Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 39 to 43)
Views:
211
- જેવી રીતે વુઝૂની જગ્યાએ તયમ્મુમ કરવું દુરૂસ્ત છે, તેવી જ રીતે ગુસલની જગ્યાએ પણ લાચારીના વખતે તયમ્મુમ કરવું દુરૂસ્ત છે.
- ગુસલ વાજિબ થઈ ગયું હોય તો મજબુરીના વખતે ગુસલનું તયમ્મુમ કરી માણસ પાક થાય છે. વુઝૂ અને ગુસલના તયમ્મુમમાં કંઈ ફર્ક નથી, બન્નેનો એક જ તરીકો (રીત) છે.
- કોઈને ગુસલની હાજત થઈ, તો હવે ગુસલ અને વુઝૂનું એક જ તયમ્મુમ કરવું બસ છે. બન્ને માટે અલગ તયમ્મુમ કરવાની જરૂરત નથી.
- જેટલી વસ્તુથી વુઝૂ તૂટે છે, તે ચીજોથી તયમ્મુમ પણ તૂટે છે. પણ ગુસલનું તયમ્મુમ માત્ર હદષે અકબર (ગુસલ વાજિબ થવા)થી જ તૂટે છે. અને જો પાણી ન મળવાના લીધે તયમ્મુમ કર્યું હતું, તો પાણી ઉપર કુદરત થયાથી પણ તે તયમ્મુમ તૂટી જાય છે. અને જો કોઈ બીજા કારણથી જેમકે બીમારી વિગેરેના કારણે ગુસલનું તયમ્મુમ કર્યું હતું, તો તે કારણ દૂર થવાથી પણ તયમ્મુમ તૂટી જાય છે. અને ગુસલ તથા વુઝૂ કરવું વાજિબ થશે.
- જ્યાં સુધી એક તયમ્મુમ તૂટે નહિં ત્યાં સુધી ચાહે તેટલા વખતની નમાઝ પઢી શકાય છે. એ જ પ્રમાણે જે તયમ્મુમ ફર્ઝ નમાઝ માટે કર્યું છે, તેનાથી ફર્ઝ, સુન્નત, નફિલ નમાઝ અને કુર્આન શરીફની તિલાવત તેમજ જનાઝાની નમાઝ, તિલાવતનો સિજદો અને તમામ ઈબાદતો જાઈઝ છે.
- જ્યાં સુધી પાણી ન મળે અથવા ઉઝર બાકી રહે ત્યાં સુધી તયમ્મુમ કરવું જાઈઝ છે. જો એવી જ હાલતમાં વર્ષો વિતી જાય તો પણ કંઈ વાંધો નથી.
- એક જગ્યાએથી અને એક પત્થરથી અમૂક માણસો વારાફરતી તયમ્મુમ કરે તો દુરૂસ્ત છે. (મસાઈલે વુઝૂ : ૧૫૦)
- મસ્જિદની ચૂનો મારેલી દીવાલ પર તયમ્મુમ કરવું દુરૂસ્ત છે.
- લાકડી અને કપડા પર ધૂળ ન હોય તો તયમ્મુમ દુરૂસ્ત નથી. એ જ રીતે લીલી-સૂકી ઘાસ પર તયમ્મુમ માટે હુકમ છે. પત્થર, દીવાલ કાચી હોય કે પાકી અને ચૂના પર ધૂળ ન હોવા છતાં પણ તયમ્મુમ દુરૂસ્ત છે. (મસાઈલે વુઝૂ :૧પ૦)
- અનાજ જેમ કે ઘઉં, બાજરો વગેરે પર જો ધૂળ હોય તો તયમ્મુમ જાઈઝ છે. નહીં તો તયમ્મુમ જાઈઝ નથી. (મસાઈલે વુઝૂ : ૧પર)
- કોઈ જાનવર પર અથવા પોતાના અવયવો પર ધૂળ લાગેલી હોય તો એનાથી તયમ્મુમ જાઈઝ છે. દા.ત. કોઈએ ઘરમાં ઝાડુ લગાવ્યું અને ત્યાંથી ધૂળ ઉડીને મ્હોં અને હાથ પર પડે અને ત્યાર બાદ હાથથી મસળી લે, તો તયમ્મુમ થઈ જશે. (મસાઈલે વુઝૂ : ૧પ૧)
- ટ્રેન અથવા બસ વગેરેની દીવાલ લાકડી, લોખંડ કે પ્લાસ્ટીકની હોય છે. એના ઉપર તયમ્મુમ કરવું દુરૂસ્ત નથી. હા, મોટે ભાગે સફર દરમિયાન એના ઉપર ધૂળ ચોંટી જાય છે. જો ટ્રેનમાં આ પ્રકારની ધૂળ હોય તો તયમ્મુમ કરી શકાય છે. અન્યથા તયમ્મુમ કરી શકાય નહીં. (જદીદ ફિકહી મસાઈલ : ૯૮)
