દુરૂદ શરીફ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 212 to 215)

દુરૂદ શરીફ પણ એક દુઆ જ છે. જે આપણે હુઝૂર (સલ.)ના માટે અલ્લાહપાકથી માંગીએ છીએ. અને આપણા તરફથી હુઝૂર (સલ.)ની શાનને લાયક એ જ દુઆ થઈ શકે છે કે, અલ્લાહ તઆલા આપ (સલ.)ને પોતાની ખાસ રહમતો અને બરકતોથી નવાઝે અને આપના દરજા વધુથી વધુ ઉંચા કરે. એ જ પ્રકારની દુઆને દુરૂદ

શરીફ કહે છે.

કુર્‌આન શરીફમાં ઘણી જ સ્પષ્ટ અને અનોખી ઢબે આપણને એનો હુકમ આપવામાં આવ્યો છે. ઈર્શાદ છે : ઈન્નલ્લાહ વ મલાઈકતહુ યુસલ્લુન અલન્નબી, યા અય્યુહલ્લઝીન આમનુ સલ્લુ અલયહિ વ સલ્લિમુ તસ્લીમા.” (પારહ-રર)

અર્થ : અલ્લાહપાક અને તેના ફરિશ્તા નબી (સલ.) પર રહમત મોકલે છે. હે ઈમાનવાળાઓ ! તમો પણ તેમના ઉપર દુરૂદ મોકલો અને સલામ અરજ કરો.

આ આયતમાં પ્રથમ તો એ બયાન કરવામાં આવ્યું છે કે, અલ્લાહ તઆલા પોતે પણ પોતાના નબીનું માન-ઈકરામ કરે છે, અને તેમના ઉપર રહમત અને મહેરબાની કરે છે. વળી, તેના ફરિશ્તાઓનું વર્ણન પણ આપ (સલ.) સાથે એ જ છે કે, તેઓ આપની તઅઝીમ, તકરીમ કરે છે, તેમજ અલ્લાહ તઆલાથી આપના માટે રહમતની દરખાસ્ત કરતા રહે છે. તે પછી ઈમાનવાળાઓને હુકમ આપવામાં આવ્યો કે, તમે પણ તેમના માટે અલ્લાહપાકથી રહમતો નાઝિલ કરવાની માંગણી કરો અને તેમના ઉપર સલામ મોકલો. જાણે હુકમ આપવા અગાઉ જ આપણને બતાવવામાં આવ્યું કે, જે કામનો તમને હુકમ આપવામાં આવે છે, તે કામ અલ્લાહ તઆલાને અતિ પ્રિય છે, અને ફરિશ્તાઓનું ખાસ કામ છે. એટલુ જાણ્યા પછી ક્યો મુસલમાન એવો હશે, જે એને પોતાનો વઝીફો ન બનાવે ?!

દુરૂદ શરીફની ફઝીલતમાં ઘણી હદીષો આવી છે. જેમકે જનાબ રસૂલે અકરમ (સલ.)એ ફરમાવ્યું :

  • જે માણસ મારા ઉપર એક વખત દુરૂદ મોકલે છે, અલ્લાહપાક તેના ઉપર દસ રહમતો નાઝિલ કરે છે. (મુસ્લિમ શરીફ)
  • એક બીજી રિવાયતમાં તેની સાથે એ પણ છે કે, તેની દસ (૧૦) ખતાઓ માફ કરવામાં આવે છે, અને દસ (૧૦) દરજ્જા બુલંદ કરવામાં આવે છે. (નસાઈ)
  • અલ્લાહપાકના અનેક ફરિશ્તાઓ એવા છે, જેમનું ખાસ કામ એ જ છે કે, તેઓ જમીન પર ફરતા રહે છે, અને મારો જે ઉમ્મતી મારા ઉપર સલાત અને સલામ મોકલે, તેને તેઓ મારી પાસે પહોંચાડે છે. (મિશ્કાત શરીફ)

સુબ્હાનલ્લાહ ! કેવી મહાન દૌલત છે કે, આપણું દુરૂદ અને સલામ ફરિશ્તાઓ મારફત રસૂલુલ્લાહ (સલ.)ને પહોંચે છે. અને એ બહાને આપણું વર્ણન ત્યાં થઈ જાય છે.

