Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 101 to 104)
- નમાઝમાં જેટલી ચીજો વાજિબ છે, તેમાંથી કોઈ એક વાજિબ અથવા અનેક વાજિબ જો ભૂલથી રહી જાય ત્યારે.
- કોઈ વાજિબમાં મોડું થવાથી.
- કોઈ ફર્ઝમાં મોડું થવાથી.
- કોઈ ફર્ઝને વખત પહેલાં અદા કરવાથી.
- કોઈ ફર્ઝને બે વાર અદા કરી લેવાથી. જેમકે બે રુકૂઅ કરી લીધા અથવા ત્રણ સિજદહ કરી લીધા.
- કોઈ વાજિબમાં ફેરફાર થવાથી.
ઉપરની ભૂલોમાંથી કોઈ પણ ભૂલ થઈ જાય ત્યારે સહવનો સિજદહ કરવો વાજિબ થાય છે. અને સહવનો સિજદહ કરી લેવાથી નમાઝ દુરૂસ્ત થઈ જાય છે. અને જો સહવનો સિજદહ ન કર્યો, તો નમાઝ ફરીથી પઢવી પડશે.
- જો ભૂલથી નમાઝનો કોઈ ફર્ઝ છૂટી જાય ત્યારે સહવનો સિજદહ કરવાથી પણ નમાઝ દુરૂસ્ત થશે નહીં. તે નમાઝ ફરીથી પઢવી પડશે.
- જે વસ્તુ ભૂલથી થઈ જતાં સહવનો સિજદહ કરવો પડે છે તેને કોઈએ જાણીબુઝીને કરતાં સહવનો સિજદહ વાજિબ થતો નથી. તેણે ફરીથી નમાઝ પઢવી પડશે. અને જો સહવનો સિજદહ કરી લે તો પણ નમાઝ થશે નહીં.
- ફર્ઝ નમાઝની પહેલી બે રક્અતો અને વાજિબ, સુન્નત કે નફલ નમાઝની દરેક રક્અતમાં સૂરએ ફાતિહા એટલે અલ્હમ્દુ શરીફ પઢવું ભૂલથી રહી જવાથી તેમજ તેને બે વાર ભૂલથી પઢી લેવાથી અથવા અલ્હમ્દુ શરીફ પહેલાં કોઈ સૂરત ભૂલથી પઢી લેવાથી સહવનો સિજદહ વાજિબ થશે.
- ફર્ઝ નમાઝની ત્રીજી અને ચોથી રક્અતો સિવાય દરેક નમાઝની ફર્ઝ હોય કે વાજિબ, સુન્નત હોય કે નફલ, કોઈપણ રક્અતમાં ભૂલથી કિરાઅત છૂટી જવાથી સિજદએ સહવ વાજિબ છે.
- અલ્હમ્દુ શરીફ પછી સૂરત શરૂ કરવામાં એટલી વાર લગાડે કે ત્રણ વાર “સુબ્હાનલ્લાહ” કહી શકે, ત્યારે પણ સહવનો સિજદહ વાજિબ છે.
- જ્યારે અલ્હમ્દુ શરીફ અને સૂરત પઢી ચૂકે અને ભૂલથી કંઈક વિચારવા લાગે અને રુકૂઅમાં જવામાં ત્રણ વાર “સુબ્હાનલ્લાહ” કહે તેટલી વાર લગાડે, તો પણ સહવનો સિજદહ વાજિબ થશે.
- એવી જ રીતે જો પઢતાં પઢતાં વચમાં રોકાઈ જાય અથવા રુકૂઅથી ઉઠે ત્યારે, બન્ને સિજદહ વચ્ચે તેમજ બન્ને કાએદહમાં અત્તહિય્યાત શરૂ કરતી વખતે કંઈક વિચાર કરવા લાગી જાય અને ત્રણ વાર “સુબ્હાનલ્લાહ” કહે તેટલી વાર લાગશે, તો સહવનો સિજદહ વાજિબ થશે.
- પહેલા કાએદહમાં જો બે વાર અત્તહિય્યાત પઢી લે, તો પણ સહવનો સિજદહ વાજિબ થશે. તેમજ અત્તહિય્યાત પછી એટલું દુરૂદ શરીફ કે “અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદીન” પઢી લે અથવા એથી વધુ પઢી જવાય ત્યારે સહવનો સિજદહ કરવો વાજિબ થશે. અને એનાથી ઓછું પઢાયું હોય તો સહવનો સિજદહ કરવો વાજિબ થશે નહીં.
- નફલ નમાઝમાં અત્તહિય્યાતની સાથે પહેલા કાએદામાં દુરૂદ શરીફ પણ પઢવું દુરૂસ્ત છે. પણ નફલમાં બે વાર અત્તહિય્યાત પઢી લેશે, તો સહવનો સિજદહ વાજિબ થશે.
- કાએદહમાં અત્તહિય્યાત પઢવાને બદલે ભૂલથી બીજુ કાંઈ પણ પઢી લે, ત્યારે પણ સહવનો સિજદહ વાજિબ થશે.
