વુઝૂ કરવાની રીત

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 21 to24)

નમાઝ માટે વુઝૂ કરૂં છું એ નિય્યત કરી, બિસ્મિલ્લાહ હિર્રહમા નિર્રહીમ પઢીને (૧) બન્ને હાથ પહોંચા સુધી મસળીને ત્રણ વાર ધોવે, (ર) મિસ્વાક (દાંતણ) કરીને મોઢું બરાબર સાફ કરી ત્રણ વાર કોગળા કરે, (૩) જમણા હાથથી પાણી લઈ ત્રણ વાર નાકમાં પાણી લે અને ડાબા હાથથી નાક છણકે, (૪) બન્ને હાથમાં ખોબો ભરી પાણી લઈને મોઢું, બન્ને કાન અને પેશાનીના વાળ સુધી અને હડપચીના નીચે સુધી ત્રણ વાર ધોવે. દાઢીના વાળને પણ ખિલાલ કરી સારી રીતે પાણી પહોંચાડે, (પ) જમણો હાથ હથેળીથી ધોવાનો શરૂ કરીને કોહણી સમેત ત્રણ વાર ધોવે, તેવી જ રીતે ડાબો હાથ કોહણી સમેત ત્રણ વાર ધોવે, (૬) પછી બન્ને હાથ પાણીમાં તર કરીને છેલ્લી ત્રણ આંગળીઓ હથેળી સમેત ફેરવી આખા માથા પર પેશાનીના વાળ ઉપરથી પાછળ હાથ લઈ જઈ મસોહ કરે, પછી બન્ને કાનોમાં (અંદર) શહાદતની આંગળી ફેરવી મસોહ કરે અને કાનના બહારના ભાગમાં અંગુઠો ફેરવી મસોહ કરે. અને ગરદન ઉપર બન્ને ઉંધા હાથની આંગળીઓ ફેરવી મસોહ કરે. (મસોહ એક જ વાર કરવાનો છે.) (૭) પછી જમણો પગ ઘુંટી સહિત આંગળીઓમાં ડાબા હાથથી ખિલાલ કરી ડાબા હાથથી ત્રણ વાર ધોવે, તેવી જ રીતે ડાબો પગ પણ ત્રણ વાર ધોવે. આ સુન્નત તરીકા પ્રમાણે વુઝૂ થયું. ત્યાર બાદ નીચે મુજબ દુઆ પઢે :

અલ્લાહુમ્મજ-અલ્ની મિનત-તવ્વાબીન વજ-અલ્ની મિનલ મુત-તહ-હિરીન વજ-અલ્ની મિન ઈબાદિકસ સાલિહીન વજઅલ્ની મિનલ્લઝીન લા ખવ્ફુન અલયહિમ વ-લાહુમ યહ-ઝનૂન.

અર્થ : હે અલ્લાહપાક ! મને તૌબા કરનારાઓમાંથી બનાવ અને સાફ-સુથરા લોકોમાંથી બનાવ અને નેક બંદાઓમાંથી બનાવ, તે લોકોમાંથી કે જેઓની ઉપર ન ડર હશે, ન તેઓ ગમગીન હશે.

એના પછી શહાદતનો કલિમો પઢે. અને સૂરએ કદ્ર (ઈન્ના અન્ઝલ્નાહુ) પઢે, તેનો ઘણો સવાબ છે. વુઝૂ કર્યા પછી (વખત મકરૂહ ન હોય તો) બેહતર એ છે કે, બે રકાઅત નમાઝ તહિય્યતુલ વુઝૂ પઢે. હદીષ શરીફમાં એનો ઘણો સવાબ વર્ણવવામાં આવ્યો છે.

બદનના કોઈ ભાગને ત્રણ વારથી વધુ ધોવું સુન્નતની વિરૂદ્ધ છે.

ફુઝૂલ (જરૂરતથી વધારે) પાણી ન રેડે. વુઝૂ કરવા કિબ્લા તરફ મ્હોં કરીને બેસવું ઘણું સારૂં છે.

હાથમાં વીંટી પહેરી હોય અથવા તો સ્ત્રીઓના હાથમાં કંગન, બંગડીઓ, નાકમાં નઠણી વિગેરે હોય તો તેને હલાવી પાણી પહોંચાડવું જરૂરી છે. જગ્યા સૂકી રહી જશે તો વુઝૂ થશે નહીં.

વુઝૂમાં મિસ્વાક કરવું સુન્નત છે. અને તેનો ઘણો સવાબ છે. મિસ્વાક વિશે હદીષ શરીફમાં ઘણી તાકીદ અને ફઝીલત આવી છે.