  • કિયામતમાં મારી નજદીક થનારાઓ પૈકી સૌથી વધુ નજદીક તે માણસ હશે, જે મારા ઉપર વધારે દુરૂદ મોકલતો હશે. (તિરમિઝી)
  • તે માણસ અતિશય કંજૂસ છે, જેની સામે મારૂં વર્ણન થાય અને તે મારા ઉપર દુરૂદ ન મોકલે. (તિરમિઝી)
  • તે માણસનું નાક માટીમાં રગદોળાય (એટલે કે તે બેઆબરૂ અને તુચ્છ થઈ જાય), જેની સામે મારૂં વર્ણન આવે, છતાં તે મારા ઉપર દુરૂદ મોકલે નહીં. (તિરમિઝી)

સારાંશ કે, રસૂલુલ્લાહ (સલ.) પર દુરૂદ, સલામ મોકલવું એ આપણા ઉપર હુઝૂર (સલ.)નો ઘણો મોટો હક છે. તેમજ આપણી સર્વોત્તમ દરજ્જાની ભાગ્યશાળીતા અને નેકબખ્તી છે, તથા દુનિયા અને આખિરતમાં આપણા માટે અગણિત રહમતો અને બરકતોનું સાધન છે.

દુરૂદ શરીફના શબ્દો :

અફઝલ દુરૂદ શરીફ એ છે, જે નમાઝમાં ‘અત્તહિય્યાત’ પછી પઢવામાં આવે છે. હદીષ શરીફમાં છે કે, અમુક સહાબા (રદી.)એ હુઝૂર (સલ.)થી અર્જ કરી કે, અમે આપના ઉપર દુરૂદ કેવી રીતે મોકલીએ ? તો આપ (સલ.)એ તેમને દુરૂદે ઈબ્રાહીમ” શીખવ્યું. જે નમાઝમાં પઢવામાં આવે છે.

જ્યારે પણ આપણે હુઝૂર (સલ.)નું મુબારક નામ લઈએ અને આપનું વર્ણન કરીએ અથવા બીજા કોઈથી સાંભળીએ, તો આપના ઉપર દુરૂદ શરીફ પઢવું જોઈએ. એવા મોકા ઉપર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ” અથવા અલયહિસ્સલાતુ વસ્સલામ” પણ બસ (પુરતુ) છે.

હદીષ શરીફમાં છે કે, “દુઆ જમીન અને આસ્માનની વચ્ચે અધ્ધર રહે છે, અને ત્યાં સુધી ઉપર જતી નથી, જ્યાં સુધી મારા ઉપર દુરૂદ મોકલવામાં ન આવે.” (તિરમિઝી શરીફ)

અલ્લાહપાકના કેટલાક ખાસ બંદા તો વઝીફા અને મઅમુલ (નિત્યક્રમ) તરીકે દરરોજ અમુક હજાર વખત દુરૂદ શરીફ પઢે છે, પરંતુ આપણા જેવા કમહિમ્મત જો સવાર-સાંજ અદબ અને મુહબ્બતની સાથે માત્ર ૧૦૦-૧૦૦ વખત દુરૂદ શરીફ પઢી લે, તો ઈન્શાઅલ્લાહ એટલુ બધું મેળવશે, કે આ દુનિયામાં તેનો કોઈ અંદાજો કાઢી શકતો નથી. જે કોઈ ટૂંકમાં દુરૂદ શરીફ પઢવા ચાહે, તેઓ નીચે જણાવેલ ટૂંકુ દુરૂદ શરીફ યાદ કરી લે.

અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિ નિન્નબીય્યિલ ઉમ્મી વ આલિહી.” (અર્થ : અય અલ્લાહપાક ! ઉમ્મી નબી હઝરત મુહમ્મદ (સલ.) પર અને તેમના ઘરવાળાઓ ઉપર રહમતો મોકલ.)

Log in or Register to save this content for later.