાં જાય અને રુકૂઅમાં આ નિય્યત કરે કે, હું તિલાવતના સિજદહનો પણ એ જ રુકૂઅ કરૂં છું, તો પણ તે સિજદહ અદા થઈ જશે. અને જો રુકૂઅમાં નિય્યત ન કરી તો રુકૂઅ પછી જ્યારે સિજદહ કરશે, તો તે જ સિજદહ (નમાઝના જ સિજદહ)થી તિલાવતનો સિજદહ પણ અદા થશે. નિય્યત કરી હોય કે ન કરી હોય.
- રૂકૂઅમાં ઈમામે તો તિલાવતના સિજદહની નિય્યત કરી, પરંતુ મુક્તદીઓએ નિય્યત કરી નથી (અજાણ હોવાને કારણે અથવા અભણતાના કારણે) તો મુક્તદીઓ માટે જરૂરી છે કે સલામ ફેરવ્યા બાદ તિલાવતનો સિજદહ કરીને ફરી કાએદહમાં બેસી જાય, ત્યાર બાદ બન્ને તરફ સલામ ફેરવી દે. નહીં તો નમાઝ ફાસિદ થઈ જશે.
એટલે ઈમામે એમ કરવું જોઈએ કે તિલાવત કર્યા બાદ તરત સિજદહ કરી લે. નહીં તો પછી રૂકૂઅમાં નિય્યત ન કરે, જેથી એ રકઅતમાં આવવાવાળા સિજદહમાં તિલાવતનો સિજદહ પણ આપોઆપ અદા થઈ જશે (અને મુક્તદીઓની નમાઝમાં કોઈ ખામી આવશે નહીં). (કિતાબુલ મસાઈલ : પ૦૭-પ૦૮)
- ઈમામ સિજદહની આયત પઢ્યા બાદ તકબીર કહીને સિજદહમાં ચાલ્યો ગયો અને મુક્તદી રૂકૂઅની તકબીર સમજીને રૂકૂઅમાં ગયા તો હવે મુક્તદી રૂકૂઅ છોડીને સિજદહમાં ચાલ્યા જાય. ભલેને ઈમામનો તિલાવતનો સિજદહ પૂરો થઈ ગયો હોય. (કિતાબુલ મસાઈલ : પ૦૮)
- ચાલતી સવારી જેમકે ટ્રેન, વિમાન, સ્ટીમર, હોડી, કાર, બસ વગેરેમાં એક જ સિજદહની આયતને વારંવાર સાંભળી તો પણ એક જ સિજદહ વાજિબ થશે. (કિતાબુલ મસાઈલ : પ૦૬)
- જો રેડિયો પર સિજદહની આયત પઢવામાં આવે, તો સાંભળવાવાળા પર તિલાવતનો સિજદહ વાજિબ નથી. કારણ કે તેનું રેકોર્ડિંગ કર્યા બાદ પ્રસારણ કરવામાં આવે છે. અને જો સીધું જ (રેકોર્ડિંગ કર્યા વગર) પ્રસારણ કરવામાં આવતું હોય તો સિજદહ કરવો જોઈએ. (કિતાબુલ મસાઈલ : પ૦૧)
- ટી.વી. પર કુર્આનની તિલાવતનું પ્રસારણ થાય છે, તો મોટેભાગે તેના બે પ્રકાર છે : (૧) તિલાવત પહેલાં રેકોર્ડ કરી લેવામાં આવે છે, પછી ટી.વી. પર પ્રસારિત કરવામાં આવે છે. તો આ હાલતમાં સાંભળનારાઓ પર તિલાવતનો સિજદહ વાજિબ નથી. (ર) સીધું જ પ્રસારણ કરવામાં આવે. આ બીજી રીતમાં સાંભળનારાઓ ઉપર તિલાવતનો સિજદહ વાજિબ થશે. (કિતાબુલ ફતાવા : ૪પ૭/ર)
- સિજદહની આયતનો અનુવાદ પઢવાથી તિલાવતનો સિજદહ વાજિબ થશે નહીં. (કિતાબુલ ફતાવા : ૪૪૯/ર)
- સિજદહની આયત લખવામાં આવે અથવા ટાઈપ કે કમ્પોઝ કરવામાં આવે અને ઝબાનથી આયતને બોલે અથવા એક-એક હુરૂફ (મૂળાક્ષર)નો ઉચ્ચાર કરે, તો તિલાવતનો સિજદહ વાજિબ થશે નહીં. (જદીદ ફિકહી મસાઈલ : ૧૭ર/૧)
- કોઈ સમાચારપત્ર અથવા સામયિકમાં સિજદહની આયત અને અનુવાદ લખ્યો હોય, તો આયત પઢવાથી સિજદહ વાજિબ થઈ જશે અને જો ફક્ત અનુવાદ પઢે, તો સિજદહ વાજિબ થશે નહીં. (કિતાબુલ ફતાવા : ૪પ૧/ર)