કઝા નમાઝ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 170 to 173)

જ્યારે કોઈ નમાઝ તેના નિયત વખત વિતી ગયા બાદ પઢવામાં આવે, જેમકે ઝોહરની નમાઝ તેના વખતે પઢવામાં આવે તો અદા થઈ કહેવાશે અને ઝોહરનો વખત પુરો થયા પછી પઢવામાં આવે, તો કઝા સમજવામાં આવશે.

તમામ ફર્ઝ નમાઝોની કઝા પઢવી ફર્ઝ છે. વાજિબની કઝા વાજિબ અને સુન્નતોની કઝા સુન્નત છે. (ફજરની સુન્નત મુરાદ છે.)

કોઈ ફર્ઝ કે વાજિબને વખતસર અદા ન કરવું, જાણી જોઈને અને કંઈ પણ લાચારી વિના તેના વખત પર અદા ન કરવાનો ગુનોહ ઘણો મોટો છે. અને સુન્નતે મુઅક્કદહને પણ તેના વખત પર અદા ન કરવું ગુનોહ છે. જો અણધારી કઝા થઈ જાય, જેમકે નમાઝ પઢવાનું ભૂલી ગયો અથવા ક્યારેક નમાઝ વખતે આંખ ઉઘડી નહીં અને ઉંઘી જ રહ્યો, તો ગુનોહ થશે નહીં.

જે વખતે યાદ આવે અથવા જાગે તે વખતે તેની તરત કઝા પઢી લે. કોઈ ઉઝર વગર ઢીલ કરવી ગુનોહ છે. જો તેણે તેની તરત કઝા પઢી નહીં અને બીજા વખત ઉપર અથવા બીજા દિવસ ઉપર ટાળી દીધી કે ફલાણે દિવસે પઢીશ. અને તે વખતથી પહેલાં જ અચાનક મૌત આવી ગયું, તો બેવડો ગુનેહગાર થશે. એક નમાઝ કઝા કરવાનો અને બીજો કઝા તરત ન પઢવાનો.

ફર્ઝ નમાઝો અને વિત્રની જ માત્ર કઝા પઢાય છે. સુન્નતોની કઝા નથી. પણ જો ફજરની નમાઝ કઝા થઈ હોય તો બપોર પહેલાં જો કઝા પઢે તો સુન્નત અને ફર્ઝ બન્નેની કઝા પઢે. અને જો બપોર પછી કઝા પઢે, તો માત્ર બે રક્‌અત ફર્ઝની જ કઝા પઢે.

જો ફજરનો વખત તંગ હોય અથવા તો જમાઅતના કારણે બે રક્‌અત ફર્ઝ પઢી સુન્નત છોડી દીધી હોય, તો બેહતર એ છે કે, સૂર્યના ઉંચે ચઢ્યા પછી તરત ફજરની સુન્નતોની કઝા પઢી લે અથવા તો બપોરથી પહેલાં જ પઢી લે.

જો કોઈની કેટલીક નમાઝો કઝા થઈ હોય, તો જ્યાં સુધી બની શકે તેટલી જલ્દીથી દરેક નમાઝોની કઝા પઢે. બની શકે તો હિંમત કરીને એક જ વખતમાં દરેકની કઝા પઢી લે. એ જરૂરી નથી કે, ઝોહરની કઝા ઝોહર વખતે અને અસરની કઝા અસર વખતે પઢે.

જો કેટલાક મહિનાની અથવા કેટલાક વર્ષોની નમાઝની કઝા બાકી હોય, તો તેની કઝા પઢવામાં પણ બની શકે ત્યાં સુધી જલ્દી કરે. એક-એક વખતે બે-બે, ચાર-ચાર નમાઝો કઝા પઢ્યા કરે. જો કોઈ લાચારીએ ન પઢી શકાય, તો એક વખતે એક નમાઝની કઝા તો જરૂર પઢે. આ ઘણા ઓછા દરજ્જાની વાત છે.