- ત્રણ કે ચાર રક્અતવાળી નમાઝમાં જો પહેલો કાએદહ કરવો ભૂલી જાય અને બે રક્અત પઢીને ઉભો થવા જાય ત્યારે જો યાદ આવે તો શરીરનું નીચેનું ધડ હજી સીધુ થયું ન હોય તો બેસી જાય અને કાએદહ કરે. એમ થવામાં સહવનો સિજદહ વાજિબ નથી. પણ જો નીચેનું અડધુ ધડ સીધુ થઈ ગયું હોય તો હવે બેસે નહીં, પણ ઉભા થઈને ચારેવ રક્અતો પઢે, અને માત્ર છેવટમાં બેસે. આ સૂરતમાં સહવનો સિજદહ કરવો વાજિબ છે. પણ જો સીધા ઉભા થયા પછી બેસશે અને બેસીને અત્તહિય્યાત પઢશે, તો ગુનેહગાર થશે અને હવે સહવનો સિજદહ કરવો વાજિબ છે.
- જો ચોથી રક્અત પર બેસવું ભૂલી જાય અને નીચેનું ધડ હજુ સુધી સીધુ થયું નથી, તો બેસી જાય. અને આખરી કાએદહ કરી સલામ ફેરવે. સહવનો સિજદહ કરે નહીં. પરંતુ જો સીધા ઉભા થઈ જાય તો પણ બેસી જાય, એટલું જ નહીં પણ જો અલ્હમ્દુ અને સૂરત પણ પઢી લીધી હોય તેમજ રુકૂઅ પણ કરી લીધો હોય તો પણ બેસી જાય અને અત્તહિય્યાત પઢીને સહવનો સિજદહ કરે. પણ જો રુકૂઅ પછી પણ યાદ આવ્યું નહીં અને પાંચમી રક્અતનો સિજદહ કરી લીધો, તો ફર્ઝ નમાઝ ફરીથી પઢે. આ નમાઝ નફલ થઈ ગઈ. હવે એક રક્અત મેળવીને પૂરી છ રક્અત કરે, સહવનો સિજદહ ન કરે. અને જો એક રક્અત નહીં મેળવી અને પાંચમી રક્અત ઉપર સલામ ફેરવી, તો ચાર રક્અત નફલ થઈ અને એક રકઅત નકામી ગઈ.
- જો ચોથી રક્અત પર બેસીને અત્તહિય્યાત પઢીને ઉભો થઈ જાય તો પાંચમી રક્અતનો સિજદહ કરવા પહેલાં જો યાદ આવે તો બેસી જાય અને અત્તહિય્યાત પઢે નહીં, પણ બેસીને તરત જમણી તરફ સલામ ફેરવીને સહવનો સિજદહ કરે. જો પાંચમી રક્અતનો સિજદહ કરી ચૂકે અને યાદ આવે તો એક રક્અત બીજી મેળવીને છ પૂરી કરે. આમાં ચાર રક્અત ફર્ઝ થઈ અને બે નફલ. છઠ્ઠી રક્અત ઉપર સહવનો સિજદહ કરે. જો પાંચમી રક્અત ઉપર સલામ ફેરવી અને સહવનો સિજદહ કર્યો, તો ચાર ફર્ઝ થઈ અને એક રક્અત નકામી ગઈ.
- જો નમાઝમાં એકથી વધારે ભૂલો એવી થઈ કે જેથી સહવનો સિજદહ વાજિબ થાય છે, ત્યારે પણ એક જ સહવનો સિજદહ દરેક ભૂલો માટે થઈ જશે. એક નમાઝમાં બે વાર સહવનો સિજદહ કરાતો નથી.
- સહવનો સિજદહ કર્યા પછી કોઈ એવી ભૂલ થાય કે જેથી સહવનો સિજદહ વાજિબ થાય છે, ત્યારે જે પહેલો સહવનો સિજદહ કર્યો તે બસ છે.
- ત્રણ કે ચાર રક્અતવાળી નમાઝમાં જો ભૂલથી બે રક્અત ઉપર સલામ ફેરવી લીધી હોય તો હવે ઉઠીને તે જ નમાઝને પૂરી કરે અને સહવનો સિજદહ કરે. પરંતુ જો સલામ ફેરવ્યા પછી કોઈ એવી વાત થઈ ગઈ હોય કે જેથી નમાઝ જતી રહે છે, તો હવે ફરીથી નમાઝ પઢે.
જો સહવનો સિજદહ કરવો ભૂલાઈ ગયો અને બન્ને બાજુ સલામ ફેરવી લીધી હોય, પરંતુ ત્યાં જ બેઠા હોય, છાતી પણ કિબ્લા તરફથી ફરી નથી તેમજ કોઈની સાથે વાત કરી નથી, અને નમાઝ તૂટે એવી કોઈ વાત બની નથી, એટલું જ નહીં પણ એવી રીતે બેઠા બેઠા કલિમહ, દુરૂદ શરીફ કે કોઈ વઝીફો પણ પઢી લીધો હોય, તો એનો કોઈ વાંધો નથી. હવે સહવનો સિજદહ કરશે, તો નમાઝ થઈ જશે.
Log in or Register to save this content for later.