પાંચ વખતની નમાઝના ટાઈમ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 70 to 72)

નમાઝ અદા કરવા માટે આ શર્ત છે કે, જે વખત નમાઝ માટે મુકર્રર કરવામાં આવ્યા છે, તે જ વખતે નમાઝ પઢવામાં આવે. તે વખતથી પહેલાં નમાઝ પઢશે, તો નમાઝ દુરૂસ્ત થશે નહીં. ફરીથી નમાઝ પઢવી પડશે. અને વખત વીતી ગયા પછી પઢશે, તો કઝા નમાઝ પઢવી પડશે.

ફજરનો વખત : સુબ્હે સાદિકથી લઈને સૂરજ ઉગવો શરૂ થાય ત્યાં સુધી રહે છે. એટલે કે સૂર્ય ઉગવા અગાઉ આશરે દોઢ કલાક પહેલાંથી શરૂ થઈ સૂર્ય ઉગવાની શરૂઆત થાય ત્યાં સુધી રહે છે.

ઝોહરનો વખત : બપોરના સૂરજ પશ્ચિમ તરફ ઢળવા પછી (ઝવાલ બાદ) પડછાયો પૂર્વ તરફ વધવા લાગે ત્યારથી શરૂ થઈ અસરનો વખત શરૂ થતાં પહેલાં સુધી રહે છે.

અસરનો વખત : ઝોહરના વખત પછી દરેક વસ્તુનો પડછાયો બમણો થવા પછી ઝોહરનો વખત ખતમ અને અસરનો વખત શરૂ થઈ સૂરજ આથમે ત્યાં સુધી રહે છે.

મગરિબનો વખત : સૂરજ આથમ્યા (ગુરૂબ) પછી શરૂ થઈ ઈશાંનો વખત શરૂ થાય ત્યાં સુધી બાકી રહે છે. (આશરે દોઢ કલાક)

ઈશાંનો વખત : સૂરજ ડુબ્યા પછી પશ્ચિમ તરફ આકાશના કિનારા ઉપર લાલી રહે છે. તે લાલી જતી રહ્યા પછી સફેદી આવે છે, તે પણ જતી રહે ત્યારથી ઈશાંનો વખત શરૂ થઈને સુબ્હે સાદિક પહેલાં સુધી રહે છે.

ફજરની નમાઝના ફર્ઝ પઢી લીધા પછી નફલ નમાઝ પઢવી મકરૂહ છે. સુન્નત પઢવાની બાકી હોય તો તે પણ સૂરજ નીકળી થોડો ઉંચે ચઢ્યા પછી પઢે, પણ કઝા નમાઝ પઢી શકાય છે. તિલાવતનો સિજદો પણ કરી શકાય છે. સૂરજ નીકળી રહ્યો હોય તે વખતે નમાઝ પઢવી કે તિલાવતનો સિજદો કરવો દુરૂસ્ત નથી. આ વખતે જો નમાઝ પઢશે, તો નમાઝ દુરૂસ્ત થશે નહીં. ફરીથી કઝા પઢે. તેવી જ રીતે બપોરના ઝવાલ વખતે કોઈપણ નમાઝ પઢવી કે તિલાવતનો સિજદો કરવો દુરૂસ્ત નથી.

એવી જ રીતે અસરની નમાઝ પઢ્યા બાદ કોઈ નફલ નમાઝ પઢવી દુરૂસ્ત નથી. કઝા નમાઝ પઢી શકાય છે અને તિલાવતનો સિજદો કરી શકાય છે. પરંતુ જો તડકો પીળો પડી જાય અને વખત ઓછો હોય તેવા વખતે પણ તે દુરૂસ્ત નથી. જો અસરની નમાઝ પઢી નથી, તો સૂરજ ડુબતાં સુધી પઢી શકાય છે. તડકો પીળો પડી જવા પછી અસરનો વખત મકરૂહ થઈ જાય છે.

મગરિબની નમાઝનો વખત લગભગ દોઢ કલાક સુધી રહે છે. પરંતુ મગરિબની નમાઝમાં જલ્દી કરવી, સૂરજ ડુબતાં જ પઢી લેવી મુસ્તહબ છે. મગરિબની નમાઝમાં એટલી વાર કરવી કે તારા દેખાવા લાગે, તો મકરૂહ છે.

ઈશાંનો વખત ૧/૩ (એક તૃતિયાંશ) રાત સુધી ઘણો સારો છે. અને અડધી રાત સુધી પણ સારો છે. અડધી રાત પછી વખત મકરૂહ થઈ જાય છે. પણ ઈશાંનો વખત સુબ્હ સાદિક થતાં પહેલાં સુધી બાકી રહે છે. ઈશાંની નમાઝ પહેલાં સૂઈ જવું મકરૂહ છે. જો કોઈ સૂઈ જાય તો રાતમાં જ્યારે આંખ ખુલે ત્યારે અદાની નિય્યતથી જ ઈશાંની નમાઝ પઢે.

Log in or Register to save this content for later.