Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 203 to 205)
દફનનો તરીકો એ છે કે, બે માણસો કબરની અંદર સિરાણે અને પગ તરફ તરફ ઉભા થઈ જાય અને જનાઝાની ઉપરની ચાદરને વળ દઈને મુર્દાની કમરની નીચે નાખીને બે બાજુએથી બે માણસો તેને મજબૂત પકડી લે. ત્યાર બાદ બે માણસો મુર્દાનું માથુ અને પગ પકડીને તેની કમરનો બોજ ચાદર પર રાખે, જેથી મય્યિત વાંકી ન થાય અને કમર પર લાવીને તેઓને પકડાવી દે, જેઓ કબરમાં ઉભા છે. તેઓ પણ મુર્દાની કમરને ચાદરથી સહારો દઈ નીચે લઈ જાય.
પહેલાં મુર્દાના પગ જમીન પર ટેકવી દો અને કમરની નીચેથી ચાદર ખેંચી લો. ત્યાર બાદ માથુ જમીન પર રાખી દો અને કિબ્લા તરફ જરા કરવટ દઈને માટીનુ ઢેલુ કમરની તરફ રાખી દો.
કબરમાં ત્રણ-ચાર માણસ ઉતરી જાય અને ઉતારતી વેળા આ દુઆ પઢે : બિસ્મિલ્લાહિ વ બિલ્લાહિ વ અલા મિલ્લતિ રસૂલિલ્લાહ. (અર્થ : ખુદાપાકના નામથી અને ખુદાપાકની ઝાતથી અને ખુદાપાકના પયગમ્બરના તરીકા પર ખુદાપાકને સોપું છું.)
આ જે રિવાજ છે કે, ફક્ત ગરદન ફેરવીને મુર્દાનું મોઢુ કિબ્લાની તરફ કરી દે છે, પરંતુ એ કાફી નથી. પુરી કરવટ આપવી જોઈએ. એના પછી કફનની ત્રણે ગાંઠો ખોલી દો અને તખ્ત ગોઠવીને માટી નાંખી દો.
જો મય્યિત બાળક હોય તો એક જ માણસ બેઉ હાથો પર ઉઠાવીને કબરમાં રાખી દેશે.
વગર જરૂરતે મય્યિતનું મોઢુ કફન ખોલીને બધાને દેખાડવું, જેમકે રિવાજ પડેલો છે, એ સારૂં નથી.
કબર પર (દરેક વ્યક્તિ) ઓછામાં ઓછા ત્રણ ખોબા માટીના નાંખે. ખોબો ભરીને પહેલી વખતે માટી નાંખો તો કહો : “મિન્હા ખલકનાકુમ” બીજી વખતે માટી નાંખો તો “ફીહા નુઈદુકુમ” કહો અને ત્રીજી વખતે માટી નાંખો તો “મિન્હા નુખરિજુકુમ તારતન
ઉખરા” કહો.
કબર કાચી રાખો અને એક વેંત ઉંચી ઉંટની પીઠની ખુંધની શકલ પર ઉપરથી ઢાળ પડતી બનાવો. જો જરૂરત હોય તો પાણી છાંટી દો.
ત્યાર બાદ દુઆ પઢો અને થોડો સમય ત્યાં થોભીને મય્યિત માટે રહમત અને બક્ષિસની દુઆ માંગો. સિરાણે ઉભા થઈને સૂરએ બકરહના શરૂ “અલિફ લામ મીમ” થી “હુમુલ મુફલિમુન” સુધી અને પગ તરફ આખિરી હિસ્સો “આમનર રસૂલુ”થી સૂરતના આખર સુધી પઢો.
ત્યાર બાદ ઘેર ચાલ્યા આવો અને મય્યિતના અઝીઝોની સાથે તસલ્લી અને સબરની વાતો કરો, સબરનો અજર બતાવો. દફન પછી મય્યિતના ઘર પર હાથ ઉઠાવીને દુઆ માંગવી, જેને આખિરી ફાતેહા કહે છે, તે બે-બુનિયાદ છે. જ્યાં સુધી મુર્દાના સગાઓ પર ગમનો અસર રહે, ત્યાં સુધી કદી કદી આવીને તસલ્લી આપતા રહો અને કોઈ કામ શરીઅત વિરૂદ્ધ ન થવા દો.
ત્રણ દિવસથી વધારે કોઈ મય્યિત પર શોક કરવો બુરૂ છે. પરંતુ ઔરત પોતાના ખાવિંદનો શોક ચાર મહિના દસ દિવસ કરે.
માતમમાં કાળો લિબાસ પહેરવો, અવાજથી રડવું, કપડાં ફાડવા, મોઢુ ખુરચવુ, માથા, જાંગ યા છાતી પર તમાચા મારવા હરામ છે. ખુદાપાકની શિકાયતના કલિમા ઝબાનથી કાઢવા યા એમ કહેવું કે, હાય ! કેવો બે-મૌકે મર્યો અથવા એ કે, અલ્લાહમિયાંને પણ મારવાને માટે એ જ રહી ગયો હતો, એ કુફ્રની વાતો છે. એવી વાતોથી બચો.
ઓછામાં ઓછા આઠમા દિવસે કબ્રસ્તાન જઈ આવ્યા કરો, જેથી પોતાની મૌત યાદ આવતી રહે.
મુહર્રમના મહિનામાં કબરો પર તાજી માટી નંખાવવાનો રિવાજ બે-બુનિયાદ છે. એવી જ રીતે બેઉ ઈદોની નમાઝ પઢીને ઘેર આવતા પહેલાં કબ્રસ્તાન જવાને જરૂરી સમજવું રસમમાં દાખલ છે.
Log in or Register to save this content for later.