Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 200 to 202)
મર્દનું મસ્નુન કફન ત્રણ કપડાં છે. જેમાં દસ વાર કપડું વપરાય છે. એટલે કે, કફની જે એક વાર પનાની એક પાટની અઢી વાર લાંબી હોય છે. અને બે ચાદરો જે દોઢ-દોઢ પાટની અઢી અઢી વાર લાંબી હોય છે.
ઔરતના કફનમાં બે કપડાં વધારે હોય છે. એક સીનાબંધ, જે એક વાર પહોળુ અને દોઢ વાર લાંબુ હોય છે. અને એક સરબંધ જેને ઓઢણી કહે છે, તે બે વેંત પહોળી અને એક વાર લાંબી હોય છે. આ હિસાબથી અઢી વાર કપડું વધારે થઈને ઔરતના કફનમાં ૧રાા (સાડા બાર) વાર કપડું વપરાય છે.
આ ઉપરાંત બે તેહબંધ અને એક જનાઝાની ઉપરની ચાદરની જરૂરત હોય છે. પરંતુ એ મુર્દાના કફનમાં દાખલ નથી. તેથી જો ઘરની ચાદર અને તેહબંધથી કામ કાઢીને પછી તેને પોતાના કામમાં લાવો, તો કંઈ વાંધો નથી. જો ઘરમાં ન હોય તો નવ વાર કપડુ વધારી લો. એમાં સવા-સવા વારના બે તેહબંધ નીકળી આવશે. અને છ વારમાં ત્રણ વાર લાંબી બે પાટની ચાદર થઈ જશે અને અર્ધા વારમાં નવડાવનારના બે દસ્તાના (હાથની થેલી) નીકળી આવશે. પરંતુ ઔરતના માટે જનાઝાની છત્રીને લીધે ઉપરની ચાદર સવા ત્રણ વાર લાંબી રહેશે. આથી અડધો વાર કપડું વધશે. આ હિસાબથી મર્દને માટે કુલ ૧૯ વાર કપડું થશે અને ઔરતને માટે કુલ રર વાર કપડું થશે. આને ખૂબ સમજી લો, જેથી કફનમાં ન કમી રહે અને ન વગર જરૂરતે વધારે કપડું આવે. કેમકે આ વધારાના રૂપિયા જે કફનના નામથી ખર્ચ થાય છે, તે જો મરનારના યતીમ બચ્ચા અને બેવા ઔરત અને બીજા વારસદારોના કામ આવે, તો કેટલું સારૂં છે.
એક વાર કપડું જેનું નામ જા-નમાઝ (મુસલ્લો) છે, તે પણ ફુઝૂલ છે. કેમકે જેવી રીતે મુક્તદીઓના માટે ચટાઈ યા ફર્શની જરૂરત નથી, તેવી જ રીતે ઈમામને જા-નમાઝની હાજત નથી.
કફન સફેદ કપડાનું સુન્નત છે. ચાહે ખાદી હોય યા મખમલ, પરંતુ ઘટ્ટ અને દરમિયાની દરજ્જાનું હોવું જોઈએ. નવુ કપડુ હોવુ જરૂરી નથી, ધોએલું હોય તો પણ કાફી છે. જો કોઈ બુઝુર્ગનું પહેરેલુ કપડુ તબર્રુક તરીકે હોય અથવા કઅબાના ગિલાફની નીચેનું કપડુ હોય, તો એ વગર ધોએલા નવા કપડાથી પણ બેહતર છે. પરંતુ આ કપડાથી જો કફની થઈ શકે, તો કફની કરી દો. અને જો નાનુ હોય તો કફનમાંથી તેટલું જ કાપીને તેનું પયવંદ (જોડ) એમાં સીવી દો.
