નમાઝ બાબતે ચાલીસ હદીષો

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 46 to 58)

આ પહેલાં નમાઝ સબંધી જે હદીષ શરીફ આવી ગઈ છે, તે સિવાયની આ ચાલીસ હદીષો છે.

  • હઝરત અબ્દુલ્લાહ બિન મસ્‌ઉદ (રદી.)એ જનાબ રસૂલે કરીમ (સલ.)થી પૂછ્યું : હુઝૂર ! બધા અમલોમાંથી સૌથી વધુ પ્રિય અમલ ક્યો છે ? આપ (સલ.)એ ફરમાવ્યું કે, નમાઝને તેના વખત પર અદા કરવી. હઝરત ઈબ્ને મસ્‌ઉદ (રદી.)એ અર્ઝ કરી : એના પછી (ક્યો અમલ) ? આપ (સલ.)એ ફરમાવ્યું કે, માં-બાપ સાથે નેકી કરવી. તેમણે વિનંતી કરી : એ પછી ક્યો અમલ પ્રિય છે ? તો ફરમાવવામાં આવ્યું કે, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવો. (બુખારી, મુસ્લિમ)
  • હઝરત અબૂ દરદાઅ્‌ (રદી.) ફરમાવે છે કે, હુઝૂરે અકરમ (સલ.)નો આદેશ છે કે, પાંચ વાતો ઈન્સાનને જન્નતમાં લઈ જાય છે. (૧) રુકૂઅ અને સિજદહને સંભાળપૂર્વક અદા કરવો અને વખતની પાબંદી સાથે નમાઝ પઢવી. (ર) રમઝાન શરીફના રોઝા રાખવા. (૩) ખુશદિલીની સાથે ઝકાત અદા કરવી. (૪) શક્તિ હોય તો હજ્જ કરવી. (પ) અમાનત અદા કરવી. કોઈએ અર્ઝ કરી : હુઝૂર ! અમાનત શું છે ? તો આપ (સલ.)એ ફરમાવ્યું : નાપાકીથી દૂર થવા માટે ગુસલ કરવું. અલ્લાહપાકે એનાથી સારી કોઈ અમાનત નક્કી કરી નથી કે, જ્યારે ઈન્સાનને ગુસલની હાજત થઈ જાય તો ગુસલ કરે. (તબરાની)
  • હઝરત અબ્દુલ્લાહ બિન મસ્‌ઉદ (રદી.) બયાન કરે છે કે, એકવાર બધા લોકો નમાઝની રાહ જોતા બેઠા હતા કે, એટલામાં સરકારે દો આલમ (સલ.) પધાર્યા અને ફરમાવ્યું : શું તમે જાણો છો કે, તમારો રબ શું આદેશ કરે છે ? અમે કહ્યું : અલ્લાહપાક અને તેના રસૂલ બેહતર જાણે છે. આપ (સલ.)એ ત્રણ વાર એ પ્રમાણે પૂછ્યું અને સહાબાએ કિરામે એ જ પ્રમાણે અર્ઝ કરી. ફરી આપ (સલ.)એ ફરમાવ્યું : તમારો રબ ફરમાવે છે કે, મને મારા પ્રભાવ અને પ્રતાપના સોગંદ ! જે માણસ નમાઝને તેના વખત પર પઢશે, તેને જન્નતમાં દાખલ કરીશ.
