વુઝૂને તોડવાવાળી વસ્તુઓ

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 28 to 34)

પેશાબ કરવું, પાખાના (ટોયલેટ) કરવું, પાખાનાના રસ્તે હવાનું નીકળવું, નાપાક ચીઝોનું બદનથી નીકળવું, બેહોશ થઈ જવું, નશો ચઢી જવો, ટેકો લગાડીને ઉંઘી જવું, મોઢું ભરીને ઉલ્ટી થવી, બદનના ગુસલમાં ધોવામાં આવતી જગ્યાએથી ખૂન અથવા પીપનું નીકળીને વહેવું. નમાઝમાં ખિલખિલાઈને (ખડખડ) હસવું વુઝૂ અને નમાઝ બન્નેને તોડી નાંખે છે.

  • કોઈ માણસ વુઝૂની હાલતમાં છે અને શરીરમાં કોઈ જગ્યાએ ઈન્જેક્શન લગાવ્યું અને સોયની અંદર લોહી આવ્યું નથી, જેમકે ગોશ્ત અને ચામડીમાં ઈન્જેક્શન મારવાથી આવી જાય છે, તો એનાથી વુઝૂ તૂટતુ નથી. અને જો ઈન્જેક્શન લગાવ્યા પછી વહી પડે એટલી માત્રામાં લોહી આવી જાય, તો વુઝૂ તૂટી જશે. જેમકે ક્યારેક નસોમાં ઈન્જેક્શન મારવાથી થાય છે.(કિતાબુલ મસાઈલ)
  • વુઝૂની હાલતમાં જો ગ્લુકોઝનો બોટલ ચઢાવ્યો, તો જો બોટલની નળી અથવા સોયમાં લોહી આવી જશે, તો વુઝૂ તૂટી જશે. અને જો લોહી નસમાંથી ઉપર બિલ્કુલ નહીં નીકળે અને ફક્ત ગ્લુકોઝનું પાણી અંદર પહોંચતુ રહે, તો એનાથી વુઝૂ નહીં તૂટે. (કિતાબુલ મસાઈલ : ૧પ૦)
  • સખત શરદી વખતે નાકમાંથી નીકળવાવાળુ પાણી અને આંખ દુઃખવાના સમયે એમાંથી નીકળવાવાળા આંસુઓથી વુઝૂ તૂટશે નહીં. હા, જો એ વાત પાકી થઈ જાય કે આ પાણી અંદરના કોઈ ઝખમ કે વાઢકાપમાંથી નીકળે છે, તો વુઝૂ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ૧પ૦)
  • જો કોઈને કાંચ (અશક્તિને કારણે આમણ બહાર નીકળી આવવાનો રોગ) કે હરસ-મસો વધુ બહાર નીકળી આવે અને એની સાથે નાપાકી પણ લાગેલી હોય, તો વુઝૂ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ૧પ૩)
  • ગરમીની ઋતુમાં ખીલ, નાની ફોલ્લીઓ નીકળી આવે અને ફૂટી ગયા પછી એમાંથી પાણી જાતે ન વહે, બલ્કે હાથ કે કપડું લાગવાથી ફેલાય જાય તો એનાથી વુઝૂ તૂટશે નહીં. હા, જો એ પાણી જાતે જ વહી પડે તો વુઝૂ તૂટી જશે. (કિતાબુલ મસાઈલ : ૧પ૩)
  • શરીરમાં ઈન્જેક્શનની સોયની અણી લગાડી, જેના કારણે લોહી નીકળ્યું, પરંતુ પોતાની જગ્યાએથી વહ્યું નથી, તો એનાથી વુઝૂ તૂટશે નહીં. (મસાઈલે વુઝૂ : ૮ર)
  • ઈન્જેક્શન લગાવવાથી અથવા શરીરમાં દવા, લોહી કે ગ્લુકોઝ ચઢાવવાથી લોહી, પરૂ અથવા એવી કોઈ વસ્તુ શરીરમાંથી ન નીકળે, તો વુઝૂ તૂટશે નહીં. કારણ કે નાપાકી નીકળવાથી વુઝૂ તૂટે છે. હા, જો ઈન્જેક્શન મારફત શરીરમાંથી લોહી કાઢવાનો ઈરાદો હોય તો એનાથી વુઝૂ તૂટી જશે. (મસાઈલે વુઝૂ : ૮ર)
  • આજકાલ સ્ત્રીઓ નખ પોલિશ કરાવે છે. જ્યાં સુધી તે પોલિશ નખ પર રહેશે, ત્યાં સુધી વુઝૂ અને ગુસલ સહીહ થતું નથી. કારણ કે એના લીધે પાણી નખ સુધી પહોંચતું નથી.
