Chapter : નમાઝના જરૂરી મસાઈલ
(Page : 156 to 159)
- એઅતિકાફ કરનાર (મજબૂરીના કારણે) મસ્જિદમાં પલંગ પર સૂઈ શકે છે. (મસાઈલે એઅતિકાફ : ર૭)
- અઝાન દેવાના રૂમનો દરવાજો મસ્જિદમાંથી છે, તો મુઅતકિફ અઝાન આપી શકે છે. અને જો દરવાજો મસ્જિદની બહાર છે, તો ફક્ત અઝાન દેવા માટે જ જઈ શકે છે. (મસાઈલે એઅતિકાફ : ૪૩)
- કોઈ હાફિઝ સાહેબ એક મસ્જિદમાં તરાવીહ પઢાવે અને બીજી મસ્જિદમાં એઅતિકાફમાં બેઠા, તો જો તેમણે એઅતિકાફ કરતી વખતે એ નિય્યત કરી કે હું તરાવીહમાં કુર્આન સંભળાવવા જઈશ, તો જાઈઝ છે કે તે મસ્જિદમાં તરાવીહ પઢાવવા જાય. (મસાઈલે એઅતિકાફ : ૪૩-૪૪)
- જે જગ્યા છીનવીને અથવા દબાવીને મસ્જિદમાં શામેલ કરવામાં આવી હોય, તે જગ્યા મસ્જિદ નથી. એઅતિકાફ કરવાવાળો એઅતિકાફની હાલતમાં તે જગ્યાએ જશે અને બેસશે, તો એઅતિકાફ તૂટી જશે (ફાસિદ થશે). અને તેની કઝા કરવી જરૂરી છે. (મસાઈલે એઅતિકાફ : ૩૩-૩૪)
- ખાણું ખાવા માટે અથવા બીજા કામ અર્થે ફક્ત હાથ ધોવા માટે મસ્જિદથી બહાર નીકળવું જાઈઝ નથી.
- જો નફલ એઅતિકાફ હોય તો ઠંડક મેળવવા માટે ગુસલ કરી શકે છે. વાજિબ એઅતિકાફમાં ઠંડક મેળવવા માટે ગુસલ કરવા મસ્જિદથી બહાર નીકળવું દુરૂસ્ત નથી. (ફતાવા દારૂલ ઉલૂમ : પ૦ર-પ૦૩/૬)
- જનાઝાની નમાઝ પઢવાની જગ્યા જો મસ્જિદથી બહાર હોય અને કોઈ માણસ સુન્નત એઅતિકાફની હાલતમાં નમાઝ પઢવા ચાલ્યો ગયો, તો એઅતિકાફ તૂટી જશે. અને ઓછામાં ઓછું એક દિવસની કઝા જરૂરી ઠરશે. હિમ્મત હોય તો પૂરા દસ દિવસની કઝા કરી લેવી જોઈએ. એમાં જ એહતિયાત છે. અને જનાઝાની નમાઝ માટે નીકળવું શરઈ જરૂરત નથી. (મસાઈલે એઅતિકાફ : ૪ર)
- મોઅતકિફે હજામત કરાવવા અને મુસ્તહબ ગુસલ કરવા માટે મસ્જિદથી બહાર નીકળવું દુરૂસ્ત નથી. નીકળવાથી એઅતિકાફ ફાસિદ થશે. માથુ મુંડાવવું જરૂરી જ હોય તો એઅતિકાફની જગ્યામાં ચાદર વગેરે બિછાવીને મુંડાવી શકે છે. એમાં પણ સાવચેતી રાખે કે વાળ મસ્જિદમાં ન પડે. (મસાઈલે એઅતિકાફ : ૪પ)
- પોતાની હજામત પોતે જ બનાવવી પડશે. જો હજામને હજામત કરવા માટે બોલાવ્યો, તો એમાં (૧) જો હજામ પૈસા લીધા વગર વાળ કાપી આપે, તો મસ્જિદની અંદર હજામત કરવી જાઈઝ છે. (ર) અને જો પૈસા લઈને હજામત કરે, તો પછી મોઅતકિફ મસ્જિદની અંદર રહે અને હજામ મસ્જિદની શરઈ હદની બહાર બેસીને હજામત કરે. મસ્જિદની અંદર મહેનત-મજૂરી લઈને કામ કરવું જાઈઝ નથી. (મસાઈલે એઅતિકાફ : ૪પ-૪૬)
- જો કોઈ માણસને જબરદસ્તી એઅતિકાફની જગ્યાએથી બહાર કાઢવામાં આવે, તો એનો એઅતિકાફ બાકી રહેશે નહીં. દા.ત. એના નામનો પકડ વોરંટ હતો એટલે પોલીસ પકડીને લઈ ગઈ અથવા કોઈની પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા અને ચૂકવણી થઈ નથી, હવે તે માણસ પૈસાની માંગણી માટે એને બહાર કાઢે તો એનો એઅતિકાફ બાકી રહેશે નહીં. (મસાઈલે એઅતિકાફ : ૪૮)