  • હઝરત અબૂ ઉબૈદહ બિન જર્રાહ (રદી.) બયાન કરે છે કે, રસૂલુલ્લાહ (સલ.)ની સેવામાં એક માણસે અર્ઝ કરી : હુઝૂર ! જો હું અલ્લાહપાકના એક હોવાની અને આપ રસૂલે બરહક હોવાની સાક્ષી આપું અને પાંચેય નમાઝો અદા કર્યા કરૂં, ઝકાત અદા કર્યા કરૂં અને રમઝાન માસના રોઝા રાખ્યા કરૂં તો મને ક્યા લોકોમાં ઉઠાવવામાં આવશે ? આપ (સલ.)એ જવાબ આપ્યો કે, તમને સિદ્દીકો અને શહીદોના સમૂહમાં ઉઠાવવામાં આવશે. (બઝઝાઝ, ઈબ્ને માજહ)
  • હઝરત રબીઅહ બિન કઅબ (રદી.)એ રસૂલુલ્લાહ (સલ.)ને વુઝૂ માટે પાણી લાવી આપ્યું, તો આપ (સલ.)એ ફરમાવ્યું : માંગ, શું માંગે છે ? કોઈ હાજત હોય તો મારાથી માંગી લે. તેમણે અર્ઝ કરી : યા રસૂલલ્લાહ (સલ.) ! એક જ હાજત છે કે, જન્નતમાં આપનો સાથ ન છૂટે. તો આપ (સલ.)એ ફરમાવ્યું કે, એના સિવાય કંઈ ? તેમણે વિનંતી કરી : બસ, એક જ હાજત છે. આપ (સલ.)એ ફરમાવ્યું : તમારી એ હાજત પુરી થઈ જશે, સિજદહ કર્યા કરો. (તબરાની, મુસ્લિમ)
  • હઝરત અબૂ ઉમામહ (રદી.)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું : ત્રણ માણસોની આજીવિકા અને જન્નતનો અલ્લાહ તઆલા જામીન છે. અર્થાત્‌ જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી અલ્લાહપાક તેને રોઝી આપશે. અને જ્યારે મરી જશે જન્નત અતા કરશે. (૧) તે માણસ, જે ઘરમાં આવી ઘરવાળાઓને સલામ કરે છે. (ર) જે માણસ મસ્જિદ તરફ નમાઝ માટે જતો રહે છે. (૩) જિહાદ ફિ સબીલિલ્લાહ (અલ્લાહપાકના માર્ગે જિહાદ) માટે ઘેરથી નીકળે છે. (અબૂ દાઉદ)
  • હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર (રદી.)થી રિવાયત છે કે, દરબારે રિસાલતમાં એક માણસે અર્ઝ કરી : યા રસૂલલ્લાહ ! મુઅઝિઝન તો સવાબમાં અમારા કરતાં આગળ નીકળી ગયા. તો આપ (સલ.)એ ફરમાવ્યું : “જે કંઈ મુઅઝિઝન કહે છે, તું પણ તેમ કહ્યા કર. અને જ્યારે અઝાન પુરી થઈ જાય તો ખુદા તઆલાથી દુઆ માંગ્યા કર, અઝાન પછી જે દુઆ કરાય છે, તે કબૂલ થઈ જાય છે.” (અબૂ દાઉદ) આથી જણાયું કે, જે માણસ મુઅઝિઝન સાથે અઝાનના શબ્દો બોલે છે, તેને પણ તે જ સવાબ અને બદલો મળે છે, જે સવાબ અને બદલો મુઅઝિઝનને મળે છે.
  • હઝરત જાબિર (રદી.)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, જેણે અઝાન સાંભળીને આ દુઆ પઢી:

اَللّٰھُمَّ رَبَّ ھٰذِہِ الدَّعْوَۃِ التَّامَّۃِ وَالصَّلٰوۃِ الْقَائِمَۃِ، اٰتِ مُحَمَّدِ نِ الْوَسِیْلَۃَ وَالْفَضِیْلَۃَ، وَابْعَثْہُ مَقَامًا مَحْمُوْدَ نِ الَّذِیْ وَعَدْتَّہٗ

(અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ દઅવતિત્તામ્મતિ વસ્સલાતિલ કાઈમતિ આતિ મુહમ્મદ નિલ વસીલત વલ ફઝીલત વબઅસહુ મકામમ મહમૂદનિલ્લઝી વ અદતહુ) તો આ દુઆ કરનાર ઉપર કિયામતમાં મારી શફાઅત હલાલ થઈ ગઈ.(બુખારી શરીફ)

  • હઝરત જાબિર (રદી.) નબીએ કરીમ (સલ.)થી રિવાયત કરે છે કે, આપ (સલ.)એ ફરમાવ્યું : “ઈકામત વેળા આકાશના દરવાજા ઉઘાડી દેવામાં આવે છે, અને દરેક માંગનારની દુઆ કબૂલ કરવામાં આવે છે.” (મુસ્નદે અહમદ)