  • પાવડર, ક્રીમ અને એના જેવી વસ્તુઓ લગાવ્યા બાદ વુઝૂ કરવાથી વુઝૂ થઈ જશે. હા, જરૂરી એ છે કે, આ વસ્તુઓમાં કોઈ નાપાક વસ્તુનું મિશ્રણ ન હોય.
  • જો કોઈને હરસ-મસો પાખાનાની જગ્યાએ બહાર નીકળી આવ્યો અને ત્યાર બાદ એણે પોતાની આંગળી વડે મસો અંદર ધકેલી દીધો, તો એનાથી વુઝૂ તૂટી જશે. અને જો તે મસો જાતે જ અંદર ચાલ્યો ગયો, તો વુઝૂ તૂટશે નહીં. હા, જો મસો બહાર નીકળ્યા બાદ એના ઉપર નાપાકી લાગેલી હતી, તો વુઝૂ તૂટી જશે.
  • બેહોશી, પાગલપણું (ગાંડપણ) કે બેભાન અવસ્થાથી વુઝૂ તૂટી જાય છે. અને એવા નશાથી પણ વુઝૂ તૂટી જાય છે, જેનાથી માણસ હાલકડોલક થવા લાગે છે. ચાહે તે નશો દારૂ પીવાથી કે ભાંગ જેવી વસ્તુ ખાવાથી થયો હોય.
  • પાગલ માણસ માટે પાગલપણું દૂર થઈ ગયા બાદ અને બેભાન માણસ ભાનમાં આવ્યા બાદ એના માટે ગુસલ કરવું મુસ્તહબ છે.
  • ખુજલીની ફોલ્લીઓમાંથી અમૂક વેળા પાણી નીકળતું રહે છે. જો તે પાણી પોતાની જગ્યાએથી વહી જાય, તો વુઝૂ તૂટી જશે. અને જે કપડા પર તે પાણી લાગશે, તે પણ નાપાક થઈ જશે. (મસાઈલે વુઝૂ : ૯૨)
  • છાતીમાંથી પાણી તકલીફની સાથે નીકળે છે, તો તે નાપાક છે. એનાથી વુઝૂ તૂટી જશે. અને જો પાણી તો નીકળે છે, પરંતુ તકલીફ અને વેદના થતી નથી, તો એનાથી વુઝૂ તૂટશે નહીં. (મસાઈલે વુઝૂ : ૯૨)
  • મેડીકલ ટેસ્ટમાં અમૂક વાર નળી મોઢામાંથી અંદર પહોંચાડવામાં આવે છે. જો તે નળી પેટમાં નાપાકી સુધી પહોંચી જશે અને નળી નાપાકી સાથે ગંદી થઈને નીકળે, તો વુઝૂ તૂટી જશે. અને જો નળી પર ગંદકી લાગી નથી અથવા ગોશ્તનો નાનો ટૂકડો કાઢ્યો અને તે નાપાકીવાળો નથી, તો વુઝૂ તૂટશે નહીં. અને જો નળી મોઢા વાટે પેટમાં ન નાખી, પરંતુ પાખાનાની રાહે અંદર પહોંચાડી, તો વુઝૂ તૂટી જશે. ચાહે બહાર કાઢ્યા બાદ એના ઉપર નાપાકી હોય કે ન હોય. (કિતાબુલ ફતાવા : ૪૦/ર)
  • કોઈએ ફોલ્લી અથવા ઝખમની ઉપરનો પોપડો કાઢી નાંખ્યો અને એના નીચે લોહી કે પરૂ દેખાવા લાગ્યું, તો જ્યાં સુધી તે પોતાની જગ્યાએથી વહેશે નહીં, વુઝૂ તૂટે નહીં. અને જો પોતાની જગ્યાએથી વહી જશે, તો વુઝૂ તૂટી જશે. (મસાઈલે વુઝૂ : ૯૩)
  • ફોલ્લી કે ગુમડામાંથી લોહી જાતે નથી નીકળ્યું, પણ પોતે દબાવીને કાઢ્યું અને તે નીકળીને વહી ગયું તો વુઝૂ તૂટી જશે. (મસાઈલે વુઝૂ : ૯૩)
  • કોઈ માણસે શરીરમાંથી લોહી કઢાવ્યું (જેમકે બ્લડ બેંકમાં આપે છે) અથવા નસકોરી ફૂટી અથવા ચોટ લાગી અને લોહી નીકળ્યું અથવા ફોલ્લીમાંથી કે શરીરના કોઈ ભાગમાંથી લોહી કે પરૂ નીકળ્યું, તો વુઝૂ તૂટી જશે. અને જો તે લોહી કે પરૂ ઝખમની અંદર જ રહે અને પોતાની જગ્યાએથી વહે નહીં, તો વુઝૂ નહીં તૂટે. (મસાઈલે વુઝૂ : ૯૫)
  • કોઈના કાનમાં તકલીફ હોય અને એમાંથી પાણી નીકળતું રહે તો કાનમાંથી નીકળીને વહેવાવાળુ પાણી નાપાક છે. ચાહે અંદર કોઈ ફોલ્લીની ખબર ન પડે. એ પાણીના નીકળવાથી વુઝૂ તૂટી જશે. જ્યારે તે પાણી વહેતુ વહેતુ કાનમાંથી બહાર એ ભાગમાં આવી જાય, જેનું ગુસલમાં ધોવું ફર્જ છે.