કઝા નમાઝ પઢવાનો કોઈ વખત મુકર્રર નથી હોતો, જે વખતે પણ ફુરસદ મળે, વુઝૂ કરીને પઢી લે. એટલો ખ્યાલ જરૂર રાખે કે મકરૂહ વખત ન હોય.

કઝા નમાઝની નિય્યત આ પ્રમાણે કરવી કે, હું ફલાણા દિવસની ફજર અથવા ઝોહરની કઝા નમાઝ પઢું છું. અને કોઈના ઉપર ઘણી નમાઝોની કઝા બાકી હોય અને તેના દિવસો અને મહિનાઓ યાદ ન હોય, તો તે એવી રીતે નિય્યત કરે કે, મારા માથે ફજરની જેટલી નમાઝો બાકી છે, તેમાંથી પહેલી ફજરની કઝા નમાઝ પઢું છું અથવા તેમાંથી છેલ્લી ફજરની કઝા નમાઝ પઢું છું. એ જ પ્રમાણે જે વખતની નમાઝની કઝા કરે, તેની નિય્યત કરવી જોઈએ.

જેની એક જ નમાઝ કઝા થઈ ગઈ અને તે પહેલાં તેની કોઈ નમાઝ કઝા ન થઈ હોય અથવા એથી પહેલાં નમાઝો કઝા તો થઈ, પણ સર્વે કઝા પઢાઈ ચૂકી છે, માત્ર એક જ નમાઝ કઝા પઢવી રહી ગઈ છે, તો પ્રથમ તેની કઝા પઢે, ત્યારબાદ તે વખતની અદા નમાઝ પઢે. જો કઝા પઢ્યા વગર કોઈ વખતની નમાઝ પઢી લેશે, તો અદા નમાઝ દુરૂસ્ત થશે નહીં. કઝા પઢીને ફરી અદા પઢવી પડશે. પણ જો કઝા પઢવાનું ભૂલાઈ ગયું હોય અને યાદ ન રહ્યું, તો અદા વખતની નમાઝ દુરૂસ્ત થશે. હવે જ્યારે યાદ આવે ત્યારે માત્ર કઝા નમાઝ પઢી લે.

એવી જ રીતે જો બે, ત્રણ, ચાર કે પાંચ નમાઝો કઝા થઈ હોય અને એ નમાઝો સિવાય એના માથે કોઈ બીજી નમાઝની કઝા ન રહી હોય તો જ્યાં સુધી આ પાંચ નમાઝની કઝા પઢશે નહીં, ત્યાં સુધી અદા નમાઝ દુરૂસ્ત નથી. અને જ્યારે આ પાંચ નમાઝની કઝા પઢે તો એવી રીતે પઢે કે, જે નમાઝ પહેલી રહી ગઈ હોય તેની કઝા પહેલાં પઢે, પછી તેના પછીની, પછી તેના પછીની, એવી રીતે તરતીબથી એક પછી એક અનુક્રમે પાંચે નમાઝોની કઝા પઢે.

જો કોઈની ૬ નમાઝ કઝા થઈ હોય તો હવે તેને કઝા પઢ્યા વગર પણ અદા નમાઝ પઢવી દુરૂસ્ત છે.

કોઈ બેનમાઝીએ તૌબા કરી, તો જેટલી નમાઝો આખી ઉંમરમાં કઝા થઈ હોય, તે સર્વેની કઝા પઢવી વાજિબ છે. તૌબા કરવાથી નમાઝો માફ થતી નથી. પણ ન પઢવાનો જે ગુનોહ હતો, તે તૌબાથી માફ થાય છે. જો તેની કઝા પઢશે નહીં, તો ફરી ગુનેહગાર થશે. જો કોઈની અમૂક નમાઝો કઝા થઈ ગઈ હોય અને તેને કઝા પઢવાનો મોકો ન મળ્યો, તો મરતી વેળા તે નમાઝોનો ફિદીયો (જો તેની પાસે માલ હોય તો, નહિં તો ગુનોહ થશે) આપવાની વસિય્યત કરવી વાજિબ છે.

