પાણીના મસાઇલ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 35 to 38)

નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે હદીષોમાં તહારત (પાકી અને સફાઈ)ની ઘણી જ એહમિયત વર્ણવી છે. સાથે સાથે નજાસત (નાપાકી)થી પાકી પ્રાપ્ત કરવાના અહકામ અને આદાબ પણ વર્ણવ્યા છે. જેમ કે એક રિવાયતમાં છે કે, એક વખતે અમૂક યહૂદીઓએ હઝરત સલમાન ફારસી (રદી.)ને ટોણો માર્યો કે, તમારા નબી તો નાની અમથી વસ્તુ પણ શીખવાડે છે. એટલે સુધી કે શૌચકાર્ય વખતે બેસવાની રીત પણ બતલાવે છે. તો હઝરત સલમાન ફારસી (રદી.)એ તેને વિગતે જવાબ આપ્યો, જે બુખારી, મુસ્લિમ અને હદીષોની બીજી કિતાબોમાં વિગતવાર વર્ણવેલ છે. એનાથી પણ ખબર પડે છે કે, આપણે ત્યાં પાકી બાબતે કેટલી ચોક્સાઈ રાખવામાં આવે છે.

કિતાબોમાં પાણીની પાકીના મસ્અલા પણ વર્ણવ્યા છે અને વુઝૂ કરતી વખતે પાણી પણ પાક હોવું જરૂરી છે. જેથી વુઝૂના મસાઈલમાં પાણી વિશેના થોડાક મસ્અલા નીચે દર્શાવીએ છીએ :

