નમાઝની અંદર ૬ ફર્ઝો છે

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 64 to 65)

(૧) તકબીરે તહરીમહ : નિય્યત બાંધતી વખતે “અલ્લાહુ અકબર” કહેવાને તકબીરે તહરીમહ કહેવામાં આવે છે. આ તકબીર કહેવાથી નમાઝ શરૂ થઈ જાય છે. તકબીરે તહરીમહ સીધા ઉભા રહીને કહેવી જોઈએ. ફર્ઝ અને વાજિબ નમાઝમાં કોઈ યોગ્ય કારણ વગર વાંકા વળીને કહેવું દુરૂસ્ત નથી. તકબીરે તહરીમહ કહેતી વખતે સીધા ઉભા રહેવું પણ ફર્ઝ (શર્ત) છે.

(૨) કિયામ કરવું : ઉભા રહેવાને કિયામ કહે છે. એવી રીતે સીધા ઉભા રહેવું કે ઘુંટણો સુધી હાથ પહોંચી શકે નહીં. ફર્ઝ અને વાજીબ નમાઝોમાં એટલું ઉભા રહેવું ફર્ઝ છે કે, તેમાં ફર્ઝ કિરાઅત જેટલું પઢી શકાય. બીમારી કે બીજા કોઈ ઉઝરના મોટા કારણથી ઉભુ રહી શકાય તેમ ન હોય, ત્યારે ફર્ઝ નમાઝ બેસીને પઢવી જાઈઝ છે. નફલ નમાઝમાં કિયામ ફર્ઝ નથી. કોઈ ઉઝર વગર પણ બેસીને પઢી શકે છે, પણ બેસીને પઢવાથી અડધો સવાબ મળશે.

(૩) કિરાઅત પઢવી : નમાઝમાં કુર્‌આન મજીદ પઢવાને કિરાઅત કહે છે. ઓછામાં ઓછું એક આયત પઢવું ફર્ઝ છે. અને અલ્હમ્દુ શરીફની સુરત પઢવી વાજિબ છે.

ફર્ઝ નમાઝની પહેલી બે રકાતોમાં અને વિત્ર, સુન્નત અને નફલ નમાઝની દરેક રકાઅતમાં સૂરએ ફાતિહા (અલ્હમ્દુ શરીફ) પઢ્યા પછી ઓછામાં ઓછી કુર્‌આન મજીદની નાની ત્રણ આયતો અથવા એવી મોટી આયત કે જે નાની ત્રણ આયતો બરાબર હોય, પઢવી વાજિબ છે.

જો કોઈને એક આયત પણ યાદ ન હોય, તો તે કિરાઅતને બદલે ‘સુબ્હાનલ્લાહ’ અથવા ‘અલ્હમ્દુલિલ્લાહ’ પઢે. અને ઘણી જલ્દીથી તેણે ફર્ઝ કિરાઅત જેટલું શીખવું અને યાદ કરવું ફર્ઝ છે. અને વાજિબ જેટલું વાજિબ અને નહિ શીખવાથી ગુનેહગાર થશે.

(૪) રુકૂઅ કરવો : રુકૂઅનો મતલબ ઝૂકવું છે. અને તે ફર્ઝ છે. રુકૂઅની ઓછામાં ઓછી હદ હાથ ઘુંટણો સુધી પહોંચી જાય એટલું નમવું રુકૂઅનો કમથી કમ દરજો છે.

રુકૂઅ કરવાનો સુન્નત તરીકો : એટલું નમવું કે માથુ અને કમર બરાબર રહે અને હાથ પાંસળાથી જુદા રહે. અને બન્ને હાથે ઘુંટણોને પકડી લેવામાં આવે.

(પ) સિજદહ કરવો : જમીન ઉપર પેશાની મૂકવાને સિજદો કહેવામાં આવે છે. સિજદો કરતી વખતે નાક અને પેશાની બન્ને જમીન ઉપર રાખવા જોઈએ. જો કોઈએ વગર ઉઝરે માત્ર પેશાનીથી સિજદો કરી લીધો, તો સિજદો તો અદા થઈ જશે, પણ મકરૂહ છે. અને વગર ઉઝરે ફક્ત નાકથી સિજદો કર્યો, તો સિજદો થશે નહીં. નમાઝની દરેક રકાતમાં એક પછી એક એમ બે સિજદહ કરવા ફર્ઝ છે.

(૬) આખરી કાએદહ કરવો : નમાઝની છેવટમાં અત્તહિય્યાત પુરી પઢી શકાય તેટલું બેસવું દરેક નમાઝમાં ફર્ઝ છે. પછી તે ફર્ઝ નમાઝ હોય કે વાજિબ, સુન્નત હોય કે નફલ, દરેક નમાઝની આખરી રકાઅત પછી છેલ્લો કાએદહ કરવો ફર્ઝ છે.

આ નમાઝની અંદરના છ ફર્ઝો છે. જો તેમાંથી એક પણ ફર્ઝ રહી જશે, તો નમાઝ દુરૂસ્ત થશે નહીં, ફરીથી પઢવી પડશે.

Log in or Register to save this content for later.