- કોઈ માણસ રમઝાનના આખરી ૧૦ દિવસ માટે એઅતિકાફમાં બેઠો અને એમાંથી કોઈ દિવસે કોર્ટમાંથી એના કેસ માટે તારીખ પડી, તો હવે આ વ્યક્તિ કેસ અર્થે કોર્ટમાં જવા નીકળશે, તો એનો એઅતિકાફ ફાસિદ થઈ જશે. હા, મજબૂરીના કારણે નીકળવું પડે છે એટલે ગુનેહગાર થશે નહીં. ઈમામ અબૂ યૂસુફ અને ઈમામ મુહમ્મદ (રહ.)ના મંતવ્ય મુજબ જો અડધા દિવસથી વધારે બહાર નહીં રહે, તો એઅતિકાફ ફાસિદ થશે નહીં. આવી મજબૂરીમાં આ મંતવ્ય પર અમલ કરી શકાય છે. (મસાઈલે એઅતિકાફ : ૪૪)
- અમૂક વેળા એઅતિકાફ કરવાવાળા સાથે એવા લોકો પણ ઈફતારી કરવા બેસે છે, જેમનો એઅતિકાફ નથી. તો વધારે એહતિયાત એમાં જ છે કે એઅતિકાફ ન કરનાર વ્યક્તિ મસ્જિદની શરઈ હદની બહાર ઈફતારી કરે. હા, મસ્જિદમાં દાખલ થતી વેળા નફલ એઅતિકાફની નિય્યત કરી લે, તો પછી તે એઅતિકાફ કરવાવાળાની સાથે મસ્જિદમાં ઈફતારી કરી શકે છે. (મસાઈલે એઅતિકાફ : ૩૬)
- એઅતિકાફ કરનાર હાજત પૂરી કરવા માટે શૌચાલયમાં જાય અને શૌચાલય ખાલી ન હોય, તો જરૂરતના કારણે તે માણસે બહાર ઉભા રહીને રાહ જોવી જાઈઝ છે.(મસાઈલે એઅતિકાફ : ૩૬-૩૭)
આ મહિનામાં ખાસ કરીને જેટલો વખત પણ બની શકે કુર્આન શરીફની તિલાવતમાં ગાળવો જોઈએ, ઘણો જ સવાબ છે. કુર્આન શરીફ રમઝાનુલ મુબારકમાં ઉતારવામાં આવ્યું. જેથી તેનો આ મહિના સાથે ખાસ સબંધ છે. હદીષ શરીફમાં છે કે, દર વર્ષે હઝરત જિબ્રઈલ (અલયહિસ્સલામ) રમઝાન મહિનામાં પુરૂં કુર્આન શરીફ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને સંભળાવતા હતા. અને બીજી રિવાયતમાં એમ છે કે, આપ (સલ.)થી હઝરત જિબ્રઈલ (અલૈ.) સાંભળતા હતા. કુર્આન શરીફનો રમઝાન શરીફમાં દૌર કરવા મશાઈખો અને બુઝુર્ગોને ત્યાં પણ ખાસ કરી બંદોબસ્ત કરવામાં આવતો. આપ (સલ.)એ ચાર વસ્તુ માટે ખાસ કરીને ધ્યાન આપવા ફરમાવ્યું છે કે, આ મહિનામાં કલિમએ તય્યિબહ એટલે કે, “લા ઈલાહ ઈલ્લલ્લાહુ મુહમ્મદુર્રસૂલુલ્લાહ” અને “ઈસ્તિગફાર” વધારે પઢવું. તે સિવાય જન્નતની માંગણી અને દોઝખથી બચવાની દુઆ. બીજું આ સિવાય આપ (સલ.)એ આ મહિનામાં અદબ પણ બતાવ્યા છે કે, આ સબરનો મહિનો છે. રોઝામાં (ગરમીથી કે બીજા કોઈ કારણથી) કોઈ તકલીફ થાય તો ખુશીની સાથે બરદાસ્ત કરવી જોઈએ. જેમકે ઘણા માણસો રોઝામાં પોતાનું દિમાગ ખોઈ બેસે છે. તેવી રીતે તરાવીહમાં પણ કોઈ તકલીફ થાય તો આ બધી વાતોને મુસીબત અને આફત ન સમજે. આ બધી વાતોથી સવાબ ધોવાઈ જાય છે. આપણે દુનિયા મેળવવા ખાવું-પીવું બધું છોડી દઈએ છીએ, તો શું અલ્લાહપાકની રઝામંદી માટે આપણાથી એટલી વાત પણ બરદાસ્ત થઈ શકતી નથી ? (ફઝાઈલે રમઝાન)
Log in or Register to save this content for later.