  • હઝરત અબૂ ઉમામહ (રદી.)થી રિવાયત છે કે, નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું : “કામિલ વુઝૂ કરી ફર્ઝ નમાઝ માટે નીકળવું એવું છે, જેમકે કોઈ ‘એહરામ’ બાંધી હજ્જ માટે નીકળ્યો. ચાશ્તની નમાઝ માટે ઘેરથી વુઝૂ કરી નીકળવું એવું છે કે, કોઈ ‘એહરામ’ બાંધી ઉમરહ માટે નીકળ્યો. બે નમાઝોના વચ્ચે જો કોઈ નકામું કૃત્ય ન કર્યું, તો એ નમાઝ ‘ઈલ્લિય્યીન’ જન્નતમાં ઉચ્ચ સ્થાનમાં લખાય છે.” (અબૂ દાઉદ)
  • હઝરત ઉકબહ બિન આમીર (રદી.)થી રિવાયત છે કે, આપ (સલ.)એ ફરમાવ્યું : “નમાઝ માટે મસ્જિદમાં બેસનારનું નામ ‘કાનિતીન’માં લખાય છે.”(અહમદ, તબરાની) ‘કાનિતીન’નો અર્થ એ છે કે, જેઓ દર વર્ષે હજ્જ અદા કરે છે, હમેશાં જિહાદમાં ભાગ લે છે અને આખી રાત અલ્લાહ તઆલાની ઈબાદતમાં મશ્ગુલ રહે છે.
  • હઝરત જાબિર ઈબ્ને સમુરહ (રદી.) બયાન કરે છે કે, અમે નમાઝ માટે સફો સીધી કરી રહ્યા હતા કે, જનાબ સરકારે દો આલમ (સલ.) તશરીફ લાવ્યા અને ફરમાવ્યું : ફરિશ્તાઓની જેમ તમે લાઈન ગોઠવતા નથી ? કોઈએ અર્ઝ કરી : ફરિશ્તાઓ કેવી રીતે લાઈન ગોઠવે છે ? તો ફરમાવવામાં આવ્યું કે, પહેલી લાઈનને પુરી કરે છે, પછી દરેક ફરિશ્તો પોતાની જગ્યાએ અડગ ઉભો થઈ જાય છે. (મુસ્લિમ શરીફ)
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે, હુઝૂરે અકરમ (સલ.) પહેલી સફવાળા માટે ત્રણ વાર અને બીજી સફવાળા માટે એક વાર મગફિરતની દુઆ માંગતા હતા. અને આપ (સલ.)એ ફરમાવ્યું કે, લોકો અઝાન અને પહેલી સફનો સવાબ જાણતા નથી, જો જાણી જાય તો એનો સવાબ મેળવવા માટે પરસ્પર પાસા નાંખ્યા કરે. (તિરમિઝી શરીફ) મતલબ એ કે, દરેક માણસ અઝાન કહેવા અને પહેલી સફમાં ઉભા રહેવાનો સવાબ જાણી લે, તો પહેલી સફ મેળવવા ખૂબ કોશિશ કરે. અને તેમ કરવામાં કદાચ લોકોમાં ઝઘડો થવાનો સંભવ પેદા થાય તો લોકો પાસા નાખી નિર્ણય કર્યા કરે અને ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તે જ તેનો હકદાર સમજવામાં આવે.
  • હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ (રદી.) બયાન કરે છે કે, હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું : “જે માણસ પોતાના ભાઈ (મુસલમાન)ને દુઃખ પહોંચવાના ડરે પહેલી સફને છોડી બીજી સફમાં ઉભો થઈ જશે, તો અલ્લાહપાક એ માણસને પ્રથમ સફવાળા કરતાં બમણો સવાબ અર્પણ કરશે.” (તબરાની)
  • હઝરત નુઅમાન બિન બશીર (રદી.)થી રિવાયત છે કે, હુઝૂર (સલ.)એ ફરમાવ્યું : “તમે સફોને બરાબર કરી લીયા કરો, નહિંતર અલ્લાહ તઆલા તમારા દિલોને જુદા જુદા કરી દેશે અને તમારા મોઢા બગાડી નાંખશે.” (બુખારી, મુસ્લિમ)
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું : જે માણસ પોતાના ઘરેથી સારી રીતે વુઝૂ કરી જમાઅતના ઈરાદાથી નીકળ્યો અને તેને જમાઅત ન મળી, તો પણ જમાઅતનો સવાબ લખવામાં આવશે.(અબૂ દાઉદ)
  • હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, અઝાન સાંભળ્યા છતાં જો કોઈ માણસ વગર ઉઝરે અને કોઈ વાસ્તવિક કારણ વગર મસ્જિદમાં ન આવે, તો તેની નમાઝ કબૂલ થતી નથી. (અબૂ દાઉદ, ઈબ્ને માજહ) મતલબ કે, જમાઅત છોડનારની નમાઝ કોઈ કિંમત રાખતી નથી. જો કે ફર્ઝ અદા થઈ જાય છે.