  • આપ (સલ.)એ ફરમાવ્યું છે કે, મારી ઉમ્મતની મુશ્કેલી અને તકલીફનો અંદેશો ન હોત તો હું હુકમ કરત કે, દરેક નમાઝ વખતે વુઝૂમાં મિસ્વાક (દાંતણ) કર્યા કરે.
  • બીજી હદીષમાં આપ (સલ.)એ ફરમાવ્યું કે, બે રક્‌અત નમાઝ મિસ્વાક કરીને પઢવી તે ૭૦ રક્‌અતથી બેહતર છે કે જે મિસ્વાક કર્યા વગર (વુઝૂમાં) પઢવામાં આવી હોય. બીજી ઘણી હદીષો મિસ્વાક કરવાની ફઝીલતમાં બયાન થઈ છે.
  • સહાબા (રદી.)નો એના પર એવો અમલ હતો કે, કલમ (પેન)ની જેમ મિસ્વાકને કાનમાં રાખતા હતા.

આથી જણાયું કે મિસ્વાક કરવું કેટલો બધો સવાબ અને બરકતનું કારણ છે. જેથી દરેક વખતે વુઝૂ કરતી વેળા ખાસ કરીને મિસ્વાક કરવું જોઈએ.

નખમાં આટો અથવા બીજી કોઈ સખત ચીઝ લાગેલી હોય અથવા નખ ઉપર નીલ પોલિસ જેવી કોઈ સખત વસ્તુ લગાડેલી હોય કે જેથી પાણી નીચે પહોંચી ન શકે, તો વુઝૂ થશે નહીં. એવી સખત ચીજને ઉખેડીને પાણી પહોંચાડવું જરૂરી છે. એમજ પાણી રેડવાથી વુઝૂ થશે નહીં. મહેંદીના રંગવાળા હાથો ઉપર વુઝૂ થઈ જાય છે.

કોઈના હાથ-પગ ફાટી ગયા અને તેના ઉપર તેલ, મીણ કે બીજી કોઈ દવા લગાડેલી છે, અને તેને કાઢવામાં તકલીફ થતી હોય તો તેને કાઢયા વગર ઉપર ઉપરથી પાણી વહેવડાવ્યું, તો વુઝૂ દુરૂસ્ત છે.

હાથ-પગ કે મ્હોં ઉપર ઝખમ કે ગુમડું હોય અથવા તો કોઈ એવી બીમારી છે કે ત્યાં પાણી પહોંચાડવું નુકસાનકારક હોય, તો એટલી જગ્યા ઉપર પાણી ન નાંખે અને પાણીવાળા હાથથી મસોહ કરી લે તો પણ વુઝૂ થઈ જશે.

જો ઝખમને પાણીથી ધોવું નુકસાન નહીં કરે, તો ધોવું જરૂરી છે. અને જો પાણીથી ધોવું નુકસાનકારક હોય અને મસોહ નુકસાન ન કરે, તો ઝખમ ઉપર મસોહ કરવો વાજિબ છે. અને જ્યારે ઝખમ ઉપર મસોહ કરવો પણ નુકસાન કરે તેમ હોય તો પાટા કે પટ્ટી ઉપર પણ મસોહ કરવો દુરૂસ્ત છે.

મસોહ કરવામાં પાણીથી હાથ તર (ભીના) કરવા જોઈએ. અને જ્યારે એક વાર હાથથી મસોહ કરી લીધો, તો હવે બીજી જગ્યાએ મસોહ કરી શકાય નહીં. બીજી જગ્યાએ મસોહ કરવામાં ફરી પાણીથી હાથ તર કરીને મસોહ કરવો જોઈએ.

વુઝૂ કરતી વખતે એડી ઉપર અથવા બીજી કોઈ જગ્યા ઉપર પાણી પહોંચ્યું નહીં અને જ્યારે પુરૂ વુઝૂ થઈ ચૂક્યું ત્યારે જણાયું કે ફલાણી જગ્યા સૂકી રહી ગઈ છે, તો સૂકી રહી ગયેલી જગ્યા ધોઈ લેવાથી વુઝૂ થઈ જશે. ફરીથી વુઝૂ કરવાની જરૂરત નથી.

  • એક વુઝૂથી અનેક વખતની નમાઝો પઢી શકાય છે,પણ દરેક નમાઝ માટે નવુ વુઝૂ કરવાથી સવાબ વધારે મળે છે.
  • બેવુઝૂ ઝિક્ર, દુરૂદ શરીફ, કુર્આન શરીફ કંઠસ્થ (મોઢેથી) પઢવું જાઈઝ છે.
  • બેવુઝૂ નમાઝ પઢવી હરામ છે.
  • બેવુઝૂ કુર્‌આન શરીફ, સિપારા અથવા જે વસ્તુ ઉપર કુર્‌આન શરીફની આયત લખી હોય, તેને હાથ લગાડવો દુરૂસ્ત નથી. બદનથી જુદુ પાક કપડું લઈ તેનાથી ઉપાડી શકે છે.
  • હંમેશા બાવુઝૂ (વુઝૂની સાથે) રહેવું અને વુઝૂની સાથે પઢવામાં વધુ સવાબ મળે છે. અને બરકતનું કારણ છે. વુઝૂની સાથે સુવામાં પણ સવાબ મળે છે.
Log in or Register to save this content for later.