  • એ જ રીતે કોઈની ડુંટીમાંથી પાણી નીકળે અને તકલીફ પણ થતી હોય, તો એનાથી વુઝૂ તૂટી જશે. (મસાઈલે વુઝૂ : ૯૮)
  • કાનનો મેલ નીકળવાથી વુઝૂ નહિ તૂટે. હા, કાનમાં પાણી વહેતુ હોય અને કાનમાં આંગળી નાંખવાથી એના ઉપર પાણી લાગે, તો વુઝૂ તૂટી જશે અને તે પાણી પણ નાપાક છે. (મસાઈલે વુઝૂ : ૯૮)
  • નખ ઉપર આટો લાગી ગયો, તો જ્યાં સુધી એને કાઢશે નહીં, ત્યાં સુધી વુઝૂ નહીં થાય. (મસાઈલે વુઝૂ : ૧૦૦)
  • નખની અંદર મેલ કે માટી હોય અને એની નીચે પાણી પહોંચી જાય, તો એને કાઢ્યા વગર પણ વુઝૂ અને ગુસલ થઈ જશે.
  • મોઢામાં દાંતનું ચોકઠુ હોય તો ગુસલ વખતે તેને કાઢવું જરૂરી છે. કારણ કે કોગળો કરવો ફર્જ છે, તો એ કાઢવાથી દાંતના પેઢા પર પાણી પહોંચી જાય. વુઝૂમાં ચોકઠુ કાઢવું જરૂરી નથી, કારણ કે વુઝૂમાં કોગળો કરવો ફર્જ નથી. (કિતાબુલ ફતાવા : ૪૯/ર)
  • દાંતના કાણામાં જો કોઈએ ચાંદી પુરાવી, તો તે વુઝૂમાં રૂકાવટ નહીં બને, વુઝૂ થઈ જશે. અને જરૂરતને લઈ ગુસલ પણ થઈ જશે.(ફતાવા ઉસ્માની : ૩૪પ/૧)
  • જો કોઈ માણસે વીંટી પહેરી હોય અને તેમાં અલ્લાહપાકનું નામ હોય અથવા તો કોઈ આયતની તકતી ગળામાં હોય અને તેના ઉપર કપડું કે માદરીયુ લગાવ્યું ન હોય, તો એવા માણસે સંડાશમાં જતી વેળા આ વસ્તુઓ કાઢીને બહાર મૂકવી જોઈએ અથવા ખિસ્સામાં મૂકી દે. એને ખુલ્લી રાખીને સંડાશમાં લઈ જવું બેઅદબીને કારણે મકરૂહ છે.(કિતાબુલ ફતાવા : ૭૪/ર)
  • પ્લાસ્ટીકના બનાવટી હાથનો હુકમ અસલ હાથની જેમ નથી. એટલે તેને વુઝૂમાં ધોવામાં નહીં આવે. હા, આ અસલ હાથમાં કોણીનો કોઈક ભાગ બાકી હોય અને તેને ધોઈ શકાતો હોય તો વુઝૂ કરતી વેળા તેને ધોઈ લેવું વાજીબ છે.(કિતાબુલ ફતાવા : પર/ર)
Log in or Register to save this content for later.