- પ્લેન (વિમાન)ના સફરમાં જો પાણીની વ્યવસ્થા હોય, જેમકે વિમાનોમાં હોય જ છે, તો વુઝૂ કરીને જ નમાઝ પઢવી પડશે. ચાહે પાણીની અછતને કારણે વુઝૂના અંગોને એક-એકવાર જ ધોવામાં આવે. પરંતુ કોઈ માણસ એવા વિમાનમાં સફર કરે, જેમાં પાણીની કોઈ જ વ્યવસ્થા નથી અને ત્યાં ધૂળ ન હોવાને કારણે તયમ્મુમ પણ થાય એમ નથી, તો તે માણસ વુઝૂ અને તયમ્મુમ વગર જ નમાઝીઓની સમાનતા (મુશાબહત) ઈખ્તેયાર કરીને નમાઝ પઢે અને (વિમાની સફર પૂરો થયા) પછી વુઝૂ કરીને એ વિમાનમાં પઢેલી બધી નમાઝોને દોહરાવી લે. (કિતાબુલ મસાઈલ : ૧૭૭)
- કોઈ માણસ રેલ અથવા પ્લેનમાં સવાર હોય અને એ સફરમાં પાણી ન મળવાને કારણે તેણે તયમ્મુમ કર્યું અને રસ્તામાં એને પાણીના ઝરણાં, નદી-નાળાં વગેરે દેખાય તો એનું તયમ્મુમ તૂટશે નહીં. કારણ કે આવી હાલતમાં તે પાણીના વપરાશ પર સમર્થ નથી.(મસાઈલે વુઝૂ : ૧પ૪)
- કોઈ માણસ એવો બીમાર છે કે વુઝૂ તો કરી શકે છે, પણ ગુસલ કરવાથી મા’ઝૂર (મજબૂર) હોય તો એના માટે જાઈઝ છે કે તે વુઝૂ કરે અને ગુસલના બદલે તયમ્મુમ કરે. (મસાઈલે વુઝૂ : ૧૫૬)
- રેલગાડી અને બસમાં તયમ્મુમ સાથે નમાઝ સહીહ થવા માટે નીચે દર્શાવેલ શરતો જરૂરી છે :
- રેલગાડીના કોઈ પણ ડબ્બામાં પાણી ન હોય.
- રસ્તામાં એક માઈલ (૧.૮૬ કિ.મી.) સુધી ક્યાંય પાણી ન હોવાની જાણ ન હોય.
- રેલગાડી અને બસના પાટીયા પર એટલી ધૂળ હોય કે ધૂળ સારી પેઠે હાથ પર લાગે.
- આમાંથી કોઈ એક શર્ત પર કુદરત ન હોય, તો જે રીતે પણ બની શકે નમાઝ પઢી લે, પરંતુ પછીથી કઝા કરી લે. (મસાઈલે વુઝૂ : ૧૫૯/૬૦)
- રેલમાં પાકી ખાત્રી હોય કે નમાઝના વખતની અંદર પાણી મળી જશે તો નમાઝને પાછી ઠેલાવવી મુસ્તહબ છે. જો પાણી મળી જાય તો વુઝૂ કરીને નમાઝ અદા કરે અને જો ન મળે તથા નમાઝનો વખત પૂરો થઈ જવાનો ભય છે, તો તયમ્મુમ કરીને નમાઝ અદા કરે.(મસાઈલે વુઝૂ : ૧૬૦)
- રેલ્વે સ્ટેશન પર પાણી આપવાવાળો ગેરમુસ્લિમ છે, તો એની પાસેથી પાણી લઈને વુઝૂ કરવું જાઈઝ છે. હા, જો એ વાતનું યકીન હોય કે એનું વાસણ નાપાક છે, તો તયમ્મુમ કરવું જાઈઝ છે. (મસાઈલે વુઝૂ : ૧૬૦)
- પાણી હોવા છતાં કુર્આન શરીફ પકડવા માટે તયમ્મુમ કરવું દુરૂસ્ત નથી. (મસાઈલે વુઝૂ : ૧૬૩)
- કોઈ માણસ મસ્જિદમાં સૂતેલો હતો, એ દરમિયાન એને વિર્ય- ભંગ થઈ ગયો, તો મસ્જિદથી નીકળવા માટે તયમ્મુમ કરવું જરૂરી નથી. હા, કોઈ કારણસર તે સમયે મસ્જિદમાંથી નીકળવા માટે તકલીફ અને પરેશાની હોય તો તયમ્મુમ જરૂરી છે. (મસાઈલે વુઝૂ : ૧૬૬)
- હાથના બદલે રૂમાલ કે કપડું ઝમીન પર મારીને મ્હોં અને હાથ પર ફેરવી લે, તો તયમ્મુમ તો થઈ જશે, પરંતુ વગર કારણે આ રીતે તયમ્મુમ કરવું મકરૂહ છે.
- જે કોઈ માણસના બન્નેવ હાથ કોણીઓની જગ્યાએથી કપાયેલા હોય, તો એ જ કપાયેલી જગ્યા પર તયમ્મુમ કરાવી લે. (મસાઈલે વુઝૂ : ૧૬૭)
Log in or
Register to save this content for later.