  • જો પાણીની ટાંકી કોઈ કારણથી નાપાક થઈ જાય, તો એમાં જો નાપાક વસ્તુ દેખાતી હોય તો તે નાપાક વસ્તુ કાઢીને ઉપરથી પાણીની મોટર ચાલુ કરી દેવી જોઈએ, જેથી પાણી ટાંકીમાં પડવા લાગે અને નીચેથી બધા નળ ખોલી કાઢવા જોઈએ, જેથી અંદરનું પાણી નીકળવા લાગે. આમ કરવાથી ટાંકીનું પાણી “વહેતા પાણી”ના હુકમમાં ગણાયને પાક થઈ જશે. હા, સાવચેતી માટે ટાંકીનું ત્રણ ગણું પાણી વહાવ્યા પછી જ વાપરવું જોઈએ. (કિતાબુલ મસાઈલ : ૧ર૦)
  • પાણીની ટાંકી જમીનમાં (અંડરગ્રાઉન્ડ) છે, અને તે નાપાક થઈ જાય તો તેને પાક કરવાની બે રીત છે : (૧) એમાં પાણી બરાબર ભરતા રહેવું. ત્યાં સુધી કે પાણી છલકાઈને વહેવા માંડે. જેથી તે “વહેતા પાણી”ના હુકમમાં આવી જશે. (ર) એક તરફથી અંદર પાણી નાખવામાં આવે અને બીજી તરફ મોટર ચાલુ કરીને પાણી બહાર ખેંચવામાં આવે, તો પણ તે “વહેતા પાણી”ના હુકમમાં આવી જશે. (કિતાબુલ મસાઈલ : ૧ર૦/૧)
  • જો ઉંદર કૂવામાં પડીને જીવતો બહાર આવી જાય, તો પાણી નાપાક નહીં થાય. પરંતુ સારૂં એ છે કે, ર૦ ડોલ જેટલું પાણી કાઢી લેવામાં આવે. અને જો ઉંદરના બદલે બિલાડી હોય તો ૪૦ ડોલ જેટલું પાણી કાઢી લેવું જોઈએ.(કિતાબુલ મસાઈલ : ૧ર૧)
  • જો કોઈ સજીવ કૂવામાં મરી જાય અને ફૂલીને ફાટી જાય, ત્યારે કૂવાનું બધુ જ પાણી કાઢવામાં આવે. ચાહે જાનવર મોટું હોય કે નાનું. બધુ પાણી કાઢવાનો મતલબ એ છે કે, કૂવામાં એટલું પાણી રહે કે જો ડોલ નાંખે તો અડધી ડોલ પણ ન ભરાય. (દીનકી બાતેં : ૩ર)
  • જો ઉંદર, ચકલી અથવા એના જેટલું કોઈ જાનવર પડીને મરી જાય અને ફૂલ્યુ-ફાટ્યું નથી, તો ર૦ ડોલ પાણી કાઢવું વાજીબ છે. અને ૩૦ ડોલ પાણી કાઢે તો વધુ સારૂ છે. હા, પહેલા મરેલું જાનવર કાઢે. (દીનકી બાતેં : ૩ર)
  • જો કબૂતર, મરઘી, બિલાડી અથવા એના જેવું કોઈ જાનવર કૂવામાં મરી જાય અને ફૂલે-ફાટે નહીં, તો ૪૦ ડોલ પાણી કાઢવું વાજિબ છે. અને ૬૦ ડોલ પાણી કાઢવું વધુ સારૂ છે. (દીનકી બાતેં : ૩ર)
  • નાપાક માણસ કૂવા (કે ટાંકી)માં ઉતર્યો, જેના કોઈ અવયવ પર અથવા શરીરમાં કોઈ જગ્યાએ નાપાકી લાગેલી હતી, તો બધુ જ પાણી નાપાક થઈ જશે. હવે બધુ જ પાણી કાઢવું જરૂરી છે. (કિતાબુલ મસાઈલ : ૧રર)
  • કૂવામાં બકરી પડી ગઈ અને તેમાં જ મરી ગઈ, તો બધું જ પાણી કાઢવું પડશે. (કિતાબુલ મસાઈલ : ૧ર૩)
  • કૂવામાં મોટું ઝરણું છે, જેથી જેટલું પાણી કાઢવામાં આવે છે, તેટલું ઝરણામાંથી આવી જાય છે. એટલે બધું પાણી કાઢવું શક્ય નથી, તો નાપાકી જોઈ તે સમયે તેમાં કેટલું પાણી હતું, તેનો અંદાજો કરી તેટલું પાણી કાઢવામાં આવે, નહીં તો ૩૦૦ ડોલ કાઢવામાં આવે. (દીનકી બાતેં : ૩ર)
  • ઉંદરની પૂંછડી કપાઈને કૂવામાં પડી ગઈ, તો બધું પાણી કાઢવું પડશે. એ જ રીતે તે ગરોળી, જેમાં વહેતુ લોહી હોય અને તેની પૂંછડી કપાઈને કૂવામાં પડી ગઈ, તો પણ કૂવાનું બધું પાણી કાઢવું પડશે. (દીનકી બાતેં : ૩૩)
  • જો કૂવામાં કોઈ નાપાકી, મળમૂત્ર, દારૂ, લોહી પડી જાય, તો કૂવાનું બધું જ પાણી કાઢવું વાજિબ છે. (તહારતકે અહકામ વ મસાઈલ : ૮૦)
  • જે વસ્તુ પડવાથી કૂવો નાપાક થયો છે, જો તે વસ્તુ ઘણી જ કોશિષો પછી પણ ન નીકળી શકે, તો પછી જોવું જોઈએ કે એ વસ્તુ કેવી છે ? જો તે વસ્તુ પોતે તો પાક હતી, પરંતુ તેના ઉપર નાપાકી લાગવાને કારણે તે વસ્તુ નાપાક થઈ ગઈ, જેમ કે કપડું, બોલ, બુટ-ચપ્પલ, નાપાકી લાગવાને કારણે નાપાક થઈ ગયા, તો એને ન કાઢવામાં માફી છે. આમ જ પાણી કાઢી લે. અને જો તે વસ્તુ પોતે જ નાપાક છે, જેમ કે મૃત જાનવર, ઉંદર વગેરે. તો જ્યાં સુધી એ વાતની પાકી ખાત્રી ન થઈ જાય કે આ વસ્તુ કોહવાઈને માટી થઈ ગઈ હશે, ત્યાં સુધી કૂવો પાક નહીં થાય. અને જ્યારે એ વાતની પાકી ખાત્રી થઈ જાય કે, કોહવાઈ ગયું છે, તો બધું પાણી કાઢી લેવામાં આવે, કૂવો પાક થઈ જશે. (દીનકી બાતેં : ૩૩-૩૪)
  • જેટલું પાણી કાઢવું જરૂરી છે, તે ચાહે તો એકી સાથે કાઢી લેવામાં આવે અથવા તો થોડુ થોડુ કરીને અલગ-અલગ સમયે કાઢવામાં આવે, કૂવો પાક થઈ જશે. (દીનકી બાતેં : ૩૪)
Log in or Register to save this content for later.