ફિદયામાં એક વખતની નમાઝના પોણા બે શેર અને અડધો છટાંક ઘઉં (૮૦ તોલાના શેરના હિસાબે) જેટલા એક ફિતરામાં અપાય છે, તેટલા આપવા જોઈએ. જેથી એ હિસાબે દિવસ અને રાત મળીને પાંચ ફર્ઝ અને એક વિત્તર. એવી રીતે એક દિવસની ૬ નમાઝોના બદલામાં સાડા દસ શેર અને ત્રણ છટાંક ઘઉં આપે. પણ બચાવ અર્થે પુરા બાર શેર ઘઉં આપે તો બેહતર છે.

વગર ઉઝરે નમાઝ કઝા કરવી કબીરહ ગુનાહ છે. અને તે ગુનાહ કઝા પઢી લેવાથી દૂર થશે નહીં. તેના માટે તૌબા કરે.

હદીષ શરીફમાં નમાઝ કઝા કરવાવાળા માટે ઘણી સખત વઈદ બયાન થઈ છે. નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું કે, જે માણસે નમાઝ કઝા કરી દીધી અને પછી પઢી પણ લીધી, તો પણ તે નમાઝને એના વખત પર નહીં પઢવા બદલ એક હકબ જહન્નમમાં જશે. એક હકબ એટલે ૮૦ વર્ષ સુધી. એવી જ રીતે બીજી હદીષ શરીફમાં છે કે, જાણી જોઈને વગર ઉઝરે નમાઝ છોડવાવાળાની તરફ અલ્લાહ તઆલા નજર પણ નહીં કરે અને તેને દુઃખદાયક અઝાબ આપવામાં આવશે. વળી, એક હદીષથી નકલ કરવામાં આવે છે કે, જે દસ માણસોને ખાસ કરી અઝાબ થશે તેમાં નમાઝ છોડવાવાળો પણ હશે. તેના હાથ બાંધેલા હશે, ફરિશ્તા તેના મ્હોં અને પીઠ ઉપર ફટકા મારતા હશે, અને જન્નત કહેશે કે, મારો અને તારો કોઈ સબંધ નથી. દોઝખ કહેશે કે મારી પાસે આવી જા, હું તારા માટે છું.

અલ્લામા ઈબ્ને હજરની કિતાબ ‘ઝવાજીર’માં લખ્યું છે કે, એક ઔરતનો ઈન્તિકાલ થઈ ગયો. તેના દફનમાં તેનો ભાઈ શરીક થયો. તેણીને દફન કરવામાં એક થેલી તેની કબરમાં પડી ગઈ. ત્યારે તેને ખ્યાલ ન રહ્યો, પછી તેને યાદ આવ્યું અને કબર ખોલી થેલી કાઢવાનો વિચાર કર્યો. કબરને ખોલીને જુએ છે તો આગના ભડકા ઉઠી રહ્યા છે. તે ગભરાઈને દોડતો તેની માં પાસે આવ્યો અને કિસ્સો બયાન કર્યો. તેની માંએ કહ્યું કે, તે માત્ર નમાઝ પઢવામાં સુસ્તી કરી કઝા કરી દેતી હતી. (અલ્લાહપાક દરેક મુસલમાનોને બચાવે.) (ફઝાઈલે નમાઝ)

અલ્લાહ તઆલા પાસે સાચા દિલથી પોતાના ગુનાહોની તૌબા કરવી જોઈએ. મૌલાની શાને કરીમી માફ કરી દે, તો તેને પૂછવાવાળુ કોણ છે ? પણ સાચા અને ખરા દિલથી માફી ચાહનાર પણ જોઈએ ! તેની રહમતના દરવાજા તો દરેક વખતે ખુલ્લા હોય છે.

Log in or Register to save this content for later.