કઅબા શરીફના ઉપરનો ગિલાફ, જેના ઉપર કલિમહ શરીફ લખેલો હોય છે, અને તે કપડુ રેશમી હોય છે, માટે એને મર્દના કફનના કામમાં લાવવું જાઈઝ નથી. કારણકે મુર્દાના કફનમાં પણ તે જ કપડુ હોવુ જોઈએ, જેને પહેરવુ જીંદગીમાં પણ જાઈઝ હતું. એને ખૂબ યાદ રાખો, કેમકે કેટલાક લોકો એમાં ભૂલ કરી જાય છે અને કહે છે કે, લ્યો ! કઅબાના ગિલાફનું કફન પણ હરામ કરી દીધું.
કેટલીક જગ્યાએ એવો રિવાજ છે કે, નવજવાન છોકરીઓ યા દુલ્હનો મરી જાય છે, તો તેઓના જનાઝા પર લાલ ચાદર યા નાનકલાક દુપટ્ટો નાંખે છે. જાણે કે તેના જનાઝાથી જાહેર કરે છે કે, આ નવજવાન દુલ્હન હતી. એવું હરગિઝ ન કરો, કેમકે તે મોટી બેગયરતી (બેશર્મી)ની વાત છે.
કફનીનું કપડુ વચ્ચોવચથી જરા ફાડી લેવામાં આવે. ઔરતના માટે હોય તો સીના (છાતી)ની ઉપરથી અને મર્દને માટે હોય તો ખભાની તરફથી ઝનાના અને મરદાના કુર્તાની માફક ફાડી લેવામાં આવે. કેટલાક આલિમો એમ કહે છે કે, કફનીને પહેરાવ્યા પછી બેઉ તરફથી સીવી દેવુ જોઈએ, જેથી આસ્તીન (બાંય) વગરના અને કલી વગરના કુર્તા જેવુ થઈ જાય. દરેક હાલતમાં કફની ગરદનથી લઈને તખ્તાની ઉપર સુધી રહેવી જોઈએ અને ચાદરો માથાથી લઈને પગ સુધી અને સીનાબંધ બગલથી લઈને ઘુંટણોના ઉપર સુધી. માટે જો કોઈનું કદ લાંબુ હોય તો કપડું કંઈક લંબાણમાં વધારી દો. અને જો કોઈ ઠીંગણો હોય તો કપડું થોડુ ઓછુ કરી લો.
મર્દના કફનમાં જો કફની ન હોય અને ઔરતોના કફનમાં કફની અને સીનાબંધ ન હોય, તો ગુનોહ નથી. પરંતુ સુન્નતના ખિલાફ છે. જરૂરતના વખતે તો જેટલું પણ મયસ્સર આવી જાય, ગનીમત છે.
બાળક જો જવાનીના નજદીક હોય, ચાહે તે છોકરો હોય યા છોકરી, તેને પુરૂ કફન મર્દ-ઔરતના જેવુ આપો. જો બાળક નાનું છે, તો તેના કદની માફક લંબાણના બે કપડામાં લપેટી દો. અને જો બાળક પેદા થતાં જ મરી જાય, તો તેને પણ નવડાવો, કફનાવો અને તેની નમાઝ પઢો તથા તેનું કંઈક નામ પણ રાખી દો. જેથી કિયામતના દિવસે તેને તે નામથી પુકારવામાં આવે. જો બાળક મરેલું પેદા થયું હોય, તો તેને નવડાવીને ફક્ત એક કપડામાં લપેટો અને જનાઝાની નમાઝ પઢ્યા વગર તેને દફન કરી દો, પરંતુ તેનું નામ જરૂર રાખી દો. અને જો બાળક એવી હાલતમાં પેદા થાય કે તેનું નાક, કાન વગેરે ભાગો નથી થયા, જેને હમલ પડી જવું (કસુવાવડ) કહે છે, તો તેને ન નવડાવવાની જરૂરત છે, ન જનાઝાની નમાઝની, બલ્કે તેને કોઈ કપડામાં લપેટીને ખાડો ખોડીને દફન કરી દો.
Log in or Register to save this content for later.