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.) બયાન કરે છે કે, હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું : જે માણસ સારી રીતે વુઝૂ કરીને મસ્જિદ તરફ જાય છે, અને તેના જવાનો હેતુ માત્ર નમાઝ પઢવાનો હોય છે, તો એ માણસ જે કદમ ભરે છે, તેના ઉપર એક ગુનોહ માફ થઈ જાય છે અને એક દરજ્જો બુલંદ થઈ જાય છે. જ્યારે એ માણસ નમાઝ પઢે છે, તો એના ઉપર અલ્લાહ તઆલાના ફરિશ્તા રહમત મોકલે છે. જ્યાં સુધી એ નમાઝની જગ્યાએ બેસી રહે છે, ફરિશ્તા એના ઉપર રહમત વરસાવવાનું ચાલુ રાખે છે. અને જો બીજી નમાઝની રાહ જોવા બેસી રહે છે, તો એ સમયમાં એને નમાઝનો જ સવાબ મળે છે. અને જ્યાં સુધી મસ્જિદમાં કોઈની સતામણી ન કરે, ફરિશ્તા એના માટે મગફિરતની દુઆ કરતા રહે છે. (બુખારી, મુસ્લિમ)
  • હઝરત મુઆઝ બિન અનસ (રદી.)થી રિવાયત છે કે, આપ (સલ.)એ ફરમાવ્યું : જે માણસ જુમ્આના દિવસે લોકોને ફલાંગતો આગળ વધશે, તો કિયામતમાં તેને જહન્નમમાં જનારાઓનો પુલ બનાવી દેવામાં આવશે. (ઈબ્ને માજહ, તિરમિઝી) કેટલાક લોકોની આદત હોય છે કે, જુમ્આના દિવસે પાછળથી આવે છે અને લોકોને ઓળંગીને અંદર ઘુસવાની કોશિશ કરે છે. અને ફલાંગો મારતા મારતા આગળ વધે છે. આ ધમકી તેઓના માટે છે. અને વહેલા આવનાર લોકોએ પણ આગળ બેસવું જોઈએ. આગળ જગ્યા હોવા છતાં પાછળ બેસવું, દીવાલનો ટેકો લેવા પાછળ બેસવું યોગ્ય નથી.
