Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 184 to 186)
જ્યારે કોઈ કામ કરવાનો વિચાર હોય ત્યારે અલ્લાહ તઆલાથી સલાહ લે. અને એ સલાહ લેવાને ઈસ્તિખારો કહે છે. હદીષ શરીફમાં એની ઘણી તરગીબ આવી છે, એટલે કે શોખ અપાયો છે. રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, માણસની ખુશનસીબી એ છે કે, જ્યારે કોઈ કામ કરવાનો ઈરાદો કરે તો ઈસ્તિખારો કરી લે. આપ (સલ.)એ ફરમાવ્યું કે, ઈસ્તિખારો ન કરવો એટલે કે અલ્લાહ તઆલાથી સલાહ ન લેવી, બદબખ્તી અને કમનસીબીની વાત છે.
ઈસ્તિખારાનો મતલબ પોતાના કોઈ કામની તલબેખૈર અને બરકતની અલ્લાહ તઆલાથી ચાહના કરવી અને તેની ભલાઈ જાણવા પોતાના નફસ અને દિલને પરવરદિગારના દરબારમાં પેશ કરવું અને તેને હવાલે કરવું. ઈસ્તિખારો કરીને જે કામ કરવામાં આવે છે, તેમાં એક રીતે તે કામ માટે દુઆ પણ થઈ જાય છે.
જ્યારે કોઈ કામ કરવું હોય, જેમકે કોઈ સગાઈ કરવી હોય અથવા શાદી કરવી હોય, કોઈ સફર કરવો હોય, કોઈ ધંધો કરવો હોય અથવા કોઈ બીજું કામ હોય તો ઈસ્તિખારો કરીને તે કામ કરે. ઈન્શાઅલ્લાહ તે કામ અંજામની રૂએ બેહતર થશે.
ઈસ્તિખારાની નમાઝનો તરીકો એ છે કે, પ્રથમ બે રક્અત નફલ નમાઝ પઢે. તે પછી સારી રીતે દિલ લગાડીને આ દુઆ પઢે : અલ્લાહુમ્મ ઈન્ની અસ્તખીરૂક બિઈલ્મિક વ અસ્તકદિરૂક બિ કુદરતિક વ અસ્અલુક મિન ફદલિકલ અઝીમ. ફઈન્નક તકદિરૂ વલા અકદિરૂ, વ તઅલમુ વલા અઅ્લમુ, વ અન્ત અલ્લામુલ ગુયૂબ, અલ્લાહુમ્મ ઈન કુન્ત તઅ્લમુ અન્ન હાઝલ અમ્ર ખયરૂલ્લી ફી દીની વ મઆશી વ આકિબતિ અમરી ફકદિરહુ વ યસ્સિરહુલી સુમ્મ બારિકલી ફીહિ, વ ઈન કુન્ત તઅ્લમુ અન્ન હાઝલ અમ્ર શરરૂલ્લી ફી દીની વ મઆશી વ આકિબતિ અમરી ફસરિફહુ અન્ની વ અસરિફની અન્હુ વ અકદિર લિયલ ખયર હયસુ કાન સુમ્મ અરદિની બિહી.
અર્થ : અય અલ્લાહપાક ! હું તારા જાણવાના લીધે તારી પાસેથી ભલાઈ ચાહું છું. અને તારી શક્તિના લીધે તારાથી (સારા કામની) શક્તિ માંગું છું અને તારા મોટા ફઝલના લીધે તારાથી માંગણી કરૂં છું. કારણકે ખરેખર તું જ શક્તિવાન છે, અને હું શક્તિ રાખતો નથી. તું જાણે છે અને હું જાણતો નથી. તું છૂપી ચીઝને સારી રીતે જાણનાર છે. હે અલ્લાહપાક ! જો તારા ઈલ્મમાં આ કામ મારા માટે દીન તથા દુનિયામાં અને મારા કામના અંજામમાં બેહતર હોય, તો મારા માટે તેને તજવીજ ફરમાવ, અને તેને મારા માટે આસાન કર, ફરી તેમાં મને બરકત આપ. અને જો તારા ઈલ્મમાં આ કામ મારા માટે દીનદુનિયામાં અને કામના અંજામની રૂએ આખરમાં બુરાઈ છે, તો તું તેને મારાથી દૂર રાખ અને મને તેનાથી દૂર રાખ, અને જે મારા લાભ માટે હોય તે તજવીજ ફરમાવ અને તેના પર મને ખુશ રાખ.
જ્યારે હાઝલ અમર ઉપર પહોંચે, તો તેને પઢતી વેળા જે કામ માટે ઈસ્તિખારો કરવા ચાહે છે, તે કામનું ધ્યાન કરે. તે પછી પાક-સાફ બિછાના ઉપર કિબ્લા તરફ મોઢુ કરીને વુઝૂ સાથે સુએ. જ્યારે સૂઈને ઉઠે ત્યારે તે વખતે જે વાત દિલમાં મજબૂતાઈથી આવે તે જ બેહતર છે. અને તેને કરવું જોઈએ.
એક દિવસમાં કંઈ ન જણાય અને દિલની ફિકર અને દગદગો જાય નહિં, તો બીજે દિવસે ફરી ઈસ્તિખારો કરે. એવી રીતે સાત દિવસ સુધી કરે. ઈન્શાઅલ્લાહ જરૂર એ કામની ભલાઈ-બુરાઈ
જણાય આવશે.
Log in or Register to save this content for later.