  • હઝરત અનસ (રદી.) બયાન કરે છે કે, નબીએ કરીમે (સલ.) જુમ્આના દિવસે ખુત્બાની હાલતમાં જોયું કે, એક માણસ લોકોની સફોને ચીરતો-ફાડતો આગળ વધતો ચાલ્યો આવે છે. એટલે સુધી કે, આપ (સલ.)ની નજીક પહોંચી ગયો. નમાઝથી ફારિગ થઈ આપે તે શખ્સને પૂછ્યું, તો તેણે અર્ઝ કરી કે, મારૂં દિલ આપની પાસે પહોંચવા માટે ચાહતુ હતું. આપે ફરમાવ્યું કે, તેં મુસલમાનોને ઈજા આપી. અને જેણે મુસલમાનોને ઈજા આપી, તેણે મને ઈજા આપી. અને જેણે મને ઈજા આપી, તેણે અલ્લાહપાકને સતાવ્યો. (તબરાની સગીર)
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.) બયાન કરે છે કે, હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું : “તમો ડરતા નથી કે, તમો ઈમામ કરતાં પહેલાં જ રુકૂઅ અને સિજદહથી માથુ ઉઠાવી લો છો ? કદાચ એવું ન થાય કે, અલ્લાહ તઆલા એવા લોકોનું માથુ ગધેડા જેવું બનાવી દે.” (બુખારી શરીફ)
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.) બયાન કરે છે કે, હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું : “જ્યારે ઈમામ સૂરએ ફાતિહા ખતમ કરે છે, અને ‘વલદ્‌દાલ્લીન’ કહે છે, તો ફરિશ્તા ‘આમીન’ કહે છે. મુક્તદીઓમાંથી જે કોઈની “આમીન” ફરિશ્તાઓની “આમીન” સાથે અદા થઈ હશે, તેના દરેક ગુનાહો માફ કરી દેવામાં આવે છે. (બુખારી, મુસ્લિમ)
  • ઉમ્મુલ મુઅમિનીન હઝરત ઉમ્મે હબીબહ (રદી.) ફરમાવે છે કે, સરકારે દો આલમ (સલ.)એ ફરમાવ્યું : “ફર્ઝ ઉપરાંત જે માણસ ૧ર રક્‌અતો દિવસ-રાતમાં પઢ્યા કરે છે, તેના માટે એક ઘર જન્નતમાં બનાવી દેવામાં આવે છે.” (મુસ્લિમ) એટલે કે, ઝોહરથી પહેલાં ૪ રક્‌અત, ઝોહરના પછી બે રક્‌અત અને મગરિબના પછી બે રક્‌અત, ઈશાંના પછી બે રક્‌અત અને બે રક્‌અત ફજરથી પહેલાં.
  • ઉમ્મુલ મુઅમિનીન હઝરત આયશા સિદ્દીકહ (રદી.) ફરમાવે છે કે, રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન છે કે, સવારની બે સુન્નતો દુનિયા અને તેમાં જે કંઈ છે, તેના કરતાં બેહતર છે. (મુસ્લિમ)
  • ઉમ્મુલ મુઅમિનીન હઝરત ઉમ્મે હબીબહ (રદી.) બયાન કરે છે કે, નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું : ઝોહરની ફર્ઝો પહેલાં જે માણસ ૪ રક્‌અતો પઢ્યા કરે છે, તો તેની ઉપર દોઝખની આગ હરામ કરી દેવામાં આવે છે. (અબૂ દાઉદ, તિરમિઝી) અને એક રિવાયતમાં એમ પણ આવ્યું છે કે, ચાર સુન્નતો પઢનારના ચહેરાને આગ અડી પણ નહીં શકે.
  • હઝરત ષવબાન (રદી.) ફરમાવે છે કે, હુઝૂરે અકરમ (સલ.) અડધો દિવસ પસાર થઈ જવા પછી એટલે કે, ઝોહરના વખતે નમાઝ પઢવાનું ઘણું પસંદ ફરમાવતા. હઝરત આયશા સિદ્દીકહ (રદી.)એ અર્ઝ કરી : હુઝૂર ! આપ એ વેળા નમાઝ પઢવાનું ઘણું પસંદ કરો છો, તેનું કારણ શું ? આપ (સલ.)એ ફરમાવ્યું કે, એ વેળા આસ્માનોના દરવાજા ઉઘાડી દેવામાં આવે છે, અને અલ્લાહપાક પોતાના બંદાઓ તરફ રહેમ અને કરમની નજર કરે છે. એ વેળાની નમાઝ તો એવી છે કે, જેની તકેદારી હઝરત આદમ, હઝરત નૂહ, હઝરત ઈબ્રાહીમ, હઝરત મૂસા અને હઝરત ઈસા વિગેરે નબીઓ અલયહિમુસ્સલામ રાખતા આવ્યા છે. (બઝઝાઝ)
  • હઝરત ઉમ્મે સલમા (રદી.) બયાન કરે છે કે, હુઝૂર (સલ.)એ ફરમાવ્યું : “અસર પહેલાં ૪ રક્‌અત પઢનારાના શરીર ઉપર અલ્લાહ તઆલા જહન્નમને હરામ કરી દે છે.” (તબરાની)
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.) બયાન કરે છે કે, હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે, સવાર અને અસરના સમયે ફરિશ્તાઓનો પરસ્પર ફેરફાર થાય છે. અને એ ફરિશ્તા જ્યારે અહીંથી જાય છે, તો અલ્લાહ તઆલાની હુઝૂરમાં નમાઝ અદા કરનારાઓની સાક્ષી આપે છે અને વિનવે છે કે, હે અલ્લાહ તઆલા ! અમે તારા બંદાને નમાઝ પઢતો છોડ્યો છે. (બુખારી શરીફ)
  • હઝરત બુરૈદહ (રદી.) રસૂલુલ્લાહ (સલ.)થી રિવાયત કરે છે કે, આપે ફરમાવ્યું : જેણે અસરની નમાઝ જાણી જોઈને છોડી દીધી, તેના બધા અમલો બરબાદ થઈ ગયા. (બુખારી શરીફ) અને ઈબ્ને ઉમર (રદી.)ની રિવાયતમાં છે કે, તેનું ઘર અને તેનો માલ બધું જ લૂંટાઈ ગયું. એટલે કે કોઈના ઘરવાળા તબાહ થઈ જાય અને તેનો બધો માલ લૂંટાઈ જાય, તો પણ તેનું એટલું નુકસાન થતું નથી, જેટલું કે અસરની નમાઝ કઝા કરવાથી થાય છે.
  • હઝરત ઈબ્ને મસ્ઉદ (રદી.) બયાન કરે છે કે, હુઝૂર (સલ.)ની આગળ એક માણસનું વર્ણન કરવામાં આવ્યું કે, ફલાણો માણસ સવાર સુધી સૂઈ રહે છે. આપ (સલ.)એ ફરમાવ્યું કે, તેના કાનમાં શયતાન પેશાબ કરી જાય છે.
  • હઝરત સલમાન ફારસી (રદી.)થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું : નમાઝ પઢનારના ગુનાહો એની ગરદન ઉપર સવાર થઈ જાય છે. અને જ્યારે તે સિજદહ કરે છે, તો તે ગુનાહો ખરી પડે છે. અને અંતે નમાઝથી ફારિગ થવા વખતે તે માણસ ગુનાહોથી તદ્દન પાક (પવિત્ર) થઈ જાય છે. (તબરાની) મતલબ કે, નમાઝ પઢવાથી ઈન્સાનના ગુનાહો તદ્દન માફ થઈ જાય છે.
  • હઝરત હુઝયફહ (રદી.) બયાન કરે છે કે, હુઝૂરે અકરમ (સલ.)એ ફરમાવ્યું : ફક્ત સિજદહ જ એવો અમલ છે, જે વડે બંદો અલ્લાહપાકની નજીક સૌથી વધુ પ્રિય બની જાય છે. અલ્લાહપાકને આ વાત ઘણી પસંદ છે કે, એનો બંદો એની સામે સિજદહની હાલતમાં પોતાના મોઢાને ધૂળ ભેગું કરી રહ્યો હોય. (તબરાની) મતલબ કે, સિજદહ અને તે પણ ધૂળ ઉપર કે જેથી ચહેરાને માટી લાગી જાય, તો એ ધૂળવાળો ચહેરો પરવરદિગારને ઘણો જ પસંદ છે.
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે, નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું : જો તમે આ વાત સમજી લો કે, બંદાની નમાઝમાં શું હાલત હોય છે, અને તે કેવી રીતે પોતાના પરવરદિગારથી મુનાજાત (અલ્લાહપાક સાથે ગૂપચૂપ ગોષ્ઠી) કરે છે, તો તમે એક નમાઝીની સામેથી પસાર થવાને ૧૦૦ વર્ષ સુધી રાહ જોવાના મુકાબલામાં ખતરનાક સમજશો.(અસ્હાબુસ્સુનન)
  • હઝરત ઉબાદહ બિન સામિત (રદી.)થી રિવાયત છે કે, નબીએ કરીમ (સલ.)એ ફરમાવ્યું : જ્યારે બંદો વુઝૂ કરે છે, તો સારી રીતે (સુન્નત પ્રમાણે) વુઝૂ કરે છે, પછી નમાઝ પઢવા ઉભો રહે છે ત્યારે સારી રીતે દિલ લગાડીને પૂરી રીતે રુકૂઅ, સિજદહ, કિરાઅત અદા કરે છે, ત્યારે તે નમાઝ તેના માટે દુઆ કરે છે કે, અલ્લાહપાક તારી હિફાઝત કરે, જેવી રીતે તેં મારી હિફાઝત કરી. પછી તે નમાઝમાં એક નૂર અને રોશની પેદા થાય છે. અને તેને આસમાનમાં ચઢાવવામાં આવે છે. અને તેના માટે આસમાનના દરવાજા ખોલી દેવામાં આવે છે કે, જેથી કબૂલ થઈ જાય. અને જ્યારે બંદો સારી રીતે વુઝૂ કરે નહીં, અને નમાઝ સારી રીતે દિલ લગાડીને પઢે નહીં, રુકૂઅ, સિજદહ, કિરાઅત પુરી રીતે અદા કરે નહીં, ત્યારે તે નમાઝ એમ કહે છે કે, ખુદાપાક તને બરબાદ કરે, જેવી રીતે તેં મને બરબાદ કરી. અને તે નમાઝ કાળી નૂર વગરની થઈ જાય છે. પછી તે નમાઝ આસમાનમાં ચઢાવવામાં આવે છે. અને તેના માટે આસમાનના દરવાજા બંધ કરી દેવામાં આવે છે (કે કબૂલ થાય નહીં), પછી તે જુના કપડાંની જેમ લપેટાઈને તે નમાઝીના મોઢા ઉપર પાછી મારી દેવામાં આવે છે. એટલે કે આવી નમાઝ કબૂલ થતી નથી, અને સવાબ પણ મળતો નથી. (તબરાની)
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.)થી રિવાયત છે કે, નબીએ કરીમ (સલ.) મસ્જિદમાં તશરીફ લાવ્યા. ત્યાર પછી એક માણસ આવ્યો અને તેણે નમાઝ પઢી. પછી હુઝૂર (સલ.)ની ખિદમતમાં આવી સલામ અર્ઝ કરી. આપે સલામનો જવાબ આપ્યો અને ફરમાવ્યું : જા, નમાઝ પઢ. તેં નમાઝ પઢી નથી. તે પાછો જઈને ફરીથી નમાઝ પઢી આવીને ખિદમતમાં હાજર થઈ સલામ અર્ઝ કરી. આપે સલામના જવાબ આપી ફરમાવ્યું કે, જા, નમાઝ પઢ. તેં નમાઝ પઢી નથી. આવી રીતે ત્રણ વખત ફરીથી નમાઝ પઢવાનો હુકમ થયો. ત્યાર પછી એ માણસે અર્ઝ કરી : કસમ છે તે અલ્લાહપાકની કે જેણે આપને દીને હક્ક આપીને મોકલ્યા છે, મને એનાથી સારી નમાઝ આવડતી નથી. માટે આપ મને શીખવાડો. ત્યારે રસૂલુલ્લાહ (સલ.)એ ફરમાવ્યું કે, જ્યારે તું નમાઝ પઢવાનો ઈરાદો કરે, તો પહેલાં બહુ સારી રીતે વુઝૂ કર. પછી કિબ્લહ તરફ ઉભો થા, પછી તકબીર કહે, પછી કુર્‌આન શરીફનો જે હિસ્સો સહેલાઈથી પઢી શકતો હોય તે પઢ. તેના પછી રુકૂઅ કર, અહીં સુધી કે રુકૂઅમાં તસલ્લી થઈ જાય. તેના પછી માથુ ઉઠાવી પુરી રીતે સીધો ઉભો થઈ જા. તેના પછી સિજદહ કર, અહીં સુધી કે સિજદહમાં તસલ્લી થઈ જાય. પછી માથુ ઉઠાવી પુરી રીતે શાંતિથી બેસી જા, પછી બીજો સિજદહ કર કે સિજદહમાં તસલ્લી થઈ જાય. એવી રીતે પોતાની નમાઝ પૂરી કર. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ)
  • હઝરત અબૂ અબ્દુલ્લાહ અશ્અરી (રદી.) ફરમાવે છે કે, હુઝૂર (સલ.)એ એક માણસને નમાઝ પઢતાં જોયો કે, જે ન તો રુકૂઅ પુરો કરતો હતો, ન સિજદહ. તેનો સિજદહ એવો હતો જેમકે કોઈ જાનવર જમીન પરથી દાણા ખાય છે. આ ઉતાવળી નમાઝને જોઈ આપ (સલ.)એ ફરમાવ્યું કે, જો માણસ આવી જ હાલતમાં મરી ગયો, તો મુહમ્મદ (સલ.)ની મિલ્લત (દીન)ના સિવાય બીજી કોઈ મિલ્લત પર મરશે. કેમકે આ મારી શીખવેલી નમાઝ નથી. (તબરાની)
  • હઝરત અબૂઝર (રદી.)થી રિવા ત છે કે, હુઝૂર (સલ.)એ ફરમાવ્યું : જ્યાં સુધી બંદો નમાઝમાં આમ-તેમ જોતો નથી, ત્યાં સુધી અલ્લાહ તઆલા પણ પોતાની તવજ્જુહ બંદા પર રાખે છે. પરંતુ જ્યારે બંદાએ પોતાની નજર આમ-તેમ કરી, તો અલ્લાહ તઆલા પોતાની તવજ્જુહ તે બંદા તરફથી હટાવી લે છે. (બુખારી શરીફ, મુસ્લિમ શરીફ)
  • હઝરત અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ (રદી.)થી રિવાયત છે કે, નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું : ચોરોમાં મોટો ચોર એ છે કે, જે પોતાની નમાઝની ચોરી કરે છે. સહાબા (રદી.)એ અર્ઝ કરી : યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ! તે નમાઝમાં કેવી રીતે ચોરી કરે છે ? આપે ફરમાવ્યું : જે પૂરી રીતે રુકૂઅ અને સિજદહ અદા કરતો નથી. અને સૌથી મોટો બખીલ તે માણસ છે, જે સલામ કરવામાં બખીલાઈ કરે છે. (તબરાની)
  • હઝરત અબૂ હુરૈરહ (રદી.) બયાન કરે છે કે, હુઝૂર (સલ.)એ ફરમાવ્યું : કિયામતના દિવસે સૌ પ્રથમ બંદાથી નમાઝનો હિસાબ લેવામાં આવશે. જો નમાઝ ઠીક (અઅ્‌માલ અને હિસાબની તપાસણીમાં) નીકળી, તો બંદાએ નજાત મેળવી અને કામિયાબ થયો. અને જો નમાઝમાં કોઈ ખરાબી નીકળી, તો એ નિષ્ફળ અને નુકસાનીમાં રહ્યો. અને જો ફર્ઝમાં કંઈ કસર કે કમી હશે, તો અલ્લાહ તઆલા (ફરિશ્તાઓને) ફરમાવશે કે, જુઓ ! મારા બંદા પાસે (અઅ્‌માલમાં) કંઈ નફલ નમાઝ છે ? ત્યારે (નફલ હશે તો) ફર્ઝમાં જે કસર હશે, તેને નફલોથી પૂરી કરવામાં આવશે. એવી રીતે બીજા અમલોનો હિસાબ પણ એ જ પ્રમાણે થશે. (તિરમિઝી શરીફ) બીજા સહાબી (રદી.)ની રિવાયતના શબ્દો આ છે : “કિયામતના દિવસે પહેલાં બંદાઓની નમાઝ પરખવામાં આવશે. જો તે સારી રીતે પૂરી ઉતરી, તો બાકીના અમલો પણ પુરા ઉતરશે. અને જો તે ખરાબ નીકળી, તો બાકીના અમલો પણ ખરાબ અને નકામા નીવડશે.” (તબરાની)
  • હઝરત ઝૈદ બિન ખાલિદ અલ જુહની (રદી.) બયાન કરે છે કે, નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે, “જે માણસે સારી રીતે વુઝૂ કર્યું અને ફરી બે રક્‌અત દિલ ઠેકાણે રાખી એવી રીતે નમાઝ પઢી, કે તેમાં કોઈ ભૂલચૂક ન થવા પામી, તો એ માણસના દરેક પાછલા ગુનાહો અલ્લાહપાક બખ્શી દે છે.” (અબૂ દાઉદ)
Log in or Register to save this content for later.